સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સીતાનું હરણ
કેશવરામ શાસ્ત્રી
[ફૂલોનો ઢગલો કરતી સીતા અને સખી પ્રવેશ કરે છે.] સખી – સખી જાનકી! આ સામે જ ફૂલો રહેલાં છે. કેમ બીજી બીજી બાજુ જોતાં ચાલ્યાં જાઓ છો? સીતા – સખી મધુકરિકા! આ કરતાંય સામે રહેલી ફૂલવાડીમાં મનોહર ફૂલો દેખાય છે. તેથી તે લેવાની હોંસે જાઉં છું. મધુ૰ – સખી! હવે આ જે ભાગ છે, એ આપણાથી અજાણ્યો છે. એ તો તમને ખબર જ હશે કે — વનમાં શાપ તેમ જ કૃપા બતાવનારા ઋષિઓ રહેતા હોય છે. કદાચ આપણે કોઈના આશ્રમે ફૂલ લઈ લઈએ, અને કોઈ કોપી ઊઠે તો? રામચન્દ્રજી પણ આપને રાજી રાખવા કનકમૃગને લઈ હમણાં જ પાછા વળતા હશે. માટે આટલાં ફૂલ ઘણાં. તેટલાં લઈ પાછાં ફરીએ. સીતા – વનવેલીઓ, ફલો, પુષ્પો, મૂળિયાં તેમ જ નદીનાં જલ બધાં માટે સાધારણ હોય છે. તો પછી શું કારણ જોઈ કોઈ કોપી ઊઠે? (છાબડી જોઈ) આર્યપુત્રને દેવપૂજામાં જોઈએ તેટલાં ફૂલો આ તો છે. આ સામી રહેલી ફૂલવાડીમાંથી થોડાંક મનોહર ફૂલો લઈ પછી ઝૂંપડીએ પાછાં ફરીએ. [બન્ને તે બાજુ જાય છે.] સીતા – [બરોબર જોઈ] સખી! આ ભ્રમર શા માટે સમ્ભ્રમમાં પડી તે તે વેલીઓમાં, ફૂલોના ગુચ્છાઓમાં અટકતો ભમે છે? મધુ૰ - [વિચાર કરી] સખી! મકરન્દના પાનથી નિશ્ચલ થઈ જતાં, ફણગામાં રહેલી સહચરી આ ભમરીને ન જોતાં, ન જોવાની વેદનાથી ખરે ઉન્મત્ત થયો લાગે છે. સીતા – [જોઈ] સખી, તેં બરોબર જાણી લીધું, હાં? મધુ૰ - જુઓ, તે આમ તેમ ખૂબ ભમે છે, છતાં સહચરીને જોતો નથી. સીતા – સખી! એ બેને ભેળાં કર. મધુ૰ – આ આંબાના લાકોટિયા વડે મંજરીને ઝાડી, મકરન્દ પીવામાં નિશ્ચલ થયેલી ભમરીને ઉઠાડું. (તેમ કરી) અહો! મંજરીમાંથી ઊઠેલી સહચરી સાથે આ ભ્રમર મલ્યો. જો, તે માધવીના મંડપ ઉપર ચડી મધુરસને પીતો નિરાંતે બેઠો છે. (બીજી ફૂલવાડીમાં જોઈ ઉતાવળે) અરે! જાનકીજી ક્યાં ગયાં? (ફરી નજર કરી) અરે! એ તો ક્યાંય નથી દેખાતાં. (બીજી ફુલવાડીમાં પ્રવેશ કરી બધે શોધતાં) અહો! આ મનોહર આકૃતિવાળી એક હરણી સ્નેહાળ દૃષ્ટિ વડે મને જોઈ આંખમાંથી નીકળતાં આંસુઓ વડે સખીનો સ્નેહ સૂચવે છે. મારું હૃદય પણ આમાં, જાણે લાંબા કાળની ઓળખાણ હોય તેમ સ્થિર થાય છે! રખે, અન્ય જન્મની આ કોઈ સખી હોય! (એમ બેબાકળી થઈ આમતેમ ભમતી, વિચાર સહિત) અહીં મહર્ષિઓના આશ્રમો હોવાથી, તેમના પ્રભાવે દુષ્ટ પશુઓનો સંચાર નથી, તો પછી મને અચમ્બો થાય છે કે જાનકીજી ક્યાં ગયાં હશે? (નિસાસો નાખી) ખરેખર, મારું નસીબ ફૂટી જ ગયું છે. મૃગયામાંથી પાછા ફરેલા રામચન્દ્રજીને હું શા મોઢે જવાબ આપીશ? રામચન્દ્રજી પણ આ સાંભળી કેવી સ્થિતિમાં આવી પડશે? એ વિચારી મારા મનમાં ફાળ પડે છે. [પડદા પાછળ કોલાહલ] મધુ૰ – આમતેમ ફરતા આ તાપસો દેખાય છે. આથી હું ધારું છું કે રામચન્દ્રજી આવી પૂગ્યા હશે. [પડદા પાછળ]
