હરીશ મીનાશ્રુની કવિતા/આનંત્યસંહિતા : ૭

Revision as of 00:06, 27 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આનંત્યસંહિતા : ૭

યુયુત્સુ
હે રમ્ય કથાના નાયક
જેમ શાસ્ત્ર
તેમ શસ્ત્ર પણ મિથ્યા છે

હંતા અને હંતવ્યનો ભેદ જ
યુદ્ધનું મૂલ કારણ છે
હે મુકુરવિલાસી

જે ક્ષણે આ ભેદ મટશે
શસ્ત્રમાં સંજીવની પ્રકટશે

પ્રહર પ્રહારનો છે
પરાજયના ગહન સ્વીકારનો છે

છિન્ન હો રથનું ચક્ર
સરી જવા દો ગાંડિવ
ગળી જવા દો ગાત્ર
ધારણ કરો મૃત્યુનું અસિધારાવ્રત
આઠમા કોઠે
અભયનો નિવાસ છે

કૃપા કરી મારો પ્રસ્તાવ સ્વીકારી લો :
હું
અસ્તિ અને આસ્થાનો
વિષ્ટિકાર છું