સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અસલનેરનાં નૂર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અસલનેરનાં નૂર

બળવન્તરાય ઠાકોર

ગજવીએ ગાઈ ઉચ્છલત ઉર
અમારા અસલનેરનાં નૂર
હિંદુ, જિન, મહમ્મદી, પારસી
કરી જુદાઈ ફૂલ,
બને જ્યાં એક-દૂધ મનુકુલ! ૫
— અમારા અસલનેરનાં નૂર. ગજ૦
નથી જ્યાં દોલત કેરા છાક,
નથી જ્યાં સત્તામદ નાપાક,
નથી જ્યાં રંક નર્યા હેવાન,
નથી જ્યાં દુર્બળ કેવળ બાન, ૧૦
વિદ્યા, તપ, આતમ-બળને જ્યાં
પૂજે રાજા રંક,
ભિલ્લ ઘાતકી બન્યા મહર્ષિ,
મ્‌હાર બન્યા જ્યાં સંત,
— પળાયા જેહ તણા ઉપદેશ ૧૫
વેદના દૃષ્ટાથીય વિશેષ! ગજ૰ હિંદુ૰ અમા૰ ગજ૰
કુટુમ્બો જ્યાં ત્રણ પેઢી સંઘ
ભજે ભવયાત્રા તાપસ-ઢંગ,
મહાજનની જ્યાં મીઠી આણ
ધરે શિર મજૂર, શેઠ, પ્રધાન; ૨૦
શહેર આછાં છે જ્યાં સાદાં,
કુદરત નૂર ભરેલ,
ગામ અસંખ્ય વિષે જ્યાં વિદ્યા-
કસબ કલાની રેલ,
મનુનો મધપૂડો પ્રાચીન, ૨૫
સનાતન સાત્ત્વિકરસલયલીન. ગજ૰ હિંદુ૰ અમા૰ ગજ૰

સ્વાધ્યાય

૧. અસલનેરમાં મનુકુળ એક-દૂધ કેવી રીતે બને છે?
૨. અસલનેરની સમાજસ્થિતિ વર્ણવો.
૩. અસલનેરનાં શહેરો અને ગામોનું વર્ણન કરો.
૪. આ કાવ્ય મોઢે કરો.