સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/વિશ્વ સાહિત્યનો ઉંબર : સરસ્વતીચંદ્ર

Govardhan-M-Tripathi.jpg


વિશ્વ સાહિત્યનો ઉંબર : સરસ્વતીચંદ્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એટલે ગુજરાતી સાહિત્યમાં પંડિતયુગના આર્ષદ્રષ્ટા મહર્ષિ. તેમનું ક્ષરજીવન બાવન વર્ષનું અને અક્ષરજીવન છેંતાળીસનું. માતા શિવકાશીને છ વર્ષની કુમળી વયે મુંબઇથી એક પત્રમાં ચોપાઇ છંદની કવિતા લખી મોકલી, ત્યાંથી શરૂ થયેલી એમની સર્જનયાત્રા જીવનના છેક છેલ્લાં તબક્કા સુધી ચાલી હતી. પોતાના આ છેંતાલીસ વર્ષના સાક્ષરજીવનમાં તેમણે ‘સંસ્કૃતિપુરાણ’ ગણાયેલી ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ચાર ભાગ, ઈ.સ. ૧૮૮૭ થી ૧૯૦૧ સુધીના ચૌદ વર્ષમાં, લગભગ અઢારસો પૃષ્ઠોમાં આપ્યાં. આ મહાનવલ માટે કહેવાયું કે “સરસ્વતીચંદ્ર” લખાઇ ત્યારે ગુજરાતી સાહિત્યે વિશ્વ સાહિત્યના ઉંબરે પગ મૂકેલો. ગોવર્ધનરામને પંડિતયુગના “સાક્ષરનાયક”, “સાક્ષરશિરોમણી”, “જગતસાક્ષર”, “ઋષિ”, “મહર્ષિ”, “આર્ષદ્રષ્ટા”, જેવા અગણિત માન-વિશેષણો મળ્યાં છે. જો કે સાહિત્ય કળા ઉપરાંત સમાજ અને સંસ્કૃતિ માટે તેમને અનન્ય લગની હતી. તેમણે ગુજરાતી પ્રજામાં રાષ્ટ્રિય ચેતના સંકોરવાના, સામાજિક જાગૃતિ ફેલાવવાના અને પ્રજાકીય અસ્મિતાનું તેજ પ્રગટાવવાના યુગપ્રવર્તક કાર્યનો પાયો નાખ્યો હતો. જેમ ૧૯૦૮માં પ્રૌઢ-યુવાન ગાંધીજીએ એકી બેઠકે ‘હિંદસ્વરાજ’ લખ્યું, તેમ એ પૂર્વે ૧૮૮૭ થી ૧૯૦૧ સુધી યુવાન-પ્રૌઢ ગોવર્ધનરામે એકી બેઠકે ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલ લખી. વળી એથીયે પૂર્વે ૧૮૫૧ થી ૧૮૮૫ સુધી તરલ-યુવાન નર્મદે (નર્મદાશંકર લાલશંકર દવે,૧૮૩૩-૧૮૮૬) હાર્યા થાક્યા વગર ગુજરાતીના ઉષઃકાળના ગદ્યની આરાધના કરી. આ સર્જકોને આવું કરવાની આંતરિક તાકીદ એકસરખી હતી. મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯-૧૯૪૮) લેખનમાં જમણો હાથ થાકે ત્યારે ડાબે હાથે ને ડાબો થાકે ત્યારે ફરી જમણે લખતા. ગોવર્ધનરામે જીવનના ૪૬ વર્ષ શરીરે અને પૈસેટકે ઘસાઇ જઇને લખ્યું, તો નર્મદે નોકરી છોડીને સરસ્વતીને ખોળે માથું મૂકયું. આ ગાંધી-ગોવર્ધન-નર્મદની એ આંતરિક જરૂરિયાત શી હતી ? શું તેઓ પોતાના સમાજ,ધર્મ અને સંસ્કૃતિના મરણની બિહામણી ચાલ જોઇ ચૂક્યા હતા ? શું તેમણે કોઇક નવપ્રભાત માટેનો પુરુષાર્થ સ્વીકાર્યો હતો ? કે પછી