સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/પ્રેમાલય

Revision as of 06:25, 6 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમાલય|}} {{Poem2Open}} સાણામાંથી એક દિવસ ધર્મ વિદાય લઈ ગયો. અને ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેમાલય

સાણામાંથી એક દિવસ ધર્મ વિદાય લઈ ગયો. અને તે પછી જાણે કોઈ લડાયક જાતિઓએ ત્યાં કિલ્લેબંદી કરી હોય તેવી ગઢ-રચનાની એંધાણીઓ પડી છે. ત્યાગ અને સમત્વના એ દેવાલય ઉપર એક દિવસ તલવાર-બંદૂકોએ હિંસાનાં લોહી રેલાવ્યાં હશે. એ બંને ભૂમિકાઓ વટાવી આપણું પ્રવાસી હૃદય આ સાણા ઉપર એક ત્રીજા જ સંસ્કાર ઊતરતા કલ્પે છે. આખો ડુંગરો જાણે પેલા વિરહી રબારી પ્રેમિક રાણાના નિઃશ્વાસમાં એક દિવસ સળગતો હશે. પોતાની બાળપણની સખી કોટાળી કુંવર, કેવળ જ્ઞાતિ-ભેદના કારણે જ પોતાના ભાગ્યમાંથી ભુંસાઈ ગઈ, બીજે પરણી ગઈ, રાણો એના સમાચાર લેતો લેતો પોતાની ભેંસો ઘોળીને સાણે આવી પહોંચ્યો, અને એ જીવતા જીવતા પહાડને પૂછ્યું કે :

કાગા જમત હે આંગણે, ખન ખન પથારા,
સાણા! સાજણ ક્યાં ગયાં, મેલીને ઉતારા!

નદીને પૂછ્યું :

ચોસર જેનો ચોટલો, નાક ભાતીલાં નેણ,
રાણો પૂછે રૂપેણને, કોઈ દીઠાં મુંજાં સેણ.

સામે પાંચ ગાઉ ઉપર નાંદીવેલામાં ‘કુંવર્ય’ વસે છે, પણ રાણાથી કેમ જવાય? સાણે બેસીને એનું ધ્યાન ધરવું જ રહ્યું. પરંતુ જીવ ન જંપ્યો :

સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે,
આવ્યું આંટો લે, રોતું મન રાણા તણું.

ભેંસો લઈને ભટક્યો. ધુંવાસના ડુંગરમાં ગયો. પાછો સાણામાં ને સાણામાં સમાયો.