હરીશ મીનાશ્રુની કવિતા/આનંત્યસંહિતા : ૧૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આનંત્યસંહિતા : ૧૦

પરિઘનો પ્રવાસી
ક્યાંય ન પહોંચવા માટે
આરંભે છે યાત્રા
ને
શિથિલવિથિલ ને શ્લથ
વંચનાથી લથપથ
ઢળી પડે છે
દિનાંતે

ત્રિજ્યાની વીથિકાઓ વિતથ છે :
એ સ્થાપે છે
ભ્રમણ ઉપર ભ્રમણાનું આધિપત્ય
ને ઉથાપે છે નાભિનું સત્ય

હું
શૂન્યનો અધિષ્ઠાતા
વર્તુળનો અધિપતિ
સ્થિર ઊભો છું
કેન્દ્રમાં
– જ્યાં
નિરવધિ અવકાશ અને અગતિ
ઘનીભૂત થયાં છે

હું જન્માંતરોથી
તારી રાહ જોઈ રહ્યો છું
નિષ્પલક નેત્રે