સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/રવીન્દ્રનાથ ટાગોર

૨૩. રવીન્દ્રનાથ ટાગોર

૧. રવીન્દ્રનાથ અને આપણે

ગંગાને કાંઠે બેઠેલો માણસ ગંગાનો પ્રવાહ જુએ અને મનમાં સમજે કે ક્યાંક હિમાલય હોવો જ જોઈએ, રવીન્દ્રનાથ એમ મારે મન હતા. અને તેથી આજે એ નથી ત્યારે પણ એમની કાવ્યગંગાને કાંઠે બેઠો બેઠો કેમે મનને સમજાવી શકતો નથી કે એ નથી. વેદના કવિએ ભારે ખુમારીથી ગાયું છે : देवस्य पश्य काव्यम् न ममार न जीर्यति । – દેવનું કાવ્ય તો જો! નથી મરતું, નથી જીર્ણ થતું. દેવના એ કાવ્ય ઉપર જે કવિતા ભાષ્યરૂપ હોય છે તે પણ મરતી નથી. એનો ગાનારો પણ પોતાના આયુષ્યના સારભાગ સમી એ કવિતાકૃતિનાં અ-મૃતતત્ત્વથી અમરતાને પામે છે. રવીન્દ્રનાથ એમની કવિતા વડે અમરતાને પામ્યા છે. પણ આપણી દૃષ્ટિ સામાન્ય રીતે એમની કવિતા તરફ વળતી નથી, એમની કવિતાએ કમાઈ આપેલી એમની કીર્તિ તરફ વળે છે. મધ્યકાલીન ઉપમા વાપરું તો આપણે દાસીમાં જ મોહી ગયા હોઈએ એવું લાગે છે, એ દાસી જેની પરિચાયિકા છે તે રાણી તરફ તો આપણું ધ્યાન જ જતું નથી. હું રવીન્દ્રનાથ વિશે ભાષણો સાંભળું છું ને છાપાંમાં વાંચું છું. બધામાં એક જ વાત જોઉં છું કે રવીન્દ્રનાથની કવિતાએ કવિને અને સાથોસાથ કવિની જન્મભૂમિને આપેલી કીર્તિની જ સૌને પડી ન હોય. બધા જ જાણે કે એક વાત ગાઈ રહ્યા છે કે રવીન્દ્રનાથે અમારા દેશનું નામ દુનિયામાં ગાજતું કર્યું, રવીન્દ્રનાથે અમારી એક સચેત પ્રજા તરીકે ગણના કરાવી, આ દીનહીન દેશમાં પણ મહાન પુરુષો સંભવી શકે છે એ શક્યતા તરફ જગતની આંખ ઉઘાડી. જ્યારે કોઈ પણ પ્રજાનો આત્મપાત થયો હોય છે ત્યારે એનો વીરપૂજાનો વિભૂતિપૂજાનો – વિધિ તે આત્મપૂજાનો જ વિધિ બની જાય છે. આપણે નૈવેદ્ય દેવને જરીક બતાવીને પછી પોતે જ આરોગી જઈએ છીએ એના જેવું જ કંઈક. અંગ્રેજ પ્રજાએ શેક્સપિયરનું, ખાસ કરીને આ દેશમાં, શું કર્યું છે તે તરફ જરીક નજર કરવા જેવી છે. પરદેશી ભાષાના માધ્યમ દ્વારા કેળવણી આપવી એ પતિત પ્રજાને ચાલુ ગુલામીમાં રાખવાનો પ્રકાર આપણો સાંસ્કૃતિક તેજોવધ કરવા માટે પૂરતો કાર્યક્ષમ હતો; પણ એને સફળતાથી યોજવામાં શેક્સપિયર જેવા પાસે પણ ઠીક કામ લેવામાં આવ્યું. પરદેશી અને દેશી પ્રોફેસરોએ આપણા ચિદાકાશમાં એ એક શબ્દ ભરી મૂક્યો : શેક્સપિયર! શેક્સપિયર! આપણી ઠીંગરાઈ ગયેલી બુદ્ધિનો તેજોવધ કરવાનો જ એ એક પ્રકાર, આપણી ઉપર વર્ચસ્‌ સ્થાપવાનો એક સૂક્ષ્મ – અને તેથી વધારે ભયંકર – પ્રકાર. અહીં શેક્સપિયરની પાસેથી એના જાતભાઈઓએ સિવિલ સર્વિસના એક માણસનું જ કામ લીધું. અને આ સિવિલિયનને તો ન પગાર, ન પેન્શન. એ તો પછી કૉલેજમાંથી છૂટીને કોક વાર માંદગીની ફરજિયાત વૅકેશન તમને મળે અને ત્યાં સુધીમાં શેક્સપિયર તમે ગુજરીમાં વેચી ચૂક્યા ન હો ને હાથે ચડી જાય અને જરી એની ઓળખાણ કરવા તમે લલચાઓ ત્યારે તમને એની અપૂર્વ મહાન પ્રતિભાનો સ્પર્શ થવાનો હોય તો થાય. ત્યાં સુધી તો ભણતર-ગાળામાં તમારે માથે મારેલો એ એક હાઉ જ રહેવાનો. આપણે આપણા કવિને પણ બહારની દુનિયાને માથે મારવા ઇચ્છીએ છીએ? તો તો આપણે આપણા કવિને બદલે આપણે એની ઉપર લાદેલી આપણી પોતાની વિકૃતિને જ અર્ઘ્ય આપી રહ્યા છીએ. કવિએ આપણી સંસ્કૃતિના એક પ્રતિનિધિ તરીકે કામ કર્યું હતું, જગતના દરબારમાં આપણા દેશના એક વગર પગારના એલચી હતા, માટે આપણે એમને માન આપવું છે? તો તો એ મુખ ફેરવી લેશે. નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે તે મળવામાં જે મિત્ર મુખ્યત્વે કારણભૂત હતા તે રોધેન્સ્ટીનને કવિએ જે પત્ર લખેલો તેમાં અકળાઈને એક વાક્ય લખ્યું હતું : They honour the honour in me and not myself. – મારા દેશભાઈઓ મારી જે માનપાત્રતા છે તેને માન આપે છે, મને નહિ. કવિ જો અત્યારે પણ આપણને જોતા-સાંભળતા હોય તો એમને ફરી એ જ ઉદ્‌ગાર કાઢવાવારો ન આવે એ આપણે જોવું જોઈએ. એ આપણી સંસ્કૃતિના પ્રતિનિધિ હતા, શિક્ષણકાર હતા, ચિંતક હતા, દેશહિતૈષી હતા એ બધું ખરું, પણ પ્રધાન વસ્તુ તો એ છે કે એ કવિ હતા. અને હવે પછી એ ટકવાના હશે તો તે માત્ર કવિરૂપે. તો, એ રૂપ જ એમનું સાચું. એને આપણો અર્ઘ્ય હો.

