નારીસંપદાઃ વિવેચન/સ્વયંભૂ સર્જકતાનો ઉન્મેષઃ ઊડતું ભાળ્યું અંધારું
ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ
કવિ જગતને હંમેશાં અન્ય કરતાં નોખી દૃષ્ટિથી નીરખતો હોય છે. આ નોખી દૃષ્ટિથી નીરખવાની વાત જગતના રહસ્યનું દર્શન, શાસ્ત્ર અને સંસ્કૃતિ સુધી લઈ જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિને એટલે જ વ્યાસ અને વાલ્મીકિ જેવા તાપસ ઋષિ મળ્યા કે જેમણે અદ્ભુત મહાકાવ્ય રચ્યાં. આ કવિદૃષ્ટિને લીધે જ સાહિત્યજગતને નરસિંહ, મીરાં, અખો ને દયારામ સમાન કવિ મળી શક્યા. બીજી તરફ શાસ્ત્ર, જ્ઞાન, સંસ્કૃતિ કવિતા પર હાવી ન થાય, ને કાવ્યત્વ જળવાય એ પણ કવિએ જોવાનું હોય. આ પ્રકારની કવિત્વશક્તિ ખૂબ ઓછા કવિને વરેલી હોય. એવી કાવ્યનિસબત અને કવિસભાનતા ધરાવતા, કવિતામાં ખૂબ ઝીણું કાંતનારા કવિઓમાંના એક એટલે કવિ સ્નેહી પરમાર. તેમની ગઝલનો કવિમિજાજ પ્રાચીન સંસ્કૃતિના મૂળ સુધી અનુસંધાન કરાવે છે,
-’મારામાંથી જન્મ્યાં છે કંઈ મહાકાવ્યો, સ્નેહી! હું તો છું શાયરનું અંધારું.’ (પૃ. ૯)
-‘અગર અજવાશ જો અંધારની સામેની બાજુ છે,
તો સમજો એ સ્નેહી પરમારની સામેની બાજુ છે.’ (પૃ. ૧૫)
બે પળ અટકીને સતત વિચારતા કરી મૂકે એવી ઘણી વિલક્ષણ અને સવાશેરની પ્રતીતિકર રચનાઓ કવિ સ્નેહી પરમારના તૃતીય કાવ્યસંગ્રહ ‘ઊડતું ભાળ્યું અંધારું’માં જોવા મળે છે. આ કવિ ભાષા પાસેથી કઈ રીતે કામ પાર પાડે છે તે સમજવા જેવું છે. ભાષાવિન્યાસ વિના ભાષાની અસરકારકતા ઊભી કરવી એ એક ઉત્તમ કવિની લાક્ષણિકતા છે. એમાં પણ ભાવ કે વિચારની શેરિઅત કવિમિજાજના રંગમાં ભળીને પ્રગટે ત્યારે એ રચનાઓ માત્ર એક મુશાયરાનો જ નહીં, પણ ડાયરાનો માહોલ પણ સર્જે છે. કવિની ભીતરનો ‘કવિ’ એ ‘શાયર’ અને ‘જ્ઞાની’ બન્નેમાં પૂરેપૂરો ઊઘડે છે. કવિ સ્નેહી પરમારના પ્રથમ ગઝલસંગ્રહ ‘પીડા પર્યંત’ ૨૦૦૪, દ્વિતીયસંગ્રહ ‘યદાતદા’ ૨૦૧૫ અને તૃતીય કાવ્યસંગ્રહ ‘ઊડતું ભાળ્યું અંધારું’ ૨૦૨૦માં પ્રકાશિત થયેલ છે. બે ગઝલસંગ્રહ બાદ પ્રકાશિત તૃતીય કાવ્યસંગ્રહમાંનાં ગઝલ, ગીત, અછાંદસ અને અન્ય કાવ્યપ્રકાર કવિતાની દૃષ્ટિએ વિલક્ષણ છે. પ્રથમ કૃતિ ‘પીડાપર્યંત’ને ૨૦૧૫માં ‘સ્વ. નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર’, ‘યદા તદા’ ગઝલસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર એવોર્ડ શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક, ૨૦૧૫-૧૬ વર્ષમાં ‘શયદા પુરસ્કાર’ અને ૨૦૧૮ના વર્ષમાં કાવ્યમુદ્રા યુવા પ્રતિભા પુરસ્કાર પણ મળ્યો. ગુજરાતી સાહિત્યમાં કવિ સ્નેહી પરમારની કવિતાએ જે સ્થાન મેળવ્યું. એ જોતાં ૨૦૦૪થી માંડીને ૨૦૨૦ સુધીમાં એટલે કે ૧૯ વર્ષના સમયકાળમાં આ કવિએ ધીરગતિએ, અભ્યાસપૂર્વક અને પરિપક્વતા સાથે કુલ ત્રણ કાવ્યસંગ્રહ પ્રદાન કર્યા. કોઈ પણ કવિતા છેવટે તો કવિના આંતરજગતનું પ્રતિબિંબ હોય. એ રીતે તો આ ત્રીજા સંગ્રહમાં અગાઉના બન્ને ગઝલસંગ્રહથી ‘આગળ વધેલી અને પીઢ થયેલી’ કવિતાની પ્રતીતિ થાય છે. જે કવિ અગાઉ એમ બોલી ચૂક્યા હોય કે,
‘જ્ઞાનીઓ જે જગાને નરી બિનનીપજ કહે,
કુંભારે એ જ માટીમાંથી માટલાં કર્યાં’
એ જ કવિ આ શેર પણ લખી શકે,
‘બહુ ખુશ થાશે દુનિયાભરનું અંધારું,
ખંખેરો અજવાળા પરનું અંધારું’ (પૃ. ૧)
સાંપ્રત સમયમાં લખાતી કવિતાઓમાં પરંપરા અને નવીનતાને જોડતી ગઝલકવિતામાં એક નવ્ય ઉમેરણ એટલે ‘ઊડતું ભાળ્યું અંધારું’. પ્રસ્તુત સંગ્રહમાં કુલ ૫૭ ગઝલ, ૧૯ ગીતો અને ૨૫ અછાંદસ તથા અન્ય પ્રકારનાં કાવ્યો સંગ્રહિત છે. ગુજરાતી ગઝલને છાજે તેવો કવિમિજાજ, પ્રણયરંગ, ચિંતનાત્મક દૃષ્ટિ, સમાજજીવનની વ્યંજના, પુરાકલ્પનોનો ઉચિત પ્રયોગ અને ગઝલની ભાષાકીય વિશેષતાઓ સાથે પ્રસ્તુત કૃતિની ગઝલ પોતાનું પોત પ્રકાશે છે. સંગ્રહની પૂર્વે કવિએ માત્ર ચાર શબ્દોમાં કહેલી કવિતા ‘દીવા! થાને મારી જિહ્વા!’ અને ‘જિહ્વા! થાને મારા દીવા!’ આ કથનોક્તિમાં જ કવિતાનું સત્ત્વ અને કવિહૃદયનો ઉદ્ઘોષ ઊંડી સમજ માંગી લે તેવો છે. સંગ્રહની પ્રણયોર્મિ-ગઝલોમાં ‘તને જોઈ નથી’, ‘ગોરાંદે’, ‘ધણી’, ‘સંવાદગઝલ’, ‘તને મેં ફૂલ આપ્યું છે’, ‘તુલના નથી’, ‘બે પાંચ જન્મો’, ‘ગુલાબજાંબુ છે’, ‘બબ્બે ઉનાળા’, તથા અન્ય ગઝલોમાંથી મળતા ઐહિકથી આધ્યાત્મિક પ્રણયઊર્મિથી માંડીને મિથપાત્રોના વિનિયોગથી સર્જાતી પ્રણયગોષ્ઠિ ગુજરાતી ગઝલનું નવું નજરાણું બની રહે છે. પ્રણયરંગી મિજાજમાં ઊઘડતો ‘શાયર’ અહીં પ્રિયની ગોષ્ઠિ, રૂપવર્ણન, સૌંદર્યદર્શન હૃદયના ઊંડાણમાંથી અવતરીને તાજગીનો અનુભવ કરાવે છે. જેમ કે, ‘તને જોઈ નથી’ ગઝલના પ્રત્યેક શેરમાં કોઈ પણ પૂર્વગ્રહ વિના, બિનશરતી પ્રણયનો આહલાદ અભિવ્યક્તિ પામ્યો છે.
