કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૦. સમંદરમાં કસ નથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૦. સમંદરમાં કસ નથી


એવું નથી ઓ કાળ! કે મંથનમાં રસ નથી,
અમૃત રહ્યું નહીં તો સમંદરમાં કસ નથી.

દેખાય છે હજીય મને રણમાં ઝાંઝવાં,
દાવો અમસ્તો કેમ કરું કે તરસ નથી.

સાકીને ખાસ મારા વતી એટલું કહો;
મુજને શરાબે-આમમાં છાંટોય રસ નથી.

જૂઠાં પડે ન ક્યાંક તબીબોનાં ટેરવાં!
પ્રેમીની નાડ છે, કોઈ મામૂલી નસ નથી.

લીલી-સૂકી તો શૂન્ય છે ચૈતન્યનું પ્રમાણ,
કબ્રોના ભાગ્યમાં કોઈ માઠું વરસ નથી.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૧૨)