*

રોબર્ટ બ્રીજીઝ એક કાવ્યસંગ્રહનું સંપાદન કરતા હતા. તેમાં એમને કબીર અને ટાગોરની કૃતિઓ લેવી હતી. ટાગોરના કાવ્યમાં એમણે સુધારા સૂચવ્યા. ટાગોરે કહ્યું : ભાઈ હવે તો જગતને મારી કાલીઘેલી વાણી જ સાંભળવા દો. એમાં સત્ત્વ હશે તો લોકને ગમશે. હા, વ્યાકરણની ભૂલ હોય તો જરૂર સુધારી લેજો. અંગ્રેજી કાંઈ મારી માતૃભાષા નથી. (પોતાના અંગ્રેજી માટે ટાગોર હંમેશાં સંકોચ અનુભવતા)... આમ ઉછીનાં આભૂષણોથી ઓપવા એમનું મન કદી જ તૈયાર ન હતું. આ તો નાની વાત છે; પણ, મહાન પુરુષોની મહત્તા ઘણી વાર આવા નાનકડા પ્રશ્નો સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. ટાગોરના ચારિત્ર્યનું મોટામાં મોટું લક્ષણ હોય તો તે મારે મન એમની બૌદ્ધિક પ્રામાણિકતા – intellectual honesty – છે. પોતે જેવા હતા તેવા જ દેખાવું એમાં એમણે કદી ભય અનુભવ્યો નથી. પોતાને જેવું સમજાય તેવું જ આચરવું એમાં એમણે પાછી પાની કરી નથી. પોતે દેશદાઝથી બળતા-જળતા હતા, યથાશક્તિ દેશસેવામાં સમય પણ આપતા હતા, પણ ત્યાં એમને કંઈક જુદું સમજાયું અને રાજકારણનું કીર્તિ કમાવાનું તાજું અને તૈયાર ક્ષેત્ર છોડી દઈને ‘એકલા ચલો રે’ કરતા પોતાને માર્ગે વળી ગયા. અસહકારનો પ્રથમ જુવાળ પુરજોશમાં હતો ત્યારે જગતનાં તમામ અનિષ્ટના કારણરૂપ રાષ્ટ્રવાદની સંકુચિતતામાં આપણે ક્યાં ફસાયા એવો સ્પષ્ટ પ્રશ્ન એમણે અસહકારના પ્રણેતા સામે ફેંક્યો હતો.૧[1] એ કહેવું એ તો ગાંધીજીની લોકપ્રિયતાના અનર્ગળ પ્રવાહના સામે પૂરે જવા જેવું હતું, પરદેશી રોમેં રોલાં જેવા તટસ્થ સમભાવી દૃષ્ટાઓ સિવાય એને યથાર્થ રીતે જોનારા આ દેશમાંથી કોઈ ન નીકળ્યા હોય તો તેની નવાઈ પણ શી? તેવો જ, બિહાર ધરતીકંપ વિશે જ્યારે ગાંધીજીએ એને સવર્ણોના હરિજનો પ્રત્યેના વર્તાવના વિપાકરૂપે ઓળખાવ્યો ત્યારે એમાં રહેલા કાર્યકારણસંબંધના અભાવ વિશે ધ્યાન ખેંચવાનો, કટુ ધર્મ કવિએ બજાવ્યો હતો. તે પહેલાં પૂના કરારવાળા અપવાસમાં પોતે ગાંધીજીની તહેનાતમાં જઈને ઊભા હતા, પણ ફરી ૧૯૩૩માં એકવીસ દિવસના અપવાસ ગાંધીજીએ આદર્યા ત્યારે કવિએ પોતાનો કચવાટ સ્પષ્ટપણે રજૂ કર્યો હતો. આત્મિક સહૃદયતાનો બીજો મોટો દાખલો તો એંસી વરસે એમણે પોતે કરેલા એકરારમાંથી મળી રહે છે. કવિ પહેલેથી પશ્ચિમના પ્રશંસક હતા – પૂજારી કહીએ તોયે ચાલે. ‘ગીતાંજલિ’માં કહે છે :

પશ્ચિમે આજિ ખુલિયાછિ દ્વાર,
સેથા હતે સબે આને ઉપહાર.

પશ્ચિમ – ખાસ કરીને ઇંગ્લંડ – માટેનું માન એ પેઢીના માણસોમાં શાં શાં કારણોથી જન્મ્યું હતું તે આપણને નવીનોને અત્યારે સમજાવું દુર્ઘટ છે, કેમ કે તેઓએ જે ઇંગ્લંડ જોયું ને આપણે જે જોયું તે બંનેમાં ભારે ફેર છે. એમણે જોયેલું ઇંગ્લંડ મહાનુભાવ બ્રાઈટ, કૉબ્ડન, ગ્લૅડસ્ટન આદિનું. આજે ઇંગ્લંડ જુદું જ છે; પણ એ ફરક સમજાતાં કવિએ જે અંગ્રેજને હૃદયના સિંહાસન ઉપર બેસાડ્યો હતો તેને હાથ પકડીને ત્યાંથી દૂર કરતાં આંચકો અનુભવ્યો નથી. સત્યના સેવકો દુનિયામાંથી એક વાર ખાલી હાથે – ખાલી હૈયે – વિદાય લેવાવારો આવે તો તેને માટે પણ હર્ષશોક રાખતા નથી.

