હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/સર્જક-પરિચય

Revision as of 09:13, 29 June 2024 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> {{Heading|સર્જક-પરિચય}} {{Poem2Open}} હેમંત કેશવલાલ ધોરડા (૧૧-૭-૧૯૪૫)નો જન્મ અને ઉછેર મુંબઈમાં. મોડર્ન સ્કૂલમાં કવિ પ્રહ્લાદ પારેખ પાસે ગુજરાતી શીખ્યા. વાણિજ્યના સ્નાતક થઈને બેંકમાં અધિકાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સર્જક-પરિચય

હેમંત કેશવલાલ ધોરડા (૧૧-૭-૧૯૪૫)નો જન્મ અને ઉછેર મુંબઈમાં. મોડર્ન સ્કૂલમાં કવિ પ્રહ્લાદ પારેખ પાસે ગુજરાતી શીખ્યા. વાણિજ્યના સ્નાતક થઈને બેંકમાં અધિકારી તરીકે નોકરી કરી. ‘અણસાર’ (૧૯૮૮), ‘અણસાર કેવળ’ (૨૦૦૦) અને ‘માત્ર ઝાંખી’ (૨૦૧૩) તેમના ગઝલસંગ્રહ, ‘પુરવીદાણા’ (૨૦૧૦) તેમનો રુબાઈસંગ્રહ. તેમની ગઝલના પ્રત્યેક શેરનાં ભાવ, કલ્પન, વિચાર પરસ્પર સુસંગત હોવાથી ગઝલનો એકાકાર પુદ્ ગલ બંધાય છે. વિયોગમાં પરિણમતો પ્રણય તેમની ગઝલોનો સ્થાયી ભાવ છે. વિયોગ એટલે કેવળ વિષાદ નહિ, સભરતા પણ, પ્રસન્નતા પણ.સરવા કાનવાળો ભાવક આ ગઝલોમાં મંદ આક્રંદ સાંભળી શકશે. પોતે કશું ભાળી ગયાનો દાવો નથી આ કવિનો; તેમને તો સાંપડ્યાં છે ‘અણસાર,’ ‘અણસાર કેવળ,’ ‘માત્ર ઝાંખી.’

‘તાણાવાણા’ (૨૦૦૬) અને ‘તાણાવાણા-૨’ (૨૦૧૧), સત્વ અને શૈલીની દ્રષ્ટિએ, ગઝલ-વિવેચનનાં અગ્રેસર પુસ્તકો છે, જેમાં લેખકે ગઝલના છંદોના વર્ગીકરણની, કાફિયાશાસ્ત્રની તથા રુબાઈના સ્વરૂપની ચર્ચા કરી છે. તેમણે છંદદોષ, કાફિયાદોષ,છૂટ, ચબરાકી, પરભાષાપ્રયોજન, કાલગ્રસ્ત શબ્દો ઇત્યાદિ લક્ષણો તારવીને ચિનુ મોદી, આદિલ મન્સૂરી, રાજેન્દ્ર શુક્લ જેવા શાયરોનું કૃતિનિષ્ઠ વિવેચન કર્યું છે. ગઝલશાસ્ત્રનું અરબીકરણ નહિ પણ ગુજરાતીકરણ કરવાની તેમની નેમ છે. આ કવિને ‘બાલાશંકર કંથારિયા પુરસ્કાર’ તથા ‘કલાપી એવોર્ડ’ પ્રાપ્ત થયા છે.

—ઉદયન ઠક્કર