આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A

From Ekatra Foundation
Revision as of 11:20, 20 November 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
સંજ્ઞાકોશ
A

A


Abridgement સંક્ષિપ્તીકરણ

મૂળ કૃતિનાં મુખ્ય વસ્તુ અને સ્વરૂપને જાળવી રાખીને તેને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પ્રક્રિયા.

Absolutism નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ

કલાકૃતિ અંતર્ગત મૂળભૂત મૂલ્યો પડેલાં છે અથવા કેટલાંક અચલ અને અનુલ્લંઘનીય મૂળભૂત ધોરણો છે જેને આધારે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે એવું માનનારો સિદ્ધાંત. આ સિદ્ધાંત સાપેક્ષતાવાદ(જુઓ, Relativism)થી વિરુદ્ધનો છે.

Abstract અમૂર્ત

મૂર્તની, આ વિરોધી સંજ્ઞા છે. કલાના ક્ષેત્રે અમૂર્ત એટલે અપ્રતિનિધાનશીલ. એટલે કે એમાં પ્રાકૃતિક જગતની વસ્તુઓના સામ્યનો અભાવ છે. કાવ્યશાસ્ત્રમાં મોટે ભાગે મૂર્ત કરતાં અમૂર્તનું ઓછું મૂલ્ય અંકાયું છે. કવિતાની મૂર્તતા ઉપર વારંવાર ભાર મુકાયો છે. ટી. એસ. એલિયટ જ્યારે ‘વસ્તુલક્ષી સહસંયોજક’ની વાત કરે છે ત્યારે એમાં અમૂર્તતાથી મૂર્તતા તરફનો ઝોક જોઈ શકાય છે.

Abstract poetry અમૂર્ત કવિતા

જેનો અર્થ મુખ્યત્વે નાદતત્ત્વ પર નિર્ભર હોય એવી કવિતા. અમૂર્ત ચિત્રકલા રંગ અને આકારોનો જે પ્રકારે ઉપયોગ કરે છે એ પ્રકારે નાદતત્ત્વનો ઉપયોગ કરતી કવિતા માટે ડેમ ઇડિથ સિટવલે (Dame Edith sitwell) પહેલવહેલીવાર આ સંજ્ઞા પ્રયોજી છે. અમૂર્ત ચિત્રકલા વાસ્તવિક પદાર્થોના પ્રતિનિધાન વગર જેમ રંગ અને આકારોની રચના દ્વારા અર્થ સંવહે છે તેમ અમૂર્ત કવિતા પ્રારંભિક અર્થને અતિક્રમી નાદસંપત્તિ ઊભી કરવાના સંદર્ભમાં શબ્દોની પસંદગી કરે છે.

Absurd અસંબદ્ધ, અયુક્ત, ‘એબ્સર્ડ’

માનવ-અસ્તિત્વ અંગેના આધુનિક ચિંતનમાં એક એવું વલણ બહાર આવ્યું કે વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી અલગ પડી ગયેલી છે, કશુંક પણ અર્થપૂર્ણ કાર્ય કરવામાં તે અસમર્થ છે, અને તે પોતાનાથી કાબૂ બહારનાં બાહ્ય બળોનો ભોગ બનેલી છે વીસમી સદીની યુરોપીય વિચારસરણીના એક ભાગ તરીકે વિકસેલું આ વલણ સાર્ત્ર અને કામૂનાં ચિંતનશીલ લખાણોમાંથી પણ બહાર આવ્યું. ત્યાર બાદ સેમ્યૂઅલ બેકિટ, ઈઅનેસ્કો, હેરલ્ડ પિન્ટર આદિ નાટ્યલેખકોએ રંગભૂમિ ક્ષેત્રે આ વિચારધારાને આગળ વિકસાવી, જેના પરિણામરૂ૫ થિયેટર ઑવ ધી એબ્સર્ડનો ઉદ્‌ભવ થયો.
બીજા વિશ્વયુદ્ધ પછી આ અસ્તિત્વવાદી લેખકોએ નાટકો દ્વારા માનવજીવનમાં સંવાદિતા, હેતુ વગેરે વિધેયાત્મક પરિબળોના અભાવનું ચિત્ર રજૂ કર્યું. બેકિટનું ‘વેઇટિંગ ફોર ગોદો’ (૧૯૫૨) અને ઈઅનેસ્કોનું ‘ધ ચેર્સ’ (૧૯૫૧) આ પ્રકારનાં નાટકો છે.
લાભશંકર ઠાકર અને સુભાષ શાહ લિખિત ‘એક ઊંદર ને જદુનાથ’થી ગુજરાતી રંગભૂમિમાં આ પ્રકારનું નાટ્યલેખન અસ્તિત્વમાં આવ્યું.

Accent સ્વરભાર

સ્વર કે શબ્દ પર ભાર દઈને થતો ઉચ્ચાર અને આને કારણે વાક્યખંડ કે વાક્યમાં શબ્દની ઊભી થતી પ્રત્યગ્રતાની માત્રા, ભાવક પંક્તિનો કયો અર્થ ઇચ્છે છે એને આધારે સ્વરભાર ક્યાં આવશે એ નક્કી થઈ શકે છે.

Acmeism ભૌમિકવાદ

વીસમી સદીની રશિયન કવિતાનું એક આંદોલન. આ આંદોલનના સૂત્રધાર ગુમિલેવ, એસ. ગોરાદેત્સકી, એ. મેન્દલસ્તેમ, એન. એખ્માતોવા જેવા કવિઓ છે. કવિતાનાં પ્રતીકવાદી વલણો સામેનું આ કવિઓનું વલણ છે. રંગ ગંધ અને ધ્વનિથી યુક્ત સંબદ્ધ અને દૃશ્ય એવા આ જગતના સંદર્ભમાં એમણે પ્રતીકવાદીઓના ‘અન્ય જગત’નો ઇન્કાર કરેલો. ભવિષ્યવાદીઓ અને ભૌમિકવાદીઓએ પોતાની ‘પૃથ્વીલોકના પાર્થિવ’ તરીકે ઓળખાણ આપી છે.

Act અંક

નાટકનો મુખ્ય એકમ કે વિભાગ. સંસ્કૃત તેમ જ ગ્રીક નાટકોમાં સામાન્યતઃ પાંચ અંકોનો સમાવેશ થતો. આ પરંપરા ૧૯મી સદીના અંતભાગ સુધી ભારતીય ભાષાનાં નાટકોમાં પણ મહદ્‌ અંશે જળવાઈ. વીસમી સદીના આરંભ સાથે યુરોપીય રંગભૂમિની અસરના પરિણામરૂપ ભારતીય રંગભૂમિ ઉપર ત્રણ અંકનાં નાટકો ભજવાવા લાગ્યાં. છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી બે અંકનાં નાટકો પણ પ્રચારમાં આવ્યાં. માત્ર એક અંકનાં નાનાં નાટકો, જે સમય જતાં સ્વતંત્ર સાહિત્ય-સ્વરૂપ(એકાંકી) તરીકે આગળ આવ્યાં, તે ૫ણ વીસમી સદીમાં જ વિશેષ પ્રચાર પામ્યાં.
સંસ્કૃત નાટકોની અસર હેઠળ લખાયેલાં ગુજરાતી નાટકો પાંચ અંકમાં પ્રાપ્ત થાય છે જેવાં કે : ‘જયા જયન્ત’, ‘શાહાનશાહ અકબરશાહ’ (નાનાલાલ) વગેરે, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટ્યલેખન ત્રિઅંકી નાટકો તરફનો ઝોક બતાવે છે – જેવાં કે : ‘સુમંગલા’ (શિવકુમાર જોષી), ‘કુમારની અગાશી’ (મધુ રાય). છેલ્લા બે દાયકામાં આધુનિક વિશ્વરંગભૂમિનાં વલણો સ્વીકારીને ચાલતું નાટ્યલેખન દ્વિઅંકી નાટકો પણ લાવ્યું છે – જેવાં કે : ‘સુમનલાલ ટી દવે’ (સુભાષ શાહ) ‘પીળું ગુલાબ અને હું’ (લાભશંકર ઠાકર).
એકાંકી : (જુઓ, One Act Play)

Action ક્રિયા, કાર્ય

કૃતિનો મુખ્ય ઘટનાઅંશ કૃતિનું આ મૂળભૂત ક્રિયાતત્ત્વ, નાટક અથવા વાર્તાનું વસ્તુ સિદ્ધ કરે છે.
નાટ્યકૃતિનું ક્રિયાતત્ત્વ વિવિધ રીતે પ્રગટ કરવામાં આવે છે; જેમકે : પાત્રોની ગતિવિધિ દ્વારા (જુઓઃ Character), સંવાદમાં રહેલી ચોટ દ્વારા (જુઓ : Dialogue), અથવા પશ્ચાદ્‌ભૂમિમાં બનેલી ઘટનાના અસરકારક વર્ણન દ્વારા. (જુઓ, Chorus, Narrator).
નાટક કે વાર્તામાં ક્રિયાતત્ત્વના મહત્ત્વ વિશે એરિસ્ટોટલ, ભરત આદિ નાટ્યવિદો વિવિધ મત ધરાવે છે. નાટક કે વાર્તામાં અસરકારક આરંભથી ઉચિત અંત સુધી ગતિ કરતો ક્રિયાતત્ત્વનો આલેખ હોય એ સર્વસ્વીકૃત બાબત છે. ઉપરાંત ક્રિયાતત્ત્વનું મુખ્ય લક્ષણ એના દ્વારા પાત્રો તથા વસ્તુનું ઉદ્‌ઘાટન તથા તેનો વિકાસ છે. (જુઓ, Conflict)
સાહિત્યસર્જનનાં કેટલાંક આધુનિક વલણો હંમેશાં ક્રિયાતત્ત્વના સળંગ આલેખની અનિવાર્યતા સ્વીકારતાં નથી, આથી તેમાં ક્રિયાતત્ત્વનો અભાવ અથવા ક્રિયાતત્ત્વની અલ્પતા જણાય છે. (જુઓ, Anti-Novel, Anti-play).
આધુનિક વિવેચને કૃતિમાં પ્રગલ્ભ રીતે આવતા ઘટનાઅંશોને આંતરિક ક્રિયા તરીકે તપાસ્યાં છે. (જુઓ, Inner action).

Act theory કાર્યસિદ્ધાંત

કાર્યસિદ્ધાન્ત અને વસ્તુસિદ્ધાંત (object theory) વચ્ચે સૂચક ભેદ છે. સાહિત્યને આશયલક્ષી વર્તનના ભાગ રૂપે જોનારો સિદ્ધાન્ત કાર્યસિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્ત આશયલક્ષી વર્તનના પ્રકારરૂપે સાહિત્યને જોતો હોવાથી સર્જક અને ભાવકની અભિવૃત્તિને આવશ્યક રીતે સાંકળે છે, જ્યારે સાહિત્યનો વસ્તુસિદ્ધાન્ત સાહિત્યને આશયલક્ષી ક્રિયાના ભાગરૂપે નહિ પણ માનવહેતુઓ અને આશયોથી અતિરિક્ત એક વસ્તુ રૂપે સાહિત્યને જુએ છે. આથી વસ્તુસિદ્ધાન્ત સાહિત્યકૃતિને એક સ્વતંત્ર અસ્તિત્વ રૂપે સ્વીકારે છે.