‘તારાં વસ્ત્રોનું શું કરું વર્ણન? કોઈ આવરણથી તને જોઈ નથી.’ (પૃ. ૨૨)
‘મારું ડાબું, તે તારું ડાબું નથી, યાર, દર્પણથી તને જોઈ નથી.” (પૃ. ૨૨)
‘ગોરાંદે’, ‘ધણી’ અને ‘સંવાદગઝલ’– આ ત્રણેય ગઝલ ગુજરાતી ગઝલનું નોખું નજરાણું કહી શકાય એવી રચનાઓ છે. આવી રચનાઓ સમજવા માટે પાત્રો અને કાવ્યની પૂર્ણ સમજ ભાવકને હોવી ઘટે. આપણી સંસ્કૃતિમાં આવતા લોકકથાનાં જતિ-સતિનાં પાત્રો મહાધર્મ(આત્મપંથ)ના રૂપમાં વર્ણવવાને બદલે અહીં કવિએ રોમેન્ટિક મિજાજમાં આલેખ્યાં છે. ‘ગોરાંદે’ પ્રિયતમા માટેનું બહુ જૂનું સંબોધન છે જે આજના સમયમાં પ્રેમિકા કે પત્ની માટે સંબોધાતું નથી. કવિ તળની સંસ્કૃતિના પ્રેમને અહીં જોડે છે.
‘ઝટ ઉતારો આ મોડ ગોરાંદે!, કાળ સાથે છે હોડ, ગોરાંદે!’ (પૃ. ૩૩)
આ શેરની સાથે ‘વચ્ચે રોપીએ છોડ’, ‘આપણી સાથે પૂર્વજોના પણ / પૂરા કરવા છે કોડ, ગોરાંદે!’, ‘લાંબી છે વાટ, ખૂબ લાંબી છે’ - જેવા મિસરા જનમોજનમના પ્રેમની પ્રતીતિ કરાવે છે. અંતિમ શેર વિવાહના સંદર્ભને પણ જોડે છે.
‘એક પાથરણે પોઢીએ, આવો,
લાવો શ્રીફળની જોડ, ગોરાંદે!’ (પૃ. ૩૩)
બીજી ગઝલ એટલે ‘ધણી’ રચના. જેમાં જતિપુરુષ અને સતિનો સંવાદ છે. જેમ ‘ગોરાંદે’ જતિપુરુષના મુખે કહેવાઈ છે. તેમ ‘ધણી’ ગઝલ સતિના મુખે કહેવાઈ છે.
‘સોંપવાને તને સુકાન, ધણી!, નાવ મેં રાખી છે જુવાન, ધણી! (પૃ. ૩૪)
‘સુકાન’ શબ્દમાં જીવનનો અને ‘નાવ’ શબ્દમાં હૃદયનો સંદર્ભ કળાય છે. પ્રિયની રાહમાં નાયિકાની ખોવાયેલી સ્થિતિનું ચિત્ર જુઓ આ શેરમાં-
‘વાંસણો કાંધીએ ચડાવું, ત્યાં
હાથ થઈ જાય છે વિમાન, ધણી’. (પૃ. ૩૪)
પ્રણયની પરિણીતી ‘લગ્ન’ સુધી જોડાય ત્યારે મળતો હૃદયસ્પર્શી શેર જુઓ—
‘વેળ થઈ ગઈ છે છેલ્લા ફેરાની, આવ, જોડીને રૂડી જાન ધણી!’ (પૃ. ૩૪)
‘સંવાદગઝલ’માં સતી તોરલ અને જેસલ જાડેજાની પાત્રગત વિશેષતા, ખુમારી, કટાક્ષ, પ્રણયસ્વીકૃતિના ભાવ નાટયાત્મક રીતે આલેખ્યા છે. જાડેજાને વાગેલા ખીલાના સંદર્ભે ઘૂંટાયેલો પ્રેમ ‘પ્રસાદી’ શબ્દમાં ખીલી ઊઠયો છે,
‘તોરલ : વીંધાયેલી હથેળીની કહાણી સાથે લઈએ તો ?
