સરળ અલંકાર-વિવેચન/માલારૂપક

(क) માલારૂપક :

માલારૂપક માલોપમાને મળતું છે. જેમ માલોપમામાં એક જ ઉપમેયની જુદાં જુદાં ઉપમાનો સાથે સરખામણી કરવામાં આવે છે, તેમ એક જ ઉપમેયનો જુદાં જુદાં ઉપમાનો સાથે અભેદ અથવા તો એકતા જ્યારે સિદ્ધ કરવામાં આવે ત્યારે તે માલારૂપક બને. જેમકે— હિમાલય–તપસ્વીઓની તપોભૂમિ, ધર્મનું પિયેર, સાધકોનું મોસાળ, અવધૂતની પથારી, ભૂલોકનું સ્વર્ગ છે.

(હિમાલયનો પ્રવાસ)


અહીં એક ઉપમેય-હિમાલય માટે પાંચ ઉપમાનો રૂપક દ્વારા યોજવામાં આવ્યાં છે માટે માલારૂપક બને છે. એક બીજો દાખલો લઈએ : ધન્ય છે આ આશ્રમને કે એને જાબાલિ મુનિ જેવા અધિષ્ઠાતા મળ્યા. સંસારસમુદ્રને તરવાના એ સેતુ છે, તૃષ્ણારૂપી ઝાડીના પરશુ છે, સંતોષામૃતના સાગર છે, શાંતિરૂપી વૃક્ષનું મૂળ છે, મોહરૂપી અંધકારના સૂર્ય છે.

(કાદંબરીકથા)


અહીં જાબાલિ મુનિનો સાગર સાથે, સૂર્ય સાથે અભેદ સાધ્યો છે, ને એમને સેતુરૂપ, પરશુરૂપ, વૃક્ષરૂપ ગણાવ્યા છે, માટે આ પણ માલારૂપકનું ઉદાહરણ છે.