સોરઠ, તારાં વહેતાં પાણી/નિવેદન

Revision as of 11:04, 21 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>[પહેલી આવૃત્તિ]</center> નાયક નહિ, નાયિકા નહિ; પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નિવેદન
[પહેલી આવૃત્તિ]

નાયક નહિ, નાયિકા નહિ; પ્રેમનો ત્રિકોણ નહિ: એવી આ સોરઠી જીવનની જનકથા છે. એ કથાનો નાયક આખો જનસમાજ છે. ગયા બે દાયકા ઓળંગીને તમે સોરઠના સીમાડા પર ઊભા રહેશો તો તે પૂર્વેના વીસેક વર્ષોને પોતાના પ્રવાહમાં ઝીલીને વહેતું આ કથાનું વહેણ તમે સ્વચ્છ જોઈ શકશો. નામનિર્દેશ કરવાની જરૂર નથી એવી કેટલીએક જીવતી વ્યક્તિઓ આ કથાનાં પાત્રોમાં પોતાની છાયા પાડે છે. બીજાં કેટલાંક એવાં પાત્રો છે કે જેમને કોઈ વ્યક્તિવિશેષ પરથી નહિ પણ સોરઠી સમૂહજીવનની સાચી માટીમાંથી ઘડી કાઢવાનો મારો પ્રયત્ન છે. આ કથાને મેં તો ઇતિહાસ-કથા લેખે જ આલેખી છે. એ ઇતિહાસ વ્યક્તિઓનો છે અને નથી યે; પણ સમષ્ટિનો ઇતિહાસ તો એ છે જ છે. કેમ કે ઇતિહાસ જેમ વિગતોનો હોય છે, તેમ વાતાવરણનો પણ હોઈ શકે છે. અથવા વિગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે — જો એ જનસમૂહનો ઇતિહાસ બનવા માગતો હોય તો જ, બેશક. કથાની શરૂઆત તો વિગતો નક્કી કર્યા પૂર્વે જ એક દિવસ અચાનક ‘જન્મભૂમિ’ના મારી છાતી પર ઊભેલા એક શનિવારને માટે કરી નાખેલી. તે પછી તો કથા પોતાનાં વહેતાં પાણીને વાસ્તે પોતાની જાતે જ સોરઠની તાસીર અનુસાર પોતાનો માર્ગ કરતી ગઈ. માર્ગે આ પ્રયત્નના કેટલાક અનુરાગી સ્નેહીઓ મળતા ગયા. તેમણે પણ આ કથાનાં પાણીને જોઈતાં કેટલાંક નાનાંમોટાં ઝરણાં પૂરાં પાડ્યાં. તેમના સંગાથમાં આ વહેતાં પાણીને આરે આરે કરેલી આ લાંબી મજલ વધુ મીઠી બની છે. એજન્સી-પોલીસના એક જૂના કાળના અમલદારના પુત્ર તરીકે મેં પોતે પીધેલા વાતાવરણની આ કથામાં ઊંડી છાયા પડી છે. નાજા વાળા, હીપા વાળા, ઝવેરભાઈ ફોજદાર અને બીજા કેટલાક: તેમને વિશે બનેલી ઘટનાઓના વહેળા આ ‘વહેતાં પાણી’માં મળ્યા છે. દરબારશ્રી ગોપાળદાસ અને પારેવાળાના ખેડુ શેઠશ્રી છગનભાઈ મોદીના જીવનમાંથી સૂચન મેળવીને સરજેલી વિભૂતિઓ ઘણા ઘણા સોરઠવાસીઓએ આ કથામાં ઓળખી કાઢીછે. એક મિત્ર લખે છે: ‘પ્રેમત્રિકોણના હંમેશના પંથ કરતાં આ નવલકથા જુદા પ્રકારની હોઈ, વહેતા જનપ્રવાહની આ કથા હોઈ, સપારણના પાત્રને તેમજ પિનાકીને અને શેઠને આગળ ચલાવી છેક અસહકારના જુવાનો સુધી આવી શકો તો બીજો ભાગ લખી શકાય તેવી તાકાત આમાં છે.’ આ સલાહને હું શુભાશિષ સમજું છું. બોટાદ: ૧૫-૫-’૩૭
ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