એ યુગના મહાન-તાત્વિક પ્રશ્નો ઉકેલવા માટે તેમની આ ફનાગીરી હતી ? ‘હિંદ સ્વરાજ’ હોય કે ‘સરસ્વતીચંદ્ર’ હોય કે ‘નર્મદગદ્ય’ના નિબંધો,એ માત્ર ગાંધી-ગોવર્ધન-નર્મદના સર્જનો જ નથી, પણ આવા તાત્વિક પ્રશ્નોની ચર્ચા અને ઉકેલોનું દિશાસૂચન કરતા તત્કાલીન દસ્તાવેજો છે. ગોવર્ધનરામને માત્ર સાહિત્યકાર થવું, અને તેમાંય માત્ર નવલકથાકાર થવું પરવડે તેમ ન હતું. ઊંડી જીવનસમીક્ષા અને ભવ્ય તત્વમીમાંસા કરતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’માં તેમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-ઇતિહાસ-ચિંતનમાંથી અગણિત અવતરણો ટાંકી-ટાંકીને, પરિચિત અને અપરિચિત એવી બધી જ પરંપરાઓ, કથાવાર્તાઓ, પુરાકથાઓ વગેરેનો વિનિયોગ કરી-કરીને, એ બધું કંટાળાજનક બનશે, બોઝીલ બનશે, કળાના ધોરણોને ચાતરી જશે, એવો ભય રાખ્યાં વગર, નવલકથા ક્ષેત્રે અત્યંત જોખમી અને સાહસિક માર્ગ સ્વીકાર્યો છે. તત્કાલીન જીવનના વેધક પ્રશ્નોને સાદી અને જીવંત ઘટનાઓના રૂપમાં રજૂ કરીને કથારસ નિમિત્તે તેનો પ્રત્યક્ષ ને સહજ બોધ થવા દેવો, અને એ રીતે જીવનના મૂળભૂત પ્રશ્નોમાં રસ ઉત્પન્ન કરવો, એવી લક્ષ્ય-દ્રષ્ટિ તેમણે ‘સરસ્વતીચંદ્ર’માં દાખવી છે. આ નવલકથાના ચાર ભાગમાં ચાર કુટુંબોની ચાર પેઢીઓનો કથાવિસ્તાર છે. એટલું જ નહીં, એના કેટલાંક પાત્રો સ્વપ્ન દ્વારા ભારતના ભવ્ય ભૂતકાળમાં જઇને ભાવિનો નકશો આંકે છે. પહેલા ભાગમાં બુદ્ધિધનના કારભારનું ચિત્ર આપ્યું છે. બીજા ભાગમાં ગુણસુંદરીનું કુટુંબજાળ ઓલેખ્યું છે. ત્રીજા ભાગમાં રત્નનગરીના રાજ્યતંત્રનો ચિતાર છે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય આલેખીને પૂર્ણાહૂતિ કરી છે. આ રીતે અનુક્રમે સમાજચિત્ર, કુટુંબચિત્ર, રાજ્યતંત્ર અને ધર્મકારણના વેધક પ્રશ્નોને સામર્થ્યપૂર્વક ચર્ચ્યા છે. કથામાં જે સાદો ઘટનાક્રમ છે, જે રૈખિક સમય છે, તે તો એના લેખનથી ઘણો આગળનો છે. મલ્લરાજના પાત્ર સાથે સાંકળેલી ઘટનાઓ લગભગ હિંદુસ્તાનના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામના સમયની છે. એ મલ્લરાજના પુત્ર મણિરાજ-કમળાની અહીં બીજી પેઢી છે. વળી મણિરાજના માર્ગદર્શક તે વિદ્યાચતુર. વિદ્યાચતુરના પત્ની ગુણસુંદરી અંગ્રેજી ભણેલાં છે, અને પોતાની કોઠાસૂઝથી તથા સંસ્કારગરિમાથી આખુ કુટુંબ ઉગારે છે. એ બંને આ નવલકથામાં ત્રીજી પેઢી છે, અને નવલકથાના નાયક-નાયિકા, સરસ્વતીચંદ્ર