જેસલ : પીડા સાથે સહી છે ને, પ્રસાદી સાથે લઈએ તો ? (પૃ. ૩૫)
પ્રેમ થયો હોય એ પછીની દશા કાં તો પ્રિયને ડરપોક બનાવે કાં નિર્ભય બનાવે. બહુજન્મે મળેલાં પ્રેમીની જેમ જેસલ કહે છે,
જેસલ : હવે નોખાં પડ્યાં તો ભવનાં ભેળાં થાવું કપરું છે,
સફરમાં સાથે રહેવું છે, કટારી સાથે લઈએ તો ? (પૃ. ૩૫)
આ ગઝલનો અંતિમ શેર પણ સમગ્ર ગઝલનો પ્રાણરૂપ શેર છે. અહીં પ્રેમની ઊંચાઈ ‘સમાધિ’ શબ્દમાં પડઘાય છે,
જેસલ : ‘હું પાપી છું, તમે પાવક; ખરો સંજોગ જામ્યો છે,
ભલે નોખાં જીવ્યાં કિન્તુ સમાધિ સાથે લઈએ તો ?’ (પૃ. ૩૫)
‘તને મેં ફૂલ આપ્યું છે’– ગઝલમાં ‘બધાએ મેલ ધોઈને’, ‘આંગળીઓ નિચોવીને’, ‘ફૂલોનું વેર વ્હોરીને’, ‘નસેનસમાં ઝબોળીને’, ‘લીધેલો માર્ગ છોડીને’ ઈત્યાદિ શબ્દસંરચના પ્રણયની વિવિધ રીત અને ગહનતા દર્શાવે છે. જેમ કે,
‘તને આપ્યાં પહેલાં માત્ર મૂર્તિને ચડાવ્યું છે;
લીધેલો માર્ગ છોડીને, તને મેં ફૂલ આપ્યું છે.’ (પૃ. ૩૬)
‘તસબી થશે’ ગઝલમાં પ્રિયની વાત કોઈ ત્રીજાને કહેવાઈ હોય એવી કથનરીતિમાં ઊઘડતી રસાનુભૂતિની ગઝલ છે : ‘તમે સામે બેસોને તસબી થશે?/ તમે શું કહો છો એ સરખી થશે? (પૃ. ૩૭) ‘ગુલાબજાંબુ છે’ – ગઝલ ધ્વનિગઝલ અથવા રૂપકાત્મક ગઝલ કહી શકાય. પ્રત્યેક શેરમાં ઊભરતી ભાવવ્યંજના મનને અભિભૂત કરે તેવી છે. ‘ચાખો ચાખો ગુલાબજાંબુ છે, એની આંખો ગુલાબજાંબુ છે’ (પૃ. ૪૦). કવિએ ઇંદ્રિયવ્યત્યય સાધીને પરંપરિત પ્રણય ગઝલ કરતાં નોખી સર્જકતા દાખવી છે. લગ્નતિથિ, વર્ષગાંઠ જેવા ઉત્તમ દિવસે આ શેર બોલી શકાય,
‘વર્ષમાં એક દિવસ એવો છે,
આખે-આખ્ખો ગુલાબજાંબુ છે. (પૃ. ૪૦)
એવો જ અંતિમ શેર કે જેમાં પ્રિય માટેના અનન્ય સ્થાનને દર્શાવે છે,
‘જાંબુ વત્તા ગુલાબ, એક તું છે, નહિ તો લાખ્ખો ગુલાબજાંબુ છે’ (પૃ. ૪૦)
‘તુલના નથી’ – ગઝલમાં પ્રણયની તીવ્રતાની સાથે ‘સ્વર્ગ’ અને ‘દરગા’ જેવાં સાત્ત્વિક કલ્પનો નવીન છે. ગઝલના શેરિઅતપૂર્ણ શેર જુઓ—
‘સ્વર્ગ સુંદર છે એમાં તો શંકા નથી, તે છતાં તારી આંખોથી તુલના નથી.’
(પૃ. ૪૩)
‘હાથ તારો અડ્યો તો મને એમ થયું, તું હકીકત છે તું કોઈ અફવા નથી.’
(પૃ. ૪૩)
‘હાથ બીજાનો પકડું તો કેવી રીતે, હાથમાં પેન પકડ્યાની જગ્યા નથી.’ (પૃ. ૪૩)
‘બે-પાંચ જન્મો’ ગઝલના લગભગ બધા જ શેર કવિમિજાજ અને પ્રણયની તાજગીનો અનુભવ કરાવે છે –
-ડાળ હલશે, ને સદીઓ સુધી પરચો ચાલશે,
તારો પગ અડશે અને નિષ્પ્રાણ તડકો ચાલશે.
— તું મને બે-પાંચ જન્મો બાદ મળજે જા, હજી
તે દીધેલાં ચુંબનો બે-પાંચ જન્મો ચાલશે. (પૃ. ૫૦)
‘સારી નહીં’ ગઝલનો એક પ્રણયરંગી શેર-
તમે ભેટો અને છાતી સૂતરફેણી થતી,
તમારી આ રીતે સીનાજોરી સારી નહીં. (પૃ. ૬૫)
જે કવિની દૃષ્ટિ સૂક્ષ્મદર્શક યંત્ર જેવી હોય એ જ કવિ જગતદર્શન આપી શકે. ‘જ્ઞાની’ પણ તેનું જ બીજું સ્વરૂપ છે. સંગ્રહની પ્રથમ રચના ‘પથ્થરનું અંધારું’માં પ્રત્યેક શેરના અર્થ પ્રતીતિકર ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જગતભરના અંધારાને દૂર કરવા જ્ઞાનનો થોડોક પ્રકાશ કાફી છે. આ ગૂઢ વાત સહજતાથી શેરમાં અવતરી છે જેમ કે,
-‘મારામાંથી જન્મ્યાં છે કંઈ મહાકાવ્યો, સ્નેહી! હું તો છું શાયરનું અંધારું.’
(પૃ. ૧)
—‘તેં ફાનસનો કાચ કર્યો છે ઊંચો ત્યાં, મેં ઊડતું ભાળ્યું રીતસરનું અંધારું.’ (પૃ. ૯)
ગઝલના ત્રીજા શેરમાં ‘કુંભારી’નો સંદર્ભ જગતસર્જક જેવો અનુભવ કરાવે છે. નિર્જીવને સજીવ કરવાનું અને ઉદાસી કે ખિન્નતાને આનંદમાં ફેરવવાની કળા બધા કવિને સાધ્ય નથી હોતી.
‘ભાઈ, કુંભારી ! એક કોડિયું આપી દે, ઓછું કરવું છે પથ્થરનું અંધારું.’ (પૃ. ૯)
‘રાંદલમાં’ ગઝલના મત્લામાં શ્રદ્ધા પર થયેલી વ્યંજનાની અસરકારકતા જુઓ -
‘વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે,
વર્ષોથી એ ઝાડની નીચે રાંદલમાનું દેરું છે.’ (પૃ. ૧૧)
મનની ઘેટાવૃત્તિને ચીંધતો આ શેર શાસ્ત્રકથનથી કમ નથી.
‘આવ્યું ત્યારથી દુનિયામાં એ ઉભડક ઉભડક જીવે છે,
મન, જાણે કે કોઈ અજાણ્યા નેસે બાંધ્યું ઘેટું છે.’ (પૃ. ૧૧)
જગતમાં કેટલાક માણસો જ્ઞાની હોવા છતાં ભોટ પુરવાર થાય ને ગામડાનો સહજ માણસ ભણેલા સામે ‘ગણેલો’ સાબિત થાય. આ વાત ‘પાણી ઝર્યું’ ગઝલમાં આ રીતે મળે છે.
‘એણે શાસ્ત્રોની સજાવટ આદરી, મેંય મારું આંગણું સરખું કર્યું.’