Adaptation રૂપાંતર

સાહિત્યકૃતિના મૂળ સ્વરૂપમાં આવશ્યક ફેરફારો દ્વારા અન્ય સાહિત્યસ્વરૂપમાં કરાતું નવસંસ્કરણ. જેમકે, મૂળ નવલકથાના આધારે નાટક. ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટકના આધારે એના જ લેખક મધુ રાય દ્વારા કરાયેલું ‘કામિની’ નવલકથામાં રૂપાંતર. સાહિત્યમાં રૂપાંતરોની પરંપરા મધ્યકાળથી આજપર્યંત વિવિધ સંયોજનોમાં વિકસતી રહી છે. આખ્યાનકાવ્યમાં રૂપાંતરિત થતી પુરાણકથાઓ કે લોકકથાઓનાં અનેક ઉદાહરણો ગુજરાતી સાહિત્યમાં છે. રામાયણ-મહાભારતની વાર્તાઓ અને તેનાં પાત્રો આ જ રીતે ગુજરાતી સાહિત્યની અનેક આધુનિક કૃતિઓમાં પણ સ્થાન પામ્યાં છે. જેમકે, ‘મંથરા’ (ઉમાશંકર જોશી), ‘પરિત્રાણ’ (દર્શક), ‘’બાહુક’ (ચિનુ મોદી).
આધુનિક ગુજરાતી સાહિત્યમાં પણ પુરાણકથા કે લોકકથાનાં આધુનિક સ્વરૂપોમાં થતા રૂપાંતરોની સરખામણીમાં એક આધુનિક સાહિત્યસ્વરૂપમાંથી કૃતિનું અન્ય આધુનિક સાહિત્યસ્વરૂપમાં રૂપાંતર – નાટક અને નવલકથાના અરસપરસ સંયોજનને બાદ કરતાં – જવલ્લે જ જોવા મળે છે.

Adventure Story સાહસકથા

કોઈ એક પાત્ર કે પાત્રો દ્વારા કરાતાં સાહસિક કાર્યોનું નિરૂપણ કરતી ઘટનાપ્રધાન કથા. આ પ્રકારની કથામાં પાત્રનિરૂપણ તથા વસ્તુસંયોજન જેવાં પાસાંઓ કરતાં ક્રિયા(Action)ના પાસાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. જેમકે, ગુણવંતરાય આચાર્યની નવલકથા ‘દરિયાલાલ’

Aesthetic Appreciation સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ

સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ સાથે સૌન્દર્યનું વિવેચનાત્મક મૂલ્યાંકન સંકળાયેલું છે. સૌન્દર્યનિષ્ઠ આનંદ જે કોઈના નિજી અનુભવ પર ભાર મૂકે છે, તે સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ કૃતિની લાક્ષણિક્તાને તપાસે છે. એક વ્યક્તિવિષયક છે, અન્ય કૃતિવિષયક છે.

Aesthetic distance સૌન્દર્યનિષ્ઠ અંતર

ખાસ તો નવ્ય વિવેચનક્ષેત્રની આ સંજ્ઞા છે. પોતાના અભિપ્રાયોને વ્યક્ત કર્યા વગર કે પોતાનાં મૂલ્યાંકનો યા પોતાના વ્યક્તિત્વને પ્રગટ કર્યા વગર કાલ્પનિક પાત્રો અને પરિસ્થિતિઓને સર્જક નિરૂપી શકે એવી એની વસ્તુલક્ષિતા અહીં અપેક્ષિત છે. ઉપરાંત કોઈ વિવેકપૂર્ણ ભાવક પોતે શું વાંચી રહ્યો છે એને પૂરેપૂરું અવગત કરવા માગતો હોય અને એનું મૂલ્યાંકન કરવા માગતો હોય તો એણે જાળવવી પડતી વસ્તુલક્ષિતાની અને તટસ્થતાની માત્રાનો પણ સૌન્દર્યનિષ્ઠ અંતર દ્વારા સંકેત છે. ટૂંકમાં સૌન્દર્યનિષ્ઠ અંતર સર્જક અને ભાવક બંને પક્ષની આત્મલક્ષી સંડોવણીનો છેદ ઉડાડે છે.

Aestheticism સૌન્દર્યવાદ

સૌન્દર્યવાદ એ સૌન્દર્યનિષ્ઠ ઝુંબેશ છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં વિકસેલી યુરોપીય ઘટના છે, જેના તત્ત્વવિચારનું કેન્દ્ર ફ્રાન્સમાં હતું અને જેનાં મૂળ કૅન્ટ જેવાના જર્મન સિદ્ધાન્તમાં પડેલાં હતાં. ફ્રેન્ચ સૌન્દર્યવાદના સિદ્ધાંતો ઇંગ્લૅન્ડમાં ૧૯૮૦ની આસપાસ દાખલ કરનારાઓમાં ઓસ્કર વાઈલ્ડ અને વોલ્તર પિતર અગ્રણી હતા. આ સંદર્ભમાં પિતરનું વિધાન છે : ‘કલા ખાતર કલાનો પ્રેમ’ (જુઓ, Art for Art’s sake) મૂલ્યોનું બીભત્સીકરણ અને કલાઓના વાણિજ્યકરણ સામેનો આ વાદનો અવાજ છે. આ વાદ સાથે ‘સૌન્દર્યનું પરમ મૂલ્ય’ સંકળાયેલું છે.

Aesthetic pleasure સૌન્દર્યનિષ્ઠ આનંદ

અન્ય આનંદોથી આ આનન્દ નોખો છે. સાધન તરીકે નહિ પરંતુ સાધ્ય તરીકે કશાકને સંવેદવાનું પરિણામ છે.

Aesthetics સૌંદર્યશાસ્ત્ર

અઢારમી સદીમાં સૌન્દર્યશાસ્ત્રી બોમગાર્ટને સૌપ્રથમ ‘સૌન્દર્યશાસ્ત્ર’ (Aesthetics) સંજ્ઞાને આધુનિક અર્થમાં પ્રચલિત કરી. આ શાસ્ત્ર, દર્શન, વિજ્ઞાન, સંસ્કૃતિ વગેરેની સહાય લે છે. સૌન્દર્યશાસ્ત્ર મુખ્યત્વે ત્રણ સમસ્યાઓ સાથે કામ પાડે છે : (૧) સૌન્દર્યશાસ્ત્ર બધી જ કળાઓના અનુભૂતિ – અભિવ્યક્તિ – વિશ્વને એક જ અર્થ-સંદર્ભ દ્વારા અભિવ્યંજિત તથા સંપ્રેષિત કરી શકાય તેવી ભાષાના નિર્માણમાં વિશેષ રસ ધરાવે છે. (૨) અસુંદર, આતંકપૂર્ણ, કુરૂપ તેમ જ કુત્સિતને પણ રમણયોગ્ય ગણી સૌન્દર્યશાસ્ત્રની ક્ષેત્રમર્યાદામાં સામેલ કરવાનો પ્રયત્ન કરે છે. (૩) કલાના અનુભવનું વિવેચન, આસ્વાદન તેમ જ દર્શન એમ ત્રણે પાસાઓનો સમન્વય કરવા માટે સૌન્દર્યશાસ્ત્ર પ્રયત્નશીલ છે.
આધુનિક સૌન્દર્યશાસ્ત્ર, કૃતિને વિશે નહિ, પણ તેને અનુલક્ષીને થયેલાં વિધાનોની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓની પ્રમાણભૂતતા તપાસવામાં રસ ધરાવે છે. આ શાખા ‘વિવેચનના તત્ત્વજ્ઞાન’ તરીકે પણ ઓળખાય છે.
સૌન્દર્યશાસ્ત્રના તુલનાત્મક, મનોવૈજ્ઞાનિક, સમાજવૈજ્ઞાનિક વગેરે અભિગમો જાણીતા છે. બોમગાર્ટન, ક્રોચે, જાન ડ્યૂઈ, અર્ન્સ્ટ કાસીર, મન્રો બીર્ડ્‌ઝલી, સુઝાન લૅન્ગર, મોરિસ વિટ્‌સ, મેર્લો પોન્તી વગેરે સૌન્દર્યશાસ્ત્રના મુખ્ય પુરસ્કર્તાઓ છે.

Affective fallacy પ્રતિભાવદોષ

ડબલ્યૂ. કે. વિમસેટે અને બીર્ડ્‌ઝલીએ ભાવક પર થતી કવિતાની પ્રતિક્રિયા, ખાસ તો સંવેદાત્મક પ્રતિક્રિયાને આધારે કાવ્યની મૂલવણી કરવાના આ દોષને પ્રતિભાવાત્મક દોષ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. આ દોષને કારણે કૃતિના કૃતિત્વનો છેદ ઊડી જાય છે, અને વિવેચન વસ્તુલક્ષી બનતું અટકી મુખ્યત્વે સંસ્કારવાદિતા અને સાપેક્ષવાદિતામાં જઈને અટકે છે. આ રીતે ભાવકની પ્રતિક્રિયાના સંદર્ભમાં કૃતિની મૂલવણીનો વિવેચનદોષ, સર્જકના આશયના સંદર્ભમાં કૃતિની મૂલવણીના વિવેચનદોષ(જુઓ, Intentional fallacy)ના સામા છેડાનો છે.

After piece અનુસારિકા

મુખ્ય નાટકને અંતે ભજવાતું અને તે નાટક સાથે વસ્તુગત અનુસંધાન ન ધરાવતું નાનું નાટક. જૂના સમયમાં જ્યારે એકસાથે એકથી વધુ નાટકો ભજવાતાં ત્યારે એક નાટકના અંતે આવું નાનું નાટક (playlet) અનુસારિકા તરીકે ભજવાતું.
આ જ રીતે મુખ્ય નાટક પહેલાં ભજવાતું નાનું નાટક પ્રારંભિકા (Curtainraiser) કહેવાય છે.

Agrarianism કૃષિવાદ

અનેક અર્થમાં વપરાતી આ સંજ્ઞા સાહિત્યક્ષેત્રે શહેરી અને ઔદ્યોગિક સમાજના વિરોધમાં ગામવસવાટ અને ગ્રામીણ અર્થતંત્ર સાથે સંકળાયેલી જીવનરીતિને નિર્દેશે છે. ઔદ્યોગિક મૂડીવાદનો વિરોધ કરી જમીન ભણી પાછા ફરવા માગતા વીસમી સદીની શરૂઆતના અમેરિકન લેખકોને આ સંજ્ઞા સાથે નિસબત છે.

Alienation વિચ્છેદ

આ સંજ્ઞા બે ભિન્ન અર્થમાં પ્રયોજાય છે :
૧. સામાજિક નિસબતનો સ્વેચ્છાપૂર્વક અસ્વીકાર કરવાનું કેટલાક સર્જકોનું વલણ. આ સર્જકો પોતાનને સામાન્ય મનુષ્યથી ઉચ્ચ કોટિના ગણી કૃતિમાં સામાજિક પ્રશ્નોનો વિનિયોગ કરવાનું અનુચિત લેખે છે.
૨. જર્મન નાટ્યકાર બ્રેસ્ત દ્વારા પ્રસ્થાપિત વિભાવના. બ્રેસ્તના મત અનુસાર કૃતિમાં થતાં લાગણીઓનાં નિરૂપણ દ્વારા ભાવકની વિચારશક્તિને નિષ્ક્રિય બનાવી દેવામાં આવે છે. વાસ્તવવાદી સાહિત્યકૃતિઓના આ લક્ષણના વિરોધમાં બ્રેસ્તે વિચ્છેદની વિભાવના પ્રસ્તુત કરી, તે મુજબ ભાવક (પ્રેક્ષક) અને સર્જક (નાટ્યકાર, અભિનેતા) બંનેએ કૃતિના ભાવન અને સર્જન વખતે પાત્રોની લાગણીઓને તટસ્થ ભૂમિકાએ મૂલવવી જોઈએ અને સાહિત્યકૃતિ એ માત્ર જીવનની કાલ્પનિક અભિવ્યક્તિ છે તે વિશે સભાન રહેવું જોઈએ. કૃતિનાં પાત્રો અને ક્રિયા સાથે સર્જક કે ભાવકે તાદાત્મ્ય ન સ્થાપવું જોઈએ. રંગભૂમિના સંદર્ભમાં બ્રેસ્તે આ વિભાવનાને અનુરૂપ કેટલીક પ્રવિધિઓ યોજી. જેમકે, પ્રેક્ષકો સાથે પાત્ર દ્વારા સીધી વાતચીત, નાટકની ક્રિયાને અચાનક થોભાવી ગીત, પોસ્ટર્ઝ, સ્લાઈડ્‌ઝ વગેરેની રજૂઆત, અવાસ્તવિક પાત્રનિરૂપણ વગેરે.