[સ્ત્રગ્ધરા]
કેડા ચોખ્ખા કરીને, નિજ નિજ કલશોમાં ભરી વારિ ઘાટે,
છાંટો તેને જમીને, સહુ ગમ ફરતાં ફૂલ વેરો ત્વરાએ;
સીતાની પ્રીતિ માટે, અનધિક મહિમા મેળવી આજ વાટે,
સામે શ્રીરામ આવે કનકમૃગ લઈ રાનથી આ દિશાએ. ૧
અને આ—
[વંશસ્થ]
પદે પદે લક્ષ્મણ બાજુ આવતાં,
જરા કરી નેણ વળેલ બોલતાં;
શ્રમે પસીને, લસતા મુખે થતા,
ખભે ધરી ચાપ, જુઓ, પધારતા. ૨
મધુ૰ - [બેબાકળી થઈ) અરે! આ તો કનકમૃગને લઈ બાજુમાં રહેલા લક્ષ્મણ સાથે વાતચીત કરતા રામચન્દ્રજી પધાર્યા. ચાલ, હું તો એમનાથી છેટી ભાગી જાઉં. [તેમ કરે છે.] [એવે ઉપર કહેવા મુજબના રામ લક્ષ્મણ સહિત પ્રવેશ કરે છે.] રામ – કેમ, ભાઈ! આ કનકમૃગને જોઈ જાનકી સંતોષ પામશે જ. નહિ વારુ? લક્ષ્મણ — વચનમાત્રથી દેવીના કુતૂહલને વારતા એવા આપની આ કૃપા જ કનકમૃગના લાભ કરતાંય મોટો સંતોષ આપશે. રામ – [કારણ બતાવી] ભાઈ! મહામુનિ અગસ્ત્યના સામર્થ્યને લીધે આ તપોવનમાં કોઈ જાતનો ભય નથી, છતાં પણ મધુકરિકાની સાથે જાનકીને એકલી મૂકી આવ્યો છું એથી, તેમ જ આ પ્રદેશ અપરિચિત હોવાથી મારું મન કાંઈક શંકાશીલ બને છે. લક્ષ્મણ – ‘પહેલું વેરી તે સ્વજન’ એ કાંઈ ખોટું નથી. સ્નેહને લીધે સ્વજન કિંવા પ્રિયજન વિષે શંકા થાય જ. મધુ૰ – [નિસાસો નાખી] કોઈ પણ રીતે બનેલી હકીક્ત કહેવી જ પડશે; માટે જાઉં. આ સમયે કહી જ દઉં. [પાસે જાય છે.] લક્ષ્મણ – [મધુકરિકાને જોઈ સ્વગત] આ બાપડી મધુકરિકા ઊતરેલ ચહેરે એકલી અટૂલી આવે છે. મને લાગે છે કે, સીતાજી સમ્બન્ધમાં કાંઈક વિશેષ થયું લાગે છે. મધુ૰ – મહારાજનો વિજય થાઓ. રામ – મધુકરિકા! જાનકી ક્યાં? મધુ૰ – [ગળગળી થઈ] દેવ! આપની દેવપૂજાને માટે ઝૂંપડીની નજીકમાં આવેલી વેલીઓમાં હું ફૂલ વીણું છું, એમ કહેતાં ગયાં. લક્ષ્મણ – દેવપૂજા માટે ફૂલો વીણવાં જ જોઈએ ને? રામ - (સ્વગત) હવે આ પછી બીજું શું કહેશે? મનમાં ઉત્સુકતા થાય છે. (પ્રકટ) હં, પછી? મધુ૰ - ફૂલો મનોહર દેખાય છે, એ કહેતાં જાનકી બીજી ફૂલવાડીમાં પેઠાં. હું ગોતી ગોતી વાજ આવી, છતાંય ન મળ્યાં. રામ - અરે! ભારે થઈ. દૈવનો ઘા અતિ દારુણ હોય છે.
