સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બોધ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બોધ

(ગઝલ)
બાલશંકર કંથારિયા

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જૂઠી વાણી વિષે જે દુ:ખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

કચેરીમાંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.

રહેજે શાંતિ-સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ કહેજે.

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રીપ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જે કોઈની વાણી મીઠી કહેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું! રહે છે દૂર માગે તો,
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.

કવિરાજા થયો, શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમેશાં બાલ મસ્તીમાં મજા લેજે.

સ્વાધ્યાય

૧. આ કાવ્યમાં રહેલા બોધનો ગદ્યમાં સારાંશ આપો.
૨. પ્રારબ્ધ વિષે કવિના વિચાર શા છે તે જણાવો.
૩. કવિ સાચું સુખ શામાં જુએ છે?
૪. કહેવત જેવી થઈ પડે, એવી આ કાવ્યમાંની કેટલીક પંક્તિઓ નોંધો.