સાહિત્ય પલ્લવ – ભાગ ૨/તારલી
Jump to navigation
Jump to search
તારલી
(ગઝલ)
ભાનુશંકર વ્યાસ - ‘બાદરાયણ’
આકાશ-સાગર-સંગમ-ભોમમાં
સંધ્યાની જ્યોત રમી વિરમે,
અંધારનાં પડ વિશ્વને આવરે,
આકાશે તારલી એક ઝગે :
વ્યોમ વિરાટમાં એ ન ડૂબે.
એવી વસી મારે અંતર તારલી.
એનાંય તેજ અનસ્ત રહ્યાં,
વિશ્વને ઘેરતાં, ઘૂમરી ઘૂમતાં,
એને ન વાદળ કોઈ નડ્યાં :
તેજ એનાં ન જરી પલટ્યાં.
સૂરજ ચન્દ્રના તેજ તણી મારે
હૈયે જરી નહિ આશ ધરું,
તારલી નાની શી તેજ ઝીણું ઝરે,
અંતર એ જ ઉજાસ ભરું;
અંધાર સાથ એ તેજે લડું,
જીવનમાર્ગ ન ભૂલો પડું.
સ્વાધ્યાય
૧. ક્ષિતિજ માટે કવિએ કયા શબ્દો વાપર્યાં છે?
૨. જેનાં તેજ અનસ્ત (આથમ્યા વિનાનાં) રહ્યાં છે એવી કઈ ‘તારલી’ કવિને યાદ આવે છે?
૩. એ ‘તારલી’ને કેવાં વાદળ નથી નડ્યાં? એ વાદળ એટલે શું?
૪. એ ‘તારલી’ના તેજને પામતાં કવિ પોતાનો સંતોષ કેવી રીતે વ્યક્ત કરે છે તે જણાવો.
૫. ‘જીવનમાર્ગ’માં એ તેજ વડે કવિ શું કરવા ધારે છે તે જણાવો.
૬. આ કાવ્યમાં પ્રાસ કેવી રીતે યોજાયા છે તે તપાસી તે ઉપર પાંચ છ લીટીમાં તમારા વિચારો લખો, તેમ જ ગેય કાવ્યોમાં પ્રાસનું શું સ્થાન હોય છે તે જણાવો.