Allegory રૂપકપ્રબંધ, રૂપકકથા

મૂળે તો રૂપકપ્રબંધ એ ગદ્ય યા પદ્યમાં દ્વિ-અર્થી કથા છે. એટલે એવી કથા જે બે સ્તરે વાંચી શકાય, સમજી શકાય, એનું અર્થઘટન થઈ શકે. એમાં સૂચક રીતે સરખી લાગતી અન્ય વસ્તુના ઓથા હેઠળ કોઈ એક વસ્તુનું વર્ણન હોય છે. આ પ્રકારના વર્ણનમાં પાત્રો, કાર્ય અને ક્યારેક તો દૃશ્યો પણ એવી રીતે રચવામાં આવ્યાં હોય કે એમનો પોતાનો અર્થ સીમિત રહેતો નથી, પરન્તુ એમની સાથે સંબંધિત અન્ય કોઈ વ્યક્તિઓ, વસ્તુઓ અને ઘટનાઓના ક્રમને પણ એ સૂચવે છે. એટલે કે પાત્રો, કાર્ય અને દૃશ્યો વ્યવસ્થિત રીતે પ્રતીકાત્મક હોય છે. આને ઘણી વાર વિસ્તારેલા રૂપક તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યકાળનું આ એક સર્વસ્વીકૃત કાવ્યસ્વરૂપ છે. જેમકે ‘ત્રિભુવન-દીપકપ્રબંધ’

Alliteration વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ

સામાન્ય રીતે શબ્દોના આરંભના વ્યંજનોની પુનરાવૃત્તિને કે સ્વર-વ્યંજનોનાં સંયોજનોની પુનરાવૃત્તિને વર્ણાનુપ્રાસ કહેવાય છે. કાવ્યમાં નાદની ચોક્કસ તરાહો દ્વારા કલાત્મક પ્રભાવ ઊભો કરવા કાં તો અનાયાસ કાં તો આયાસપૂર્ણ રીતે આનો વિનિયોગ થાય છે. જેમકે, ‘કાન્ત’ની પંક્તિ જુઓ : ‘કામિની કોકિલા કેલિ કૂજન કરે.’

Allonym છદ્મનામ

સાહિત્યકૃતિના મૂળ કર્તા દ્વારા અન્ય કોઈ કર્તાના નામ હેઠળ રજૂ કરાયેલી સાહિત્યકૃતિ અથવા જે તે સાહિત્યકૃતિ માટે આગળ ધરવામાં આવેલા અન્ય કર્તાના નામના સંદર્ભમાં આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે.
મધ્યકાલીન સાહિત્યમાં આ પ્રકારની કૃતિઓ સંશોધનને આધારે અલગ તારવી શકાય છે. મીરાંનાં કેટલાંક પદો મૂળમાં અન્ય કર્તાઓએ રચેલાં અને મીરાંનાં નામે પ્રચારમાં મૂકેલા. (જુઓ, Pseudonymous Literature)

Allusion ઉલ્લેખ

સાહિત્યકૃતિમાં વ્યક્તિ સ્થળ કે ઘટનાનો, અન્ય સાહિત્યકૃતિનો, કલાનો, ઐતિહાસિક કે પૌરાણિક પાત્રોનો ગર્ભિત નિર્દેશ તે ઉલ્લેખ. સાહચર્ય એ ઉલ્લેખનું આવશ્યક અંગ છે. સાહચર્ય દ્વારા ઉલ્લેખ, સામાન્ય વિધાનની સીમાની બહાર અનુભવના વિશાળ જગતને લઈ આવે છે. નવા સંદર્ભમાં પ્રતિઘોષિત સામગ્રીને સંમિલિત કરી સાહિત્યકૃતિને સમૃદ્ધ કરવામાં આવે છે.
આધુનિકો પોતાના અંગત વાચન કે અનુભવ પર આધારિત ખૂબ વિશેષ રીતે ગર્ભિત ઉલ્લેખને કૃતિમાં લાવે છે. કોઈ અભ્યાસપૂર્ણ ટિપ્પણ સિવાય બહુ ઓછા ભાવકો એ પકડી શકે છે. જેમકે, સુરેશ જોષીની પંક્તિઓ જુઓ : ‘મૃણાલ મૃણાલ મારી સોનાની મૂરત આ તે શા તુજ હાલ?’
અહીં ગર્ભિત રીતે સુરતનગર સંદર્ભે લખાયેલી નર્મદની પંક્તિઓનો ઉલ્લેખ છે. ઉલ્લેખના અનેક પ્રકારો છે :
સામયિક ઉલ્લેખ (topical allusion) વર્તમાન ઘટનાને નિર્દેશે છે.
અંગત ઉલ્લેખ (personal allusion) કાર્યની પોતાની ઘટનાઓ પરત્વે હોય છે.
રૂપકાત્મક ઉલ્લેખ (metaphorical allusion) કાર્યની રીતે સકુંલ છે અને અર્થમાં સમૃદ્ધ છે. ઉલ્લેખ અહીં રૂપકનો આશ્રય લે છે.
અનુકરણાત્મક ઉલ્લેખ (immitative allusion) કાં તો વિશિષ્ટ કાં તો સ્વરૂપગત કે પ્રતિકૃતિગત હોય છે.
સ્વરૂપ ઉલ્લેખ (structural allusion) પુરોકાલીન કૃતિના સ્વરૂપને સૂચવીને નવી કૃતિને સ્વરૂપ બક્ષે છે.

Altruism પરહિતવાદ

સ્વાર્થવાદની વિરુદ્ધની સંજ્ઞા. આ સંજ્ઞા અન્યના શ્રેય માટેની નિઃસ્વાર્થ વૃત્તિ સૂચવે છે. ભૂતકાળ અને વર્તમાનમાં પરહિતવાદથી પ્રેરાઈને ઘણી સમસ્યા-નવલો અને ઘણાં સમસ્યા-નાટકો રચાયાં છે.

Amateur બિનધંધાદારી

મુખ્યત્વે રંગભૂમિના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા અવૈતનિક ધોરણે કલાશોખથી પ્રેરાઈને રંગભૂમિની પ્રવૃત્તિઓ કરતી નાટ્યમંડળીઓનું સૂચન કરે છે. વ્યાવસાયિક રંગભૂમિના અનિવાર્ય બંધનોથી મુક્ત હોવાને કારણે આ પ્રકારની મંડળીઓ પ્રયોગલક્ષી પદ્ધતિએ નાટ્યપ્રવૃત્તિ કરવાનું વલણ દાખવે છે.
વ્યાવસાયિક રંગભૂમિની પૂર્વેની તાલીમ તરીકે આ પ્રકારની મંડળીઓનું મહત્ત્વ વિશ્વમાં બધે સ્વીકારાયું છે. નબળી કક્ષાની વ્યાવસાયિક રંગભૂમિના સંદર્ભમાં પણ આ સંજ્ઞા (Amateurish) ટીકાત્મક ભાવમાં પ્રયોજાય છે.
સાહિત્ય તથા કલાનાં અન્ય સ્વરૂપોમાં પ્રાથમિક કક્ષાની કામગીરી બજાવતા ઊગતા કલાકારો માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.

Ambience ભાવસૃષ્ટિ

સાહિત્યિક સંદર્ભે આ સંજ્ઞાનો અર્થ સાહિત્યકૃતિનું ‘વાતાવરણ’ કે એની ‘ભાવમુદ્રા’ થાય છે.

Ambiguity સંદિગ્ધતા

સંદિગ્ધતા સામાન્ય રીતે વાક્યનો ગુણધર્મ અથવા દ્વિઅર્થ કે વધુ અર્થ ધરાવતા શબ્દનો ગુણધર્મ છે. સંદિગ્ધતા એક એવો સંકેત છે જે એક કરતાં વધુ સંદેશાઓનું પ્રવહન કરે છે. સંદિગ્ધતામાં બહુ-અર્થતા પડેલી છે; પછી એ શબ્દની હોય કે વાક્યની.
સંદિગ્ધતા બે પ્રકારના શબ્દવિશ્લેષણથી, સ્વરભારકાકુથી, વાક્યવિન્યાસથી, વિરામચિહ્નથી કે સમધ્વનિથી સર્જી શકાય. સંદિગ્ધતા અન્યત્ર જે દોષ ગણાય તેનું આધુનિક વિવેચને ‘સમૃદ્ધિ’ કે ‘મર્મ’ના અર્થરૂપે ગુણસંપત્તિમાં રૂપાંતર કર્યું છે. એમાં બે અભિપ્રાયોએ ભાગ ભજવ્યો છે : એક તો વૈજ્ઞાનિક ભાષામાં જે જરૂરી છે તેની કવિતાક્ષેત્રે જરૂર નથી એવો આઈ. એ. રિચડર્‌ઝનો અભિપ્રાય અને ૧૯૩૦ના પુસ્તક ‘સેવન ટાઈપ્સ ઑવ એમ્બિગ્વિટી’માં સંદિગ્ધતા અંગે વ્યક્ત થયેલો વિલ્યમ એમ્પસનનો અભિપ્રાય. સંદિગ્ધતાનો સિદ્ધાન્ત એ આત્મસેવન માટેનો, મુક્ત સાહચર્ય માટેનો કે અર્થોના યાદૃચ્છિક ખડકલા કરવા માટેનો પરવાનો નથી. બહુ અર્થો એમના આંતર-સંબંધો દ્વારા સમર્થિત થઈ શકવા જોઈએ. કાવ્યમાં નિયંત્રણ બહાર અર્થો લાદી શકાતા નથી, કે એકને રાખી બાકીના અર્થો રદ કરી શકાતા નથી. સારો કવિ સંદિગ્ધતા માટે કયા સંયોજકો (connectives)નો લોપ કરવો અને ક્યા ઉત્કર્ષકો (intensives)નો ઉપયોગ કરવો એ બરાબર જાણે છે.
સંદિગ્ધતા બે જુદા જુદા અર્થમાં વપરાય છે : (૧) કશુંક ન કહેવાનું હોય એમાંથી જન્મતી સંદિગ્ધતા, જેને અસ્પષ્ટતા (vagueness) તરીકે ઓળખી શકાય. (૨) કશુંક કહેવાયું હોય એમાંથી જન્મતી સંદિગ્ધતા.

Ambivalence ઉભયમુખતા, દ્વિર્ભાવ

એક જ વસ્તુ, વિચાર, ઘટના કે પાત્ર પરત્વે ઉદ્‌ભવતી બે વિરોધાભાસી ભાવ-સ્થિતિ. એક જ મુદ્દાને બે કે તેથી વધુ દૃષ્ટિકોણથી તપાસવાની વૃત્તિ. મૈત્રેયી દેવીની બંગાળી નવલકથાનું પાત્ર અમૃતા એક પ્રસંગે વર્તમાનમાંથી ઊંચકાઈને ૧૯૩૦ના તેના અનુભવમાં સરી પડે છે તે સ્થિતિને ભાવકના દૃષ્ટિકોણથી ઉમાશંકર જોશી આ રીતે મૂલવે છે : ‘(અહીં) હૃદયભાવની ઉભયમુખતા(ambivalence)નો પ્રભાવ કામ કરી જાય છે....’ [શબ્દની શક્તિ, પૃ. ૧૭૨]
પ્રતીકરચનાની ચર્ચામાં, ‘કોઈક વાર પ્રતીક એકીસાથે અનેક વિભિન્ન અર્થોના કલાપને વિસ્તારે છે,’ એમ કહેતાં ભાવશબલતા(ambivalent attitudes)ને પ્રકટ કરવામાં એ સમર્થ સાધન બને છે, એવી પ્રતીકરચનાના સંદર્ભે પ્રકટ થતી ઉભયમુખતા(ambivalence)ની ચર્ચા થઈ છે. (‘કિંચિત્‌’, ‘સુરેશ જોષી’, પૃ. ૨૯, ૯૦)

Amphibolous બહુગ્રાહ્ય

બહુગ્રાહ્ય એટલે વ્યાકરણગત સંરચનાને આધારે જે વાક્ય કે વાક્યખંડ સંદિગ્ધ હોય, જેને એક કરતાં અનેક રીતે અર્થઘટિત કરી શકાય.
જેમકે મનહર મોદીની પંક્તિ જુઓ :
ખોદે / ઘાસ ઘાસનો રંગ
ખોદે ઘાસ / ઘાસનો રંગ

Amplification પ્રવર્ધન

કોઈ વિધાન કે સંવાદનો ચોકકસ હેતુસર વિસ્તાર કરવો. એ દ્વારા એક સાધારણ વિચારની ભાવક ઉપર પ્રબળ અસર સ્થાપી શકાય.
નાટ્યકૃતિમાં રજૂ થતા વિચારની ચર્ચા કરતાં એરિસ્ટોટલ વિચારનાં પ્રવર્ધન અને સંકોચન (‘maximizing and minimizing) ઉપર ભાર મૂકે છે.
ભાષાના એક અલંકાર તરીકે આ સંજ્ઞા નાટક અને મહાકાવ્ય જેવાં સાહિત્યસ્વરૂપોમાં અવારનવાર પ્રયોજવામાં આવે છે. આ બંને સાહિત્યસ્વરૂપોમાં એકોક્તિના આલેખનમાં તેનો અસરકારક વિનિયોગ અનેક કૃતિઓમાં થયો છે.