[વસન્તતિલકા]
માબાપ, બે નિજ સહોદર રાજ્ય ભાંડું,
દૈવે ત્યજ્યાં પ્રિયસગાં ઘરબાર છાંડ્યું;
છોડી બધુંય વસિયાં વનવાસ આંહી,
ત્યાંએ અસહ્ય અતિદુ:ખ પડ્યું જ આવી.
હા! જાનકી!!! લક્ષ્મણ – (સ્વગત) આ કનકમૃગને જો આર્ય જોશે, તો આર્ય અતિ પીડાશે. માટે એને તો દૂર કરી દઉં. (અલગ) મધુકરિકા! આને ઝૂંપડીએ લઈ જા. હું મોટા ભાઈ પાસે રહું છું. મધુ૰ - [કનકમૃગને લઈ] જી ભલે. [એમ જાય છે.] રામ –
[આર્યા]
અણધારી અણદીઠા કઠોર પથમાં સખી ચડી માનું;
ત્રિભુવનમાં રમણિક એ મુખ જોઉં ક્યાં પ્રિયતમાનું? ૪
લક્ષ્મણ – આમ શું ખેદ પામો છો. આ ફૂલવાડીમાં ગોતશું એટલે તરત જ મળશે. રામ – મારાં દુર્ભાગી નેત્રોને હવે જાનકીનાં દર્શન ક્યાંથી? ઠીક છે, તોપણ ચાલ. [બન્ને પરિક્રમા કરી ફૂલવાડીમાં પેસે છે.] લક્ષ્મણ - આ રેતીવાળા ભાગમાં દેવીના પગનો સગડ લાગે છે. રામ— [જોઈ] હા, આ જ પ્રિયાના પગનો સગડ છે. તેમ જ—
[અનુષ્ટુપ]
તે જ અંગુલિનો ન્યાસ, પદનો ક્રમ તે જ છે;
કકક તે જ નાનાં પદો નક્કી, તે ખૂબી ક્ષેપની જ છે. ૫
[નિસાસો નાંખી] [પગનો સગડ લઈ] [જોઈ]
[ગીતિ]
આંજણવાળાં ટીપાં આંસુ તણાં લૂછતી રહિત-રોષે
નમ્યા મુખને, ધારણ કરતી પ્રિયા અહીં દીસે. ૬
[પાસે જઈ] પ્રિયા! પ્રસન્ન થા, પ્રસન્ન થા.
