સોરઠી સંતવાણી/હરિ વિના અન્ય નથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હરિ વિના અન્ય નથી

જાગીને જોતાં રે, સપનું સમાઈ ગયું,
પ્રગટ્યો કોઈ પરમાતમ પરકાશ;
સદ્ગુરુ સૃષ્ટા રે, હરિ વિના અન્ય નથી,
મિથ્યા દીસે માયા કેરા આભાસ.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.
ઉલજણ ભાંગી રે સુલજણ સ્હેજમાં રે,
મટી ગયા વાયુક જીવના ફંદ;
સોહમ્ સનાતન રે સબઘટ રમી રિયો,
વરત્યા કોઈ અક્ષરાતીત આંદ.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.
પોંચી નવ શકે રે, બુદ્ધિ તિયાં બાપડી રે,
મન ને વાણીથી વસ્તુ છે વરજીત;
સ્થૂળ ને સૂક્ષમથી રે પર પરખાતમાં,
નિર્ગુણ નિર્મોહી નિશ્ચલ તત્ત્વસ્વરૂપ.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.
સૂન્યાતીત સૂનમાં રે દીસે છે સોયામણાં,
ઝળકે કોઈ તેજ-પંજર ભરપૂર;
બાહિર તે ભીતર રે, સબરસ રામ રમે,
રવિદાસ ઝીલે બ્રહ્મ-સિંધુનાં નૂર.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.

[રવિદાસ]