Amplitude of Rhythm લયવિસ્તાર, લયપ્રવર્ધન

કવિતા કે ગદ્યકૃતિમાં ભાષાશૈલીના સંદર્ભમાં લયનો એક વિશિષ્ટ રીતે વિનિયોગ કરવાની પ્રવિધિ. સ્વરોના આરોહ-અવરોહના એક નિશ્ચિત એકમને નાના-મોટા ફેરફારો સાથે એક જ રચનામાં એકીસાથે, સતત પ્રયોજીને સર્જક તીવ્ર ભાવસ્થિતિને અસરકારક રીતે આલેખે છે.
ગોવર્ધનરામની શૈલીની ચર્ચા કરતાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (વિવેચના, પૃ. ૬૭, ૭૧) લયવિસ્તારનો ઉલ્લેખ કરે છે. ગોવર્ધનરામની શૈલીમાં પ્રયોજાતી લયવિસ્તારની પ્રવિધિને તેઓ આ રીતે સમજાવે છે : ‘વાક્યપ્રવાહમાં સામાન્ય શિષ્ટ લેખક જ્યાં વિરામ લે, શ્વાસ ખાય, અટકી જાય, ત્યાં સંગીતકાર એક તાન લઈ લે તેમ ગોવર્ધનરામ જરા પલટો મારી વાધ્યા જાય છે.’ (વિવેચના, પૃ. ૬૭) નાનાલાલ અને બળવંતરાય ક. ઠાકોરની શૈલીમાં પણ આ પ્રવિધિ નોંધપાત્ર રીતે પ્રયોજાય છે.

Anachorism સ્થલદોષ

કોઈક પ્રસંગ, દૃશ્ય, પાત્ર, કે શબ્દનો તેના સાહજિક સંદર્ભમાં વિનિયોગ ન કરતાં અપ્રતીતિકર એવા સંદર્ભમાં તેની રજૂઆત કરવી તે. જેમકે, મધુ રાયની ‘ઇંટોના સાત રંગ’ ટૂંકી વાર્તામાં હરિયાનું પેરિસ જવું – સહેતુક, ચોક્કસ પ્રયોજનથી આલેખાય છે.
સ્થલદોષને એક પ્રવિધિ તરીકે સહેતુક અને અજાણતા થતા દોષ તરીકે જે તે કૃતિના સંદર્ભમાં તપાસી શકાય.

Anachronism કાલવ્યુત્ક્રમ, કાલદોષ, કાલવિપર્યાસ

સાહિત્યકૃતિમાં કોઈક પ્રસંગ, દૃશ્ય, પાત્ર કે શબ્દને તેના સાચા ઐતિહાસિક સમયમાં ન રજૂ કરતાં જુદા જ ઐતિહાસિક સમયમાં ભૂલથી કે સહેતુક રજૂ કરવા તે.
આ મુજબનો સમયનો ભેદ અજાણતાં થયો હોય ત્યારે તે દોષ બને છે. કેટલીક સાહિત્યિક કૃતિઓમાં અને મહદ્‌અંશે વિજ્ઞાનકથાસાહિત્યમાં આ પ્રવિધિનો સહેતુક વિનિયોગ કરવામાં આવે છે.

Anadiplosis અંત્યપદાનુવૃત્તિ

પંક્તિના અંતભાગમાં આવતો મહત્ત્વનો શબ્દ પછીની પંક્તિના પ્રારંભમાં પુનરાવર્તન પામે એને અંત્ય પદાનુવૃત્તિ એટલે કે ‘અંત્ય પદાનુવૃત્તિ’ કહેવાય. જેમકે હરીન્દ્ર દવેની પંક્તિ :
‘ફૂલ કહે ભમરાને
ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં’

Anagnorisis અભિજ્ઞાન

જુઓ, Recognition

Anagogy ગૂઢાર્થ

કૃતિનો અને ખાસ કરીને બાઈબલનો ગૂઢ આધ્યાત્મિક કે પ્રચ્છન્ન રૂપકાત્મક અર્થ.

Anagrammatism વર્ણવિનિમય

કોઈ એક શબ્દના કે વાક્યખંડના વિનિમય કે વિપર્યાસ દ્વારા નવા શબ્દ કે નવા વાક્યખંડની નિર્મિતિ
કવિતામાં વર્ણવિનિમય અંગેની વિકસેલી વિવેચનાત્મક સૂઝ અને વર્ણવિનિમયના પ્રભાવો તેમ જ કાવ્યયોજના અંતર્ગત એના કાર્ય અંગે ઊભી થયેલી અભ્યાસની દિશા મહત્ત્વની છે. કાવ્યની આસ્વાદરુચિમાં એનો સમૃદ્ધ ઉમેરો હશે.
જેમકે, ઉમાશંકર જોશીના ‘પ્રભુકવિ’ કાવ્યની પંક્તિઓ :
‘અંતે રહે એક નિરાકાર
રહે એક અશબ્દ નામ
તું...
હું...
પ્રભુ.... કવિ......
પ્રભુકવિ.’

Analects અંશ-સંશય

સામાન્ય રીતે એક જ લેખકની કૃતિઓમાંથી પંસદ કરવામાં આવેલાં ઉત્તમ સાહિત્યિક વિધાનો, પરિચ્છેદોનો સંચય.
ગ્રીક ચિંતક કન્ફ્યુશિયસના ચિંતનમાંથી તારવેલા સાર્વત્રિક અનુસંધાન ધરાવતા અંશોનો સંચય જાણીતો છે.
જ્ઞાનપ્રદ લેખન કે સાહિત્યના ઇતિહાસમાં અમૂલ્ય ઠરેલી સામગ્રી એકીસાથે પ્રાપ્ત થાય તે હેતુથી આ પ્રકારના સંચયો રચવામાં આવે છે.

Analepsis પીઠઝબકાર

જુઓ, flashback

Analogue સાદૃશ્યરચના

અન્ય શબ્દ કે વસ્તુને સમાંતર એવો શબ્દ કે એવું વસ્તુ. અન્ય શબ્દ કે વસ્તુના પર્યાય તરીકે ન મૂલવી શકાય છતાં તેની સાથે મહત્ત્વનું અનુસંધાન કે સીધું સામ્ય ધરાવતાં શબ્દ કે વસ્તુ આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે.
અન્ય ભાષા-સાહિત્યની કોઈ કૃતિની સાથે સરખાવી શકાય તેવી કૃતિ, જે વસ્તુ કે સ્વરૂપ સંબંધે અન્ય કૃતિ સાથે સીધું સામ્ય ધરાવતી હોય. જેમકે, બૌદ્ધ જાતકકથાઓની સમાંતરે મૂલવવાપાત્ર કૃતિઓ અન્ય ભાષા-સાહિત્યમાં જોવા મળે છે. જેમકે, અંગ્રેજ કવિ ચોસરરચિત ‘ધ પાર્ડનર્સ ટેલ’. તે જ રીતે પ્રેમાનંદ તથા નરસિંહકૃત સુદામાચરિત્રને આ સંજ્ઞાના સંદર્ભમાં મૂલવી શકાય.

Analysis વિશ્લેષણ

સાહિત્યકૃતિનું વીગતપૂર્ણ પૃથક્કરણ અને એની તપાસ તે વિશ્લેષણ. વિશ્લેષણ એ વિવેચનનું અત્યંત આવશ્યક અંગ છે. વિશ્લેષણ દ્વારા કૃતિના ઘટકો તેમ જ એના સંબંધોનો સઘન અભ્યાસ કરવામાં આવે છે. એલિયટે કહ્યું છે તે પ્રમાણે તુલના અને વિશ્લેષણ વિવેચનનાં મહત્ત્વનાં ઓજારો છે. ઘણીવાર એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે છે કે કૃતિવિશ્લેષણ કૃતિ પરત્વેના સહજ અને સ્વયંસ્ફૂર્ત પ્રતિભાવને હાનિ પહોંચાડે છે. પરંતુ જે સધન વિશ્લેષણના સમર્થકો છે તે માને છે કે વિશ્લેષણ ભાવકના આનન્દને વિસ્તારે છે.

Anaphora આદ્યપુનરુક્તિ

એકના એક શબ્દ કે શબ્દજૂથનું કાવ્યની અને ખાસ તો ગીતની પંક્તિઓમાં આરંભમાં આવતું પુનરાવર્તન તે આદ્યપુનરુક્તિ છે.
જેમકે, રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ –
‘કદાચ હું ક્વચિતનાં વસનારને મળું
કદાચ હું હૃદય શીર્ણવિશીર્ણતા તણા
અવાજના ધધખતા રુધિરપ્રવાહમાં
અવાજમુક્ત સ્થળના વસનારને મળું...’

Anecdote પ્રસંગ

આ સંજ્ઞા મૂળ અર્થમાં પ્રાચીન લેખકનાં લખાણોનો એક ભાગ પહેલીવાર પ્રકાશિત થાય એનું સૂચન કરતી. તે જ રીતે પ્રાચીન સમયમાં ટુચકાના અર્થમાં પણ આ સંજ્ઞા પ્રચારમાં હતી. ત્યાર બાદ વાર્તાસાહિત્યના વિકાસની સાથોસાથ પ્રસંગપ્રધાન નવલકથામાં તેનો સમાવેશ થયો આ પ્રકારની નવલકથામાં વસ્તુના ક્રમિક વિકાસના અભાવે નાના નાના પ્રસંગોની શ્રેણી દ્વારા વાર્તાનો વિસ્તાર કરવામાં આવે છે.
નવલકથાના અન્ય પ્રકારોમાં પણ પ્રસંગ આલેખનનું મહત્ત્વ વસ્તુનિરૂપણ તથા વર્ણનશૈલીના એક અંગ તરીકે સ્વીકારવામાં આવે છે.
નવલકથા જેવા સર્જનાત્મક સાહિત્ય સ્વરૂપ ઉપરાંત સંસ્મરણાત્મક સાહિત્ય, ચરિત્રલેખન તથા જીવનચરિત્રોમાં પણ આ પ્રકારનાં લખાણનો વિનિયોગ કરવામાં આવે છે.

Angry youngmen તીખા તરુણો

૧૯૫૦-૬૦નાં કેટલાક બ્રિટિશ લેખકો અને જાહેર વ્યક્તિઓ માટે વપરાશમાં આવેલી સંજ્ઞા. આ ઝુંબેશના લેખકોનાં સર્જનો કંઈક અંશે પ્રતિષ્ઠાવૃત્તિ અને મધ્યમવર્ગીય મનોવૃત્તિની સામેનાં છે. જોન ઓઝ્‌બર્નનું નાટક ‘લુક બેક ઈન ઍન્ગર’ આનું કદાચ સૌથી પ્રચલિત ઉદાહરણ કહી શકાય.

