ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાન-૨


ભવાન-૨ [ઈ.૧૬૮૦માં હયાત] : દશરથે ઋષિ તેડાવ્યા ત્યારથી માંડી રાવણવધ કરી રામ અયોધ્યા આવ્યા ત્યાં સુધીની કથા પરીક્ષિત અને શુકદેવના સંવાદ રૂપે ચાલતાં ૭ પદ અને ૮૩ કડીમાં રજૂ કરતી ‘રામકથા’ (ર.ઈ.૧૬૮૦)-એ કૃતિના કર્તા. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ અને ‘કવિચરિત : ૩’ રામાયણનો ગરબો, આત્મજ્ઞાનનાં ૨ પદ (૧મુ.) અને ‘રાવણમંદોદરી-સંવાદ’વાળાં ૨ પદ(મુ.)ના કર્તા તરીકે આ ભવાનને ગણે છે. પરંતુ એમાંય આત્મજ્ઞાનનું ‘બૃહત્કાવ્યદોહન : ૫’માં ‘નાથ ભવાન’ને નામે મુદ્રિત અને વાસ્તવમાં અનુભવાનંદનું પદ આ રામભક્ત ભવાનનું ગણ્યું છે. કૃતિ : બૃહાદોહન : ૫. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.[ર.સો.]