*

જગતનાં માનાપમાન, ઈર્ષ્યાઓ, અલ્પતાઓ, કટુતાઓ – એ બધાંનો સારો એવો પરિચય એમને પણ થયો જ હશે. માત્ર એ બધું એ જીરવી ગયા, પોતાના સ્પર્શથી વધુ દૂષિત કરી એ બધું એમણે જગતને પાછું આપ્યું નહિ. મહાદેવે હાલાહલો પીધાં હતાં એવું જ કંઈક. મહાદેવ નીલકંઠ તરીકે ઓળખાયા કેમ કે તેમના કંઠ ઉપર એની નીલ નિશાની રહી ગઈ હતી. ટાગોરનું આપણે કાંઈ જાણતા નથી, એમણે તો કેવી મજાની સુંદર દાઢી ઉગાડી હતી! એક રીતે રવીન્દ્રનાથ ખરે જ નસીબદાર હતા. એમનું આયુષ્ય જ જુઓ. પૂરાં એંસી વરસ. ચાલીસ આગલી સદીમાં, ચાલીસ આ સદીમાં. જન્મ્યા ત્યારે બંગાળ શક્તિના ભવ્ય-સુંદર આવિષ્કારથી ચમકતું હતું : મોઢું ભરાઈ જાય એવાં નામો અને મન ભરાઈ જાય એવા મહાપુરુષો. એ સ્થિતિનો લાભ એમને મળ્યો જ છે. રાજકારાણ છોડી આશ્રમમાં જઈ ભરાયા, પણ થોડાક સમયમાં તે ફરીથી ઊગી નીકળ્યા અને બંગાળ તો શું પણ હિંદમાંયે માય નહિ એવું એમની પ્રતિભાનું વિરાટ સ્વરૂપ હતું. આ સદીમાં હિંદી પ્રજાના પુરુષાર્થનો જુવાળ પણ નજરોનજર જોવા એ ભાગ્યશાળી બન્યા. આખા સંક્રાન્તિકાળને ભરીને પોતે બેઠા છે. રવીન્દ્રનાથે અસ્ત થતા સંસ્કૃતિયુગના નાટકનું ભરતવાક્ય ગાયું અને નવીનના આરંભની નાન્દી પણ ગાઈ. ઘણા ઘણા રંગ જોયા. બ્રાઈટ જેવા વિશાળ સહાનુભૂતિભર્યા મહાપુરુષોની વાગ્ધારાનું પાન કર્યું, તો ઍમરી જેવાના ઉદ્‌ગારો પણ સાંભળ્યા; રોધેન્સ્ટીન જેવો ઉત્કટ પ્રેમભાવવાળો અંગ્રેજ મિત્ર મળ્યો, તો તે જ પ્રજામાંથી મિસ રેથબોન જેવાંને પણ છેલ્લે છેલ્લે જવાબ આપવાનો પ્રસંગ આવ્યો. કિશોરકાળમાં છૂપી મંડળીના સભ્ય બની લીધું ને વૃદ્ધાવસ્થામાં અહિંસાના આચાર્યને યરવડામાં ભેટવાનો લહાવો પણ લીધો. જહાંગીરી પુરબહારમાં જોઈ, ફકીરી પણ દિલ ભરીને માણી. એક કવિને કળાકારને, ટૂંકી શી જિંદગીમાં જગતનો આટલો બૃહદ્‌ અંશ અનુભવવિષય બને એથી વિશેષ શી ધન્યતા? દિલમાં સવાલ થાય છે કે એવું આપણામાં શું હતું કે કવિ આપણામાં મોહી ગયા હતા? દિલ્હી સુધરાઈએ કવિને માનપત્ર આપવાનો ઠરાવ ઉડાડી દીધો ત્યારે ઉર્દૂ કવિ જોશ મલીહાબાદીએ એ જ સવાલ કર્યો હતો :

*

આહ અય ટાગોર! તૂ ક્યોં હિંદમેં પયદા હુઆ?
સચ બતા, તૂ કિસ અદા-એ-મુલ્ક પર શયદા હુઆ?

– અરે ટાગોર, તમે શું જોઈને હિંદમાં પેદા થયા? અને થયા તો ભલે થયા, પણ એ તો બતાવો કે દેશની કઈ અદા પર આટલા બધા આશક થઈ ગયા? અહીં આ દેશમાં તો –

જહેલકા દરિયા હૈ ઔર નાકદ્રિયોંકી લહર હૈ,
શાયરે હિન્દોસ્તાં હોના ખુદાકા કહર હૈ.

– અજ્ઞાનની સરિતા ચાલે છે અને એની લહરો છે બેકદરદાનીની. ખરે જ હિંદના કવિ હોવું એ ખુદાનો કેર જ છે.૨[2] હવે ટાગોર જીવવાના હશે તો તે વાચકોમાં જ અને વાચકો દ્વારા. એક જ રસ્તો છે : કવિની કવિતા સમજવામાં પ્રયત્નશીલ થવાનો. કવિને એના મૃત્યુ પછી પણ પોષવાનો, અરે જિવાડવાનો, એ જ એક રાજમાર્ગ છે. આજે ટાગોર ટાગોર મટીને આપણ-રૂપ થઈ ગયા છે. ડબલ્યુ. બી. યેટ્‌સના મૃત્યુ પ્રસંગે જુવાન અંગ્રેજ કવિ ઓડને કહ્યું હતું તેમ :

He has ceased to be himself
And he has become his readers.

કવિને એની કવિતાના સમ્યગ્‌ ગ્રહણ દ્વારા જ અર્ઘ્ય આપી શકાય. એમની કવિતાની અઢળક સમૃદ્ધિ વિશે બોલતાં તો પાર ન આવે. એ વિષય છેડવાની લાલચ મેં અહીં જતી કરી છે, અને કવિતા પ્રત્યે અભિમુખ થવાની અગત્ય ઉપર ભાર મૂકીને જ સંતોષ માન્યો છે. અંગત પસંદગીના ધોરણનો કાંઈ અર્થ હોય તો કહું કે મને એમનું ‘ચિત્રાંગદા’ નાટક અને ઉદ્‌બોધન-કાવ્યો (odes) વિશેષ ગમે છે. ટાગોરની કવિતાના પ્રકાર વિશે પણ અહીં ચર્ચા કરવાનો અવકાશ નથી. એટલું જ કે જેટલાં સુંદર મુખ તેટલા સૌંદર્યના પ્રકાર, એમ જેટલા ઉત્તમ કવિ તેટલા કવિતાના પ્રકાર. ઉપનિષદ અને મહાભારત-રામાયણ, કાલિદાસ અને જયદેવ, કબીર અને બાઉલ ભજનિકો – એ બધાંના ઉદ્‌ગારોનું રહસ્ય પામવા, પહેલાં તો, એ મથ્યા; પામ્યા પછી તેને આત્મસાત્‌ કર્યું, પોતાના લોહીમાં ભેળવી દીધું. એમાંના ચિરંજીવ અંશો સૌંદર્યમંડિત બની સર્વગમ્ય એવા રૂપમાં રજૂ થયા, એ એમની શક્તિની લાક્ષણિકતા છે. એને કારણે પશ્ચિમના લોકો પણ એમની કવિતા પૂર્વ-સંસ્કૃતિના દોહનરૂપ હોવા છતાં સમજવા શક્તિમાન થયા. અને પશ્ચિમને બહુ રુચી ગઈ તે કવિતા તો એમની સમગ્ર રચનાનો એકદેશ છે. સમગ્રનો આસ્વાદ લેવા માટે તો મૂળ બંગાળી તરફ જ આપણે નજર કરવી જોઈએ. રવીન્દ્રનાથની કાવ્યરચના એ તો એક મહાન સાગર છે. એમાંથી, જે વાચકો ઉપર કવિને જીવતા રાખવાની જવાબદારી નાખવા અહીં પ્રયત્ન કર્યો છે, તેમને પોતાની રસયાત્રામાં પ્રેરણા આપે એવી એક કણિકા માત્ર ઉપાડું છું. ‘કણિકા’ સંગ્રહમાં કવિ ‘કર્તવ્યગ્રહણ’ કરીને એક મુક્તકમાં કહે છે :

‘કે લોઈબે મોર કાર્ય’ ? – કહે સન્ધ્યારવિ,
શુનિયા જગત રહે નિરુત્તરછવિ.
માટિર પ્રદીપ છિલો, સે કહિલો ‘સ્વામી,
આમાર જેટુકુ સાધ્ય કોરિબો તા આમિ.’