‘વહેતાં પાણી’ પછીનાં ચાર વર્ષોમાં બીજી સાત વાર્તાઓ આલેખવા શક્તિમાન બન્યો છું. અને એ સાતને વત્તા-ઓછા પ્રામાણમાં સફળ જાહેર કરનાર જવાબદાર અભિપ્રાયો પણ પડ્યા છે. ‘વેવિશાળ’, ‘તુલસી-ક્યારો’, ‘સમરાંગણ’ અને ‘અપરાધી’ તો ઘણું મોટું માન ખાટી ગયાં છે; તે છતાં ‘વહેતાં પાણી’નું સ્થાન મારાં વાર્તા-સર્જનોમાંના એક વિશિષ્ટ પ્રકાર તરીકે મને નિરાળું જ લાગ્યું છે. આપ્તજનોનો આગ્રહ છે, ને મારીયે મુરાદ રહી છે, કે ‘વહેતાં પાણી’ને આગળ વહાવું. પણ એક ભય એ લાગે છે કે એમ કરવા જતાં સોરઠનો સર્જાતો ઇતિહાસ વાર્તાસ્વરૂપના કલાત્મક રહસ્યાલેખનને કદાચ શુષ્ક બનાવી મૂકે એટલો બધો નજીક તો નહિ આવી જાય? આ વાર્તાના વહેનમાં પહેલી આવૃત્તિમાં સરતચૂકથી, ને બીજીમાં તો અશક્તિથી, એક પાત્ર લટકતું જ રહી ગયું છે: મહીપતરામના વૃદ્ધ પિતાનું પાત્ર. એને હું ન તો જીવાડી શક્યો કે ન મારી શક્યો! વાસીદામાં સાંબેલું ગયું છે. એના પ્રથમ ઉઘાડ વખતે બેહદ દુ:ખી જીવન ખેંચીને મૂએલા મારા દાદાનું સ્મરણ મારા મનમાં ઘોળાયું હતું. પણ આજે ઓગણત્રીસ વર્ષ પરની એ દુ:ખમૂર્તિની જંપેલી ચિતાને હું નહિ ફેંદું. સર્વ પાત્રો વચ્ચેથી જાજરમાન ખેડુસ્વરૂપે ખીલી ઊઠતા મારા વીર-પાત્રોનો આદર્શ પૂરો પાડનારા શ્રી છગનભાઈ મોદી (પારેવાળા)ને તો મેં અણદીઠા ને અણસુણ્યા જ સદાને માટે ગુમાવ્યા છે. બે’ક વર્ષ પર એમને કાળે ઝડપ્યા; ને મને એમના જાણકારોએ લખ્યું કે એમને પ્રત્યક્ષ દીઠા—અનુભવ્યા હોત તો એ ખેડુ-વણિકનું પાત્ર હું વધુ દીપાવી શક્યો હોત. જેના પરથી એક દિલેરદિલ ગોરા પોલીસ-અધિકારીનું પાત્ર આલેખાયું છે તે કાઠિયાવાડ એજન્સીના માજી પોલીસ સુપરીન્ટેન્ડન્ટ સૂટર સાહેબ ચારેક વર્ષ પર એકાએક રાજકોટમાં ઝબક્યા હતા, ને મારા પિતાના એક સમકાલીન પોલીસ-અધિકારીના પુત્ર ભાઈશ્રી હિંમતલાલ દલપતરામ પારેખે એમની મુલાકાતમાં એમનો આ ઉપયોગ થયાનું જણાવતાં બૂઢા ગોરાએ ઊંડી લાગણી અનુભવેલી. રાણપુર: ૧૫-૫-’૪૧
ઝવેરચંદ મેઘાણી

[ત્રીજી આવૃત્તિ]

આ પ્રિય કૃતિને ત્રીજી આવૃત્તિમાં પ્રવેશતી દેખી આનંદ પામું છું. કથાને આગળ ચલાવવાની ઉત્કંઠા ફરી પાછી મનમાં ઘોળાય છે. ક્યારે કરી શકીશ — કરી શકીશ કે નહિ — એ કહી શકતો નથી. ૧૯૪૪
ઝવેરચંદ મેઘાણી