ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મંકણક ઋષિની કથા


મંકણક ઋષિની કથા

એક દિવસ મંડણક ઋષિનો હાથ કુશ ઘાસના આગલા ભાગથી છેદાઈ ગયો અને એમના હાથમાંથી લોહી ટપકવાને બદલે શાકનો રસ ટપકવા લાગ્યો. આ જોઈને તે ઋષિ ઉન્મત્ત બનીને નાચવા લાગ્યા. એને કારણે સ્થાવર જંગમ જગત પણ નાચવા લાગ્યું. બ્રહ્મા વગેરે દેવતાઓ અને ઋષિઓ મહાદેવ પાસે જઈને કહેવા લાગ્યા, ‘ભગવાન, એવું કશું કરો કે આ મુનિ નાચે નહીં.’

એટલે મહાદેવે મંકણક પાસે જઈને જોયું તો મુનિ આનંદમાં આવી જઈને નાચતા હતા. ત્યારે દેવતાઓના કલ્યાણ માટે મહાદેવે કહ્યું, ‘હે ધર્મજ્ઞ બ્રાહ્મણ, તમે શા માટે નાચો છો? તમારી આટલી બધી પ્રસન્નતાનું કારણ કયું છે? તમે તો ધર્મજ્ઞ તપસ્વીઓમાં અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છો.’

‘હે દેવાધિદેવ, મારા હાથમાંથી શાકરસ ઝરી રહ્યો છે તે તમે નથી જોતા? એને જોઈને જ હું ખુશ ખુશ થઈને નાચી રહ્યો છું.’

ઋષિની વાત સાંભળીને મહાદેવે હસતાં હસતાં કહ્યું, ‘અમને તો કશી નવાઈ લાગતી નથી. લો, તમે આ જુઓ.’

ઋષિને એમ કહીને મહાદેવે પોતાની આંગળીના આગલા ભાગથી અંગૂઠાને ચીર્યો. તેમાંથી બરફ જેવી ભસ્મ નીકળવા લાગી. આ જોઈને મંકણક શરમાઈ જઈને મહાદેવના પગે પડ્યા.


(શલ્યપર્વ, ૩૭)