‘ઉપાડી કોણ આ લેશે કાર્ય મારું?’ – પૂછે રવિ
સંધ્યા ટાણે. સુણી પ્રશ્ન, રહે જગ નિરુત્તર.
માટીનો દીવડો નાનો હતો, તેણે કહ્યું, ‘પ્રભો!
મારાથી જે હશે સાધ્ય તે સૌ કરી ચૂકીશ હું.’]

આપણે મનુષ્યો નાનકડા દીવાથી પણ ગયા એમ ન કહેવાઓ!

ઓગસ્ટ, ૧૯૪૧
(શોકસભામાં આપેલી અંજલિ ઉપરથી)


૨. એકલ આનંદયાત્રી

અર્વાચીન ભારતના ઇતિહાસમાં શ્રી રવીન્દ્રનાથ એક મહાન ઘટના છે. દુનિયાની દૃષ્ટિએ – અને સાચેસાચ – આપણે એક પડેલી નિઃસત્ત્વ પ્રજા હતા, યાંત્રિક સભ્યતામાં આગળ વધેલા પશ્ચિમના દેશો માટે આપણે તૈયાર માલ ખપાવવા માટેનું માનવજંતુઓથી તરવરતું એક ગંજાવર બજાર માત્ર હતા, ત્યારે આ દેશનો એક સપૂત એવો પાક્યો, જેણે દુનિયાને હિંદ તરફ માનની આંખે જોતી કરી મૂકી. યુરોપીય સભ્યતા પોતાના અંતર્ગત વિરોધોની આંટીઓમાં ફસાતી આવતી હતી, ત્યાં આ પ્રાચીન ભૂમિના એક સરસ્વતીપુત્રની પરમ આશ્વાસક વાણી એના કાને પડી. પ્રથમ મહાયુદ્ધ ફાટી નીકળ્યાના સમાચાર મળતાં જ ફ્રેન્ચ રાજપુરુષ પોંકારેએ ટાગોરની કવિતાની ચોપડી વાંચવા માગી હતી એ હકીકત કેટલી બધી સૂચક છે! યંત્રથી સિદ્ધ થયેલી સુખ-સમૃદ્ધિના ઓથારમાંથી યુરોપ આત્મનાશ માટે જાગ્યું ત્યારે એને સમજાય એવી વિશ્વપ્રેમની સંતર્પક વાણી એકમાત્ર ટાગોરની કાવ્યવીણામાંથી વહી રહી હતી. ભારત ફરીથી જાણે જગદ્‌ગુરુપદે પ્રતિષ્ઠિત થયો. ગુરુદેવે દેશને ‘વીસોં કદમ ઊંચે’ ચઢાવ્યો છે, એ વાક્યમાં ગાંધીજીએ ટાગોરના જીવનકાર્યનું મૂલ્યાંકન કરી દીધું છે. દુનિયાની દૃષ્ટિએ આપણા દેશનું માન વધ્યું એટલી જ ટાગોરની સેવા ન હતી. એમણે દેશના જીવનનો ઊર્ધ્વ વિકાસ સાધવામાં સતત ફાળો આપ્યા કર્યો. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમનો ભાગ્યે જ કોઈ એવો ભાગ હશે જે ટાગોરે ઘણાં વરસો પહેલાં ઉપદેશ્યો નહિ હોય. પ્રત્યક્ષ કાર્યમાં એમણે પોતાના ક્ષેત્રને લગતા કેટલાક અંશો આચરી પણ બતાવ્યા. પરદેશી વેશ, ટેવો અને કેળવણી પાછળ જ્યારે સહુ ગાંડા હતા તે સમયમાં તે તરફ બચપણથી જ એમણે અણગમો દાખવ્યો અને એથી દૂર જ રહ્યા. જીવનના આરંભમાં જ પરદેશી શિક્ષણપ્રણાલી સામે એમણે ઉગ્રપણે વિરોધ પ્રગટ કર્યો. (‘શિક્ષાર હેરફેર’.) પોતે પોતાની મનમાની રીતે શિક્ષણવિતરણની શાળા ખોલી પણ ખરી, અને ભારતના જીર્ણ વડલાને છાંયે દુનિયાની એક અનોખી સંસ્કૃતિપરબ એમણે માંડી. તે ઉપરાંત, દેશના જીવનની કોઈ કટોકટીનો પ્રસંગ આવ્યો છે ત્યારે તે મૌન બેસી રહ્યા નથી કે નથી કેવળ કાવ્ય-વીણાના ઝંકારમાં જ મશગૂલ રહ્યા. જલિયાનવાલાના કારમા હત્યાકાંડ વખતે એમણે ‘સર’નો ઇલકાબ અંગ્રેજ સરકારને પાછો સોંપી પોતાનો વિરોધ તીવ્રપણે અને સક્રિય રીતે નોંધાવ્યો અને પોતાનાં મૂંગાં ભાંડુઓની પડખે જઈને ઊભા રહ્યા. કોઈ વાર સ્વજનો સામે પણ વિરોધનો પ્રસંગ આવે ત્યારે એમણે ભીરુતા અનુભવી નથી. ગાંધીજીએ એમને The Great sentinel – મહાન સંત્રી તરીકે યોગ્ય રીતે જ ઓળખાવ્યા છે. આ બધી ટાગોરના વ્યક્તિત્વની સિદ્ધિ છે, કેવળ કવિત્વની નહિ. ટાગોરનું કવિત્વ પશ્ચિમે પિછાણ્યું એટલે એને યત્‌કિંચિત્‌ આસ્વાદવા આપણે પણ અલબત્ત, પ્રયત્ન કર્યો છે; પણ એમના કવિત્વને યથાર્થ રીતે આસ્વાદવાનો સમય હજી આવી રહ્યો છે. આ સંક્રાન્તિકાળમાં તો, એ કવિત્વને કેન્દ્રમાં રાખીને વિસ્તરેલું એમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જ દેશના અને જગત સમસ્તના જીવન ઉપર પોતાની મુદ્રા મૂકતું ગયું છે. ગાંધીજીની કાંઈક ઉપયોગિતાપ્રિય દૃષ્ટિ કુદરતી રીતે કવિવરની ઇતર કલાસિદ્ધિ કરતાં વ્યક્તિત્વકલા ઉપર જ ઠરે છે : મેં બહુ બહુ વિચાર કરી જોયો છે પણ ગુરુદેવમાં મને એમનું વ્યક્તિત્વ સૌથી વધુ આકર્ષક લાગ્યું છે. તેમ છતાં રવીન્દ્રનાથના વ્યક્તિત્વની આ ઇતર મુદ્રાઓ તો સમયના ફલક ઉપરથી થોડા દસકાઓમાં જ વિલીન થશે. રહેશે માત્ર એમના શબ્દદેહની અક્ષર છવિ. પણ જે વ્યક્તિત્વની