[ઔપચ્છન્દસિક]
ત્યજ રોષ, બનો મુખાબ્જ તારું
હસતું પૂરણ ચન્દ્ર જીતનારું;
નમતો તુજને પદાબ્જ કેરી,
શિરથી લાખ વધાવું હું રુ ડેરી. ૭
[એમ ત્યાં રહેલાં પગલાંની નિશાનીને નમે છે.] લક્ષ્મણ – ભારે થઈ. આ તો ભાઈને ઉન્માદદશા પ્રાપ્ત થઈ આર્ય! એ જાનકીજી નથી. [એમ રામનું માથું ઊંચું કરે છે.] રામ- [ઊઠી છોડ જોઈ] અહો! મહીતલ પર પડેલા મકરન્દના પાન માટે ફૂલોના અન્તર્ભાગથી આવી પડતી આ મધુકરોની માલાએ મધના ભારથી નમી પડેલા ફૂલવાળા આ લાલ છોડને જોવાથી મને મોહ કર્યો. લક્ષ્મણ – અહો! જ્ઞાન અને અજ્ઞાનનું આ તો સાંકર્ય. તેમ જ
[વસન્તતિલકા]
બોલે કદી વચન બન્ધુ અનર્થવાળાં;
ને ક્યાંક તો વચન સુન્દર અર્થવાળાં;
આર્યોક્તિમાં! સહિત બોધ અબોધ છાયો,
થોડાં દલે દ્રુમતલે જ્યમ તાપ છાંયો ૮.
રામ - ઠીક છે, આને જ પૂછું.
[વસન્તતિલકા]
હે પદ્મિની! તુજ કને પદપંક્તિ આવી,
પદ્માનના મુજ મને ઝટ આપ લાવી;
જો એમ ના, ઇતર ધામ મહીં ગયેલી,
દેખાડ તું ચરણપંક્તિ સખીની, એલી! ૯
[વિચાર કરી] આ પણ પોતાનાં હસતાં કમલ વડે, પ્રિયા આ બાજુ ગઈ છે, એમ બતાવે છે. લક્ષ્મણ - અહીંથી આંબાવાડી બાજુ સગડ લાગે છે. [બન્ને આંબાવાડીમાં જાય છે.] લક્ષ્મણ – [સ્વગત] ભાઈનું હૃદય બીજી બાજુ વાળું. [પ્રકટ]
[માલિની]
કિસલય ગજરાને મોખરે જે હલાવે,
ભ્રમરગણ તણી આ પંક્તિને જેહ લાવે;
નવ મધુરસ આજે મંજરીનો ગ્રહે છે,
મલયગિરિ તણો તે વાયુ ધીમો વહે છે. ૧૦
રામ —અરે, વિરહી જનોના વનમાં આ પવન દાવાનલ છે.
[અનુષ્ટુપ]
‘તું આખા વિશ્વનો પ્રાણ,’ એ મિથ્યા સહુ ઊંચરે;
કાં કે વિશ્વે રહ્યો હું છું, છતાં તું બાકીનું હરે. ૧૧
[વિચાર કરી] ઠીક છે. દેવીના સંબંધમાં જ પૂછું.
જગના પ્રાણ! મારી એ પ્રાણકાન્તા વને જતી;
દેખી તેં ભમતાં તે શું, હંસની ચાલ ચાલતી? ૧૨
મારી સખીના સ્વાભાવિક સુરભિમુખમારુતે તારો પરાભવ કર્યો, એટલે તે વેરને યાદ રાખતો તું મૂગો ઊભો છે, નહિ વારુ?
[તૂણક]
આમ્રવૃન્દના પરાગ-પૂરમાં લપી જતી,
અબ્જની રજ ગ્રહી મધુવ્રતાલિ માલતી.
સદ્ય માનને હટાવવા મનસ્વિની તણા
આ હરે ફરે ઉચારતી સુમન્ત્ર કામના. ૧૩
પરંતુ કાયમ મધુરસના આસ્વાદથી મત્ત થયેલ આ ભ્રમરોનું વચન કોઈ પણ રીતે પ્રમાણ નથી જ. આથી એમને પ્રિયાની ગતિ ન પૂછવી. [એક પગલું આગળ ચાલી, કાન માંડી] ભાઈ!