Annals ઇતિવૃત્ત

ઐતિહાસિક બનાવોને સાલવાર તૈયાર કરાયેલો દસ્તાવેજ. આ પ્રકારનાં લખાણોમાં મૂળ ઘટના-સામગ્રીનો ઉપયોગ ઐતિહાસિક તવારીખ (chronicles)-ની સરખામણીમાં ઓછો થયો હોય છે, જેથી જે તે ઘટનાના દસ્તાવેજમાં વર્ણનશૈલીનો વિનિયોગ વિશેષ પ્રમાણમાં કરાયો હોય છે.
(જુઓ, Chronicle)

Annotation વિવરણ ટિપ્પણ

પુસ્તક સાથે વિવેચનાત્મક કે વિશ્લેષણાત્મક નોંધ જોડવામાં આવે છે એ માટે આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે.

Anonym અજ્ઞાત કર્તા

ઉપલબ્ધ કૃતિનો અજ્ઞાત કર્તા.
અલિખિત સાહિત્યની પ્રણાલીને કારણે અસ્તિત્વમાં આવેલી લોકસાહિત્યની કૃતિઓના મોટા ભાગના કર્તાઓને આ સંજ્ઞા હેઠળ મૂકી શકાય. મધ્યકાલીન સાહિત્યની અનેક પ્રાપ્ત કૃતિઓના કર્તાઓનાં નામ અજ્ઞાત છે.
(જુઓ, Anonymous literature)

Anonymous Literature અજ્ઞાત સાહિત્ય

જેના કર્તાનું નામ અજ્ઞાત હોય તેવું સાહિત્ય.
મોટા ભાગનું લોકસાહિત્ય આ પ્રકારનું સાહિત્ય છે. મૌખિક સાહિત્ય(Oral Literature)ની પરંપરાએ આ પ્રકારના સાહિત્યના ઉદ્‌ભવ તથા પ્રસારમાં ઘણો ભાગ ભજવ્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની ઘણી કૃતિઓ જોવા મળે છે.
કોઈ પણ પ્રકારના કારણસર કર્તા પોતાનું મૂળ નામ કૃતિ સાથે ન જોડતાં બીજું નામ રજૂ કરે તેવા સાહિત્યનું સૂચન આ સંજ્ઞામાં થતું નથી. (જુઓ, Pseudonymous Literature)

Antagonist ખલનાયક

નાટક કે કથાસાહિત્યમાં કૃતિના નાયકનો વિરોધ કરનાર મુખ્ય પાત્ર.
બોધલક્ષી સાહિત્યકૃતિઓમાં ખલનાયકનું પાત્રાલેખન સર્વ સામાન્ય રીતે દુર્જન, ચારિત્ર્યહીન, અસામાજિક વ્યક્તિ તરીકેનું કરાતું.
જેમકે રાવણ, દુર્યોધન, પુષ્કર (પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’)
અર્વાચીન સાહિત્યકૃતિઓમાં ખલનાયકનું પાત્રાલેખન બોધલક્ષી કૃતિઓના ખલનાયકના વ્યક્તિત્વનાં કેટલાંક લક્ષણો જ ધરાવે, અને નાયક સાથેના તેના વિરોધની સંકુલ ભૂમિકાનું પણ લેખક આલેખન કરે તેવું વલણ આગળ આવ્યું. જેમકે, તૈલપ (‘પૃથ્વીવલ્લભ’)
વિશ્વસાહિત્યના સંદર્ભમાં ઇઆગો (‘મૅકબેથ’) આ સંજ્ઞાને તેના મૂળ અર્થમાં ચરિતાર્થ કરે છે.

Anthem સ્તુતિગીત, ઉદ્‌ગીત

મૂળ તો ધર્મગ્રન્થોના શબ્દો પર આધારિત ધાર્મિક સમૂહગાન. પછી સ્તુતિ કે ભક્તિના ગાનના રૂપમાં અર્થ સ્થિર થાય છે. સમૂહગાન કદાચ આ પ્રકારનું વિશિષ્ટ લક્ષણ છે. આ પ્રકારનું ગીત કૉલેજનું પણ હોઈ શકે.
જેમકે, રાષ્ટ્ર તરફથી ભક્તિ કે સ્તુતિ સાથે ગવાતું રવીન્દ્રનાથ ટાગોરનું રાષ્ટ્રગીત,

Anthology સંચય

સંચયમાં જુદા જુદા હેતુઓથી અને જુદા જુદા અભિગમોને લક્ષમાં રાખીને કોઈ પણ પ્રકારની સાહિત્યિક સામગ્રીનું ચયન કરી સંપાદન કરી એકસાથે ગોઠવવામાં આવે છે. સંચયની પાછળ ચયનકારનો આશય અને અંતે સંચયમાંથી ઊભો થતો પ્રભાવ હંમેશાં મહત્ત્વનો છે.

Anti-Climax પ્રતિકાષ્ઠા

પરિચ્છેદ, પદાવલી કે સંભાષણમાં ઉદાત્ત અનુભવમાંથી અણધારી રીતે સાધારણ, ક્ષુલ્લક અનુભવમાં ભાવકને લઈ જતી પ્રવિધિ.
આ સંજ્ઞાની સૌપ્રથમ સમજૂતી ડૉ. જોન્સન આ રીતે આપે છે : ‘જેનો અંતિમ ભાગ શરૂઆતની સરખામણીમાં કશુંક ઊતરતી કક્ષાનું રજૂ કરે એવું વાક્ય (Dictionary, ૧૭૭૫).
આ પ્રવિધિ સાહિત્યકૃતિમાં એકથી વધુ રીતે પ્રયોજવામાં આવે છે. કટાક્ષ કે વ્યંગનો ભાવ પ્રગટ કરવાના હેતુસર સર્જક આ પ્રવિધિ સભાનતાપૂર્વક પ્રયોજે છે.
ઉપર છલ્લી રીતે ઉદાત્ત જણાતા ભાવ કે વિચારનું વાસ્તવિક મૂલ્ય દેખાડવા માટે પણ આ પ્રવિધિ ઉપયોગમાં લેવાય છે. (જુઓ, Bathos)

Anti-hero પ્રતિનાયક

નવલકથા કે નાટકનું મુખ્ય પાત્ર ‘નાયક’ની સ્થાપિત વિભાવનાની વિરુદ્ધનું – સંસ્કારિતાના અભાવવાળું, કે મર્યાદિત અર્થમાં અસામાજિક-આલેખાયું હોય, અને તેના સંકુલ ચરિત્રની કેટલીક આગવી વિશેષતાઓ વડે ભાવકની સહાનુભૂતિ પ્રાપ્ત કરતું હોય ત્યારે તે ‘પ્રતિનાયક’ તરીકે ઓળખાય છે.
‘પ્રતિનાયક’ની વિભાવના વીસમી સદીના ઉત્તર ભાગમાં યુરોપમાં વિકાસ પામી. કિંગ્ઝલી એમિસ અને જ્હોન વેઈનની નવલકથાઓનાં પાત્રોએ આ વિભાવનાના ઉદ્‌ભવ અને પ્રચારમાં મુખ્ય ભાગ ભજવ્યો. તે યુદ્ધોત્તર સમાજની વિચારસરણીનું પ્રતિબિંબ ઝીલે છે.
શરદચંદ્રની નવલકથા ‘ચારિત્ર્યહીન’ કે મધુ રાયનાં એકાંકી ‘અશ્વત્થામા’ અને નવલકથા ‘ચહેરા’ના નાયકોને પ્રતિનાયક તરીકે મૂલવી શકાય.
પૂર્વે ‘નાયક’ અને ‘ખલનાયક’ એમ બે સદંતર વિરોધી પાત્રોના આલેખનના આધારે રચાતી નવલકથા(કે નાટક)ના સ્થાને આવેલી સંકુલ ચરિત્રલેખનવાળી નવલકથા (કે નાટક)માં પ્રતિનાયકની વિભાવનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

Anti-masque પ્રતીસંગીત રૂપક

ઇટેલિયન સંગીત કાવ્ય-નાટકનો એક પ્રકાર જે સોળમી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લૅન્ડમાં વિકસ્યો, અને સત્તરમી સદીના પૂર્વાર્ધમાં તેનાં મૂળ સ્વરૂપ ‘Masque’માં કેટલાક ફેરફારો સાથે મુખ્યત્વે અંગ્રેજ નાટ્યકાર બેન જોન્સન દ્વારા વિસ્તર્યો.
તેના મૂળ સ્વરૂપ ‘Masque’માં મુખ્યત્વે મનોરંજનનો આશય સમાયેલો હતો; જ્યારે આ નવા સ્વરૂપ સાથે તેમાં કટાક્ષ, વ્યંગ, હાસ્ય, બીભત્સ, જેવાં તત્ત્વો ઉમેરાયાં, અને કથાતત્ત્વનું પ્રમાણ પણ વધ્યું.
લોકનાટ્ય ભવાઈમાં આ સ્વરૂપને મળતી આવે તેવી પ્રવિધિઓ જોવા મળે છે.
(જુઓ, Masque)

Antinomy આંતર્વિરોધ

કોઈ પણ બે સિદ્ધાંતો કે નિયમો વચ્ચેનો એવો વિરોધ કે જે એક તબક્કે સમાધાનની ભૂમિકાએ આવી શકે. એક ચોક્કસ સિદ્ધાન્ત સંબંધી આવાં બે વિરોધી વલણો પોતપોતાની આગવી રીતે તથ્યપૂર્ણ અને સ્વીકારપાત્ર હોય. ‘રુચિના આંતર્વિરોધ’ (Antinomy of Taste) સંબંધે કેન્ટ કહે છે તેમ રુચિ (Taste) પરત્વે ચર્ચાની સંભાવના નથી અથવા તે અંગે ચર્ચાને વિપુલ અવકાશ છે—આ બન્ને વલણો સ્વીકારપાત્ર છે.

Anti-Novel પ્રતિનવલ

નવલકથાનાં વસ્તુ અને સ્વરૂપ વિશે ભાવકોમાં રૂઢ થયેલા ખ્યાલોનો ભંગ કરી, નવલકથાલેખનનાં સ્થાપિત વલણોને ચાતરીને આધુનિક નવલકથાકારોએ જે નવલકથાઓ આપી તે નવલકથાઓ માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ફ્રાન્સમાં નવ્ય નવલ(Nouveau Roman)ના પ્રણેતા ઍલેં રૉબગ્રિયેની નવલકથા ‘જેલસી’ (૧૯૫૭) આ પ્રકારની નવલકથા છે. નવ્ય વાસ્તવવાદની સાથોસાથ અસ્તિત્વમાં આવેલું આ પ્રકારનું નવલકથાલેખન પ્રત્યેક નવલકથાની મૌલિક્તા ઉપર સવિશેષ ભાર મૂકે છે. ગુજરાતીમાં પણ શ્રીકાન્ત શાહ (અસ્તિ), મુકુન્દ પરીખ (મહાભિનિષ્ક્રમણ), રાધેશ્યામ શર્મા (ફેરો) જેવા સર્જકોએ આ દિશામાં પ્રદાન કર્યું છે.

Antipassatismo વ્યતીતવિરોધ

ઇટેલિયન ભવિષ્યવાદ માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ઇટેલિયન ભવિષ્યવાદની વિભાવનામાં રહેલા પ્રતિ-પરંપરાવાદી (Antitraditional) લક્ષણોનું અહીં સૂચન મળે છે. આ સંજ્ઞાનો મૂળ અર્થ થાય છે : ભૂતકાળનો અસ્વીકાર (Down-with the-past). આમ, ‘આવાં ગાર્દ’ વિચારધારાના એક ફાંટા તરીકે વિકસેલા ઇટેલિયન ભવિષ્યવાદની વિભાવના આ સંજ્ઞા દ્વારા સ્પષ્ટ થાય છે.

Anti-Poem પ્રતિકવિતા

આ કવિતા સર્વસાધારણ કવિતાની તરાહને અનુસરતી નથી. પરિચિત પદાવલી તર્કસંગત ભાવવિકાસ અને સંવાદી ઘટકસંયોજનને અતિક્રમી જાય છે. આ પ્રકારની કવિતા કાવ્યરીતિઓ અને સ્વરૂપોનો ભંગ કરતી હોય છે.

