જનાન્તિકે/આઠ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આઠ

સુરેશ જોષી

પ્લાસ્ટર જેના પરથી ઊખડી ગયું છે એવી આ ભીંત પર સવારનો કૂણો તડકો અને મધુમાલતીની લતા – આ બે મળીને એક સુન્દર ભાત ઉપસાવે છે. એની સાથે ભળે છે મધુમાલતીનાં ફૂલની સુવાસ અને સવારના તડકાની માફકસરની હૂંફ. રોજ સવારે આટલું તો ભોગવવાનું મળવાનું જ એ જાણીને મન હરખાઈ ઊઠે છે. શૂન્ય અવકાશમાંથી આવતી વાયુની અશરીરી લહર ક્યાંયથી જાણે કશોક સંદેશો ગૂઢ સાંકેતિક લિપિમાં લઈને આવે છે. એ સંદેશ જાણે એ પુષ્પોની પાસે ઉકેલાવવા જાય છે. બે પાંદડીની વચ્ચેની મુલાયમ શીતળતામાંથી પસાર થઈને એ ગૂઢ સંકેત સુવાસના ઇંગિતે પ્રકટ થઈને સર્વત્ર વ્યાપી જાય છે. રોજ હું આ સંદેશ ઉકેલવાની રમત જોયા કરું છે, ને ત્યારે મને લાગે છે કે આવી જ કશીક ગૂઢ લિપિ લઈને આખું વિશ્વ આપણી આગળ આવીને ઊભું રહે છે. હૃદયના એ ધબકારા વચ્ચેના વિરામની નિસ્તબ્ધતામાં સ્થિર થઈને એનો ભેદ ઉકેલી શકાતો હશે. ગતિના બે છેડાની વચ્ચેની આ સ્થિતિ અને દૃઢતાનો આપણને ઘણો ખપ છે. કાવ્યમાં શ્રદ્ધા, દર્શન વગેરે તત્ત્વોની અપેક્ષાની આપણે વાતો કરીએ છીએ ત્યારે વાત સહેજ અટપટી બની જાય છે. શ્રદ્ધા તે શેની શ્રદ્ધા? અનુભવના પરિઘના બધા જ અંશોને સ્પર્શવાની અશક્તિને તો આપણે આ શ્રદ્ધાને નામે ઢાંકતા નથી? કવિને કે સર્જકને શ્રદ્ધા હોય તો તે માત્ર એટલી જ કે આ સૃષ્ટિમાં અનુભવોનાં અનેક રૂપ ઘડવાનો પૂરો અવકાશ છે, એનું રહસ્ય અખૂટ છે. આ રૂપનું સર્જન અને એ રૂપના નિર્માણથી જ બૃહત્ અરૂપની વ્યંજના-ચાલ્યા જ કરશે. એનો અન્ત નહિ આવે, આ વિશે સર્જકોને શ્રદ્ધા હોય તો જ એ કશાકનું નિર્માણ કરવા પ્રેરાય. દર્શન તો કૃતિમાંથી નિષ્પન્ન થાય. સૃષ્ટિ પહેલાં, પછી દૃષ્ટિ. દૃષ્ટિથી જ જો સૃષ્ટિ નિયન્ત્રિત થતી હોય તો એમાં ભૌમિતિક વ્યવસ્થા આવશે, પણ નૈસર્ગિક સ્વયંભૂતા નહિ આવે. દૃષ્ટિ ઘડાય છે કૃતિના અંગની અંદર રહીને, એની બહાર નહિ. જ્યાં દૃષ્ટિને અનુસરીને સૃષ્ટિ ચાલે છે ત્યાં એમાં કશુંક રહસ્ય રહેતું નથી, બધું અત્યંત પ્રકટ બની રહે છે, ને અમુક નિયમની ફલાણી કલમ લાગુ પાડીને એનો હવાલો આપી શકાય છે. પણ એ તો જુદી જ દુનિયાની વાત થઈ. વિવેચન પણ જ્યારે આવો હવાલો આપવા બેસે ત્યારે એ સાહિત્યની દુનિયામાંથી આપણને દેશનિકાલ કરવાનો જુલમ ગુજારે છે.