મનોહર ત્રિવેદીનાં કાવ્યો/‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩
Jump to navigation
Jump to search
‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩
મુખી સત્તરવાર, તે કાળુભારને ઘૂને
ધોમબપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?–
રાતના ભેરુબંધની હારે
હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી
મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચોરાય નંઈ? -
ગામને સાડીસાત વખત ખપ હોય તો રાખે
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા?
ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો
કોઈ માનતા માની દેવ મનાવ્યા ’તા?
વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર :
ઠામુકાં ગીત-સળુકા કાંઈ રે ગવાય નંઈ–
છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો
લોક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત
મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
માથું મારવું – આને જીત કહું કે ગત?
ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ
પટલાઈ મળી કે ડેલીએ ઊભા રઈ
નિરાંતે રેવડી ખવાય નંઈ –