સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સ્વપ્નમૂર્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્વપ્નમૂર્તિ

એણે ગામપાદરે ઊભેલા કુલની સતીઓના પાળિયાને પ્રણામ કર્યા હતા. નારીસન્માનની એ પરંપરાનો પૂજક જોધો માણેક મારી ચોપાસ એક સ્વપ્ન-સૃષ્ટિને સરજે છે. રાષ્ટ્રભાવનાની, અરે આંતરરાષ્ટ્રીય સામ્યવાદની નોબતે ગાજતા આ યુગમાં ય જોધાની સ્વપ્નમૂર્તિ રચવામાં મને લવલેશ શરમ નથી. ને હું તાજેતરમાં જ સૂતેલા એક બીજા શબનું અમર્ત્ય ગાન બોલું છું. એય હતો એક યુગપ્રવર્તક : યુગપરિવર્તનની કાળ-મૂર્તિ : આયર્લૅન્ડનો સ્વપ્નવિહારી કવિ ‘એ. ઈ.’ ‘નૅશનાલિટી’ નામના લેખમાં જ એણે લખ્યું કે — “સત્ય એ આજની કે આવતીકાલની પલટાતી વસ્તુ નથી. સૌંદર્ય, વીરતા અને આત્મધર્મ, એ કંઈ રોજ સવારે પલટાતી ફૅશનો નથી. એમાંથી તો એક અપરિવર્તનશીલ પ્રાણ ઝગારા કરે છે. આ સ્વપ્નો, આ પુરાતનો, આ પરંપરાઓ એકદા વાસ્તવિક હતાં, સજીવન હતાં, ઐતિહાસિક હતાં; આજે એ ઇંદ્રિયગમ્ય જગતમાંથી નીકળી સ્મૃતિ અને મનોભાવની સૃષ્ટિમાં સંઘરાયાં છે. કાળ એમની શક્તિને ખૂંચવી શક્યો નથી. કાળે એમને આપણી મમતાના પ્રદેશમાંથી છેટાં નથી કાઢી મૂક્યાં; પણ એથી ઊલટું તેમને ધરતી પરથી ખેસવી અમરલોકમાં ચડાવીને વધુ વિશુદ્ધ બનાવ્યાં છે. આજે એ ચક્ષુઓને જોવાની અને કાનને સાંભળવાની વસ્તુઓ મટી જઈ હૃદયને ચિંતન કરવાની વસ્તુઓ બનેલ છે. આજે એ તેટલા પ્રમાણમાં આપણી નિકટમાં આવ્યાં છે, આપણાં પરિચિતો બન્યાં છે, ને સાહિત્યપ્રદેશે પણ વધુ ખપજોગાં બન્યાં છે. આજે એ સંકેતો બન્યાં છે. ને સંકેત-ચિહ્નો લેખે એ ઇતિહાસના કરતાં ય વધુ સામર્થ્યવંતાં બન્યાં છે. માનવ-પ્રકૃતિના વિધવિધરંગી અંતરપટોની પાર થઈને આજે એ આપણાં નેત્રો સન્મુખ ઊભાં છે. આજે તો એ પ્રત્યેક સ્વપ્ન, પ્રત્યેક વીરાચરણ, પ્રત્યેક સૌંદર્યતત્ત્વ પોતે જેનું પ્રતિનિધિત્વ કરે છે તે દિવ્ય સત્તાની વધુ નજીક જઈ ઊભેલ છે.”