સરળ અલંકાર-વિવેચન/રૂપક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૨) રૂપક :

ઉપમેયને ઉપમાનની સાથે ઉપમામાં સરખાવવામાં આવે છે. તેને બદલે ઉપમેય ઉપમાન જ છે, બંને વચ્ચે અભેદ છે, એકતા છે, એમ જ્યારે બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર થાય : “લગ્નનો લાડવો માત્ર પ્રેમનાં પાણીથી નથી વળતો, જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણનું ઘી.”

(વેવિશાળ)


અથવા—

નહિ તે કંઈ દોષભર્યાં નયનો,
પણ નિર્મળ નેહ-સરોવર-સારસ
-યુગ્મસમાં પરિપૂર્ણ દયારસ,
એ જખમી દિલનાં શયનો.

(પૂર્વાલાપ)

અહીં બીજી પંક્તિમાં નિર્મળ નેહ (સ્નેહ)રૂપી સરોવર કહ્યું છે, માટે આ રૂપકનું ઉદાહરણ છે. અથવા તો,

ઊભીને કાલસિન્ધુને તીર,
બજાવે બંસરી ભવ્ય સુધીર.

(ચિત્રદર્શનો)

અહીં કાલનો સિન્ધુ સાથે અભેદ છે, કાલ અને સિન્ધુ એકરૂપ થઈ ગયા છે, “કાલરૂપી સિંધુને તીર’ એવો અહીં અર્થ છે, ને માટે આ પણ રૂપક કહેવાય.

વસંતની ફૂલમાળા પ્હેરી, કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી કોણ ગયું ઉર પેસી ?

એમ કવિ સુંદરમ્ ‘એક સવારે’માં દિવ્ય અનુભવ વર્ણવે છે, ત્યાં પણ પરાગરૂપી પાવડી ને કોકિલરૂપી બંસી એવો અર્થ નીકળે છે, માટે એ પણ રૂપક ગણાય. આમ જ્યાં ઉપમેય ને ઉપમાનની એકરૂપતા, અભેદ અથવા એકતા દર્શાવાતી હોય-વસ્તુતઃ તે બંને જુદા હોવા છતાં-ત્યાં રૂપકની રચના થઈ કહેવાય. આ પરથી જણાશે કે જ્યારે સમ, તુલ્ય, જેવો, વગેરે ઉપમાવાચક શબ્દનો લોપ થાય ને અભેદ સૂચવાય ત્યારે રૂપક બને. એટલે ઉપમામાં ચાર અંગો હોય છે, પણ રૂપકમાં ઉપમાવાચક શબ્દ ન હોવાથી, ત્રણ અંગો જ હોય છે. આ પ્રકારના રૂપકના પણ પેટા વિભાગ છે (अ) સાંગ અને (ब) નિરંગ–અથવા (अ) સાવયવ અને (ब) નિરવયવ. આ નિરંગ અથવા નિરવયવ રૂપકનો એક પ્રકાર (માલોપમાની જેમ) (क) માલારૂપકનો પણ છે. આપણે આ વિવિધ પ્રકારો જોઈએ.

(अ) સાંગ રૂપક :

જ્યારે એક વસ્તુનું નિરૂપણ કરતાં તેનો બીજી વસ્તુ સાથે અભેદ દર્શાવાય ત્યારે રૂપક બને; પણ એટલેથી જ ન અટકતાં ઉપમાનનાં વિવિધ અંગે–ગૌણ મુખ્ય વગેરે-જ્યારે ઉપમેયનાં પણ વિવિધ અંગો ગૌણ મુખ્ય વગેરે-સાથે અભેદ પામતાં દર્શાવાય, ત્યારે સાંગ રૂપક બને. જેમકે~

મારા અરે મૌનસરોવરે આ,
કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી.
મારું વિંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુલ શૃંખલામાં.

(નિશીથ)

અહીં મૌનરૂપી સરવર કહ્યું છે. પણ કવિ એટલેથી જ ન અટકતાં એમાંથી આખું સાંગ રૂપક ખૂબ ભાવવાહી રીતે કંડારી કાઢે છે; ને તેથી મૌનરૂપી સરોવર, શબ્દરૂપી કાંકરી, પ્રાણરૂપી પુષ્પ ને તરંગરૂપી શૃંખલા-એમ એક રૂપકનાં વિવિધ અંગો પણ અહીં રૂપક દ્વારા રજૂ થયાં હોવાથી આ ઉદાહરણ સાંગ રૂપકનું ગણાય. એવું જ આ ઉદાહરણ જુઓ:

મેલીને મુક્ત હૈયું મધુર બજવતો મોરલી મર્મરોની,
ગાયો ને વાછડાંઓ પળ-ઘડી-પ્રહરો વાળી લૈ વર્તમાને,
ઓઢીને આભ કેરી ક્ષિતિજઝુલભરી કામળી ક્હાન જેવો,
થંભ્યો છે સ્તબ્ધ થૈને અનિમિષ નયને કાળ સૌન્દર્યમુગ્ધ.

(પ્રતીક્ષા)

અહીં કાળને ક્હાન સાથે સરખાવ્યો છે તે ઉપમા અલંકાર છે. પણ મર્મરોની મોરલી, પળ-ઘડી ને પ્રહરોરૂપી ગાયો ને વાછડાંઓ, ક્ષિતિજની ઝૂલવાળી આભરૂપી કામળી વગેરે. સાંગ રૂપકનું ચમત્કૃતિભર્યું ઉદાહરણ પૂરું પાડે છે. એજ પ્રમાણે,

ભિખ્ખુ થૈને તવ સમીપ જ્યાં આવિયો માઘ-વાયુ,
તેને તારું પરણતણું તેં દૈ દીધું ઉત્તરીય.(ધ્વનિ)

સાંગ રૂપકનું ઉદાહરણ બને છે; ઉત્તરીય ભિક્ષુનું અંગવસ્ત્ર છે, એટલે એવું જ સંક્ષિપ્ત ‘સરસ્વતીચં’દ્ર’માંથી અહીં એક ઉદાહરણ લઈએ : “એ સૌનું ફળ એ હતું કે ભયંકર ગુમાનરૂપી સર્પ તેના કુમળા મગજમાં પેસી રહી કુંફાડા મારતો અને આખા શરીરમાં વિષમય ચંચળતા પ્રેરતો. માત્ર અમાત્ય-કુટુંબના સહજ વિનયરૂપ પોલા રાફડાથી વિષમય ચેતન ઢંકાઈ રહ્યું હતું.” ગુમાનરૂપી સર્પ, વિષમય ચંચળતા, તથા વિનયરૂપ પોલો રાફડો-એ બધા દ્વારા સાંગ રૂપક ઊભું થાય છે.

(ब) નિરંગ રૂપક :

રૂપક જ્યારે સાદું હોય, કોઈ બીજાં અંગો કે અવયવો વિનાનું હોય, ત્યારે તે નિરંગ અથવા નિરવયવ રૂપક ગણાય. સાધુજનોની હૃદયગંગા સૌને પવિત્ર કરતી હોય છે. અહીં ‘હૃદયરૂપી ગંગા’ એમ કહેવાનો ઉદ્દેશ છે; હૃદય અને ગંગા વચ્ચે અભેદ છે, માટે આ રૂપક થયું. એનાં બીજાં કોઈ અંગ છે નહિ, માટે તે નિરંગ અથવા સાદું રૂપક કહી શકાય.