અને કુમુદ વળી એક જુદી, ચોથી જ પેઢી ગણોને. આવી ચાર-ચાર પેઢીઓ, અગણિત પાત્રો, પ્રસંગો, ઉપકથાઓનો પ્રાચીન સાંસ્કૃતિક વારસો, વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન પશ્ચિમ, અને એ બધાના સંગમમાં સાચી ભારતીયતાની ખોજ, એ જ ‘સરસ્વતીચંદ્ર’નો વ્યાસ અને ત્રિજ્યા. ગોવર્ધનરામમાં જે કથાકાર છે તેની પાછળ ફાટફાટ થતો એક ફિલસૂફ પણ છે, જે કથાના પ્રસંગોમાં, ઘટનાઓમાં,પાત્રોમાં વારેવારે ઉભરાઇ આવે છે. જેણે કથાના કળાતત્વને અવરોધ્યું તો છે, પણ માનવજીવનની ચિરંજીવ અને પ્રસ્તુત જરૂરિયાતને મોટું પોષણ આપ્યું છે. આ કારણે, આજે પણ ગુજરાતમાં ‘સરસ્વતીચંદ્ર’ જેટલી વંચાય છે તેટલી જ વિવેચાય છે. તેને માટે ‘આકારગ્રંથ’, ‘પુરાણ’, ‘મહાકાવ્ય’, ‘સંસ્કૃતિકથા’, ‘યુગકાવ્ય’, ‘મહાનવલ’, ‘ગૌરવગ્રંથ’ જેવા પ્રશિષ્ટ વિશેષણો નોંધાયા છે. ગોવર્ધનરામનું સાક્ષરજીવન મુખ્યત્રવે ત્રણ ખણ્ડમાં વહેંચાયેલું છે. વાંચન, લેખન અને ભાષણ. જો કે આ ત્રણેય ખણ્ડમાં તેમનું સર્જન એકસરખું નથી. આમ છતાં ત્રણેયની નિરીક્ષાથી આપણે તેમના સર્જક વ્યક્તિત્વની સાથોસાથ પ્રગટતા પેલા વિચારકને પણ પામી શકીશું, અને જોઇ શકીશું કે તેમના સાક્ષરજીવન અને આધ્યાત્મજીવનના સીમાડા સતત સરકતા રહીને, એકમેકમાં કેવાક ભળી જાય છે. ‘કવિતા, કાવ્ય અને કવિ – એ વિષયે મિતાક્ષર’ નામના એક નિબંધમાં તેઓ કહે છે કે ‘રામાયણ’, ‘મહાભારત’ જેવા ગ્રંથોમાં આપણે માત્ર ‘રસ’ કે ‘કળા’ નહીં, પરંતુ ઉચ્ચોચ્ચ આત્માને શોધવાનો છે. આ રીતે મહાન સર્જનો માત્ર રસતત્ત્વને નહીં, પરંતુ ઉચ્ચતત્વને અંકે કરે છે. આવી દ્રષ્ટિ માત્ર સિદ્ધાંતરૂપે જ નહીં, પરંતુ વાસ્તવમાં પણ તેઓ અપનાવતા હતા. જીવનના છેલ્લાં દિવસોમાં ખબર પૂછવા આવેલા નડીઆદના સાક્ષર શ્રી દોલતરામ પંડ્યાએ તેમને પૂછ્યું કે ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાન કૃતિથી તમને સંતોષ તો છે ને ? ત્યારે ગોવર્ધનરામે પ્રત્યુત્તર વાળેલો કે આપણી ભાષામાં જો ‘સરસ્વતીચંદ્ર’ મહાન સર્જન બની રહેશે, તો મારા જેવો બીજો કોઇ દુઃખી નહીં હોય. કારણ કે મને તો મારી કૃતિના પરિશીલનથી, એને ય ચઢી જાય તેવું મહાન સર્જન જન્મે એવી અભિલાષા છે. જો ‘સરસ્વતીચંદ્ર’ જ મહાન બની રહે, તો તેનો સાદો અર્થ એટલો જ થયો કે તે બીજી કોઇ ઉચ્ચોચ્ચ સર્જનની પ્રેરણા પૂરી પાડી શકે તેમ નથી. ગોવર્ધનરામની આ દ્રષ્ટિ, આ દર્શન જ તેમના વિચારક તરીકેના