[શિખરિણી]
અહો! આંબાવાડી મહીં નવલ ફાલે જ લપતી,
સખી નક્કી મારી કમલનયના ક્યાંક ફરતી;
ન દેખાતી મીઠાં બહુ વચન અસ્પષ્ટ વદતી,
ખરે જો તો કેવું મુજ હૃદય ઘેલું જ કરતી? ૧૪
લક્ષ્મણ – કોયલનો ટહુકો સાંભળી મોટાભાઈ ભમાયા. રામ – અહો! સખીનો આલાપ તો સંભળાય છે, કિન્તુ આકૃતિ નથી દેખાતી. લક્ષ્મણ - મોટાભાઈ! આ તો કોયલનો ટહુકો સંભળાય છે. અહીં તો જાનકીજી લાગતાં નથી. રામ – [ફરી કાન માંડી] અહો! આ જ કોયલનો ટહુકો અત્યારે કોમલ વીણાના સૂરને સાંભળ્યા પછી ઢોલના ધમાકા જેવો કઠોર લાગે છે. [લક્ષ્મણ બીજી બાજુ બતાવે છે.] લક્ષ્મણ - ચાલો અહીંથી પણ આ ફૂલવાડીઓમાં જોઈએ. રામ – ઠીક. [એમ એક પગલું આગળ ચાલી, જોઈ, હર્ષ સહિત] ભાઈ! જાનકીને જોઈ લક્ષ્મણ – ભાઈ! ક્યાં છે જાનકીજી? રામ – જોને, આ સામે જ રહી. [એમ સામે રહેલી વેલની પાસે જઈ, જોઈ] અરે! આ તો ભ્રમણા જ. [ઔપચ્છન્દસિક] કુસુમસ્તબકો થકી નમેલી, હલતાં સુન્દર કુંપળે ભરેલી; અહીં સન્મુખ વેલ છે જ પેલી, ભ્રમરોના કલગુંજને રહેલી. ૧૫ [ફરી જોઈ] ભાઈ! હું ધારું છું કે આ જ વેલમાં જાનકી ફૂલો એકઠાં કરતી હતી. તેમ જ,
[આર્યા]
બધાંય ફૂલો વીણ્યાં, બાકી આ ડાંખળી કરી સઘળી;
વીણ્યે અહીં આ નીચે, દીસે કુંપળ પડેલ વળી. ૧૬
લક્ષ્મણ – એમ જ તો. પગલાંની હાર પણ અહીં સુધી અખંડ જ આવેલી છે. રામ – જો જોઈએ, હવે અહીંથી કઈ બાજુ ગઈ હશે? લક્ષ્મણ – જી ભલે. [એમ લતાઓમાં ભમતાં, મણિની બંગડી જોઈ, સ્વગત] આ જાનકીજીના હાથમાંથી પડી ગયેલ લાગે છે. મોકો મળશે એટલે ભાઈને રાજી કરવા આ બતાવીશ. [એમ લઈ લૂગડા આડી રાખી લે છે. પાસે જઈ પ્રકટ] અહીંથી હવે ક્યાંય પણ પગનો સગડ નથી. પરંતુ ફૂલવાડીમાં ફરતા કોઈ એક હરણનાં અહીંથી પગલાં દેખાય છે. રામ - હા જાનકી!
[ગીતિ]
વિશાલ નયનો, વાંકા કેશ અને બિમ્બ શા અધરવાળું,
હે સુન્દર વદનારી! ક્યારે તુજ તે મુખાબ્જ હું ભાળું? ૧૭
[ચારે બાજુ જોઈ] અરે! વહાલીની એક પણ વસ્તુ દેખાતી નથી. શાથી હું મારા હૃદયને દિલાસો આપું? લક્ષ્મણ – ભાઈ! આ જાનકીજીના કરમાંથી મણિની બંગડી પડી ગયેલ લાગે છે. લો આપ. [દે છે.] રામ – [હાથમાં લઈ હર્ષ સહિત]
[પુષ્પિતાગ્રા]
બહુ સમય પછી કંઈક મારું
હૃદય સુતપ્ત અહીં શમાવનારું,
મણિવલય જડ્યું મને પ્રિયાનું,
કર પરથી ક્યમ આ પડેલ માનું? ૧૮
[છાતી સરસું ચાંપી, નિસાસો નાખી] ભાઈ! હવે જાનકીને ક્યાં જોશું? કઈ કઈ ફૂલવાડીઓ ગોતશું? કઈ કુંજોમાં ફરી જોશું? બસ, બધી આશાઓ પાણીમાં.