મદદથી કવિ પોતાના યુગના જીવનમાં પોતા તરફથી સેવાનો ફાળો નોંધાવી શક્યા અને સર્વ યુગો માટે હૃદયતંત્રીના ચિરકાલીન સૂરો મૂકી ગયા એ ઘડવામાં એમનો પુરુષાર્થ નાનોસૂનો નહિ જ હોય. ટાગોરના વ્યક્તિત્વને સમજવા પ્રયત્ન કરતાં, પ્રથમ બે વસ્તુઓ નજરે પડે છે : એકલપણાની ભૂમિકા અને આનંદનું લક્ષ્ય. ટાગોરે જે આત્મકથાત્મક સાહિત્ય લખ્યું છે તેમાં એક વાત બહુ જ ભારપૂર્વક જણાવ્યા વગર એ રહેતા નથી. બાળપણમાં એમણે અત્યંત એકલવાયું જીવન ગુજારેલું છે. એની રોમાંચક શૈશવકથાઓ એમણે આપી છે. અનેક ભાઈભાંડુ વચ્ચે મોટા, સુખી, ભર્યાભાદર ઘરમાં, નોકરોને હાથે ઉછેરાતો એકલવાયો રવીન્દ્ર ગંગાજળની મોટી કોઠીઓની અંધારી ઓરડી પાસે, જૂની પાલખીમાં ભરાઈ બેસીને દિવાસ્વપ્નોમાં કલાકો વિતાવ્યે જતો. પાછળથી પણ રવીન્દ્રની ખીચડી તો જુદી જ ચઢતી એમ જોવા મળે છે. મોટાભાઈ હિંદી સનંદી નોકરીમાં પ્રથમ દેશી માણસ. પણ આ ભાઈ ભણવામાં આગળ આવ્યા જ નહિ. મોટા થતાં સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું અને કવિતાને જેની સાથે કોઈ જાતનો સંબંધ ન દેખાય એવી અસંખ્ય વસ્તુઓમાં રસ લીધો પણ છેવટે તો એ પ્રવૃત્તિવમળમાંથી ખસીને એમને ‘એકલા ચલો રે!’ – કરી દૂર જવાનું જ આવ્યું; દરમ્યાન એમણે શિક્ષણને એક જીવનકાર્ય તરીકે સ્વીકારી આશ્રમ-જીવન શરૂ કર્યું હતું અને તેવામાં જ વિધુર બન્યા હતા. પણ પછી એમણે શિક્ષણના ક્ષેત્રમાં પોતાની સમગ્ર શક્તિઓનો પ્રવાહ વાળ્યો. કાવ્યસર્જન તો ચાલુ હતું જ. યૌવનના મધ્યાહ્ને વિધુર થયા પછી ફરી લગ્ન કરીને એકલતા સ્થૂલ રીતે ન નિવારી એ તો ઠીક, પણ હવે પ્રૌઢ અને પક્વ થતા આવતા વિચારોના સમયમાં આસપાસના મહાજનોથી અલગ પોતાની ઉપર જ અવલંબીને ટકી રહેવાના પ્રયોગમાં પસાર થવાનું આવ્યું. અને એ યાદ રાખવાનું છે કે ટાગોરના જીવનના આરંભકાળમાં જે બંગાળના અગ્રણીઓ હતા તે સમગ્ર હિંદના અગ્રણીઓ હતા. એ બધાના તેજમાં સ્વતંત્ર પ્રતિભાપ્રભા ટકાવવી એ નાની વાત ન હતી. મહાજનોની મનઃસૃષ્ટિની શેહમાં આવ્યા વગર સ્વતંત્ર પોતાની મનઃસૃષ્ટિ રચવી અને નભાવવી એ તો એ કરી શક્યા; પણ દરેક સમાજમાં સત્તાનાં કેન્દ્રો સર કરી લેતો એક મધ્યમ કક્ષાનો, પણ સંગઠનબળવાળો, વર્ગ હોય છે તેને એ ક્ષમાશીલ મહાનુભાવ માફ કરી શક્યા હોય એમ લાગતું નથી. નોબેલ પ્રાઇઝ મળ્યાનું જાણી સ્પેશિયલ ટ્રેન કરી કલકત્તાથી અનેક ભદ્ર લોકો શાંતિનિકેતન દોડી આવ્યા ને સ્નેહ વરસાવવા લાગ્યા ત્યારે ટાગોરે એ વસ્તુથી કોઈ તૃપ્તિ અનુભવી નહિ. ઊલટું, તેઓ મને માન મળ્યું છે તે વાતને માન આપે છે એમ એમણે જોયું. કલકત્તા યુનિવર્સિટીએ માન આપ્યું ત્યારે પણ એમણે કહ્યું કે એ પ્યાલો હોઠ સુધી પોતે માન ખાતર લઈ જાય છે, પણ હરગિજ પી શકે એમ નથી! લોકો સાથે એમનો હૃદયસંબંધ વધારે મજબૂત હોવા સંભવ છે. પણ દુનિયાદારીની દૃષ્ટિએ જે વર્ગ મહત્ત્વનો ગણાય તેથી તો તે અલગ જ પડી ગયેલા. પાછળથી રાજકીય આંદોલનો જાગ્યાં તેમાં પણ અસહકારની નકારાત્મકતાએ એમને અલગ જ રાખ્યા. પણ આ કથા લંબાવવાની જરૂર નથી. દરેક મહાન વ્યક્તિના ભાગ્યમાં એકલાપણું લખાયેલું જ હોય છે. એની એકલાપણું જીરવવાની શક્તિ એ જ કદાચ એના મહત્ત્વની પારાશીશી પણ લેખી શકાય. એ એક મનુષ્યજીવનનો વસમો વિરોધાભાસ છે કે જેમ જેમ માણસ વિશ્વ સાથે તાદાત્મ્ય પામવાને માર્ગે વિકાસ સાધે તેમ તેમ એ વિશ્વથી વધુ ને વધુ વિખૂટો પડતો જાય છે, બધાંને પોતાનાં કરવા જતાં પોતે જ એકલવાયો પડી જાય છે. મહત્તા એટલે જ મિત્રરહિત દશા. પણ આ દશામાં આશ્વાસન એ વાતનું છે કે આવા મહાજનો આત્મા જ આત્માનો મિત્ર છે એવા અનુભવ ઉપર સ્થિર થયેલા હોય છે. વિશ્વ સાથે ઉપલક રીતે વિખૂટા દેખાવા જતાં વિશ્વના કેન્દ્રમાં વિરાજતા પરમ તત્ત્વ સાથે એમના હૃદયનું સંધાન થયેલું હોય છે. એટલે તેઓ વૉલ્ટર દ લા મેર પેઠે કહી શકે છે કે – હું મારી પોતાની સોબતમાં સ્વ-સ્થ સુખી છું :

