સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વન-વર્ણન

વન-વર્ણન

[‘જય જય ગરવી ગુજરાત!’ નર્મદની રાષ્ટ્રભક્તિનો આપણને ખ્યાલ આપે છે તો ‘વન-વર્ણન’ નર્મદના પ્રકૃતિ-કાવ્યનું એક સારું ઉદાહરણ છે. વર્ણન સાદું અને સરળ છે, અને એની ખૂબી વારંવાર વાંચ્યાથી સારી રીતે સમજાશે. ‘ગાતી કુંજ ધીમે જ સૂરે,’ ‘કૂપ સારંગી વાગે,’ વગેરે અતિ કાવ્યમય વાક્યો આ કાવ્યમાં ઠેર ઠેર વેરાયેલાં પડ્યાં છે.આ સંગ્રહમાંનાં બીજાં પ્રકૃતિ-કાવ્યો સાથે આને સરખાવતી વખતે એ યાદ રાખવાની જરૂર છે કે, નર્મદને તો જ્યાં રસ્તા ન હતા ત્યાં રસ્તા કરવાના હતા, જ્યારે તેની પછીના કવિઓ માટે તો ધોરી રાજમાર્ગો થઈ ચૂક્યા હતા. અને આમ છતાં નર્મદનું આ કાવ્ય બીજાં એ પ્રકારનાં ઉત્તમ કાવ્યોની હારમાં સરસ રીતે સ્થાન લઈ શકે એવું છે. ૩૫. દિનાંત સીમા — દિવસને અંતે, સાંજ પૂરી થાય તે સમયનું ઝળઝળું. ૩૬. પોકળી —ખાલી જગ્યા.]

(માલિની)
સરસ પવન ટાઢો મંદ વાસિત આવે,
સફળ વસતું અંગે હોંશ આનંદ લાવે;
વન ઉપવન સંધાં દીસતાં રમ્ય રંગી,
નવલ જ અનુરાગે પ્રાણીઓ છે ઉમંગી.
વિધ વિધ વિધ રંગે ફૂલડાં શોભી બહેકે, ૫
ઊંચી નીચી ઘટ પત્રે વેલીઓ ખૂબ લહેકે;
મધુર રસ ફળો તે સર્વને પાસ તેડે,
વળી મીઠું પચરંગી પંખીઓ ગાય કોડે.
વિવિધ ફૂલલતાએ ખીલતા માંડવાઓ,
તરુણ તરુતણા છે ડોલતા છાંયડાઓ; ૧૦
હરખથી નર માદા પંખી ઝૂલે હીંડોળે,
મધુરસ સુખ તે લે ભાગ્યશાળી જ હોયે.
પરવતતણી ટોચે મોર કોયલ આંબે,
મધુર રવ કરે છે ધન્ય સાદે જ લાંબે;
દિવસ સુરખી મારે કુમળે સૂર્યતાપે, ૧૫

નિરમળ શશિયોગે રાત તો રમ્ય લાગે.
અતિશ ગરમ કિરણે સૂર્ય સંધે પ્રકાશે,
મૃગજળ બહુ ભાસે ક્ષારવાળી જગાએ;
સખત લૂ વરસે ને ચોદિશા શૂન્ય થાયે,
નદી સરવરકેરાં પાણી સુકાઈ જાયે. ૨૦
બહુ ડર ઉપજાવે ખેતરો તો તપેલાં,
ઘર મૂકી કરવા તે રે પ્રવાસો ન સ્હેલા;
અતિશય ઉકળાટો વાદળી તાપ લાવે,
શ્રમ સહજ કરતાં લોક થાકી જ જાયે.

ખૂબ લટકતી આંબે દીસતી કેરીઓ ને, ૨૫
અવર ફળ ઘણાંયે દે રસો મિષ્ટ મોંને;
હરિત ગુરુ તરુઓ શોભતાં પાતરાંથી,
સુખ સરવ જીવોને આપતાં છાંયડાથી.
પરવતની તળેટી તેથી થોડેક દૂરે,
સુણું અટકતી ગાતી કુંજ ધીમે જ સૂરે; ૩૦
સરખી મધુર ચૂં ચૂં કૂપ-સારંગી વાગે,
છરર પડતું પાણી નિર્મળું રમ્ય લાગે.
ચરી કરી વળતું તે પાછું ગોવારું જોઉં,
રૂડું કરતું જ બેં બેં ટોળું ઘેટાનું જોઉં;
વળી રમણીય જોઉં થંડ દિનાંત સીમા, ૩૫
રસ પીઈ બની કેફી રે શમું પોકળીમાં.

સ્વાધ્યાય

૧. ગુજરાતની સીમાઓ વર્ણવો.
૨. ગુજરાતને લગતાં આપણાં બીજાં કાવ્યોની યાદી કરો.
૩. જે પ્રેમશૌર્ય નર્મદ ઝંખતો હતો તે ગાંધીજીએ પોતાના જીવન દ્વારા ગુજરાતને શીખવી બતાવ્યું છે એવું તમને લાગે છે? કઈ રીતે?
૪. નર્મદે કરેલું વન-વર્ણન ગદ્યમાં આપો.
૫. ‘વન-વર્ણન’માંથી જે જે વર્ણનો તમને સરસ લાગ્યાં હોય તેમ જ જે પંક્તિઓ ગમી હોય તેનો ઉલ્લેખ કરો.