[અનુષ્ટુપ]
આગથી સળગી જાણે દિશાઓ દીસતી મને;
વિશ્વ પ્રિયા વિનાનું આ સૂનકાર જ છે મને. ૧૯
લક્ષ્મણ – અહો, ગજબ! ભાઈની આ દશા? રામ – આપણે અહીં બેઠા રહીશું? [શાર્દૂલવિક્રીડિત] ભાઈ! ચાલ જશું ગૃહે? લક્ષ્મણ - ... .... .... ઘર વળી શું? રામ - .... ... ... કેમ? લક્ષ્મણ - .... .... .... ... કાં કાનને ર્હેવાનું. રામ - .... વનમાં જ કેમ વસવું? લક્ષ્મણ - .... .... .... ચાલી પિતા-શાસને રામ – આવ્યાં છે અહીં કેટલાં? લક્ષ્મણ - .... .... .... ત્રણ જણાં, રામ - ... .... .... છે કોણ, તે દે કહી. લક્ષ્મણ — વૈદેહી, ત્યમ આપ હું, રામ - ... .... .... પ્રિયતમા હા જાનકી! ક્યાં રહી? [પડદા પાછળ] બેટી! બીજે મા. લક્ષ્મણ – [કાન માંડી, હર્ષસહિત વિચાર કરી] મોટાભાઈ! મધુકરિકાની સાથે રહેલાં જાનકીજીને સાન્ત્વન કરતા મહર્ષિ અગસ્ત્ય આ જ દિશામાં પધારે છે. [તેવે ઉપર મુજબના અગસ્ત્ય પ્રવેશ કરે છે.] અગસ્ત્ય - બેટી! બીજે મા. તને ગોતતા ઓ રહ્યા રામ અને લક્ષ્મણ. સીતા— [રામને જોઈ શરમાઈ, સ્વગત] અહો! મારાં મોટાં ભાગ્ય કે આ જ આંખે પ્રિયતમનાં દર્શન કર્યાં. રામ – ભગવન્! નમન કરું છું. અગસ્ત્ય — દીર્ઘાયુ થા. લક્ષ્મણ - ભગવન્! નમન કરું છું. અગસ્ત્ય – બેટા, ઘણું જીવ. સીતા – ઘણી ખમ્મા આર્યપુત્રને. મધુ૰ — ઘણી ખમ્મા મહારાજને. રામ – [સીતાને જોઈ] લક્ષ્મણ! આ તો ઓચિન્તી આવી પડેલી અમૃતની વૃષ્ટિ જેવું સીતાને જોવું છે. લક્ષ્મણ – ભાઈ! એમ જ તો. [અગસ્ત્ય પ્રતિ] ભગવન્! આ લતામંડપમાં આપ સહેજ વાર બિરાજો. બધાં – ઠીક છે. [બેસે છે.] લક્ષ્મણ – ભગવન્! સીતાજીની ભાળ કેમ લાગી? અગસ્ત્ય — સાંભળો. રામ – જી. બરોબર ધ્યાન આપીએ છીએ. અગસ્ત્ય — પહેલાં આ વનમાં દુર્વાસાએ કેટલાક દિવસ તપ કરેલું. મધુ૰ - ખરે, આ મહર્ષિને તો વાતવાતમાં ગુસ્સો ચડી જાય. રામ — જી, પછી. અગસ્ત્ય — તે સમયે તીવ્ર તપની શંકાવાળા મહેન્દ્રે છોડેલી તે તે આશ્રમોમાં ફરતી અપ્સરાઓ માંહેલી એક હરિણી