સોરઠી સંતવાણી/દેવાયત પંડિત અને દેવલદે

Revision as of 10:19, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દેવાયત પંડિત અને દેવલદે|}} <poem> <center>'''[ભજન]'''</center> પે’લા પે’લા પવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવાયત પંડિત અને દેવલદે
[ભજન]


પે’લા પે’લા પવન ફરુકશે
નદીએ નહિ વહે નીર;
ઓતર થકી રે સાયબો આવશે
ભેળો હનુમંત વીર.
દેવાયત પંડિત દા’ડા દાખવે.
સુણ દેવલદે નાર
આપડે ગરૂવે સત રે ભાખિયાં
જૂઠડાં નહીં રે લગાર
લખ્યા રે ભાખ્યા ઓ દિન આવશે!
પોરો આવ્યો રે સંતો! પાપનો
ધરતી માગે છે ભોગ;
કેટલાક ખડગે કપાઈ જશે,
કેટલાક મરી જાશે રોગ. — દેવાયત.
પોથી ને પુસ્તક ખોટાં પડશે
ખોટાં કાજીના કુરાન
અસલ જાદી રે ચૂડો પે’રશે
એવા કળજગનાં એંધાણ. — દેવાયત.

જતી સતી ને સાબરમતી
ત્યાં હોશે રણ સંગરામ;
કાયમ કાળીંગાને મારશે
નકળંગ ધરશે નામ. — દેવાયત.
ધરતી માથે હેમર હાલશે
સૂના નગર મોઝાર
લખમી લૂંટાશે લોકું તણી
નહીં એની બૂમ ને વાર. — દેવાયત.
કાંકરીએ તળાવ તંબુ તાણશે
સો સો ગામુંની સીમ
પછમ દિશાથી સાયબો આવશે
ભેળા બે અરજણ ને ભીમ. — દેવાયત.

ગુજરાત–કાઠિયાવાડનાં ભજનપ્રેમી લોકોમાં અત્યંત પ્રિય બનીને ગવાતું આ પ્રાણવાન આગમ-ભજન છે. એના રચનાર ભક્ત ગુજરાતમાં દેવાયત પંડિત નામથી ઓળખાય છે. એ ક્યાં અને ક્યારે થઈ ગયા, તે વિશે વિધવિધ વાતો ચાલે છે. જાહેર ચર્ચા થઈને કાંઈક ચોક્કસ નિર્ણય બાંધી શકાય. એ સંતનાં બીજાં ભજનોનો પણ સંગ્રહ હોય તો તેનો પત્તો જડે, એવી ધારણાથી આ સંતની જીવનકથા વિશે આ તરફ ચાલતી હકીકતો સંક્ષેપમાં લખી છે. અર્ધ-ઐતિહાસિક ને અર્ધ-પૌરાણિક લાગતી એ કથા છે. જેસલ–તોરલના સમયની એટલે કે સંવત તેરમાની આ કથા કહેવાય છે. જેસલ તોરલ બન્નેને પોતાના પંથના કોઈ સંતને ઘેર પાટના ઉત્સવમાં આવવાનાં વાયક (નોતરાં) મળ્યાં હતાં. બન્ને જણાં ચાલી નીકળ્યાં છે. માર્ગમાં સૌરાષ્ટ્રને ઉગમણે કાંઠે આવતાં તોરલને યાદ આવ્યું —

વાયક આવ્યાં રે સંતો દો જણાં રે
ત્રીજું કેમ સમાય!
પંથ ઘણો જાવું એકલા રે
પાળા કેમ ચલાય!