Antiquarianism પ્રાચીનવાદ

સંશોધન પ્રવૃત્તિમાં ‘જૂની કૃતિઓની સમીક્ષિત વાચના’ (‘કિંચિત્‌’ સુરેશ જોષી પૃ. ૭૭)ને સાહિત્યિક સંશોધનના નામે રજૂ કરવાનું વલણ. સાહિત્યિક સંશોધનમાં જૂની કૃતિઓ કે જૂની વિચારણાને આધાર લઈ સંશોધન-વિવેચન કરવાની પ્રવૃત્તિ.
સંશોધન-વિવેચન ક્ષેત્રે આ પ્રકારનું વલણ સાહિત્યિક સંશોધન-વિવેચન પ્રવૃત્તિને એકાંગી, સંકુચિત બનાવે છે.
વિધેયાત્મક અર્થમાં સંજ્ઞા પ્રાચીન કૃતિઓની તટસ્થ વાચનાનું સૂચન કરે છે.

Antithesis પ્રતિસ્થાપના

વિપરીત કે એકદમ ભિન્ન અર્થવાળા શબ્દોના ઉપયોગથી તીવ્ર બનાવાયેલા વિચારોની પ્રતિસ્થાપના. કોઈ એક વાક્ય કે વાક્યખંડને અન્ય વાક્ય કે વાક્યખંડ સાથે વિરોધાવવો.
જેમકે, “કાં મને મુક્તિ આપો કાં આપો મૃત્યુ” (give me liberty or give me death.)
સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વિરોધ (વિરોધાભાસ) અલંકાર તરફ સર્વપ્રથમ ભામહે ધ્યાન ખેંચ્યું છે. ભોજે પદાર્થોમાં પરસ્પર સંગતિનું ન હોવું એને વિરોધ ગણ્યો છે. દંડીએ ક્રિયાવિરોધ, વસ્તુગત ગુણવિરોધ અને શ્લેષમૂલક ભેદોનું વર્ણન કર્યું છે.

Antonomasia નામાન્તરન્યાસ

વિશેષનામને સામાન્યનામ તરીકે ઉપયોગમાં લેવામાં આવે એ નામાન્તરન્યાસ છે, જેમકે કોઈના જુલમી વ્યક્તિત્વને લક્ષમાં રાખી એને ‘હિટલર’ કહીએ કે ‘વિદ્યાપતિ અભિનવ જયદેવ છે’ એવું વિધાન કરીએ ત્યારે આ પ્રવિધિનો ઉપયોગ કરીએ છીએ.

Aphorism સૂત્ર વચન

જીવનના વ્યાપક સંદર્ભમાં જીવનના સત્ય કે જીવનની માન્યતાઓને લગતું સારયુક્ત, લઘુ વિધાન. આ પ્રકારનું વિધાન અત્યંત સરળ, મર્મયુક્ત શૈલીમાં કહેવાયું હોય, અને તે જીવન વિશેનું ગંભીર ચિંતન સમાવી લેતું હોય.
આ પ્રકારનું સૂત્ર લાંબા ઉપયોગ બાદ કોઈ એક નિશ્ચિત શાસ્ત્ર કે અભ્યાસના સંદર્ભમાં સર્વસામાન્ય સિદ્ધાંત(Maxim)નું સ્વરૂપ ધારણ કરે છે. (જુઓ, Maxim). તે જ રીતે લાંબા પ્રચારને અંતે તે કહેવત (proverb) તરીકે સ્થિર થાય છે.

Apologue નીતિકથા

(જુઓ : Fable)

Apophrades પરિણમન

(જુઓ : Influence, the anxiety of.)

Aporia : અનિર્ગમ

વિનિર્મિતિવાદમાં અર્થઘટનની દુસ્તરતા અંગે આ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીક ભાષામાં એનો અર્થ છે : ‘બહાર જવા કોઈ રસ્તો ન રહેવો’. વિનિર્મિતિવાદમાં સંકેતોની પાર જવા અસમર્થ અને ભાષામાં નિબદ્ધ એવો અર્થઘટનકાર વ્યતિરેક અને વ્યાક્ષેપના અનધિશેષ અનિયત વ્યાપારનો સામનો કરે છે.

Aposiopesis અર્ધોક્તિ

(જુઓ : Paraliepsis)

Application અનુપ્રયુક્તિ, વિનિયોગ

સાહિત્યિક સિદ્ધાન્તની પ્રત્યક્ષ વિવેચનમાં અનુપ્રયુક્તિ કે કોઈ પણ સાહિત્યના પ્રતિમાનની કોઈ ચોક્કસ કૃતિના વિવેચન વખતે અભાનપણે કે સભાનપણે થતી અનુપ્રયુક્તિ. ક્યારેક સાહિત્યસિદ્ધાંતને ઉપસાવવા અન્ય શાસ્ત્રોમાંથી આવતા સિદ્ધાંતની કે પ્રતિમાનની અનુપ્રયુક્તિ. જેમકે, આનન્દવર્ધન ‘ધ્વન્યાલોક’માં સાહિત્યક્ષેત્રે ધ્વનિના સિદ્ધાન્ત માટે વૈયાકરણના ધ્વનિસિદ્ધાન્તની અનુપ્રયુક્તિ કરે છે.

Approach અભિગમ

વિવેચન અનેક રીતે અનેક વિષયોની અને અનેક પદ્ધતિઓની નજીક સરીને કૃતિ પાસે પહોંચતું હોય છે, અને એના સંદર્ભમાં અભિગમ નક્કી થતો હોય છે.
જેમકે, સામાજિક પરિસ્થિતિઓ અને વાસ્તવના પરિપ્રેક્ષ્યમાં કૃતિની પરિસ્થિતિઓ અને એના વાસ્તવને મૂલવતો વિવેચનનો સમાજવૈજ્ઞાનિક અભિગમ અથવા કૃતિનાં ઘટકતત્ત્વોની સહોપસ્થિતિ અને સહસંબંધને લક્ષમાં રાખી એની સંરચનાને તપાસતો વિવેચનનો સંરચનાવાદી અભિગમ.

Aptitude અભિવૃત્તિ

કોઈ એક સર્જકની સમગ્ર કૃતિઓનું મૂલ્યાંકન કરવા જતાં સર્જકનું કલા અને સમાજ તરફનું સ્વાભાવિક વલણ નિશ્ચિતપણે તારવી શકાય છે. તે દ્વારા સર્જકની અભિવૃત્તિનું દિશાસૂચન મળી શકે છે. જેમકે, સુન્દરમ્‌ની વાર્તાઓમાં સામાજિક જાગૃતિ તરફનું તેમનું ચોક્કસ વલણ એ તેમની આધ્યાત્મિક ચિંતન અંગેની કવિતાથી ભિન્ન છે. આમ બે ભિન્ન પ્રકારનાં વલણો જુદે જુદે તબક્કે સર્જકની ભિન્ન અભિવૃત્તિનું સૂચન કરે છે.

Aptronym યથાનામ

એક અમેરિકન પત્રકારે આપેલી સંજ્ઞા. સાહિત્યમાં પાત્રનું નામ પાત્રના વ્યક્તિત્વનો અણસાર આપતું હેાય કે વાર્તાના હેતુને કે એની નૈતિકતાને સમજાવતું હોય એ સંજ્ઞા દ્વારા અભિપ્રેત છે. જેમકે, ગોવર્ધનરામ ત્રિપાઠીના ‘સરસ્વતીચન્દ્ર’માં ‘બુદ્ધિધન’, ‘પ્રમાદધન’ કે ‘ગુણસુંદરી’ જેવાં પાત્રોનાં નામ.

Archaism આર્ષપ્રયોગ

પ્રચારમાં ન હોય તેવા પ્રાચીન, કાલગ્રસ્ત શબ્દ, રૂઢિપ્રયોગ કે સ્વરૂપનો સાહિત્યિક કૃતિમાં કરાતો વિનિયોગ.
વિવિધ કારણોસર આર્ષપ્રયોગો સાહિત્યિક કૃતિઓમાં ઉપયોગમાં લેવાય છે. કેટલીક વાર છાંદસ કવિતામાં બંધારણની અનિવાર્યતાને લીધે આવો શબ્દ પ્રયોજવામાં આવે છે.
અમુક પ્રાચીન સ્થળ-કાળના વર્ણનમાં આર્ષપ્રયોગના ઉપયોગથી જે-તે સમયગાળાનો નિર્દેશ કરવા માટે પ્રયોજાતા આ પ્રકારના શબ્દો વિધેયાત્મક આર્ષપ્રયોગ (Positive archaism) તરીકે ઓળખાય છે.
આર્ષપ્રયોગોનો ઉપયોગ સામાન્ય રીતે ગદ્યની સરખામણીમાં પદ્યકૃતિઓમાં વિશેષ પ્રમાણમાં થયો છે. અલબત્ત વ્યંગપૂર્ણ ગદ્યકૃતિઓમાં તેનો નોંધપાત્ર વિનિયોગ કરાયો છે. જેમકે, રમણભાઈ નીલકંઠની નવલકથા ‘ભદ્રંભદ્ર’ના મુખ્ય પાત્ર દ્વારા પ્રયોજાતી ભાષા.

Archetype આદિરૂપ આદ્યસ્વરૂપ

મૂળ જે પ્રતિમાન યા તરાહ પરથી નકલો તૈયાર થાય છે તે આદિરૂપ.
માનવ અસ્તિત્વની મૂળભૂત હકીકતો – જન્મ, વૃદ્ધિ, પ્રેમ મૃત્યુ વગેરે –આદિ-રૂપાત્મક છે. પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક યુંગ કહે છે તેમ આપણા પ્રાચીન પૂર્વજોના અનુભવોના પુનરાવૃત્ત પ્રકારોનો ‘માનસિક અવશેષ’ માનવજાતિના ‘સામૂહિક અચેતન’માં વારસાથી મળેલો છે. અને તે મિથ, ધર્મ, સ્વપ્ન, અંગત તરંગો અને સાહિત્યકૃતિઓમાં અભિવ્યક્ત થાય છે. આ બાબતમાં તુલનાત્મક નૃવંશશાસ્ત્ર અને આંતર-મનોવિજ્ઞાન (Depth psychology) - બંને શાસ્ત્રોએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ સંજ્ઞા અમેરિકન વિવેચક મોડ બોડકિનના વિવેચન પછી સાહિત્યવિવેચનમાં વધુ વપરાવી શરૂ થઈ.

Arche-writing મૂળલેખન

ઉત્તર સંરચનાવાદી ફ્રેન્ચ ચિંતકવિવેચક ઝાક દેરિદાએ ભાષાની નવી સમજ માટે ઉપસાવેલી આ સંજ્ઞા છે. પરંપરાગત ભાષા-વિચારણામાં વાણી કરતાં લેખનનું ઓછું મહત્ત્વ છે. વાણી સાથે સંકેતિત (Signified) ને સાંકળ્યો છે જ્યારે લેખન સાથે માત્ર સંકેતક (Signifier)ને સાંકળ્યો છે. લેખન સાથે સંકેતિત જતો નથી અને તેથી લેખનનું મૂલ્ય ગૌણ છે. લેખન અંગેની પરંપરાગત આવી માન્યતાને દેરિદા પ્રાકૃત(vulgar) સમજે છે. આની સામે દેરિદાએ ‘લેખન’નું મહત્ત્વ ઉપસાવતો અભિગમ દર્શાવ્યો છે. અને એને ‘મૂળલેખન’નું નામ આપ્યું છે. સંકેત વ્યતિરેકવ્યાક્ષેપ (જુઓ DifferAnce) દ્વારા મૃગણા (જુઓ Trace)માં લઈ જાય છે. અને આ રીતે મૃગણાના કાર્યમાં પ્રેરનાર મૂળલેખન છે. મૂળલેખનમાં ભાષા સહિત સંગીત ચિત્રકલા સર્વેને દેરિદા સમાવી લે છે.

