ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર

વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર

શ્રી વૈકુંઠલાલ ઠાકોરનો જન્મ તેમના વતન ભરૂચમાં તા.૨૦ સપ્ટેંબર ૧૮૮૫ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રીપતરાય હકુમતરાય ઠાકોર અને માતાનું નામ શિવગૌરીબહેન. જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય. ૧૯૦૬માં સ્વ. બળવંતરાય પરમોદરાય ઠાકોરનાં પુત્રી કુસુમગૌરી સાથે તેમનું લગ્ન થયું હતું. વૈકુંઠભાઈએ પ્રાથમિક તેમજ માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી. તેઓ ૧૯૦૦ની સાલમાં મેટ્રિક થઈને અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા. ૧૯૦૪માં ત્યાંથી તેઓ બી.એ. થયા હતા. શાળા તેમજ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી સામાન્ય હતી. અમદાવાદમાં તેઓ પોતાનાં કાકી રૂક્ષ્મણીબહેનને ત્યાં રહીને અભ્યાસ કરતા હતા તે દરમ્યાન રૂક્ષ્મણીબહેનના પિતાશ્રી દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈના સંપર્કમાં તેઓ આવ્યા હતા. વૈકુંઠભાઈના ચારિત્રવિકાસમાં અંબાલાલભાઈ તથા રૂક્ષ્મણીબહેનના વ્યક્તિત્વની ઊંડી અસર પડી હતી. તેમનો માનસિક ઝોક મૂળથી જ આધ્યાત્મિક દિશામાં વિશેષ. એટલે સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, શ્રી. અરવિંદ, રાધાકૃષ્ણન વગેરેનાં તેમજ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયનાં પુસ્તકો જુવાન વયમાં તેમણે હોંશે હોંશે વાંચ્યાં હતાં. જેમ્સ એલનનાં ‘From Poverty to Power’ અને ‘Life Sublime’ જેવાં પુસ્તકો તેમના નિત્યના સાથી હતા. પાછલી વયમાં રાંદેરના સાધુ પુરુષ ચંદુભાઈના સત્સંગે પણ તેમના ૫ર દૃઢ છા૫ પાડી હતી. ગ્રેજ્યુએટ થઈને તરત વૈકુંઠલાલ દી.બ. અંબાલાલની નડિયાદની મિલમાં (હાલની શોરોક મિલ) સેક્રેટરી તરીકે જોડાયા હતા. ત્યાં ૧૯૧૧ સુધી કામ કર્યા બાદ તેમણે મુંબઈની મોરારજી મિલમાં સેક્રેટરી અને મેનેજર તરીકે ૧૯૨૧ સુધી કામ કર્યું. પછી ૧૯૩૮ સુધી શોલાપૂરની મિલમાં મેનેજર તરીકે યશસ્વી કારકિર્દી ભોગવીને તેઓ એ ધંધામાંથી નિવૃત્ત થયા હતા. બાહોશ, કર્તવ્યનિષ્ઠ, સાચુકલા, સ્વમાની અને મિલ તેમજ મજૂર વચ્ચે સેતુની ગરજ સારે તેવા સદ્ભાવશાળી મેનેજર તરીકે શોલાપૂર અને મુંબઈના ઉદ્યોગપતિઓ ને મજૂરોમાં વૈકુંઠલાલની પ્રતિષ્ઠા બંધાઈ હતી. પોતાની કમાણીનો દસમો ભાગ જાહેર હિતના કામમાં વાપરવાનો તેમનો સંકલ્પ હતો. ગ્રામવિસ્તારમાં ઋગ્ણાલય આદિની વ્યવસ્થાને અંગે તેમણે કુલ્લે ૪૦,૦૦૦ રૂપિયા જેટલું જાહેર દાન કર્યું હતું. ઉપરાંત વિદ્યાર્થી, અનાથ વિધવાઓ વગેરેને ગુપ્ત દાન પણ તેમણે લગભગ એટલી જ રકમનું કર્યું હતું. પોતાનું કુટુંબ, વિદ્યાર્થીઓ, નિરાધાર સ્ત્રીઓ, ઊગતા લેખકો અને સામાજિક તેમજ ધાર્મિક સેવા કરતી જાહેર સંસ્થાઓને મદદ કરવા તેઓ હમેશાં તત્પર રહેતા હતા. અંતર્મુખ પ્રકૃતિના વૈકુંઠભાઈએ પોતાના બાહ્ય તેમજ આંતર જીવનના મહત્ત્વના બનાવોની નોંધ કરતી રોજનીશી લખી છે. તેની શરૂઆત તો તેમણે ૧૯૧૭ના જાન્યુઆરિની પહેલી તારીખથી કરી હતી; પણ ૧૯૨૨ સુધી તેમાં ખાસ કશું નોંધાવા પામ્યું નહોતું. ૧૯૨૨ થી ૧૯૩૭ સુધીનો ગાળો તેમના જીવનનો