મિથ્યાભિમાન/પૂર્વરંગ

Revision as of 16:47, 27 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પૂર્વરંગ

(એટલે પાત્ર આવ્યા પહેલાં ગાનારા ગાય છે તે.)

રાગ બિહાગ. “બાનાની પત રાખ, પ્રભુ તારા બાનાની પત રાખ” એ રાગનું પદ છે.

મેલ મિથ્યા અભિમાન, મનવા મેલ મિથ્યા અભિમાન;
મન મિથ્યા અભિમાન ધરે તે, નર કહીએ નાદાન, મનવા૰ — ટેક.

મિથ્યાભિમાને માન મળે નહિ, ગને ન કોઈ ગુણવાન;
ઉલટું અધિક અપમાન મળે ને, જરૂર ઉપજે જાન — મ૰ ૧

મિથ્યાભિમાન તે દુઃખનુંજ મંદિર, સુખનું નથી રે સંસ્થાન;
નથિ નથિ તેમાં સ્વાદ કે શુભ ફળ, નથિરે ધનનું નિધાન— મ૰ ૨

માટે તું મિથ્યા માન મૂકીને, કર ગોવિંદગુણ ગાન;
તત્ત્વ વિચારી તારા હિતનું કહું તે, કથન ધરી લે કાન — મ૰ ૩

નમ્રપણા રૂપી નિર્મળ જળમાં, સ્નેહ સહિત કર સ્નાન;
તેના પ્રતાપથી તારા અંતરમાં, પ્રભુની પડશે પિછાન — મ૰ ૪

મિથ્યાભિમાનનું મૂરખ થઈને, તું નવ રાખીશ તાન;
મિથ્યાભિમાનથી મહા પ્રભુ તને, દેશે નહિ સુખદાન — મ૰ ૫

માન મૂકીને માન કહ્યું તો, ઘર હરિપદનું ધ્યાન;
સારમાં સાર તો તેથી નથી બીજું, સંસારમાં તે સમાન — મ૰ ૬

માન રૂપી વિષપાન તજીને, કર પ્રભુગુણ પયપાન;
મિથ્યાભિમાનમાં મોહિત થઈને, તું ન કરીશ તોફાન — મ૰ ૭

નમ્રપણા પર નિશદિન તારૂં, કર તન ધન કુરબાન;
ભોળપણાથકી ભ્રમિત થઈને, ભૂલીશ નહિ કદિ ભાન — મ૰ ૮

નમ્રપણા થકી નાથ રિઝે એમ, કહે છે પુરાણ કુરાન;
મિથ્યાભિમાન તો મહાભયંકર, સળાગતું છે સમશાન — મ૰ ૯

મિથ્યાભિમાનિના મનમાં ભલે કદી, ગમે તેવું હોય જ્ઞાન;
તોપણ તેને તૃણની જ તુલ્યે, જાણે છે સકળ જહાન— મ૰ ૧૦

મિથ્યાભિમાનનું મૂળમાંથી કદી, થાય ખેદાન મેદાન;
દશમુખ, દુરજોધન, આદિકનું, સૃષ્ટિમાં ન રહ્યું સંતાન — મ૰ ૧૧

નમ્રપણામાં નિત્ય રહે નર, મનાય એજ મહાન;
નમ્રપણા થકી નિર્ભય પદનો, જગપતિ થાય જમાન — મ૰ ૧૨

મિથ્યાભિમાનથી મુઆ કમોતે, ખાનખાનાં સુલતાન;
મિથ્યાભિમાની માણસ મનમાં, હઠ ધરી થાય હેરાન — મ૰ ૧૩

મિથ્યાભિમાન તો મુઆ પછી પણ, નરકનું જાણ નિશાન;
જુના ગ્રથોમાં જુઓ તપાસીને, અનેક છે આખ્યાન — મ૰ ૧૪

આ નાટકમાં જ્યારે ફૂરસદ મળે ત્યારે ઉપલા પદમાંની બે ચાર લીટીઓ ગાવી. અંક પૂરો થતાં ગાવાનું સાત વાર આવશે, માટે દરએક પ્રસંગે બબ્બે ચરણ ગાઈને ૧૪ ચરણ પૂરાં કરવાં.)