૮૬મે/પંચાશીમે
Jump to navigation
Jump to search
હજુ પંદર વર્ષો બાકી છે,
ભલેને હોય! મારી જિજીવિષા યે ક્યાં થાકી છે?
જો કર્મ કરવું આપણા હાથમાં હોય,
જો નિયતિ એમાં આપણા સાથમાં હોય;
તો દૃષ્ટિ ‘શતં શરદ’ના લક્ષ્ય પર તાકી છે.
કર્મ વિશે નિયતિ તો મૌન જ રહેશે,
જો કહેશે તો માત્ર એટલું જ કહેશે":
‘મેં કર્મમાં જ કર્મના રહસ્યની રેખા આંકી છે.’
એ કર્મ શું મોહથી થશે? જ્વરથી થશે?
કે પછી એમાં પ્રજ્ઞા જેવું કંઈક હશે?
સુવર્ણના પાત્રે કર્મની આ દ્વિધાને ઢાંકી છે.
એ પાત્રમાં નથી નથી કંઈ પ્રેય નર્યુ,
એ પાત્રમાં તો છે શ્રેય પણ ભર્યુંભર્યું;
એ પાત્રને ખોલો, હે સૂર્ય! હવે ક્ષણ પાકી છે.
૧૮ મે, ૨૦૦૮