પિંડને સર્જક કરતાં એક ડગલું આગળ મૂકી દે છે. ‘સરસ્વતીચંદ્ર’માંથી ગોવર્ધનરામ પહેલી દ્રષ્ટિએ આપણી આગળ સર્જક રૂપે પ્રગટ થાય છે, પણ પછી વિસ્તરે છે વિચારક રૂપે. એમાંથી પસાર થઇએ ત્યારે લાગે કે ગોવર્ધનરામમાં આ બંને વ્યક્તિત્વ જાણે સ્પર્ધામાં ઊતર્યા છે. સર્જક ગોવર્ધનરામ જીવંત અને નાજુક ક્ષણોને આલેખે છે, તો વિચારક ગોવર્ધનરામ પ્રવૃત્તિવાદ અને નિવૃત્તિવાદ સંબંધી આચાર વિચારનું અવનવું દિગ્દર્શન આપે છે. સદાચાર અને કર્તવ્યનિષ્ઠાનાં મૂલ્યોનો તેઓ આગ્રહ રાખે છે. ફિલસૂફી અને જિવાતા જીવન વચ્ચે સંનિધિ રચવાનો ગોવર્ધનરામનો બુદ્ધિવાદ નહીં, પરંતુ બુદ્ધિયોગ આજના વિચારકોને પણ સ્પર્શી જાય તેવો છે. તેમનું આ જીવનદર્શન તેમનાં જાણીતાં સર્જનોમાંથી, ખાસ કરીને ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્ક્રેપબુક્સ’માંથી ઉપસે છે. આપણાં પ્રથમ હરોળના ઊર્મિકવિ ન્હાનાલાલ ‘જગત કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન’માં લખે છે કે ‘યુરોપનું ઇલિયડ, ઇરાનનું શાહનામું, ભારતવર્ષનાં મહાભારત, રામાયણ અને ભાગવત, મારે મન આ જગતનાં પંચમહાકાવ્યો છે.’ આ સહુને તેઓ ‘રસહિમાદ્રીનાં પંચપરમ જગત શિખરો’ અથવા તો ‘રસસાગરો’ કહીને ઓળખાવે છે. આગળ જતાં નોંધે છે કે ‘એ પંચમહાકાવ્યોનું દર્શન કરવાનું, વન્દી રહેવાનું, કાચલીઓ ભરી પીવાય એટલાં એમના રસામૃત પીવાનું, આપણે કાજે તો સૌભાગ્યનિર્માણ જ છે...(અને) એ મહાકાવ્યોનો ‘સરસ્વતીચંદ્ર’ અર્વાચીન ગદ્યાવતાર છે.’ ન્હાનાલાલની આ મીમાંસા અનેક પ્રશ્નો ઉભા કરે છે. ‘સરસ્વતીચંદ્ર’ને મહાકાવ્યના અર્વાચીન ગદ્યાવતાર તરીકે વાંચવા-અર્થઘટન કરવાના સાધનો કયા? એની રીત શી? એને એક કુળકથા લેખે તપાસવાનાં માપદંડો કયા? ન્હાનાલાલે ‘સરસ્વતીચંદ્ર’ને જોવા માટે જે સાધનો કે માપદંડો ખપમાં લીધાં છે, તેને સમજવા માટે તેઓ ‘દર્શન કરવાનું’ અને ‘વન્દી રહેવાનું’ જેવા જે બે ક્રિયાપદો મુકે છે, એ બહુ સૂચક છે. પ્રાચીન ગ્રીક ‘એપિક’ કાવ્યપ્રકાર, ઇરાની ‘શાહનામા’માં મળતો ‘કથનનામા’ પ્રકાર અને રામાયણ- મહાભારત આદિનો ‘મહાકાવ્ય’ પ્રકાર, આ ત્રણ (એપિક/નામા/મહાકાવ્ય) ભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં ન્હાનાલાલ ‘સરસ્વતીચંદ્ર’ને અર્વાચીન ગદ્યાવતાર તરીકે પ્રસ્થાપે છે, અને તેને ‘વન્દી’ રહેવાની, (ધારીએ કે વાંચન) કે પછી તેના ‘દર્શન’ કરવાની (ધારીએ કે અર્થઘટન) હિમાયત