કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/વહેતાં વૃક્ષ પવનમાં


૧૫. વહેતાં વૃક્ષ પવનમાં

નીલ ગગન પર્વત નીંદરમાં
ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં.
યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
રમે તરવરે સચરાચરમાં;
ધરી સૂર્યનું તિલક પાર્વતી
સજે પુષ્પ કાનનમાં. ખળખળ વહેતાંo
શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં;
વરસ્યા બારે મેઘ ઝળૂંબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
લાસ્ય ચગે ત્રિભુવનમાં. ખળખળ વહેતાંo
૧૯૮૦

(વહેતાં વૃક્ષ પવનમાં, ૧૯૮૪ પૃ. ૧)