રાજા-રાણી/ચોથો પ્રવેશ3

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચોથો પ્રવેશ

ચોથો અંક


         સ્થળ : વિક્રમદેવનું શિબિર. વિક્રમદેવ, યુધોજિત અને જયસેન.

વિક્રમદેવ : નાસતા શત્રુ પર આક્રમણ કરવું એ ક્ષત્રીનો ધર્મ નથી.
યુધોજિત : પરંતુ નાસેલો અપરાધી જો શિક્ષા વગર છટકી જાય, તો રાજસત્તા કમજોર કહેવાય.
વિક્રમદેવ : એ બિચારો બાળક છે. એને પૂરતી સજા થઈ ચૂકી છે. પલાયન અને અપકીર્તિ, એથી વધુ શી સજા હોય?
યુધોજિત : અપકીર્તિ તો કાશ્મીરના પર્વતોની બહાર જ પડી રહેવાની. કાશ્મીરમાં તો એ યુવરાજ, એટલે ત્યાં એના કલંકની કથા કોણ જાણી શકવાનું હતું?
જયસેન : ચાલો મહારાજ, કાશ્મીર જઈએ. જઈને ગુનેગારને સજા કરી આવીએ; એના સિંહાસન ઉપર કલંકની છાપ મારી આવીએ. પછી ભલે જુગ જુગ સુધી કાશ્મીર આપણને યાદ કરે!
વિક્રમદેવ : ચાલો ત્યારે. વિચાર કરશું તો વિચારનો પાર નહીં આવે. હવે તો કાર્યના પ્રવાહમાં મેં પડતું મેલ્યું છે — જોઉં હવે ક્યાં નીકળાય છે, ને ક્યાં કિનારો હાથ લાગે છે!

[પહેરેગીર પ્રવેશ કરે છે.]

પહેરેગીર : મહારાજ! દેવદત્ત બ્રાહ્મણ દર્શને આવેલ છે.
વિક્રમદેવ : દેવદત્ત! લઈ આવો, લઈ આવો એને. ના, ના, ખમો, રહો, વિચાર કરી જોઉં, શા કારણે આવ્યો હશે આ વિપ્ર? એને હું બરાબર ઓળખું છું. યુદ્ધક્ષેત્રમાંથી એ મને પાછો વાળવા આવ્યો છે! હાય રે બ્રાહ્મણ! એ બંધ તો તમે જ તોડી નાખ્યા છે ને! હવે તે શું એ પ્રચંડ પ્રવાહ, તમારા પાળેલા પ્રાણીની માફક, કેવળ અનાજનાં ખેતરોને પલાળીને જ પાછો વળી શકવાનો હતો? ના, ના, હવે તો એ તમારાં ખોરડાંના ચૂરેચૂરા કરી મૂકશે, તમારાં ગામડાં બોળી દેશે, તમારો દેશ ડુબાવશે. તમે બધા આંહીં તહીં સલાહો પૂછતા, મતો મેળવતા, અચકાતા, થરથરતા મારી વાટ જોતા રહેશો; અને હું તો આ ચાલ્યો કાર્યના પ્રચંડ વહેણમાં, અવિશ્રાંત ગતિના આનંદમાં. રસ્તાની શિલાઓને તોડતી તોડતી છૂટી નીકળેલી કોઈ ગાંડીતૂર મહાનદીનો એ આનંદ! એ અંધ આનંદ! એક પલક એ તો એનું પરમ આયુ! પલભરમાં તો, મદોન્મત્ત હાથી જેમ સૂંઢમાં રાતું પદ્મ ચૂંટી ચાલ્યો જાય તેવો એ મસ્ત આનંદ પણ અનંત સુખ તોડીને ધસ્યે જાય છે! જાઓ, ઇન્સાફ અને વિવેકની વાત પછી કરશું. પછી તો સદાકાળ એ જડ સિંહાસન પર પડ્યા પડ્યા મસલતો કર્યા કરવાની જ છે ને! હમણાં તો તોફાને ચડ્યો છું. બ્રાહ્મણને મળવાની જરૂર નથી. કહી દો એને.
જયસેન : જેવી આજ્ઞા.
યુધોજિત : [જયસેન પ્રત્યે] એ બ્રાહ્મણ દુશ્મન છે. કેદમાં રાખવાનો છે.
જયસેન : વિલક્ષણ આદમી લાગે છે