કરે છે. છતાં પણ જો પેલો મૂળગામી પ્રશ્ન ઉભો રહે કે ગોવર્ધનરામમાં આપણે એક યુગાવતાર ‘સર્જક’ યા ‘ચિંતક’ને, ‘આર્ષદ્રષ્ટ્રા’ કે ‘ઋષિ’, ‘મહર્ષિ’ને શોધવાના કયા માર્ગે? તો તેનો એક જ રસ્તો, ન્હાનાલાલ બતાવે છે તે, ‘દર્શન’ અને ‘વંદન’. અર્થાત્ ગોવર્ધન સાહિત્યનો સંદર્ભિત અભ્યાસ અને અર્થઘટન. એના બધા જ સંદર્ભોને, સર્જનોને, જોડાજોડ રાખીને કરવાનો થતો અભ્યાસ, અર્થાત્ ગોવર્ધનરામના ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ સર્જનો, ખાસ કરીને ‘સરસ્વતીચંદ્ર’, ‘સ્ક્રેપબુક્સ’, ‘સાક્ષરજીવન’વગેરેમાંથી આપણે ઝીણી નજરે પસાર થવું પડે. સંસ્થાનવાદી અંગ્રેજ શાસકો અને ભારતીય પ્રજા વચ્ચેના સંબંધનું જાણે કે આખેઆખું ભાષ્ય રચનાર હતા ગોવર્ધનરામ. તેથી જ સ્તો તેઓ બંકિમચંદ્ર, વિવેકાનંદ, દાદાભાઇ નવરોજી, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિંદ, મણિલાલ નભુભાઇ દ્રિવેદી, શ્રીમન્ નૃસિંહાચાર્ય, ટિળક મહારાજ જેવાં કેટકેટલાં વિચારકોના સમર્થ પુરોગામી તરીકે, 19મી સદીના એક અવનવા વિચારક તરીકે, પોતાના સમયથી ઘણું આગળ અને આગવું જોનાર દ્રષ્ટા તરીકે એકી અવાજે પોંખાયા છે. આપણે તેના સમર્થન માટે છેક ૧૯૦૧માં લખાયેલાં ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનો, એટલે કે આ આખી મહાનવલનો અંત વાંચીએ.... ‘જુદા-જુદા ખંડમાં મેવામીઠાઇ, હરિકથા, કીર્તન,ધૂપ, અત્તર, ‘સેન્ટ’, ગાનતાન અને અનેક જાતના વિનોદમાં રાત્રિનો દોઢ પ્રહર વીત્યો ને ધીમેધીમે સર્વ વેરાયાં, સ્ત્રીમંડળનો મોટો ભાગ કથામાં હતો તે પૂરી થતાં સુધી સમુદ્રભણીની બારીઓ ઉઘાડી મૂકી સર્વથી ઉપલા માળના એક ખંડમાં આરામાસન ઉપર પડ્યો પડ્યો સરસ્વતીચંદ્ર બારીમાંથી આવતી સમુદ્રના પવનની લહેરોથી નિદ્રાવશ થયો. નિંદ્રામાં તેને પાંચ મિનિટ સ્વપ્ન થયું તેમાં તે સુન્દરગિરિ ઉપર એક પલંગ ઉપર બેસી સામી ઊભેલી કુસુમને કહેતો હતોઃ ‘કુસુમ ! આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂએ છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન્ન, અને આ વસ્ત્ર શાં ?’ આ તો ‘સરસ્વતીચંદ્ર’ને આવેલું એક સ્વપ્ન છે, આમ તો આ આખી વાત કાલ્પનિક છે, છતાં એ કલ્પનાને તે સમયના વાસ્તવનો આધાર છે. હજુ મહાત્મા ગાંધીનો ભારતીય મંચ ઉપર પ્રવેશ થયો નથી. હજુ ‘હિંદસ્વરાજ’ લખાવાને વર્ષોની વાર છે, હજુ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ માનીને ગાંધીજીએ દરિદ્રદેશના લોકોને સમજવા ભારતભ્રમણ કર્યું નથી, હજુ ભારતીયોની દરિદ્રતા જોઇને તેમણે ફાળિયું ત્યજીને પોતડી પહેરી નથી, એના ઘણાં વર્ષો પહેલાં ગોવર્ધનરામનો સરસ્વતીચંદ્ર આવીને બોલે કે “આખો દેશ જ્યાં સુધી પૃથ્વી ઉપર સૂએ છે ને તેને પહેરવાને વસ્ત્રો નથી ને ખાવાને અન્ન નથી ત્યાં સુધી આપણે આ પલંગ, આ મિષ્ટાન અને આ વસ્ત્ર શાં ?’ ત્યારે સમજાય છે કે તેઓ ભારતીય પ્રજાના આત્માની ઓળખ કરવા સતત મથતા રહ્યાં છે. કથાનાયક સરસ્વતીચંદ્રના સાંકેતિક સ્વપ્ન આગળ આ કથા તો પૂરી થાય છે, પણ એ પછી ગાંધીજીના હિંદ-આગમનથી માંડીને ગાંધીહત્યા સુધીની આખેઆખી બે પેઢીને ‘સરસ્વતીચંદ્ર’એ કલ્પેલી કલ્યાણગ્રામની આ યોજના, એટલે કે ખુદ ગોવર્ધનરામના મનોરાજ્યની આશા અને એ પછીના સમયમાં ગાંધીજીએ વર્ણવેલી રામરાજ્યની તલાશ રહી છે. ગોવર્ધનરામ ઉપર સ્નેહ, માન અને પૂજ્યબુદ્ધિથી જોનાર કેટલાક અંગ્રેજી, દક્ષિણી અને હિન્દી ભાવકોએ એમના અંગ્રેજી લેખો ઉપર મોહ પામીને એ લેખોમાં કેવળ ગુજરાતના જ પ્રશ્નો નહિ, પણ સકલ હિન્દના રાષ્ટ્રિય મહાપ્રશ્નોનું ચિંતન જોયું અને એમને ઘણીવાર ઠપકાથી કહેતા કે, ‘ત્રિપાઠી, ‘સરસ્વતીચંદ્ર’ જેવી તમારી મોટામાં મોટી કૃતિ ગુજરાતીમાં લખવાનું તમને શું સૂઝ્યું ? તમે જો એ અંગ્રેજીમાં લખી હોત તો આખા હિન્દુસ્તાનના શિક્ષિતવર્ગને તે સુલભ થાત, વળી અંગ્રેજો પણ તે વાંચત અને તમારા વિચારોથી તે બધાને કેટલો લાભ થાત!’ એક સારા પ્રતિષ્ઠિત બંગાળી ગૃહસ્થે તો એક પત્રમાં ગોવર્ધનરામ ઉપર નીચેનું વિખ્યાત વાક્ય ઉતારીને મોકલ્યું. “You have given to a party what was meant for mankind” (જે આખી મનુષ્યજાત માટે સર્જાયેલું હતું તે તમે નાનકડા વિભાગને જ આપ્યું.) (‘શ્રીયુત ગોવર્ધનરામ’,પૃ. ૨૫૦) ગોવર્ધનરામને, ભારતનાં રાજકાજને, અંગ્રેજરાજ અને દેશી રજવાડાઓની પોતાની માયાજાળને, તે બંને વચ્ચેની અટપટી રમતોને, એ સમયના કુટુંબજીવનને, ચેતનહીન સમાજને, પ્રવૃત્તિમય સંન્યાસની કર્મગતિને, ગુજરાતી ગદ્યની ઉભી થતી ચિંતનાત્મક ફોરમને........ આ બધાને જાણવા-સમજવા અને મૂલવવા માટે મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’નું વિશાળ પટલ આજે પણ એટલું જ પ્રસ્તુત અને પ્રમાણસરનું છે. એટલુંક સમજવા માટેના વિદ્યાતપની યજ્ઞકુંડી છે આ ‘સરસ્વતીચંદ્ર’, તેમાં માંહી પડશે એ જ આવું મહામૂલું વિદ્યાસુખ પામી શકશે. - હસિત મહેતા