‘સાથે લીધો પથ્થરોએ દેવનો, લાકડું હળવાશને લીધે તર્યું.’ (પૃ. ૧૦)
આ જ ગઝલનો મત્લા સ્વયંભૂ સર્જનાત્મકતાનો આવિષ્કાર લાગે,
‘આગથી પ્રગટ્યું ન વાયુથી ઠર્યું, કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું? (પૃ. ૧૦)
કવિની દૃષ્ટિથી કોણ બચી શકે! વિજ્ઞાન અને માણસની વિદ્વત્તા પર કરેલા પ્રહારના વ્યંજનાત્મક સ્વરના એકબે શેર-
-જાણીજોઈને અનુસરવા પડે, કઈ તરફ સિદ્ધાંત પણ સસ્તા પડે ? (પૃ. ૩૯)
-ક્યાંક વિદ્વાનોએ બાફ્યું છે નક્કી, લોહી નેગેટિવ હોઈ ના શકે ! (પૃ. ૧૮)
‘મારી સામે છે’ ગઝલમાં શબ્દાર્થનો ચમત્કાર ‘સાથે’ અને ‘સામે’ હોવામાં કળાય છે. ‘તારો ભગવાન તારી સાથે છે, મારો ભગવાન મારી સામે છે’ (પૃ. ૧૬) ‘શિવ હોઈ ના શકે’ ગઝલના બધા શેર માર્મિક અને તથ્યપૂર્ણ છે. તેનો મત્લા છે, ‘પાર્થ છે, પાર્થિવ હોઈ ના શકે, ગોત્રમાં ગાંડીવ હોઈ ના શકે.’ (પૃ. ૧૮). ઉલા-સાનીનો સંબંધ પૌરાણિક અર્થસંદર્ભમાં લઈ જાય છે. આ ગઝલનો અંતિમ શેર સ્ફોટક છે – ‘સાવ એવો હોય ના રાવણ કદી, નહિતર માથે શિવ હોઈ ના શકે.’ (પૃ. ૧૮). ‘રાવણ’ની માથે ‘શિવ’નું હોવું એ રાવણનું કર્મ અને વ્યક્તિત્વ દર્શાવે છે. લોકોની બદલાતી વૃત્તિ અને સ્વભાવને કવિએ ‘ફેરવી તોળ્યું’ ગઝલમાં અસરકારક રીતે વ્યંજિત કર્યું છે. જેમાં આજના માણસની વાસ્તવિકતા ચિતરાઈ છે,
‘સમય બદલ્યો તો સઘળી સરભરાએ ફેરવી તોળ્યું,
ઘણાં બોલેલું બદલી ગ્યા, ઘણાએ ફેરવી તોળ્યું.’ (પૃ. ૧૭)
હવા, પાણી, આગ, આપદા, દવા-જેવા સંદર્ભ માણસની સતત ફેરવી તોળવાની વૃત્તિને દર્શાવે છે. જેમાંથી પ્રેમ પણ બાકાત નથી. જેમ કે-
‘વિના પાંખે અમે ઊડ્યા, તમારી આંખમાં રહેવા,
બીજા તો શું કણા જેવા કણાએ ફેરવી તોળ્યું.’ (પૃ. ૧૭)
જગત કવિને કઈ રીતે જુએ—સમજે છે તેનો પ્રતીતિકર શેર -
‘ભલા, કર્મઠ, સરળ, શું કહું, તમે તો સંત છો સ્નેહી,
મળ્યાં સામે તો કેવું ભલભલાએ ફેરવી તોળ્યું!’ (પૃ. ૧૭)
‘ખુદા લઈ જાવ’ ગઝલની ભાષારીતિ અને ભાવ બન્ને વિશિષ્ટ છે. શબ્દોની ફેરબદલીથી ઊભો થયેલ અર્થચમત્કાર અને ઈશ્વરને સમાન જોવાની મથામણ અદ્ભુત છે.
‘જૂના લાવો, નવા લઈ જાવ!, ખુદા લાવો, ખુદા લઈ જાવ.’ (પૃ. ૨૩)
‘દૂજા કોઈ નહીં રહેતા, જુદા દેખો દૂજા લઈ જાવ!’ (પૃ. ૨૩)
ગઝલનાં અંતિમ શેર - ‘ભરાણી છે ખરી ગુજરી, ઊણાં લાવો, પૂરા લઈ જાવ!’ –માં કવિએ સંસારને ‘ગુજરી’ કહીને લૌકિકમાં અલૌકિકને સમજવાની વાત ઘૂંટી છે. ઈશ્વરને સમજવાની મથામણ અને એમાંથી લાધેલા તર્કબદ્ધ સત્યમાંથી પ્રાપ્ત કેટલાક અર્થસભર મોતી જેવા શેર પણ અહીં ટાંકવાનું ગમે-
- ‘તારા માટે બાવન અક્ષર, મારા માટે બાવન વીર.’ (પૃ. ૨૯)
-નથી પૃથ્વી રહી શકતી મારા વિનાની, અહીં હું નથી તો હું બીજે કશે છું.
(પૃ. ૩૦)
-દેહ નરકની ખાણ નથી કંઈ, એના વિણ ઊઘડે ન બરણી. (પૃ. ૩૧)
-હજીએ ગ્લાનિ ધર્મની થવાની બાકી છે, તું એમ બેઉ તરફથી સમાન ધરપત દે.
(પૃ. ૨૭)
‘મૃત્યુ’ના સત્ય સામે જીવવાનો ધર્મ નિભાવતા ખુમારીભર્યા એકબે શેર જુઓ –
-બેસાડી દો પંગતમાં મરણનાં બધાં સ્વરૂપ,
જીવવું તો છે, અમારો ધરમ, ખૂટશે નહીં. (પૃ. ૫૩)
-એકલું આવતું નહીં, મૃત્યુ ! ઘરમાં બે ગાદલાં રૂવાળાં છે. (પૃ. ૫૨)
-અંદર કોઈના મૃત્યુનો કાગળ છે, મારા ખભ્ભા પરના થેલા ! ઊડી જા.
