મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કોઈ
Jump to navigation
Jump to search
બહાર નહીં તો અંદર કોઈ
નિત્ય કરે છે હરફર કોઈ
ચૉક અને ચૉરા પર કોઈ
શોધે પોતાનું ઘર કોઈ
ઓઢાડે જે ચિન્તા રાખી
ભરનીંદરમાં ચાદર કોઈ
મોતી એમ નથી વીંધાતું
વીંધે સાત સમંદર કોઈ
ભાર બધો ઓશીકે મૂકી
ઊંઘે છે ભડભાદર કોઈ
ચોર-પગે મેં જોઈ ચાંદની
ચડે-ઊતરે દાદર કોઈ
મોભ અને મોભો સાચવતાં
થાય પડીને પાદર કોઈ
સ્વાગત કરશે વિશ્વ નવું આ
ઓળંગે જો ઉંબર કોઈ