નામની આ તપોવનમાં પેસી ફૂલો એકઠાં કરવા લાગી. રામ – ખરેખર ભૂલ જ થઈ. અગસ્ત્ય — ત્યાર બાદ અભિષેકને માટે પધારતા દુર્વાસામુનિએ તેને જોઈ શાપ આપ્યો કે, ‘અલી હરિણી! અમારે દેવતાની પૂજા માટે રાખેલાં ફૂલો તું ભેગાં કરે છે; માટે જા નામ જેવા આકારવાળી થઈ જા.’ તે જ સમયે આ વનનો ત્યાગ કરી ચાલ્યા ગયા. મધુ૰ - અહો, તાપસો તો અતિ નિષ્ઠુર. લક્ષ્મણ – પરન્તુ પછી તેને શાપની નિવૃત્તિ કેમ થઈ? અગસ્ત્ય — ત્યારે હરણી થયેલી હરિણીને લઈ અમારી પાસે આવેલી અતિ કરુણ આકન્દ કરતી અપ્સરાઓએ વિનંતિ કરતાં મેં કૃપાને લીધે ધ્રોકડ મન્ત્રી કોળી નાખી. બસ, તે જ સમયે હરિણી પાછી અપ્સરા થઈ ગઈ. રામ – એમાં શી નવાઈ!
[ગીતિ]
દવથી ખાખ થયેલી વનલક્ષ્મીનું સ્વરૂપ મૂળ કરે;
અખિલ જગતના હિતકર, ધનિતણો આ સ્વભાવ છે જ ખરે. ૨૧
અગસ્ત્ય — તે દિવસથી ચાલ્યો આવતો એ શાપ આ ફૂલવાડીમાં ફૂલો એકઠાં કરતી સીતાને લાગ્યો. રામ – શું આટલો વખત એ હરણીના રૂપે રહી? મધુ૰ - [સ્વગત] ત્યાં રહેલી હરણી એ આ જ હોવી જોઈએ. અગસ્ત્ય — અમારા આશ્રમમાં એકલી અટૂલી આમતેમ દોડતી કદી ન જોયેલી એવી આ હરણને સમાધિથી ‘જાનકી છે’ એમ નિશ્ચય કરી, તે જ ક્ષણે શાપથી મુક્ત કરી તમારી પાસે લાવ્યો. રામ -
[સોરઠો]
સજ્જનના ગુણ ચાર, અનુકમ્પા ચાતુર્ય, ને
બીજા પર ઉપકાર, અસહન પરના દુ:ખનું. ૨૨
અગસ્ત્ય - આ જાનકી તેમ જ લક્ષ્મણ સહિત લાંબો કાળ રહો. તેમ જ
[તૂણક]
દોષરૂપ અન્ધકાર લોકને હટાવતી,
સર્વ વિશ્વને સદા અતિ પ્રમોદ આપતી;
શ્વેત ચન્દ્રિકા સમાન ઊજળી સદા થતી,
રાઘવેન્દ્ર! કીર્તિ હો તુજ પ્રકર્ષ પામતી. ૨૩
રામ — મહાન અનુગ્રહ. અગસ્ત્ય — તમારું બીજું પ્રિય શું કરું? રામ – આથી બીજું શું પ્રિય છે! તોપણ આ ભરતવાક્ય થાઓ.
[હરિણી]
નિજ સમયમાં, ઇન્દ્રે પ્રેર્યો, કરી શુભ વૃષ્ટિને,
જલધર કરો ધાન્યે પૂરી નિરન્તર ભૂમિને;
ભવજલધિમાં ગોથાં ખાતાં બધાં જનને બનો,
ત્વરિત તરવા, નૌકારૂપે સમાગમ સન્તનો. ૨૪
[બધાં જાય છે.]
સ્વાધ્યાય