સોરઠ, તારાં વહેતાં પાણી/૪૪. બધાં એનાં દુશ્મનો

૪૪. બધાં એનાં દુશ્મનો

બિસ્તરા પર પડ્યાંપડ્યાં પિનાકીની આંખો ધર્મશાળાની દીવાલ પર ચોંટેલી આરસની તકતીઓ પર ચડી. અંદર લખ્યું હતું કે — બાશ્રી દેવુબાના સ્વ કુમાર બલવંતસિંહજીની યાદગીરીમાં. લેખના એકએક અક્ષરે પલ પછી અક્કેક બાળકનું રૂપ ધર્યું. પંદર દિવસની આવરદા એ પ્રત્યેક બાળકમાં ઊછળી રહી. લાલી અને કુમાશનો નાટારંભ કરતી એ બાલમંડળી તકતીના આરસ પર લોટપોટ થતી થતી લપસી ગઈ. અને પિનાકીની આંખો પણ એ બાળકોની ટોળીની જોડે લસરતી લસરતી નીચે ઊતરી. એ આંખોએ દીવાલ પર બીજાય લેખો ઉકેલ્યા. ઉકેલતી ઉકેલતી એ આંખો દીપડાની આંખો જેવી બની. આંખોમાંથી અગ્નિના દોરિયા ફૂટ્યા. ધર્મશાળાની દીવાલો પરના એ લેખ, કોલસાના અક્ષરે, ઈંટના ટુકડાના અક્ષરે, બૂઠી પેનસિલોના અક્ષરે, ચૂનાની પડતરી પર ચીરા પાડતા નર્યા કોઈ અણીદાર લોઢા-લાકડાના અક્ષરે, કાતર, સોયા અને બાવા ફકીરોની છૂરીની અણી વતી લખાયલા અક્ષરે, અનંત લાગે તેવી ભાત પાડીને ચીતરાયા હતા. ને એ ચિતરામણ ગઈ કાલની રાજરાણીની આજે મચેલી ચકચારનું ચિતરામણ હતું. લોકોએ ઈતિહાસ લખ્યો હતો. દોહરા ને સોરઠા જોડીજોડી કંડાર્યા હતા. કોઈ વિદ્વાન મુસાફરે તો વળી મુસાફરખાનાને એક કાવ્ય-પ્રસંગથી પણ શણગાર્યું હતું. એક સુંદર મોં અને એની સામે એક કદરૂપ મોં — એવાં બે સ્ત્રીનાં મોરાં ચીતરીને નીચે એક્કેક લેખ લખ્યો હતો: ‘લૂક એટ ધિસ ફેઇસ એન્ડ લૂક એટ ધૅટ [આ મોં નિહાળો, ને પછી પેલું મોં નિહાળો]!’ થોડી વારે ત્યાં એક માણસ આવ્યો. એના હાથમાં એક કૂચડો હતો. ડબામાં કૂચડો બોળીબોળીને એ દીવાલ પરના લોક-લેખોને ભૂંસવા લાગ્યો. એક પોલીસ ત્યાં ચોકી કરતો હતો. તેણે ચૂનાવાળાની પાસે આવીને કહ્યું: “ભગત! ખડી જરા ઘાટી કરવી’તી ને! આ તો એકાએક અક્ષર માલીપાથી ડોકિયું કરે છે!” જવાબમાં —

ધોયાં ન ધોવાય,
લુયાં લુવાય નહિ;
જાળ્યાંબાળ્યાં જ જાય
પાતક તારાં, પ્રાણિયા!

