બરફનાં પંખી/કાવ્યેતર

કાવ્યેતર

આ સંગ્રહને ‘કદાચ’નો અનુગામી સંગ્રહ ગણવો. અહીં ૧૯૬૯થી ૧૯૮૦ સુધીના સમયગાળામાં લખાયેલી રચનાઓ સંગ્રહિત કરી છે. અહીં મૂકેલી રચનાઓ ‘કૃતિ’, ‘રે’, ‘સંસ્કૃતિ’, ‘સમર્પણ’, ‘નિરીક્ષક’, ‘કવિતા’, ‘નવનીત’ અને ‘જનશક્તિ’માં પ્રગટ થઈ ચૂકેલી છે. આ ક્ષણે એ સર્વ સામયિકોના સંપાદકોનો હું આભારી છું. કાવ્યસર્જન એ એકલપેટી રમત છે. આ રમત રમવામાં રસ પડે છે એથી વિશેષ મારે કશું કહેવાનું નથી. ૧૯૬૨થી શરૂ થયેલી મારી કાવ્યપ્રવૃત્તિના પ્રારંભિક કાળમાં મુ. નિરંજન ભગત, યશવંત શુકલ અને મકરંદ દવેએ મારી રચનાઓામાં અપાર રસ લઈને મને સતત હૂંફ આપી હતી. આ ક્ષણે ત્રણેય મુરબ્બી મિત્રોનો હું ઋણી છું. આ સંગ્રહને ઉત્સાહ અને કાળજીથી તૈયાર કરવા બદલ એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. ના શ્રી. અરવિંદભાઈ પંડ્યા અને બચુભાઈ ઠક્કરનો હું આભારી છું.

અનિલ જોશી
મુંબઈ
મે ૨૮, ૧૯૮૧