Happy I am, at peace
In my own company.

ટાગોરનું બાળપણ જે એકલવાયાપણામાં વ્યતીત થયું, તેણે શાં શાં ફળ નિપજાવ્યાં એ શોધ માનસશાસ્ત્રના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે, પણ ઉત્તર યૌવનાવસ્થામાં એ એકલા પડ્યા અને એને પચાવી શક્યા એણે આપણને એક મહાન કવિ આપ્યો અને આપણા યુગની – સૌ યુગો આગળ ધરી શકાય એવી – એક મહાન વિભૂતિ આપી એમાં શંકા નહિ. ટાગોર એકલાપણું પચાવી શક્યા એનું કારણ એ કે બાહ્ય સિદ્ધિઓની પાછળ એમની દોડ હતી જ નહિ. માણસ માર ક્યાં ખાય છે? સ્પૃહા રાખતો હોય તે વાતમાં. કવિની તો અંગત લાભાલાભથી પર એવી વસ્તુ પાછળ લગની હતી. એ હતી આનંદની મૃગયા. એનું ફળ શબ્દોના લયબદ્ધ આકારો દ્વારા જગતને નિવેદિત કરવાનું હતું. કોઈક અદીઠ પુષ્પનો પરિમલ દૂરથી ખેંચી રહ્યો હતો અને કવિમધુપ તેની પાછળ એકલો ધપી રહ્યો હતો :

હું એકલો ચાલું છું આ ભવે,
મને પથનું સંધાન કોણ કહે?

ભય નથી, ભય નથી, જાઓ આપણા જ મન પ્રમાણે.
જેમ એકલો મધુપ દોડ્યો જાય કેવળ ફૂલની સૌરભે.

કવિ આનંદને લક્ષ્ય કરીને જ સારું જીવન જીવ્યા છે અને સૌરભમત્ત થઈને દોડવાને અંતે ફૂલમાંથી જે કાંઈ મધુકણ મળ્યો છે તે તેમણે જગતને જ સોંપ્યો છે. આનંદની યાત્રા એકલાએ કરી છે, પણ જે આનંદ પામ્યા તેની લૂંટ તો આખા જગત પાસે કરાવી છે. એને ભય તો કશાનો હોય નહિ. ‘आनन्दं ब्रह्मणो विद्वान्न बिभेति कथंचन.’

આ આનંદયાત્રામાં એમણે થાક જાણ્યો નથી અથવા આનંદ-આભાસથી પરિતૃપ્તિ માની નથી. એમનાં કેટલાંક ઉત્તમ સર્જનો નોબેલ પ્રાઇઝ મળ્યા પછીનાં છે દા. ત., કાવ્યસંગ્રહ ‘બલાકા’. એ એકના એક આકારો કે ભાવોની પુનરાવૃત્તિ કદી કરી શકતા નથી, નવાં રૂપો સર કરવામાં જ રાચે છે. છંદ ઉપરાંત ગાન અને છેવટછેવટના છવિ(ચિત્ર)ની સૃષ્ટિઓ રચે છે ત્યારે એમને જંપ વળે છે. આવી આનંદયાત્રા એ કેવળ તપસ્યા જ બની રહે છે, (એક સ્થૂળ દાખલો જ લઈએ : કવિનાં વાચન અભ્યાસ પ્રવાસ વગેરે જવા દઈએ પણ એમનાં લખાણો – જેને અનેક વાર સુધારવામાં એ રાચતા તેની નકલ કરતાં પણ સારા એવા મજબૂત માણસની કમર વાંકી થઈ જાય.) કવિ જગત ઉપર પોતાના નામનો કોઈ બોજ ન રહે એમ પોતે આંગણાને એક છેડે રહી આનંદની લૂંટ કરાવીને ચાલ્યા જવા વિશે કહે છે. જગતસુંદરી એ જાણે અન્યમનસ્ક ન હોય અને તે છતાં આ એકલ આનંદયાત્રી એને આંગણે આનંદની રંગોળી પૂરી જવાની વૃત્તિ બતાવે છે, સૂરની સાન્ત્વના રેલાવવા ઉત્સુકતા દાખવે છે :

વેળા જ્યારે હોય અનુકૂળ મૌન મધુર સાંજે,
નયન તારાં મગ્ન જ્યારે મ્લાન તેજ માંહે,
દઈશ તને શાંત સુરની સાન્ત્વના.
એકલો તારા વિજન પ્રાણના પ્રાંગણે
પ્રાન્તે બેસી એકમને
આંકી જઈશ મારા ગાનની અલ્પના.