— એવા આપજોડિયા સોરઠાને ચૂનો છાંટનાર પોતાના ઘંટલા જેવા ગળા વચ્ચે ભરડવા લાગ્યો. “રંગ રે કવિ! રંગ દુવાગીર! તું તો ભવેશરના મેળામાં ભલભલાને ભૂ પાઈ દઈશ,” એવું કહીને પોલીસે પોતાની છાતીમાંથી ઈયળ જેવો બળખો કાઢ્યો ત્યારે ધર્મશાળાની કૂંપળદાર નાની લીંબડી ઉપર પીરોજી રંગનું એક જાંબુડા જેવડું પક્ષી હીંચકતું હીંચકતું ગાતું હતું. એનાં ગાનમાં ઝરણાનાં નીર હતાં, વાદળની નીલપ હતી. પિનાકીએ એવું પંખી ઘણાં વર્ષો પછી જોયું, આઠ-દસ વર્ષો પહેલાં જોયું હતું — દીપડિયા વોંકળાને સામે કિનારે, બોરડીના ઝાળામાં બોર વીણવા પોતે ને દેવુબા ભમતાં હતાં ત્યારે. ભેખડગઢ થાણાની ઊંચાઈ પરથી ત્યારે સાંજની નમતી વેળાએ દસ-પંદર ગાઉ માથેથી ગિરના ડુંગરાની ધારો પર લાગતી લાંપડા ઘાસની આગ દેખાતી. એ વગડાઉ દાવાનળ રાતી-પીળી રોશની જેવો લાગતો હતો. આ સિપાઈ પી રહ્યો છે એવી કોઈક બીડીનું ઝગતું ખોખું જ એ ડુંગરાઉ દવનું નિમિત્ત બન્યું હશે. અગિયારના ટકોરા વાગ્યા. ભૂખ્યો પિનાકી ગોરા રાજશાસકની ઓફિસે ગયો. શિરસ્તેદારની પાસે જઈ એણે હકીકત મૂકી કે “મને મળતી સ્કોલરશિપ આ વખતથી બંધ થઈ છે, તો શું કારણ છે?” શિરસ્તેદારે એને પટાવાળાઓને બેસવાના બાંકડા પર રાહ જોવાનું કહ્યું. ને પોતે પિનાકીનું નિવેદન લઈ, કોટનાં બટન બરાબર બીડેલાં હતાં તેમ છતાં પણ ચાર વાર બટનો પર હાથ ફેરવી, ગળું સાફ કરી સાહેબની ‘ચૅમ્બર’માં ગયો. પિનાકીને કાને શબ્દો તો ન પડ્યા પણ સ્વરો અફળાયા. એ સ્વરોમાં નરમાશ તો નહોતી જ. બહાર આવીને શિરસ્તેદારે પિનાકીને સંભળાવ્યું: “સાહેબ બહાદુર તમને મુલાકાત આપવાની તો ના પાડે છે. પણ કહે છે કે તમારે લખી આપવું પડશે.” “શું?” “કે હું આજે અથવા ભવિષ્યમાં રાજ કે શહેનશાહ વિરુદ્ધની કોઈ પણ ચળવળમાં જોડાઈશ નહિ.” “આનું કારણ?” “તમારા હેડ માસ્તર તરફથી રિપોર્ટ થઈ આવેલ છે કે તમે એક ભયંકર બનો તેવા વિદ્યાર્થી છો.” “શા પરથી?” “રાજકોટની જ્યુબિલીમાં આંહીંના રાજ તરફથી જે સોનાનાં એરોપ્લેન મૂકવામાં આવેલ છે, તેને લડાઈમાં ગયેલા આપણા સિપાઈઓના લાભાર્થે પ્રદર્શન તરીકે મૂકવામાં આવેલ છે. તેની એકેક આનો ફી લઈને વિદ્યાર્થીઓને બતાવવાની તજવીજ થતી હતી ત્યારે તમે વિદ્યાર્થીઓને હેડ માસ્તરની સામે ઉશ્કેર્યા હતા.” “પણ એમાં ઉશ્કેરવાનું શું હતું? હેડ માસ્તર સાહેબની જ નોટિસમાં લખ્યું હતું કે જોવા જવું કે ન જવું તે મરજિયાત છે.” “તમે વિદ્યાર્થીઓમાં એ જોવા જવા વિરુદ્ધની ચળવળ તો કરી હતી ને?” “ના; મેં તો કહ્યું કે હું નથી જવાનો.” “પણ તમે છોકરાઓનાં મન ઉપર ખોટી અસર કરી તે તો ખરી વાત ને?” પિનાકી મૂઢ જેવો ઊભો રહ્યો. શિરસ્તેદારે કહ્યું: “બોલો, સહી કરી આપશો?” જવાબમાં ‘ના-હા-ના-’ એવા ઉચ્ચારો, કોઈ ભૂતગલીમાં દોડ્યાં ગયેલાં નાનાં છોકરાની પેઠે, ગળાની અંદર જ દોડી ગૂંચવાઈ ગયા. પિનાકીને દયામણું મોં કરતા આવડ્યું નહિ. એ રોષ પણ સળગાવી શક્યો નહિ. અઢાર વરસની અંદરના છોકરાઓને જે વિચિત્રતાઓ અકળાવતી, તેમાંથી પિનાકીએ પોતાનો રસ્તો ન જોયો. એ ફક્ત આટલું જ વાક્ય લાંબે ગાળે બોલી શક્યો: “ઠીક ત્યારે, હું પછી વિચાર કરીને આવીશ.” એને હેડ માસ્તર પર દાઝ ચડી. ગોરા સાહેબ પર એણે દાંત કચકચાવ્યા. શિરસ્તેદાર પણ કેવા ઠંડાગાર કલેજે વાત કરતો હતો તે યાદ કરતાં એને ખિજવાટ આવ્યો. દેવુબાએ પોતાને રઝળાવ્યો છે, એવી જાતની ઘૃણા ઊપજી. મોટાબાપુજીને આટલો બધો મિજાજ કરીને મરી જવાની શી જરૂર હતી, એ સવાલ પણ એના દિલનો કાંટો બની ગયો. આખી દુનિયા એની દુશ્મન ભાસવા લાગી. સર્વે જાણે કે સંપ કરીને પોતાનો ભુક્કો બોલાવવા માગતા હોય એવો એને ભાસ થયો. એણે પોતાના હાથ હવામાં વીંઝ્યા. પછી તો મોં પર માખી બેસવા આવી તે પણ એને કાવતરાખોર લાગી. એને રસ્તે ચાલતાં ઠોકર લાગી તેમાં પણ એણે પોતાના પ્રત્યેનું કોઈક ઈરાદાપૂર્વકનું શત્રુકાર્ય કલ્પ્યું. માણસની — ખાસ કરી કાચેરી વયના જુવાનની — કલ્પના જ્યારે આવે ચકડોળે ચડે છે ત્યારે એને આખું બ્રહ્માંડ પોતાની આસપાસ ચક્કર ફરતું લાગે છે.