સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અરદેશર ફરામજી ખબરદાર

અરદેશર ફરામજી ખબરદાર

[કવિશ્રી ખબરદારે દેશભક્તિનાં ઉત્સાહ અને ઉલ્લાસભર્યાં અનેક ગીત આપણને આપ્યાં છે. એમના ‘ભારતનો ટંકાર’ અને તરતમાં બહારપડેલ ‘રાષ્ટ્રિકા’—એ સંગ્રહોમાં દેશપ્રીતિની કવિતા સંગ્રહાઈ છે. ‘રાષ્ટ્રિકા’ જેમાંથી આ કાવ્ય લેવાયું છે તેમાં એક ગુજરાતને અંગે જ ‘ગુણવંતી ગુજરાત’, ‘હો મારી ગુજરાત’, હો ગુજરાત! ‘હો ગુજરાત!’, ‘સૌની પહેલી ગુજરાત’, વગેરે અગિયાર જેટલાં ગીત છે. કવિઓને પોતાની જન્મભૂમિ વિષે ગાવાનું ગમે એ તદ્દન સ્વાભાવિક છે. તેમાં કવિશ્રી ખબરદારે આયુષ્યનાં ઘણાં વર્ષો વ્યવસાય અંગે ગુજરાતથી દૂર ગાળેલાં છે, એટલે એમનું કવિહૃદય વારંવાર ગુજરાત તરફ કેમ વળે છે એ સહેજે સમજાશે. જ્યાં એક ગુજરાતી વસતો હોય, જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય, ત્યાં ગુજરાત જ છે, એવો બુલંદ માતૃભક્તિનો અવાજ ગુજરાતથી દૂર રહેલ કવિહૃદયમાંથી ઊઠે છે. ગુજરાતની ઉદ્યોગ-પરાયણતાનું પણ સાથે સાથે કવિશ્રીએ ગૌરવ કર્યું છે. આ સાથે ઉપર સૂચવેલાં કવિશ્રીનાં કાવ્યો જોવા ઉપરાંત નર્મદનાં ‘જય જય ગરવી ગુજરાત’, ‘કોની કોની છે ગુજરાત?’, નાનાલાલનું ‘ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જર દેશ’ એ ગીત, ચંદ્રવદન મહેતાનું ‘ગુજરાત’ અને ઉમાશંકર જોષીનું ‘ગુજરાત મોરીમોરી રે’, એમાંથી જે કોઈ કાવ્યો મળી શકે તે જોવા પ્રયત્ન કરવો.]