સાહિત્ય પલ્લવ – ભાગ ૨/લજ્જારામ

લજજારામ

[આ કવિએ મહાભારતની કથા ઘણી સરળતાથી અને રસથી કહી છે. અભિમન્યુના ચક્રાવાની વાત પ્રસિદ્ધ છે. જાલંધરના ત્રાસથી એક બ્રાહ્મણે આવીને પોકાર કરતાં અર્જુન તેનું રક્ષણ કરવા નીકળી પડે છે. કૃષ્ણ પણ અર્જુનના સારથિ એટલે સાથે જ ગયા. અહીં કૌરવોએ ચક્રાગઢ રચ્યો અને કહ્યું કે, ‘આ જીતો નહિ તો વનમાં જાઓ.’ અર્જુન તો છે નહિ, હવે શું કરવું? એમ સૌ વિમાસણમાં પડ્યા છે. ત્યાં અભિમન્યુ આવે છે. કોઈ બોલતું ચાલતું નથી એટલે એને વળી ખોટું લાગે છે કે, બાપ ઘેર નથી એટલે મારો કોઈ સત્કાર કરતું નથી. (કવિએ એ રીતે મનુષ્યસ્વભાવ બતાવવા પ્રયત્ન કર્યો છે.) રિસાઈને એ જાય છે ત્યારે ભીમ સમજાવે છે કે ચક્રાગઢનો વ્યૂહ (રચના) કોઈ જાણતા નથી તેથી સૌ સૂમસામ બેઠા છે. અભિમન્યુ છ કોઠા જાણે છે. ભીમ સાતમો ગદાથી તોડવાની તૈયારી બતાવે છે ને આમ બંને જણા બધી મૂંઝવણનો ઉકેલ આણે છે. ૩૨. મામે - મામાએ—નું બોલચાલનું અશુદ્ધ રૂપ. ૩૭. બાવનવીર - વિદ્યા ચૌદ, કળા ચોસઠ, તીર્થ અડસઠ, એમ વીર બાવન કહેવાય છે. હે બાવનવીર જેવા (?) ૪૨. મોઢે તો થાણ (સ્તન)નું ધાવણ છે. રણે કેમ આગમશો-જશો? ૫૧. ફરી.... તું ય—એ પંક્તિ કેટલી લાડ-મમતા-ભરી અને કરુણ છે? પદ : દરેક બાળકે અભિમન્યુના આ ઉદ્ગાર હૃદયમાં ઉતારવા જેવા છે. એકેએક લીટી, નાના બાળકમાં પણ જગતનું કલ્યાણ કરવાની અને પાપને ઉખાડી નાખવાની કેટલી તાકાત ભરેલી છે, તેનો એક પછી એક ચિત્રો આપણી નજર આગળ દોરીને હૂબહૂ ખ્યાલ આપે છે. મંકોડાનું વર્ણન કવિની નિરક્ષણશક્તિ બતાવે છે. સાખી : હે માવડી, કોણ ત્રણ જણ સુખે ન સૂએ? તો તે અમુક અમુક. ૬૫. રણી–દેવાવાળો. ૭૩. ગ્રાસ-કોળિયો. આમાંથી ‘ગરાસ’ શબ્દ થયો છે. ગરાસ એટલે જાગીર; જાગીરદાર તે ગરાસિયા. ‘ર્’વાળા ઘણા તત્સમ શબ્દોને સગવડથી ને સહેલાઈથી બોલવા આપણે ફેલાવ્યા છે. સૂર્ય - સૂરજ, કાર્ય - કારજ, સર્પ - સરપ, ક્રોધ - કરોધ, ત્રાસ-તરાસ. સરપ, કરોધ, વગેરે શબ્દો સાંભળી તે અશુદ્ધ છે એમ ગણવું જોઈએ નહિ. તેને ‘તદ્ભવ’ ગણવા. આ ક્રિયાને ‘વિશ્લેષ’ (જુદા પાડવું તે) કહે છે, કેમકે ‘ગ્રા’માં ગ્ર+રા છે તેમાંના પહેલા અક્ષરને ‘અ’ આપી જોડાક્ષરને છૂટો પાડ્યો છે. ૭૬. સહીં-સિંહ. છેલ્લી લીટી ૭૪ મી લીટીના અંત ભાગના અનુસંધાનમાં છે.]