(પૃ. ૫૧)
‘ખૂટશે નહીં’ ગઝલ માણસની સતત જીવવા માટેની મથામણને ઘૂંટતી રચના છે. જેમ કે,
‘બીમારી, થાક, પીડા, દગા, પારકાં, સગાં! ફૂંકો, ફૂંકો, ફૂંકો આ ચલમ ખૂટશે નહીં. (પૃ. ૫૩)
‘દ્વાદશી ગઝલ’માં પ્રત્યેક કાફિયાપ્રયોગ જેવા કે ‘ખગતિ’, પગતી’ ‘ફગતી’, ‘બગતી’ ‘શગતી’ વગેરે તત્ત્વદર્શી શબ્દો આપણી મૂળ સંસ્કૃતિ તરફનો સંકેત કરે છે. ‘ઘમંડ’ ગઝલ ટૂંકી બહરમાં માણસની ઘમંડવૃત્તિ પર કરેલા પ્રહારની રચના છે. જેમ કે, ‘ધમંડ માર્યો છે, ધમંડ આવ્યો છે, જમીં પે નહીં ચાલે, ઘમંડ વાગ્યો છે.’, ‘એને અરીસાએ, ઘમંડ પાયો છે’ – અહીં માર્યો, પાયો, વાગ્યો, પાળ્યો, બાળ્યો જેવાં ક્રિયાપદોથી અર્થવ્યંજકતા સર્જાઈ છે. માણસની સંગત કેવા લોકોથી થયેલી હોય, એ એના દેખાવ, બોલચાલ પરથી ખબર પડી જાય. આ સંદર્ભે ‘માપ નીકળી જાય છે’ ગઝલનો સ્ફોટક શેર જુઓ-
‘કેવા દરજી પાસે જઈ ઊભા રહ્યા, એ ઉપરથી માપ નીકળી જાય છે.’ (પૃ. ૫૫)
‘ચશ્માં નથી ગમતાં’ ગઝલમાં જગતને જોવાના જુદા જુદા દૃષ્ટિકોણની વાત છે. તો ‘હરણાં પડ્યાં’ ગઝલમાં ‘ઊભી ઊંઘમાં હરણાં પડ્યા’ કહીને ‘ઊંઘ’ને અજ્ઞાનતા કે બેશુદ્ધ સ્થિતિને તાકી છે. જીવનની કેટલીક અનુભવસિદ્ધ વાતો માણસને જ્ઞાની, ઉપદેશી બનાવી દે છે. કવિકથન સ્વીકારવાં પડે એવા કેટલાક શેર-
-જ્યાં લગ તમારા તનના જખમ ખૂટશે નહીં,
ત્યાં લગ અમારા મનના મલમ ખૂટશે નહીં. (પૃ. ૫૩)
-બહારનાં દૃશ્યો જે રૂપાળાં છે, મારે ભરવાના એ ઉચાળા છે. (પૃ. પર)
- ચીતરવું છે અમરફળ પણ, મને જાબુંડા સ્ફુરે છે. (પૃ. ૪૯)
માણસ સામાજિક વાતાવરણમાં જીવતો હોઈ એકમેક પર રાગદ્વેષને લીધે વાણીપ્રહાર કરે. આવા વક્રવાણીવાળા, અન્યને પીડા આપનારા, નિંદારસ કરનારા મનુષ્યની સામે કવિ જડબેસલાક પ્રહાર કરતાં શેર આપે છે. જેમ કે,
- એણે પોતાના ખેતરમાં જઈને સરખું જોવાનું, જેને જેને લાગે છે કે મારું ખેતર રેઢું છે. (પૃ. ૧૧)
-કહી છે કાનમાં ઘણીએ વાત લોકોએ હંમેશાં એ જ વાત કાન બહાર રહી ગઈ છે. (પૃ. ૧૩)
-જિવાડે તો કહે જોયું! મરે તો કહે ન’તું આયુષ,
દુઆએ ફેરવી તોળ્યું, દવાએ ફેરવી તોળ્યું. (પૃ. ૧૭)
-હું એને માનપાન આપું એવી આશાએ
ઘણીએ શેરીઓ મકાન બહાર રહી ગઈ છે. (પૃ. ૧૩).
અહીં સત્તાના જોરે જેમને ખૂબ માનપાનની અપેક્ષા હોય એવા આડંબરી, અભિમાની મનુષ્ય સામે કરેલો પ્રહાર છે. વગ ધરાવતા, કહેવાતા મોટા માણસોને મોઢે ચડીએ તો શું થાય? જુઓ કવિનો શેર —
‘બહુ મોટાના મોઢે ચડવું સારું નહિ, જો, રસ્તે વેચાવા નીકળી વાંસળિયું.’
(પૃ. ૧૩)
જીવનમાં ખુશીનું આગમન મહેમાન જેવું હોય, ને પીડા પોતાની હોય ત્યારે કવિ આ સામાજિક સત્યને આમ કંડારે છે-
‘પીડા પોતાની છે પોતાના બહુ લાંબું નાડે છે,
ખુશી મહેમાન છે, મહેમાન તો વારે વદાડે છે.’ (પૃ. ૩૨)
માતાપિતાને કષ્ટ દેનાર મનુષ્ય પોતાના ઘરની તકતી પર જ્યારે ‘માતૃકૃપા-પિતૃઆશિષ’ લખે ત્યારે તે કેટલું આડંબર ભરેલું છે! ·
-’માતૃકૃપા - પિતૃઆશિષ ઘર પર, સહુ લખે છે એટલે લખવા પડે?’ (પૃ. ૩૯)
-વાટ પેન્શનની ભલે હો બાપને, કિન્તુ એ એનો સહારો કેમ છે ? (પૃ. ૫૨)
કેટલાક માણસ રહેતા હોય બંગલામાં, પણ વિચારો નિમ્ન પ્રકારના હોય. એવા લોકો માટે કવિએ કરેલો કટાક્ષ-
‘લિફટથી પહોંચે છે પોતાના ઘરે, તોય તળિયાના વિચારો કેમ છે ?’ (પૃ. ૫૨)
ભારતમાં ભાઈ-ભાઈના પ્રેમના દાખલા આજે ઘટતા જાય છે ત્યારે કવિનો આ શેર ઉદાહરણ રૂપ છે,
‘સત્તાર-સ્નેહી બેઉ ભાઈ જેમ જીવે છે,
ઘણી ચીજો જ હિન્દુસ્તાન બ્હાર રહી ગઈ છે.’ (પૃ. ૧૩)
એક તરફ માણસની અમીરાઈ છે તો બીજી તરફ મધ્યમવર્ગની આકરી સચ્ચાઈ ‘ચોક-ડસ્ટરની દુકાનો’ ગઝલના કેટલાક શેરમાં ઝિલાઈ છે,
‘ચીડ, બેચેની અને ચશ્માં મળે છે, છે આ પૂરેપૂરા વળતરની દુકાનો
પેટનો ખાડો ભૂંસાઈ જાય કેવળ, કોઈ ખોલો એવા રબ્બરની દુકાનો.” (પૃ.૬૧)
બીજાના દુ:ખને જોઈ પોતાના સુખનાં સિંહાસન છોડી દે એ ભાવના જ કેટલી ઉત્તમ અને ખાનદાની છે. જેમ કે, ‘કોઈનું દુઃખ નિહાળી છોડી દીધાં સિંહાસન, આંખોના હે ફિરસ્તા, તું સો વરસનો થા.’ (પૃ.૨૫). ‘જળ અગરાજ’ ગઝલના પ્રત્યેક શેરમાં બીજાને દુ:ખ દેનાર મનુષ્યના ઘરનાં અન્ન-જળ ત્યાગ કરવાની નીતિમૂલક અને ન્યાયી વાત માંડી છે. યાંત્રિકતા જેવી યાંત્રિકતા પોતાના અસ્તિત્વમાં સ્થિર થઈ જાય પણ માણસ છે કે જે હંમેશાં ફરિયાદ કરતો ફરે. આ પ્રકારની વિચારધારાને કવિ આમ વખોડે છે,
‘યંત્ર પણ વાતાનુકૂલિતમાં રહે, આદમી એક જ બિચારો કેમ છે? (પૃ. ૫૮)
જેમ કવિ સમાજ સામે પ્રશ્નો કરે, કટાક્ષ કરી ઉત્તર વાળે, એમ કેટલાંક મિથપાત્રો દ્વારા જીવનનું કોઈ સત્ય, તાર્કિકતા, દૃષ્ટાંત આલેખી વાતનો મર્મ ગઝલમાં ઘૂંટે છે. કેટલાક શેર જેમાં રામ, કૃષ્ણ, શબરી, હનુમાન, દ્રોણ, રાંદલમા, વીણાવાહિની, રાવણ, શિવ, મેલડીમાં જેવાં પાત્રોનો ગુણલક્ષી વિનિયોગ શેરમાં કર્યો છે. આ પ્રકારના શેરનું સર્જન મૂળ સંસ્કૃતિની ઓળખ સાથે જોડે છે.
