કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/જાગે જીવણ દાસી


૩૩. જાગે જીવણ દાસી

સહજ સ્નેહનું ભાથું બાંધી
રહીએ નિત્ય પ્રવાસી,
દીવો બનીને શબ્દ દોરશે
અંતરતમ અવિનાશી.

ચાલ્યા પહેલાં સરનામું શોધો છો બંધુ!
એક પંથ દો કાજ કહી તાકો છો સંધુ.
ભવસાગર તરવાનો ભય કાં?
નદીતીર છે કાશી. સહજo

કોને મળવા ધસમસતો ઓ જાય સુદામા?
મંદિર મોટાં મંઝિલ છે કે માત્ર વિસામા?
અંધકાર-ઑથાર ખાળવા
જાગે જીવણ દાસી. સહજo
૧-૧૦-૦૧

(પાદરનાં પંખી, ૨૮)