અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/પળ સફરની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પળ સફરની

સ્નેહરશ્મિ

હવે આવી પહોંચી પળ સફરની : સાથ ન કશો,
હતું જે કૈં પાસે વીસરી બધું તે છોડી સઘળું
જવાનું ક્યાં તેયે સ્મરણપટમાં આંકી જરી ના,
બધા સંબંધોથી વિમુખ બનવું : સદ્ય પળવું.

હવે ભૂકંપો કે મનુજસરજી ભીષણ વ્યથા
વિસારીને એવું ઘણુંક ઘણું ને ભાવિ ઘટના
અજાણ્યા તારાનાં અદીઠ કિરણો જેવી અકળ
તમા ના તેનીયે કશીય કરવી : વિસ્મૃત થવું.

હવે આવી પહોંચી પળ અગમ તે : શબ્દ વિરમ્યા,
શમ્યા આવેગો સૌ : વિરહ નિજ નીડે ઠરી ગયાં,
ન કો ચિહ્નો ક્યાંયે : પથ ન નજરે કોઈ પડતા,
સરે દૂર દૂરે પરિચિત પુરાણી સ્મૃતિ બધી,
અજાણી આવે કો લહર કહીંથી વીંટી વળતી
ન જાણું ક્યાં દોરે સ્થળસમયસીમારહિતમાં!

(સકલ કવિતા, પૃ. ૩૭૫)