- અહીંથી આ ક્ષણે જ પાછું વાળ પુષ્પકને, અમારી શબરી કાં વિમાન બહાર રહી ગઈ છે. (પૃ. ૧૩)
-રિદ્ધિના કે સિદ્ધિના પૂછો, કોના દ્રૌણ છે ? (પૃ. ૧૪)
– ઘણા તો એમ કહે, તું તો કૃષ્ણ લાગે છે, તનેય એમ થાતું હોય તો લે પરવત દે. (પૃ. ૨૭)
- ના, આટલે એ દૂર નહોતી પોરબંદરથી, તારી અગાઉ મારે પણ દ્વારિકા હતી.
(પૃ. ૨૮)
- પુરુષો આવ્યા ને એણે જનમ આપ્યો, એ પહેલાં તો આ પૃથ્વી પર રતિ ન્હોતા. (પૃ. ૩૨)
આ ઉપરાંત ‘ગોરાંદે’, ‘ધણી’, ‘સંવાદગઝલ’, ‘શબરી’, ‘રામે રામે ભરમાણાં’, ‘મેલડીમા’, ‘પાલણપીર’ જેવી ગઝલો મિથગઝલોનાં સીધાં દૃષ્ટાંત છે. કવિમિજાજ અથવા શેરિયત નિપજાવતા ઘણા શેર સંગ્રહની ઉત્તમ ઉપલબ્ધિ છે. નામ ‘સ્નેહી’ હોવા સાથે જ કહી શકીએ કે આ કવિ પ્રેમના કવિ છે ને એટલે પોતાની ઓળખ આ રીતે પણ આપે છે,
‘સૌરાષ્ટ્રમાં પૂર્વે પણ એક સ્નેહી થઈ ગયા,
તલવાર એને ફળિયે વિસ્થાપિતા હતી.’ (પૃ. ૨૮)
પૂર્વે કોઈ સ્નેહી હોવાનો સંદર્ભ કોઈ રાજાના અર્થમાં હોઈ શકે. જે પ્રેમ માટે જ જીવ્યો હોય, પ્રેમ માટે એણે તલવાર હેઠી મૂકી હોય. એવા રાજવી કવિમાં ‘કલાપી’ જ યાદ આવે. ‘પૂર્વે પણ એક સ્નેહી’ના સંદર્ભમાં કવિ પોતાની પણ વાત કરી નાખે છે. આત્મકથનના એકબે અસરકારક શેર કે જેમાં ‘પ્રેમ’ જ સર્વેનું સમાધાન છે.
-અમે દુર્જનની સાથે પણ કદી ન આચરી હિંસા,
અમારો જન્મ સહુ અવતારની સામેની બાજુ છે. (પૃ.૧૫)
-બધા માટે સ્નેહીએ મીંચી છે આંખો, તમે આવો તો હું હજી તાળવે છું. (પૃ. ૩૦)
- ભાઈ સ્નેહી! ખોલ અથવા કર હરાજી, બંધ છે વરસોથી અંતરની દુકાનો. (પૃ. ૬૧)
સાદગી, સરળતા, ખુમારી, વિનમ્રતા કવિઅંતરની પ્રતીતિ કરાવે છે. એક તરફ કવિ ખુમારીપૂર્વક કહે છે ‘મારી સામે કોણ છે, મારા માટે ગૌણ છે.’ (પૃ. ૧૪) તો બીજી તરફ કોઈ પણ મહત્ત્વાકાંક્ષાને વશ ન વર્તીને વાસ્તવિકતાનો સ્વીકાર કરતા, જાતભરોસો ભાવ વ્યક્ત કરે છે,
‘નીચે છું’ - નો રંજ નથી કંઈ, સાથે થોડી જાય નિસરણી ? (પૃ. ૩૧)
આ સિવાય ભાવમાધુર્ય, વક્રતા, ધ્વન્યાર્થ સિદ્ધ કરતા એકબે શેર જુઓ—
-હથોડીબાજના નિશાન બહાર રહી ગઈ છે,
અમારી ચાવી તો દુકાન બહાર રહી ગઈ છે. (પૃ. ૧૩)
-ઘણા અંગત ચહેરા પણ હવે જોવા નથી ગમતા,
બહુ ચોખ્ખું બતાવે છે, મને ચશ્માં નથી ગમતાં. (પૃ. ૫૯)
પ્રસ્તુત સંગ્રહની જુદી તરી આવતી રચનાઓમાં ‘વાવાઝોડાં દીધાં’, ‘સંતો મહંતો આવશે’, ‘દ્વાદશી ગઝલ’, ‘રેલગાડી જાય છે’, ‘ચૂલ’, ‘બે પ્રશ્નોદ્ગાર ગઝલ’, ‘ચૉક- ડસ્ટરની દુકાનો’, ‘સાહેબ’, ‘ત્રણ જીવ કાવ્યો ગઝલ’. ‘તું સો વરસનો થાજે’ — ઈત્યાદિ નોંધપાત્ર છે. ગઝલની કથનરીતિમાં પોતાના સર્જનને પણ કવિ આવરી લે છે. જેમ કે,
સ્નેહી જીવે સતાવન, અથવા જીવે સત્તાણું,
એની ગઝલના મક્તા, તું સો વરસનો થાજે. (પૃ. ૨૫)
‘સ્વભાવની સરળતા’, ‘ખેતરભણીના રસ્તા’, ‘આંખોના હે ફિરસ્તા’, ‘આવ્યો છે યાદ કરતા’, ‘એની ગઝલના મક્તા’-આમાં તો કવિનું જીવન જ આવી ગયું. ‘વાવાઝોડાં દીધાં’ ગઝલ તળપદી વાણીમાં ખેતર માટેની પીડા આલેખાઈ છે. ગઝલમાં ‘ચકલીપેટાં’, ‘વરસાદનાં ઓડાં’, ‘થાકોડા’, ‘ભળતીભેણી’, ‘ભાઠોડા’, ‘મીઢામારગ’, ‘મોલાત્યુ’, ‘પિંડી’, ‘રૂના પૂમડાં જેવી ગાયો’, ‘ભાંભોડા’- જેવા સામાસિક, આલંકારિક શબ્દપ્રયોગો ગઝલનું સૌંદર્ય છે. ભાવની દૃષ્ટિએ પણ પ્રત્યેક શેર ગહન છે. થાકોડા, ભાઠોડા, ભાંભોડા, જોડા... જેવા કાફિયા પીડા, થાકને પ્રતીકાત્મક અર્થ નિપજાવે છે. ખેતર જ જેનું જીવન હોય, વરસાદ પર જ નભવાનું હોય, ચકલીના પેટ જેવા ખેતર હોય, જેના જીવનના મારગ મીઢા હોય, પગની પિંડી પણ ખાઈ જાય એવા જોડા હોય, સપનાં પણ સુખથી જોવા ન મળે... એવા મનુષ્યની પીડાની આ ગઝલ છે. ‘પાલણપીર’ ગઝલના પ્રત્યેક શેરમાં રામ, શબરી, બાવનવીર, મીર, પાલણપીરના પુરાકલ્પન વડે અર્થ સિદ્ધ કર્યો છે. ‘જલેચાનલે છું’ ગઝલમાં જલેચાનલે એટલે ‘જળવાયુ છું’. પંચતત્ત્વથી બનેલો મનુષ્ય પોતાના ખભે ખુમારીપૂર્વક જીવવાની વાત આ રીતે માંડે. મત્લા જુઓ -
‘નથી મેં કહ્યું હું જલેચાનલે છું, ખબર એટલી છે હું મારા ખભે છું.’ (પૃ. ૩૦)
‘સંતો મહંતો આવશે’ - ગઝલની ભાષારીતિ એવી છે જેમાં પ્રત્યેક શેરનો સાની મિસરા પછીના શેરનો ઉલા મિસરા બને છે. આ ગઝલપ્રયુક્તિ પણ હોઈ શકે.