Architectonics સંઘટનતંત્ર

સપ્રમાણતા એકતા વગેરે જેવી સંરચનાત્મક સંપત્તિ સૂચવતી આ વિવેચનસંજ્ઞા સ્થાપત્યના ક્ષેત્રમાંથી આવી છે. ખૂબ કાળજીપૂર્વક આયોજિત થયેલા અને રચાયેલા સ્થાપત્યની જેમ સાહિત્યકૃતિ પ્રભાવિત કરે છે ત્યારે એની સફળ સંઘટનાત્મક એકતાને સૂચવવા આ સંજ્ઞા વપરાય છે.

Artefact કસબજન્યકૃતિ

ઉપલબ્ધ એવાં કલાસ્વરૂપો, રચનારીતિ આદિના રૂપાંતર દ્વારા કસબના પરિણામરૂપે જન્મતી કૃતિ, કૃતિના સમગ્ર સ્વરૂપ અને વસ્તુને ઉપસાવે તેવો કસબ કૃતિને ઉપકારક છે, પરંતુ ‘યુક્તિ, કસબ’(artifice)ની અતિશયતા (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિવેચના, પૃ. ૨૨૨) કૃતિને બાધક નીવડે છે.

Artifice કસબ

કલાકૃતિના સર્જનમાં ઊર્મિ, કલ્પના, નિષ્ઠા વગેરે ઉપરાંત કૃતિના સ્વરૂપ સંદર્ભે કે ભાષાશૈલી સંદર્ભે ‘કસબ’ (artifice) એ એક મહત્ત્વનું લક્ષણ છે, જે મુખ્યત્વે કૃતિના સમગ્ર સ્વરૂપને સુશ્લિષ્ટ બનાવવામાં ભાગ ભજવી શકે. કસબનો વધુ પડતો ઉપયોગ કૃતિના ઊર્મિલક્ષી, વસ્તુગત પરિબળોના અસરકારક વિનિયોગમાં બાધક પણ નીવડી શકે.

Art for Art’s Sake કલા ખાતર કલા

કલાસર્જનના હેતુ અંગે વિવેચકો, ચિંતકો તથા કલાકારોમાં જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન મતો પ્રર્વતતા રહ્યા છે. ૧૯મી સદીના છેલ્લા દાયકામાં ઇંગ્લૅન્ડ અને સમગ્ર યુરોપમાં કલાની સ્વતંત્રતાના પક્ષમાં એક વ્યાપક અસર ઉપજાવનારી વિચારસરણી આગળ આવી. ઑસ્કર વાઈલ્ડે આ સૂત્ર (Art for Art’s Sake) આગળ ધર્યું અને નીતિ, સમાજ, રાજનીતિ એ સૌ નિયંત્રણોથી કલા સ્વતંત્ર છે એવો વિચાર રજૂ કર્યો.
આ સિદ્ધાન્તને આધારે ચાલેલી ચળવળ (Aesthetic Movement) દ્વારા કલાકૃતિના સર્જનમાં જ તેનો હેતુ સમાઈ જાય છે એવો મત પ્રગટ્યો. આ સિદ્ધાન્તમાં માનનારાઓએ ઉપદેશાત્મક (Didactic) સાહિત્યસર્જનનો જોરદાર વિરોધ કર્યો.
(જુઓઃ Aestheticism.)

Article લેખ

કોઈ એક ચોક્કસ વિષય અંગે આસ્વાદમૂલક પૃથક્કરણાત્મક કે માહિતીપ્રદ લખાણ જે સામાન્ય રીતે અખબારો, સામયિકો કે વિવિધ કોશોના એક વિભાગ તરીકે જે-તે પ્રકાશનના મૂળ વિષયને સંલગ્ન એવા, પણ કોઈ વિશેષ મુદ્દાની ચર્ચા, આસ્વાદ કે પૃથક્કરણ સંદર્ભે સ્વતંત્ર સ્વરૂપે પ્રગટ થવા પાત્ર હોય છે. સાહિત્યના સંદર્ભમાં નિબંધ સાથે બાહ્ય – સ્વરૂપગત – સામ્ય ધરાવતો, પણ વસ્તુ-સામગ્રી-સંદર્ભે ભિન્ન એવો આ લેખન-પ્રકાર છે. નિબંધ અને લેખ વચ્ચેનો તફાવત બતાવતાં શ્રી ઉમાશંકર જોશી લેખને ‘બોધપ્રધાન કે માહિતી પ્રધાન રચના’ (શૈલી અને સ્વરૂ૫, પૃ. ૫૩) તરીકે ઓળખાવે છે.
(જુઓઃ Essay)

Aside જનાન્તિક, અપવાર્ય

મુખ્યત્વે નાટકમાં અને ક્વચિત સંવાદ-કાવ્યોમાં પાત્ર દ્વારા થતું સંભાષણ. આ સંભાષણ દૃશ્યમાં ઉપસ્થિત અન્ય પાત્ર/પાત્રો દ્વારા સાંભળવામાં આવ્યું નથી એમ દર્શાવવા ધીમા અવાજે રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની ઉક્તિ તખ્તાના આગળના ભાગ ઉપરથી રજૂ કરાય છે.
ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્રમાં જનાન્તિક અંગે નીચે મુજબના ઉલ્લેખો છે :
૧. કોઈ કારણસર નજીકનું પાત્ર ન સાંભળે તેમ અન્યના કાનમાં ગુપ્ત વાત કરવી તેને ‘જનાન્તિક’ કહે છે.
૨. જનાન્તિક અને અપવારિત (‘વચનવિચાર’નો એક પ્રકાર) કરતી વખતે એક હાથ ત્રિપાતક કરી અન્ય પાત્રોના આડે રાખવો.
કાલિદાસનાં સંસ્કૃત નાટકોમાં તેમજ એલિઝાબેધન યુગનાં અંગ્રેજી નાટકોમાં તથા ૧૯મી સદીના અંતભાગમાં યુરોપમાં ખેડાયેલા Melodramaમાં પણ આ પ્રવિધિનો વિસ્તૃત વિનિયોગ થયો છે. ઐતિહાસિક નાટકોમાં પણ તેનો ઉપયોગ સવિશેષ થયો છે.

Askesis વિશોધન :

(જુઓ : Influence, the anxiety of)

Association સાહચર્ય, અધ્યાસ

ભાવકના ચિત્તમાં ઉદ્‌ભવતો એક ચોક્કસ વિચારનો એક કે એકથી વધુ વસ્તુ (ઘટના, દૃશ્ય વગેરે) સાથેનો પારસ્પરિક સંબંધ.
સાહિત્યકૃતિમાં ઉપમા, રૂપક વગેરેનો વિનિયોગ કરવા પાછળનો સર્જકનો ગર્ભિત આશય ભાવકના ચિત્તમાં સાહચર્યો જગવવાનો જ હોય છે.
ઍરિસ્ટોટલ આ સંજ્ઞાના સંદર્ભમાં આમ વિચારે છે : ‘અનેક પ્રકારના વિચારોની સહોપસ્થિતિને કારણે જે-તે વિચારો પરસ્પરનો સંદર્ભ ઊભો કરે છે; અથવા વિચારની આંશિક રજૂઆતથી તેનો સમગ્ર સંદર્ભે તાજો કરે છે.’

Association of ideas ભાવસાહચર્ય

ભાવોનાં પારસ્પરિક સાહચર્યો બે પ્રકારે ઉદ્‌ભવે છે : ૧. મુક્ત (‘free’) અને તાર્કિક (‘logical’).
(જુઓ : Stream of Consciousness)

Assonance સ્વરસામ્ય, સ્વરપ્રાસ

ભાષાના રવાનુકારી ગુણધર્મો ભાવકમાં ચોક્કસ પ્રકારની સંવેદન-અસરો જન્માવે છે. આમાંની ઘણી સામગ્રીમાંની એક સામગ્રી તે સ્વરસામ્ય છે એને ક્યારેક ‘સ્વરપ્રાસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જેમકે, સમાન સ્વર ‘ઈ’નાં પુનરાવર્તનવાળી શ્રી હરિશ્ચન્દ્ર ભટ્ટની પંક્તિ જુઓ : ‘વસંતની ફૂંક મહીં ખરી પડી.’

Asyndeton સંયોજકપદ લોપ

શબ્દો કે વાક્યોને જોડતાં સંયોજકોનો લોપ, જેમકે, ગોવર્ધનરામ ત્રિપાઠીના ‘સરસ્વતીચન્દ્ર’ ભાગ-૨માં થયેલું નિરૂપણ : ‘સરસ્વતીચન્દ્ર જાગ્યો, ચારે બાજુ નવીન સ્થળ જોવા લાગ્યો; ચકિત થયો.’

Atmosphere વાતાવરણ

કલાકૃતિના આલેખન સંદર્ભે ભાવકના ચિત્તને સ્પર્શતું સમગ્ર વાતાવરણ. આની રજૂઆત સમયનિર્દેશ, પાત્રાલેખન તથા સ્થળવિશેષનાં વર્ણનો દ્વારા કરવામાં આવે છે.
મુખ્યત્વે નવલકથા, નાટક, મહાકાવ્ય, કથાકાવ્ય વગેરે કથાવસ્તુના આધારે રચાતાં સાહિત્યસ્વરૂપોના સંદર્ભમાં આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. કૃતિના આરંભના આલેખનનો સમગ્ર કૃતિના વાતાવરણને નિશ્ચિત કરવામાં મહત્ત્વનો ફાળો હોય છે. જેમકે, ‘અતિજ્ઞાન’ની આરંભની પંક્તિ-‘ઉદગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે...’ કૃતિના સમગ્ર વાતાવરણનું સૂચન કરે છે.

Atmosphere of mind ચૈતસિક વાતાવરણ

માનસશાસ્ત્રીય નવલકથાલેખનના સંદર્ભમાં હેન્રિ જેમ્સ દ્વારા સૌ પ્રથમવાર ઉપયોગમાં લેવાયેલી આ સંજ્ઞા આત્મલક્ષી લેખનશૈલી દ્વારા ભાવકના ચિત્તમાં લેખક પોતાની મનોદશાનું કઈ રીતે આરોપણ કરે છે તે સૂચવે છે.
જુઓ : Stream of Consciousness

Attachment Theory આસક્તિ સિદ્ધાન્ત

ફ્રોઈડ પછી મનોગત્યાત્મક (Psychodynamic) સમજણમાં સૌથી વધુ પ્રદાન જ્હોન બોલબી (John Bowlby)નું છે. એમણે આસક્તિ સિદ્ધાન્ત આપ્યો. આસક્તિ સિદ્ધાન્ત બતાવે છે કે કોઈ પણ મનુષ્ય ટાપુ નથી. આપણે જ્યારે સઘન અંગત સંબંધોમાં સંકળાઈએ છીએ ત્યારે જ આપણે આપણા અસ્તિત્વને પૂરેપૂરું જાણીએ છીએ. મોટા ભાગના સાધારણ માણસોને જીવનભર આસક્તિ એક જીવાધાર આવશ્યક્તા છે; અને ભગ્ન કે ક્ષુબ્ધ આસક્તિઓ હતાશા, ભાર, પ્રતિકૂલન કે મનોરોગની સમર્થ અણસાર છે. સાહિત્યક્ષેત્રે સર્જન યા વિવેચનને તેમ જ સાહિત્યઅંતર્ગત પાત્રોના સંબંધોમાંથી વિકસતી કથાને આ સિદ્ધાન્તના પરિપ્રેક્ષ્યમાં મૂલવી શકાય.

