મનોહર ત્રિવેદીનાં કાવ્યો/‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩

મુખી સત્તરવાર, તે કાળુભારને ધૂને
ધોમખપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?–

રાતના ભેરુબંધની હારે
હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી
મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચારાય નંઈ? -

ગામને સાડીસાત વખત ખપ હોય તા રાખે
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા?
ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો
કોઈ માનતા માની દેવ મનાવ્યા ’તા?

વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર :
ઠામુકાં ગીત-સળુકા કાંઈ રે ગવાય નંઈ–

છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો
લેક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત
મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
માથું મારવું – આને જીત કહું કે મત?

ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ
પટલાઈ મળી કે ડેલીએ ઊભા રઈ
નિરાંતે રેવડી ખવાય નંઈ –