‘આવશે, સંતો મહંતો આવશે, કોઈના હિસ્સામાં ખર્ચો આવશે !
કોઈના હિસ્સામાં ખર્ચો આવશે, કોઈની લારીમાં ધંધો આવશે.’ (પૃ. ૪૧)
અહીં અર્થ કરતાં ભાષારીતિની મઝા છે. ‘મેલડીમા’ ગઝલ આપણી પરંપરિત કવિતા અને શ્રદ્ધાભાવના પાસે લઈ જતી રચના છે. આપણી તળની સંસ્કૃતિમાં મેલડીમા પર અતૂટ શ્રદ્ધા રાખનાર બહુ મોટો વર્ગ છે. આ અનુભૂતિની ગઝલ હોઈ શકે,
‘વેણ, વાચા ને વધાવે આવ વ્હેલી, હું ત્વચાબાજોઠ ઢાળું મેલડીમા.’ (પૃ. ૪૨)
ટૂંકી બહેરની ગઝલમાં ‘ચૂલ’, ‘એટલું આપ’, ‘પાલણપીર’, ‘ઘમંડ છે’, ‘ભરમાણાં’ વગેરે નોંધપાત્ર છે. ‘બે પ્રશ્નોદ્ગાર’ ગઝલમાં એક જ શેરને જુદાં જુદાં વિરામચિહ્નો વડે તેના આંતરિક ભાવને ભાષાના કાકુઓથી વ્યક્ત કર્યો છે જેમ કે,
‘ચાહવાના શોખવાળા માણસો ભેગા થયા !
ક્યાં જવાના શોખવાળા માણસો ભેગા થયા?’ (પૃ. ૫૬)
આ એક જ શેરને અનેક અર્થસંદર્ભમાં કવિએ મૂક્યો છે. આ ગઝલની મઝા તેના પઠનમાં છે. ‘સાહેબ’ જેવી અલાયદી ગઝલ બાળહૃદયના ઉદ્ગારની કવિતા છે, ‘થોડું મમ્મી જેવું તો ફીલ આપો, સાહેબ !, કલાસમાં આવો ત્યારે સ્માઇલ, આપો સાહેબ’ (પૃ. ૬૦), ‘ત્રણ જીવકાવ્યો’ જેમાં ‘મંકોડો’, ‘અળસિયું’ અને ‘કીડી’ ગઝલસંગ્રહની વિશિષ્ટ રચનાઓ છે. ‘મંકોડો’ ગઝલમાં આધુનિક માણસનું ચિત્ર જોવા મળે છે -
‘ખાઈ હોટલની જાર, મંકોડો, જીવતો બેશુમાર મંકોડો.’ (પૃ. ૬૨)
પણ બીજા શેરમાં પુરુષનો જડ સ્વભાવ આમ વ્યક્ત થયો છે,
‘ડોક તૂટે છતાંય છોડે ના, હાથ આવ્યો શિકાર, મંકોડો.’ (પૃ. ૬૨)
ત્રીજા શેરમાં માણસની સત્તાવૃત્તિ, ચોથા શેરમાં ખૂંખાર માણસનું ચિત્ર, અને અંતિમ શેરમાં આંકડાના સંદર્ભથી ગૂઢ વાત આલેખાઈ છે.
