હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કૃતિ-પરિચય
Revision as of 07:04, 26 March 2026 by Shnehrashmi (talk | contribs)
હેમંત ધોરડા અન્ય ગઝલકારોથી સાવ જુદા તરી આવે છે. આજની અધિકાંશ, કદાચ નેવુ ટકા ગઝલો, ‘વિશૃંખલ’હોય છે. આવી ગઝલના શેરોમાં એકમેકથી અલગ ભાવ સંભવી શકે. આ કવિએ વિશૃંખલ ગઝલો નથી રચી; એક ભાવની, એકાકાર (મુસલસલ) ગઝલો જ રચી છે, જેથી કાવ્યપિંડ બંધાઈ શકે. તેમની લગભગ બધી ગઝલો પ્રણયરંગી છે. સંભોગ શૃંગારનું નહિ પરંતુ વિપ્રલંભ (વિયોગ) શૃંગારનું આલેખન તેમણે સવિશેષ કર્યું છે. તેમની ગઝલોનું પોત કોમળ વર્ણો, પ્રણાલિગત કાવ્યોચિત કલ્પનો અને સૂક્ષ્મ સંકેતોથી બંધાયું છે. ઢોલ-મૃદંગ-સારંગી-શરણાઈનાં વાદ્યવૃંદોની વચ્ચે આ કવિ જળતરંગનું વાદન કર્યે જાય છે. નવતર પ્રતીકો સફળતાથી પ્રયોજીને તેમણે અછાંદસ કાવ્યો પણ સરજ્યાં છે.
–ઉદયન ઠક્કર