મંથનકાળ હતો. આ રોજનીશી તેમના એ વખતના આંતર સ્વરૂપનું પ્રતિબિંબ પૂરેપૂરું ઝીલે છે એમ તેમના ચરિત્રકાર શ્રી ઠાકોરલાલ ઠાકોરે તેમાંથી ટાંકેલા ઉતારાઓ પરથી સમજાય છે. વૈકુંઠલાલના મૃદુ અને તેજસ્વી વ્યક્તિત્વનું તેમાં યથાર્થ દર્શન થાય છે. સાચદિલી, સરળતા, નીડરતા, નિખાલસતા, આધ્યાત્મિક તૃષા, ઇશ્વરશ્રદ્ધા કુટુંબ-વત્સલતા, પ્રાણ-પ્રેમ અને કર્તવ્યનિષ્ઠા: એટલે તેમને ચારિત્રગુણો રોજનીશીમાંની તેમની નોંધોમાંથી ફલિત થાય છે. તેમાં પોતાના બે પ્રિય કૂતરા ‘ટીપુ’ અને ‘મીઠુ’ના અવસાનની તેમણે આર્દ્ર કલમે કરેલી નોંધ વૈકુંઠભાઈના હૃદયની ઉચ્ચ અને સુકુમાર માનવતાનું હૃદયસ્પર્શી ચિત્ર ખડું કરે છે. ગુજરાતી ડાયરી-સાહિત્યમાં તેમની રોજનીશી આ રીતે નોંધપાત્ર ઉમેરારૂપ ગણાવી જોઈએ. મિલના શુષ્ક વ્યવસાયમાંથી છૂટીને બે ઘડી આનંદ લેવા અને આધ્યાત્મિક પ્રગતિ સાધવા સારુ તેમણે સાહિત્યનો આશ્રય લેવાનું રાખ્યું હતું. તેઓ મુંબઈમાં મોરારજી મિલમાં હતા ત્યારે મિલમાં એક સ્ત્રીમંડળ ચાલતું અને તેના તરફથી ‘સ્ત્રીહિતોપદેશ’ માસિક ચાલતું તેમાં તેઓ યથાશક્તિ સહકાર આપતા. ૧૯૧૫માં તેમણે દી. બં.અંબાલાલ સાકરલાલનાં ભાષણો ને લેખોનો દળદાર ગ્રંથ સંપાદિત કર્યો હતો. પોતાના પ્રિય લેખક જેમ્સ એલનનાં બે પુસ્તકો ‘Meditations’ અને ‘Life’s turmoil’નાં તેમણે ભાષાંતર કર્યાં હતાં. તે કાર્યમાં તેમને એમના કાકાશ્રી જાદવરાય હ. ઠાકોરે મદદ કરી હતી. નિવૃત્તિકાળ દરમ્યાન તેઓ ખારમાં રહેતા હતા. રામકૃષ્ણ સેવા સમિતિ સાથે તેમને ગાઢ સંબંધ હતો. વાચન અને મનન ઉપરાંત, નિવૃત્તિકાળમાં પણ જાહેર હિતનાં કાર્યો કરવાની ધગશ તેમને હૈયે છેવટ લગી રહી હતી. ૧૯૪૪માં બંગાળના દુષ્કાળ અંગે ખૂબ જહેમત ઉઠાવીને મુંબઈમાંથી તેમણે ત્રણ લાખ રૂપિયાનો ફાળો એકઠો કર્યો હતો. પણ હમેશાં દુર્બળ રહેતું તેમનું શરીર આ શ્રમ સહન કરી શક્યું નહિ. ગ્રામોદ્ધાર અંગે એક ‘આહીરવાડીની યોજના’ ઘડીને તેને અંગે તેઓ શ્રી કિશોરલાલ મશરૂવાળા અને શ્રી નરહરિભાઈ પરીખ સાથે પત્રવ્યવહાર ચલાવતા હતા. પણ તે યોજના નક્કર સ્વરૂપ પામે તે પહેલાં તે શરીર તદ્દન ભાંગી પડતાં ૧૯૪૬ના અંતભાગમાં હવાફેર માટે તેમને પંચગની જવું પડ્યું, જ્યાં તા. ૫ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ તેમનું અવસાન થયું હતું.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *પ્રકાશન-સાલ *પ્રકાશક *મુળ કૃતિનું નામ
૧. અંબાલાલ સાકરલાલનાં ભાષણો અને લેખો *સંપાદન ૧૯૧૫ *આ. ૧ : જીવનલાલ અમરશી મહેતા /આ. ૨ : પોતે /આ. ૩ : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. * -
૨. તત્ત્વચિંતન *અંગ્રેજીનું ભાષાંતર *૧૯૧૫ *રામકૃષ્ણ સેવા સમિતિ, અમદાવાદ. *જેમ્સ એલનકૃત ‘મેડિટેશન’
૩. દુનિયાની દુગ્ધાથી દૂર *અંગ્રેજીનું ભાષાંતર *૧૯૩૪-૩૫ *પોતે જેમ્સ એલનકૃત “લાઇફ્સ ટર્મોઈલ”
૪. ચંદુભાઈના પત્રો *પત્રો *૧૯૪૪-૪૬ *રામકૃષ્ણ સેવા– સમિતિ, અમદાવાદ.
૫. જ્ઞાનયોગી ચંદુભાઈ ચરિત્ર (સં. નારૂશંકર ભટ્ટ) *૧૮૪૪-૪૬ *રામકૃષ્ણ સેવા– સમિતિ, અમદાવાદ.

અભ્યાસ-સામગ્રી

તુરતમાં જ પ્રગટ થનાર શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોરકૃત વૈકુંઠલાલનું જીવનચરિત્ર.

***