પરમ સમીપે/૯૭

૯૭

અમારી પ્રાર્થના એટલા માટે નથી કે,
અમે જે માગીએ તે તમારી પાસેથી મળે,
અમારી પ્રાર્થના તો તમારા ભણી
અમારાં હૃદયને ખુલ્લાં કરવા માટે છે,
જેથી અમારી દ્વારા
તમારે જે કરવું હોય તે કરી શકો.
અમારે જે જોઈએ છે તે કેવી રીતે પામવું — તે નહિ
પણ તમે જે ઇચ્છો, તેનો કેમ સ્વીકાર કરવો,
તમારી મરજી અમને અનુકૂળ ઇચ્છવી — તે નહિ
પણ અમારું મન અને અમારાં વલણો બદલવાં,
એ પ્રાર્થનાનું લક્ષ્ય છે.
સાચી ને સફળ પ્રાર્થના એટલે
ઇચ્છેલું પરિણામ નહિ,
પણ પરમને પામવાની ઊંડી અભીપ્સા
પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ
પોતાની પકડ છોડી દેવાની, બધું જતું કરવાની
ભગવાન જે કરે તે કરવા દેવાની તૈયારી;
પ્રાર્થના એટલે
પરમ પિતા સમીપમાં છે એમ અનુભવવું
અને તે પ્રમાણે જીવવું.