ક્યારેક તો અન્યમનસ્કા પ્રિયતમા જેવી જગસુંદરીને રીઝવવાની લાલચ પણ શમી જાય છે. રહે છે કેવળ એના સ્વાભાવિક હાસ્યખેલ, ઘરને ભરી દેતી ઉલ્લાસિતા અને ઊભરાતા સુખભર બંસીસ્વરને દૂર ઊભા ઊભા માણ્યા કરવાની વૃત્તિ. પોતે એમાં રજ પણ ભાગ પડાવવો નથી, અરે એ દૂરથી જોઈ રહેવા માટે પણ ઝાઝી ક્ષણ ટકવું નથી. ઉપવાસી રહીને બે ક્ષણ એ જોયા પછી કવિના હૃદયમાંથી એટલી જ આશિષ સ્ફુરે છે કે જગતનાં ઘરઘરનાં આ હાસ્ય, આ નવા નવા ઉત્સવો ક્યારેય જરીક પણ મ્લાન થશો નહિ :

રે હો! પુરવાસી!
હું તો બારણે ઊભો છું ઉપવાસી.
જોઈ રહ્યો સુખમેળો.
ઘરે ઘરે કેવા ખેલો!
સારી વેળા સુણી રહ્યો સુમધુર બંસી.
માગું ન અખૂટ ધન,
રહીશ ન ઝાઝી ક્ષણ,
વહેતો ચાલ્યો જઈશ જ્યાંથી આવ્યો છું પ્રવાસી.
રહો આનંદે તમે,
નવા નવા ઉત્સવે,
સહેજે મ્લાન નહીં થશે ઘરભરેલી ખુશી.

આવી નિર્લિપ્ત, નિઃસ્પૃહ આનંદયાત્રાના યાત્રી હોવાથી જ કવિ કહી શક્યા છે કે જ્યારે હું વિદાય લઈશ ત્યારે કહીશ કે મેં જે અહીં જોયું છે તેનો જોટો નથી – જે પામ્યો છું, જે જોયું છે, તુલના તેની નથી.”

૧૯૪૭


૩. ધરતીની માટીના કવિ

સ્વર્ગ મારું – ધરતી માતાને ખોળે

સ્વર્ગ ક્યાં છે જાણે છે તું એ ભાઈ?
તેનું ઠામઠેકાણું નાહીં.
તેનો આરંભ નાહીં, નહીં રે એનો છેડો,
ઓરે, નહીં રે તેનો કેડો,
ઓરે, નહીં રે એની દિશા
ઓરે નહીં રે દિવસ, નહીં રે તેની નિશા.
ફર્યો છું તે સ્વર્ગે શૂન્યે શૂન્યે
ખાલી છલનાભર્યું ફાનસ,
કૈંક યુગયુગાન્તરોના પુણ્યે
જન્મ્યો છું આ જ માટી ઉપર ધૂળ માટીનો માણસ.
સ્વર્ગ આજે કૃતાર્થ મારા દેહે,
મારા પ્રેમે, મારા સ્નેહે,
મારા વ્યાકુળ હૈયે,
મારી લાજે, મારા સાજે, મારાં દુઃખેસુખે.
મારા જન્મમૃત્યુ તરંગે
નિત્યનવી રંગછટાઓ ખેલાવે એ રંગે.
મારા ગાને સ્વર્ગ આજે
કેવું ગાજે!
મારા પ્રાણે સ્થાન પામે એ એનું,
આકાશભર્યા આનંદે એથી જોઈ મને એ રહ્યું.
દિગંગનાના આંગણે એથી બજી ઊઠ્યો આજ શંખ,
સપ્ત સાગર બજવે વિજયડંક;
એથી ફૂટી રહ્યાં છે ફૂલ,
વનનાં પાને, ઝરણાં ધારે, એથી આ સૌ હલચલ.
સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે,
વાયરે એની ખબર છૂટી છે આનન્દ-કલ્લોલે.
(’બલાકા’)

રવીન્દ્રનાથ ટાગોરને ધરતીની માટીના કવિ કહીએ તો એમાં ઘણું ઔચિત્ય છે. આ ધરતીને, ધરતી ઉપરની કુદરતને અને ખાસ તો ધરતીના માનવીની જીવનલીલાને ચાહનારા એમના જેવા કવિઓ ઓછા મળશે. ઉપર એમના ‘બલાકા’ કાવ્યસંગ્રહમાંથી એક કાવ્ય મૂળના છંદને અને મૂળની વાણીને અનુસરીને આપવા પ્રયત્ન કર્યો છે. એમાં ધરતી માતાને ખોળે એ સ્વર્ગ શી રીતે જુએ છે તેનું મધુર વાણીમાં નિરૂપણ થયું છે. કવિ પૂછે છે કે સ્વર્ગ ક્યાં છે એ તમે જાણો છો? તમે તો બધે ક્યાંયના ક્યાંય તપાસ કરવા ઊતરી પડો. એટલે પછી એ પોતાનો જાતઅનુભવ જ કહેવા માંડે છે. સૂનકારમય, ‘સ્વર્ગ’ નામે ગણાતા, તે પ્રદેશમાં કાગળના રંગીન ખાલી ફાનસની જેમ પોતે ઘૂમી વળ્યા છે અને અંતે જુગજુગના પુણ્યે કરીને આ ધરતી પર ધૂળમાટીના માણસનો અવતાર પામવા પોતે ભાગ્યશાળી થયા છે એમ એ કહે છે. એ સ્વર્ગ આજે મારા આ દેહરૂપે મૂર્ત થઈને કૃતાર્થ થયું છે એવી એ ઘોષણા કરે છે. મારા પ્રેમમાં, દુઃખસુખમાં, અરે જન્મમરણમાં એને રોજ રોજ નવી નવી રંગછટાઓ ખેલાવવાની મજા પડી રહી છે. એ સ્વર્ગનું સરનામું શોધો છો? એ સ્વર્ગ તો છે મારા પ્રાણમાં. જુઓને, એથી તો આખા આકાશમાંય ન માય એવા આનંદથી એ મારી તરફ જોઈ રહ્યું છે. એથી તો દિગંગનાઓ દિવ્ય શંખ બજાવી રહી છે અને સાતે સાગર વિજયડંકા વગાડી રહ્યા છે, સુકુમાર પુષ્પો ડોકિયું કરી રહ્યાં છે અને વનસ્પતિનાં પર્ણોમાં ને ઝરણાંનાં વહેણમાં આ બધી ધાંધલ મચી રહી છે. મારું સ્વર્ગ ધરતીમાતાને ખોળે જન્મ્યું છે – અને એનીસ્તો વાત વાયુ આનંદકલ્લોલપૂર્વક દશે દિશાએ વહી રહ્યો છે. સ્વર્ગને આ ધરતીના જીવનની, માટીના માનવના જીવનની કેવી અદેખાઈ આવે એવું છે એનો ઇશારો કરતું બીજું એક નાનકડું કાવ્ય જોઈએઃ