‘અન્નદાતા મટી બની ગયો છે, આઠ-અ, ૭-૧૨, મંકોડો.’ (પૃ. ૬૨)
‘અળસિયું’ – જુદાં જુદાં ભાવપ્રતીકોથી માણસવૃત્તિની ગઝલ રૂપે જોઈ શકાય. જેમ કે માણસની ગોથું મારવાની ટેવ, અંદર-બહાર જુદું દેખાડવાની વૃત્તિ, મૃત્યુનું એંધાણ, અહમૂવૃત્તિ વગેરે. ગઝલનો સૌથી માર્મિક શેર જુઓ :
‘રોજ હું કૅલેન્ડરનું પાનું ફાડું છું, રોજ વધારે ઓરું આવે અળસિયું’ (પૃ. ૬૩)
‘કીડી’ ગઝલ નારીનાં વિવિધ રૂપ, મનોભાવ, ગુણ, વૃત્તિ, શક્તિસંદર્ભની વ્યંજનારચના છે. ગઝલના મત્લામાં સાપનો પ્રતીકાત્મક પ્રયોગ કર્યો છે. બીજા શેરમાં અન્યથી છેતરાતી નારી, શેરમાં સૌંદર્યની સાથે સાહસ રાખવાની વાત, ચોથા શેરમાં વાસનાયુક્ત પુરુષોથી સાવચેત રહેવાની વાત, પાંચમા શેરમાં નારીની કદરદાનીની વાત, છઠ્ઠા શેરમાં રિદ્ધિસિદ્ધિની દાત્રી, અંતિમ શેરમાં નારીની આત્મનિર્ભરતાની વાત કવિએ પ્રતીકાત્મક રીતે ઘૂંટી છે. આ ગઝલનો એક અસરકારક શેર જુઓ-
રાખ મેકઅપનું બૉક્સ, વાંધો નહીં, ક્યાંક ક્યાંક રાખજે ખપ્પર કીડી.(પૃ.૬૪)
ત્રણે જીવકાવ્ય ‘ગુજરાતી ગઝલ’ની અસરકારક છબિરૂપ છે. ભાવસૌંદર્યની સાથે ભાષાભિવ્યક્તિ ગઝલના સૌંદર્યમાં વધારો કરનાર પરિબળ છે. ગઝલના બંધારણના રદીફ, કાફિયામાં નવીનતા, કથનરીતિ, તળપદ ભાષા, સામાસિક, આલંકારિક શબ્દપ્રયુક્તિઓ, વિરામચિહ્નોનો વિનિયોગ વગેરે ગઝલની વિશેષતારૂપ છે. પૌરાણિક સંદર્ભોથી આજના માનવીને જીવનમૂલ્ય તરફ અભિમુખ કરવું, જીવનનું સત્ય દર્શાવવું, તત્ત્વચિંતન કરવું, સમાજની સામે પોતાની વાત મૂકવી વગેરે ભાવ, વિચારની રીતે તો કવિ ગઝલમાં વાત માંડે જ છે. તળપદ શબ્દપ્રયોગોમાં ‘રેઢું’, ‘આપદા’, ‘ફેણા’, ‘આંગળિયું’, ‘માંછલિયું’, ‘ઝાંપાલિયું’, ‘તાસળિયું’, ‘ગોરાંદે’, ‘પાતળિયું’, ‘વાંસળિયું’, ‘ભરમાણા’, ‘ભરાણી’, ‘મોલાત્યુ’, ‘શિયળ’, ‘કાંપી’, ‘વદાડે’, ‘ઓડા’, ‘ભાંભોડા’, ‘થાકોડા’, ‘ભાઠોડા’, ‘ભળતીભેણી’, ‘પીંડી’, ‘સહિયારી’ વગેરે કાઠિયાવાડની ભૂમિમાંથી નીપજેલા શબ્દો છે. ક્યાંક હિન્દી શબ્દો છે, જેવા કે સિનાજોરી, ઇન્સાન, બિસ્તર, હિન્દુસ્તાન, દુઆ, દૂજા, ફિરસ્તા, બેરંગ, તસબી, દાયરો, હેરત, હરકત, દરગા, જાગતે રહો, બેશુમાર વગેરે. પૌરાણિક અને સામાસિક શબ્દ જેવા કે, ‘મોક્ષમંજીરા’, ‘તેત્રીશકોટિ’, ‘વીણાવાદિની’, ‘શિખંડી’, ‘યજ્ઞ’, ‘મહાકાવ્યો’, રિદ્ધિ-સિદ્ધિ, ભીલડી, પૃથ્વી, નરક, સ્વર્ગ, મુંડમાળ, ગ્રીવા, જતિ, મૂર્છા, ગ્લાનિ, રામ, શબરી, દ્વારિકા, દ્રૌણ, કૃષ્ણ, રાંદલમા, સરયૂકાંઠે, અન્નપૂર્ણા, રતિ, સતિ, પાલણપીર, સમાધિ જેવા પ્રયોગો ગઝલની વિશેષતા છે. અંગ્રેજી ભાષાની શબ્દ પ્રયુક્તિ ક્યાંક ક્યાંક ‘નેગેટિવ’, ‘સ્માઇલ’, ‘બ્યૂટીપાર્લર’, ‘શિફટ’, ‘પિનડ્રોપ’, ‘સાઇલન્સ’ ખૂબ ઓછા જોવા મળે છે. આ પ્રકારના શબ્દપ્રયોગો કવિની ભાષા પ્રત્યેની રુચિ, સમજ અને વિદ્વત્તા દર્શાવ છે. દીર્ઘ અને લઘુ એમ બન્ને પ્રકારના રદીફો કવિએ વણી લીધા છે. દીર્ઘ રદીફમાં તને મેં ફૂલ આપ્યું છે’, ‘મને ચશ્માં નથી ગમતાં’, ‘એના ઘરનું જળ અગરાજ’, ‘તું સો વરસનો થાજે!’ મળે છે. જ્યારે લઘુ રદીફમાં ‘મંકોડો’, ‘કીડી’, ‘અળસિયું’, ‘મેલડીમા’, ‘પણી’, ‘ગોરાંદે’, ‘દુકાનો’, ઇત્યાદિ પાત્રલક્ષી રદીફો છે. ભાવકલ્પન પ્રતીકના પ્રયોગો રૂપે ‘સિંહણ ટોળું’, ‘કાગળના દાણા’, ‘દિશાખાઉ પરીઓ’, ‘ચામડિયા ચશ્મા’, ‘રૂના પૂમડા જેવી ગાયો’, ‘મીંઢા મારગ’, ‘વરસાદના ઓડા’, ‘ચકલીપેટા ખેતર’, ‘દીવાદાંડી’, ‘મૂષકનગતિ’, ‘ખગાતિ’, ‘ષડરિયુ’, ‘અમરફળ’, ‘વીસન્હોરી’ વગેરે. કેટલાક નવીન કાફિયા ગઝલમાં આકર્ષણ ઊભું કરે છે. જેમ કે વાવાઝોડા/ઓડા/થાકોડા/ભાઠોડા/જોડા/ભાંભોડા, (પૃ.૨૬) જલેચાનલે/ખભે/કશે/માળવે/પરે/બેપાંદડે/તાળવે (પૃ.૩૦) ચૂલ/કબૂલ/ઊલ/ફૂલ/ઉસૂલ/ મૂલ (પૃ.૪૪) લગતી/ઝગતી/ફગતી/શગતી/ચગતી/પગતી/પગતી/ખગતિ/બગતિ/મૂષકગતિ/ ગતિ/ભગતી/અગતિ (પૃ.૪૭) પરચો/તડકો/સંચો/જન્મો/ગરબો/રસ્તો (પૃ.૫૦) ઝાકળવેડા/ પહેલાં/પારેવા/થેલા/મેલા (પૃ.૫૧) વગેરે. આમ, મોહક અર્થસૌંદર્ય અને તાજગીપૂર્વકની બેશુમાર અભિવ્યક્તિ કવિની ઊંડી ગઝલપ્રીતિ અને સમજ દર્શાવે છે. સંગ્રહની અન્ય રચનાઓ પણ એટલી જ વિશિષ્ટ છે એ વિશે હવે પછીના લેખમાં આલેખન કર્યું છે. નવીન અને વિલક્ષણ ગઝલ સર્જવા બદલ કવિને ખૂબ ખૂબ અભિનંદન.
સંદર્ભ ૧. ‘ઊડતું ભાળ્યું અંધારું’ - સ્નેહી પરમાર (પ્રકાશનવર્ષ - ૨૦૨૦)
(પૃ. ૯૫-૧૦૫, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૨૩)