Attitude વલણ, અભિવૃત્તિ

કૃતિના વસ્તુ પરત્વે કર્તાનું વલણ. આ દ્વારા કૃતિમાંથી કોઈ એક નિશ્ચિત સૂર (Tone) પ્રગટ થાય છે.
આ સંજ્ઞાને ન. ભો. દિવેટિયા ‘કવિના કવિત્વદર્શનની વૃત્તિસ્થિતિ’ (‘વસન્ત’ ૨૭, ૧૩) તરીકે ઓળખાવે છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યની ચર્ચા કરતા રા. વિ. પાઠક આપણી પ્રજામાં એકત્વના અભાવના પરિણામે ‘કવિમાં કોઈ એક શુદ્ધ વલણ (attitude)’ ઉદ્‌ભવી શક્યું નથી, એમ કહે છે.
કૃતિના વસ્તુ પરત્વેનું કર્તાનું આ વલણ અનેક પ્રકારનું હોઈ શકે, જેમકે : નિરાશાવાદી, વિધેયાત્મક, વ્યંગાત્મક, આક્રોશપૂર્ણ વગેરે.
(જુઓ : Tone)

Audience પ્રેક્ષકગણ

પ્રચલિત અર્થમાં કલાનાં દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપો જેવાં કે નાટ્ય, નૃત્ય, કાવ્યપઠન આદિની રજૂઆત દરમ્યાન ઉપસ્થિત જનસમૂહ.
નાટ્યેતર સાહિત્યસ્વરૂપોની સરખામણીમાં નાટક સંબંધે પ્રેક્ષકની ભૂમિકા વિશેષ છે. તેનું મુખ્ય કારણ ભાવક(પ્રેક્ષક)ની જીવંત ઉપસ્થિતિ, અને તેથી કલાકૃતિ અને પ્રેક્ષક વચ્ચે સ્થપાતો સીધો સંબંધ છે. ભરતમુનિ નાટ્યપ્રયોગને લોકધર્મી અને નાટ્યધર્મી એવા બે પ્રકારમાં વહેંચે છે ત્યારે પહેલા પ્રકારમાં નાટ્યસ્વરૂપ પરત્વે પ્રેક્ષકની વિશેષ ભૂમિકા અને તેના મહત્ત્વનો તેઓ સ્વીકાર કરે છે.
યુરોપમાં જર્મન નાટ્યલેખક બ્રેસ્તનાં નાટકોમાં નટ દ્વારા પ્રેક્ષકોને સીધા સંબોધવાની શૈલી (જેમાં લોકનાટ્ય ભવાઈનાં લક્ષણો પણ જોઈ શકાય) દ્વારા બીજા વિશ્વયુદ્ધ પછીની વિશ્વ રંગભૂમિને મહત્ત્વનો વળાંક અપાયો છે. બ્રેસ્તનાં નાટકોમાં રૂપાંતરો ઉપરાંત સાંપ્રત રંગભૂમિમાં પ્રેક્ષક-નાટકના સંબંધનો વિશેષ વિનિયોગ પ્રચારમાં આવ્યો છે.
જુઓ : Alienation

Auditorium નાટ્યગૃહ, પ્રેક્ષાગૃહ

નાટક ભજવવા માટેનો તખ્તો, પ્રેક્ષકોની બેઠકો તથા નાટકની ભજવણી માટે આવશ્યક અન્ય ઓરડાઓ વગેરેનું સમગ્ર સંકુલ તે નાટ્યગૃહ, ભરતમુનિ એને ‘નાટ્યશાસ્ત્ર’માં નાટકશાળા તરીકે ઓળખાવે છે. પહેલાંના સમયમાં લોકનાટ્યોની ભજવણી વેળાએ ગામના ચોકમાં કે ખુલ્લા મેદાનમાં જરૂરી ગોઠવણો કરી આ સંકુલ ઊભું કરાતું. ગ્રીસમાં રંગભૂમિના સુવર્ણકાળમાં પહાડોને કોતરીને વિશિષ્ટ પ્રકારનાં નાટ્યગૃહો ઊભાં કરાયેલાં.
જૂની ગુજરાતી રંગભૂમિ તેમ જ સ્વાતંત્ર્યપૂર્વ ભારતીય રંગભૂમિમાં નટો, કસબીઓ તથા નાટકકંપનીના માલિકો કંપનીના સ્થાયી નાટ્યગૃહોમાં જ વસવાટ કરતા, નાટક અંગેની તાલીમનું આયોજન કરતા, તથા તે જ સ્થળે નાટકની ભજવણી કરતા. આ અર્થમાં ભરતમુનિ ‘નાટકશાળા’ શબ્દ પ્રેયોજે છે. નાટ્યશાસ્ત્રમાં ભરતમુનિ નાટ્યગૃહના ત્રણ પ્રકારના આકારો (લાંબું, ચતુષ્કોણ, ત્રિકોણ) સૂચવે છે.

Authenticity પ્રમાણભૂતતા

સાહિત્યિક કૃતિઓમાં સાહિત્યેતર શાસ્ત્રો કે અન્ય વિદ્યાશાખાઓની વિગતનો વિનિયોગ કરવામાં આવ્યો હોય ત્યારે મૂળ શાસ્ત્ર કે વિદ્યાશાખાનાં અધિકૃત માપદંડોથી તે વિગતની પ્રમાણભૂતતા નક્કી કરવાનો પ્રશ્ન ઊભો થાય છે.
નવલકથામાં કરાતાં સ્થળવિશેષનાં વર્ણનો કે તે અંગેની ઐતિહાસિક કે પુરાતત્ત્વશાસ્ત્ર સંબંધી માહિતીને ચકાસવાની જરૂર ઊભી થાય છે. તે જ રીતે કૃતિમાં ચોક્કસ પ્રદેશની બોલી (dialect)ના વિનિયોગના સંદર્ભમાં પણ પ્રમાણભૂતતા અનિवાર્ય બને છે.
આ પ્રકારે સાહિત્યેતર વિગતોના પ્રમાણભૂત વિનિયોગથી કૃતિનાં વર્ણનો, પાત્રો વગેરેનું ખરાપણું (Verisimilitude) અસરકારક રીતે ભાવકના ચિત્તમાં સ્થાપી શકાય છે. જેમકે, રઘુવીર ચૌધરીની ‘કથાત્રયી’માં ઉત્તર ગુજરાતની બોલી તથા એનાં વર્ણનો.

Authorized version અધિકૃત વાચના

ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલની મૂળ ગ્રીક હસ્તપ્રતમાંથી વિલ્યમ ટિન્ડેલ દ્વારા અનૂદિત આવૃત્તિના આધારે જેમ્ઝ પહેલાના સંચાલનમાં ૧૬૦૪માં મળેલી બંને ચર્ચની સભાના અનુરોધથી ૪૭ વિદ્વાનોએ ૧૬૧૧માં અંગ્રેજી બાઈબલની જે આવૃત્તિ તૈયાર કરી તે અધિકૃત આવૃત્તિ ‘Authorised version’ તરીકે ઓળખાવા લાગી.
પ્રાચીન કૃતિઓની એકથી વધુ આવૃત્તિઓ ઉપલબ્ધ હોય ત્યારે વિદ્વાનો સંશોધિત આવૃત્તિ તૈયાર કરવાની કામગીરી હાથ ધરે છે. અધિકારી વિદ્વાનો દ્વારા તૈયાર થતી આ પ્રકારની આવૃત્તિ અધિકૃત આવૃત્તિ તરીકે ઓળખાય છે. પૂણેની ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તૈયાર કરેલી મહાભારતની કુલ ૯૪૨૪૬ શ્લોકોની સંશોધિત આવૃત્તિને મહાભારતની અધિકૃત આવૃત્તિ તરીકે ઓળખાવી શકાય.

Authorship ગ્રંથકર્તૃત્વ

જે તે કૃતિના કર્તાને નામે તે કૃતિ કે ગ્રંથનું કર્તૃત્વ ઇતિહાસમાં નોંધવામાં આવે છે. જૂના સમયની કેટલીક કૃતિઓમાં કર્તાનું નામ સૂચવાયું ન હોય ત્યારે ગ્રંથકર્તૃત્વની સમસ્યા ઊભી થાય છે. પ્રતિષ્ઠિત કર્તાની કોઈક કૃતિમાં તેનો નામોલ્લેખ ન મળતો હોય તો તે કૃતિની રચના શૈલી આદિના આધારે તેનું ગ્રંથકર્તૃત્વ નિશ્ચિત કરી શકાય છે.

Autobiography આત્મકથા

વ્યક્તિએ પોતે લખેલી પોતાની જીવનકથા તે આત્મકથા. આત્મકથાકાર પોતાના ભૂતકાળને સીધેસીધો રજૂ નથી કરતો. એ વર્તમાનકાલીન પોતા વિશેના ખ્યાલને આધારે પોતાનાં સંસ્મરણો ભૂતકાળમાંથી પસંદ કરે છે. આ પસંદ કરેલાં સંસ્મરણો માત્ર યથાતથ અતીતની ઘટનાઓના દૃશ્યશ્રાવ્ય રેખાંકન નથી હોતાં પરંતુ કલ્પનોત્થ પુનઃપ્રાપ્તિ હોય છે.
આત્મલેખનની પ્રક્રિયામાં, વર્તમાન ‘હું’ અને ભૂતકાલીન ‘હું’ વચ્ચેનું, સાચી અને ખોટી જાત વચ્ચેનું, આત્મસંસ્થાપક અહં અને સર્જક અવચેતન વચ્ચેનું, પ્રમાણિત અને અપ્રમાણિત, અભિવ્યક્તિપરક અને સંકોચનપરક, સહજ અને આયાસસિદ્ધ સામગ્રી વચ્ચેનું દ્વન્દ્વ હોય છે.
ઉત્તમ આત્મકથાનો આદર્શ એ છે જેમાં આત્મકથાકાર આત્મશોધમાં રહે છે. જેમકે, ગાંધીજીની આત્મકથા – ‘સત્યના પ્રયોગો’.

Automatization સ્વયંચાલિતતા

આ રશિયન સ્વરૂપવાદી સંજ્ઞા છે. વ્યવહારભાષા ટેવવશ હોય છે. વ્યવહારભાષામાં શબ્દનું ઉચ્ચારણ સ્વયંચાલિત છે. ‘સ્વયંચાલિત યંત્રમાંથી બહાર ફેંકાતા ચોકલેટ બારની જેમ’ શબ્દો બહાર આવે છે. આ પ્રક્રિયાને રશિયન સ્વરૂપવાદી વિવેચક વિકટર શ્ક્લોવ્સ્કી ‘સ્વયંચાલિતતા’ તરીકે ઓળખાવે છે. અને એની સામે કવિતાભાષાને મૂકી દર્શાવે છે કે કવિતા ભાષાને ફરીને અપરિચિત બનાવી (જુઓ : defamiliarization) આપણી સમક્ષ મૂકે છે. શબ્દોનું આ અપરિચિતીકૃત સંવેદન જે આપણે સામાન્ય રીતે રાજિંદા વ્યવહારમાં નોંધવાનું ચૂકી જઈએ છીએ તે કવિતાના સ્વરૂપગત આધારનું પરિણામ છે.

Autotelic સ્વાયત્ત (કવિતા)

પોતામાં પર્યાપ્ત એવી સ્વાયત્ત કૃતિ માટે વપરાતી સંજ્ઞા. નવ્ય વિવેચકો આ સંજ્ઞા દ્વારા એવી કવિતાનો નિર્દેશ કરે છે જે પોતાની બહારના કોઈ સત્યને મૂલ્ય તરીકે ચીંધવાને બદલે પોતાના સત્ય પરત્વે સંકેત કરતી હોય.

Avant Garde આવાં ગાર્દ

કલા અને સાહિત્યના ઇતિહાસમાં ખૂબ વપરાતી આ મહત્ત્વની ફ્રેન્ચ સંજ્ઞા છે. આ સંજ્ઞા કશુંક નવું, કશુંક અગ્રવર્તી, કશુંક ક્રાંતિકારી છે, એને ચીંધે છે. એનું મૂળ સેનાસંબંધી ક્ષેત્રમાં પડેલું છે.
રૂપકાત્મક રીતે સાહિત્યક્ષેત્રમાં શૈલી અને વિષયમાં નવા ઉન્મેષો દાખવતા નવા સાહિત્ય માટે એ વપરાય છે.
જેમકે, આજે વર્લૅં રે’બો કે મૅલાર્મૅ જેવા પ્રતીકવાદી કવિઓને આવાં ગાર્દ સમજવા એ સ્વાભાવિક બન્યું છે.

Axiology મૂલ્યમીમાંસા

નીતિશાસ્ત્રનાં સૌન્દર્યશાસ્ત્રનાં કે ધર્મનાં મૂલ્યો સાથે કાર્ય પાડતી ફિલસૂફીની એક શાખા.