માટીનું કોડિયું

માટીને કોડિયે દિવેટ બળે માટીના કૂબામાં ઝાંખી,
સાંજના તારા જ્યોત એ જોવા થૈને રહે તાકી.
જ્યોત એ જલે નિમેષરહિત,
પ્રિયાની વ્યાકુળ જાણે મીટ.
જ્યોત એ જાણે માના પ્રાણના ભયની પેરે ડોલે.
જ્યોત એ બુઝાય પાછી જ્વલે,
શ્યામલ ધરણી હૃદયતલે,
જ્યોત એ ચપળ વાયુથી ધ્રૂજી થથરે પળે પળે.
ઊતરી સન્ધ્યાતારાની વાણી,
આકાશમાંથી આશિષ આણી,
અમર શિખા મર્ત્યે શિખા થૈ જવલી ઊઠવા વ્યાકુળ બને.
(‘પ્રવાહિની’)

રવીન્દ્રનાથનું ‘સ્વર્ગ હઈતે વિદાય’, સ્વર્ગમાંથી વિદાય, કરીને એક લાંબું સુંદર કાવ્ય છે. क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति, પુણ્ય પૂરાં થાય એટલે જીવાત્માને પાછું મર્ત્ય લોકમાં આવવાનું હોય છે. પણ રવીન્દ્રનાથનો ‘જીવાત્મા’ તો સ્વર્ગ છોડવું પડે છે ત્યારે રડવા બેસતો નથી, ઊલટાનો આનંદમાં આવી ગયો છે. ધરતી ઉપર જે છે તેની આગળ તો આ સ્વર્ગ ફીકુંફીકું લાગે છે એને! કોઈ સાંજે નદીતીરે શિવમંદિરમાં દીવો પેટાવી ગૌરી આગળ પોતાને વર તરીકે મેળવવા પ્રાર્થના કરતી કન્યકાના દૃશ્ય આગળ એને સ્વર્ગની ફૂલફટાક થઈને ફરતી અપ્સરાઓ કાંઈ વિસાતમાં લાગતી નથી! એ કાવ્યનો નિષ્કર્ષ ઉપરના નાનકડા કાવ્યમાં કવિએ જુદી રીતે રજૂ કર્યો છે. માટીનું કોડિયું તો જરી જરીમાં ધ્રૂજે, ઘડીમાં બુઝાવાય, ઘડીમાં પેટાવાય, પણ સન્ધ્યાના તારાઓ દૂર સુદૂર આકાશમાં રહ્યા રહ્યા કેવા એને અદેખાઈપૂર્વક તાકી રહ્યા છે! પોતાની જ્યોત અમર છે છતાંય તે એ તારાઓ આ ક્ષણજીવી જ્યોત રૂપે જ્વલી ઊઠવાની વ્યાકુળતા અનુભવે છે. સ્વર્ગીય નારીનાં બે સ્વરૂપો નિરૂપતું એક કાવ્ય, મૂળ લયની નજીક રહેવા પ્રયત્ન કરીને, નીચે ઉતાર્યું છે. સ્ત્રીને કવિ એમાં બે સ્વરૂપે જુએ છે : માદક સ્વરૂપે અને શામક સ્વરૂપે, મોહક સ્વરૂપે અને તારક સ્વરૂપે. ઉર્વશી એ ઉન્માદક સ્વરૂપ છે, લક્ષ્મી એ ઉદ્ધારક સ્વરૂપ છે. બંને સમુદ્રમંથનના, જીવન-પુરુષાર્થના પરિણામે પ્રગટ થયાં છે.

બે નારી

કોણ ક્ષણે

સૃજનના સમુદ્ર-મન્થને
ઊઠી આવી દ્વય નારી
અતલનું શય્યાતલ છાંડી.
એક તે તો ઉર્વશી, સુન્દરી,
વિશ્વના કામનારાજ્યે રાણી,
સ્વર્ગની અપ્સરી,
બીજી તે તો લક્ષ્મી : કલ્યાણી,
વિશ્વજનની તે મેં જાણી,
સ્વર્ગની ઈશ્વરી.

એક જણ તપોભંગ કરી,
ઉચ્ચહાસ્ય-અગ્નિરસે ફાલ્ગુનનું સુરાપાત્ર ભરી,
લઈ જાય પ્રાણ-મન હરી,
બે હાથે છાંટી રહે એને વસન્તના પુષ્પિત પ્રલાપે,
રાગરક્ત કિંશુકે ગુલાબે,
નિદ્રાહીન યૌવનના ગાને.
બીજી નારી પાછો તેને આણે
અશ્રુના શિશિર-સ્નાને
સ્નિગ્ધ વાસનામાં
હેમન્તની હેમકાન્ત સફલ શાતિની પૂર્ણતામાં.
લાવે તેને ફરી
અચંચલ લાવણ્યની સ્મિત હાસ્ય સુધાથી મધુર
નિખિલના આશીર્વાદ પ્રતિ.
પાછો તેને લાવે ધીરે
જીવન-મૃત્યુ કેરા
પવિત્ર-સંગમતીર્થ-તીરે
અનન્તના અર્ચના મંદિરે.
(‘બલાકા’)

કવિની નજર વિષમતાઓની પાર કોઈ એકતાના સંપર્કમાં રમતી હોઈ, સર્વત્ર એ વારંવાર આનંદના તરંગો ઊઠતા અનુભવે છે

રહી રહી આનંદ તરંગ જાગે,
રહી રહી પ્રભુ, તવ પરશ-માધુરી
હૃદયમાંહીં આવી લાગે.
રહી રહી સુણું તવ ચરણપાત હે
મમ માર્ગે આગે આગે.
રહી રહી મમ મન-ગગન રંગાય
તવ પ્રસાદ રવિ-રાગે.

૩૦ જુલાઈ, ૧૯૫૩

પાદટીપ

  1. ૧ કવિ પોતાના કરતાં જુદી જ જાતની પ્રતિભાવાળા હોવા છતાં ગાંધીજી તેમને વધારે સમજનારા છે. કાંચનજંઘા અને ગૌરીશિખર જેમ એક જ ગિરિરાજનાં શૃંગો છે તેમ બંને એક જ મહાસંસ્કૃતિનાં મૂર્તિમંત શિખરો સમા છે. ગાંધીજીએ કવિને અવસાન સમયે ‘રાષ્ટ્રવાદી માનવતાપ્રેમી’ (Nationalist humanitarian) કહ્યા. ગાંધીજી પરમ સેવક હોઈ પોતાની આંખે જ માપ કાઢે. કબૂલ કરું કે કવિને માટે વીસ વરસ પહેલાંનો તકરારી શબ્દ ‘નેશનાલિસ્ટ’ – ‘રાષ્ટ્રવાદી’ જોઈ મારા કાન ચમક્યા હતા.
  2. ૨ ‘શાયરે હિન્દોસ્તાં’, શ્‌ઓલા વ શબનમ – એ સંગ્રહમાંથી.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.