આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/B
સંજ્ઞાકોશ
B
B
Background ભૂમિકા, પાર્શ્વભૂ
- મૂળે ચિત્રકલાના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા તેના વિશેષ અર્થમાં સાહિત્યિક કૃતિના વિવેચન માટે પ્રયોજવામાં આવે છે.
- ચિત્રની મુખ્ય વિગતને ઉપસાવવામાં તેને અનુકૂળ પાર્શ્વભૂની ઝીણવટભરી વિગતો મહત્ત્વનો ભાગ ભજવે છે. કથાસાહિત્યમાં સ્થળવિશેષનાં વર્ણનોમાં આ પ્રવિધિ ચિત્રકળાની માફક જ પ્રયોજવામાં આવે છે. નવલકથાના શરૂઆતના ભાગમાં તેની અસરકારક માંડણી કરવા માટે લેખક, સ્થળ, કાળ, પાત્રાલેખન આદિ વિગતો દ્વારા કથાના મૂળ વસ્તુને ઉપસાવવાના હેતુથી ભૂમિકા બાંધે છે – તે અર્થમાં પણ આ સંજ્ઞા પ્રયોજાય છે.
- કોઈ એક સર્જકના સમગ્ર સાહિત્યનું મૂલ્યાંકન કરતી વખતે તેની વૈચારિક ભૂમિકા(Intellectual Background) અને તેની અંગત ભૂમિકા (Personal Background) અંગે વિચાર કરવાનું પણ વલણ છે.
Ballad કથાગીત, ગીતકથા
- મૂળે નૃત્ય સાથે સંકળાયેલું કથાગીત. ત્રણ જુદા જુદા અર્થમાં આ શબ્દનો પ્રયોગ થાય છે. વ્યાપક અર્થમાં ગવાતા કોઈ પણ શબ્દસમૂહ માટે આનો પ્રયોગ થાય છે. સંકુચિત અર્થમાં પરંપરાગત કથાગીત ચોક્કસ પ્રકારની વર્ણનાત્મક કવિતા છે અને લોકગીતનો ભાગ છે. આ કથાગીત ઇંગ્લૅન્ડ કે સ્કોટલૅન્ડની વિશિષ્ટતા નથી પણ આખા યુરોપમાં અને પછીથી વસેલા અમેરિકામાં પણ પ્રચલિત છે.
- કથાગીતના બે પ્રકાર છે : પ્રચલિત કથાગીત અને સાહિત્યિક કથાગીત. પ્રચલિત કથાગીત કર્ણોપકર્ણ વહી આવેલું મૌખિક પરંપરાનું સ્વરૂ૫ છે. ૧૮મી સદીના અંતભાગમાં એ સંગીત વગરનું સાહિત્યિક કથાગીત બને છે અને પછીની સદીમાં કોલ્રિજનું ‘એન્સિયન્ટ મેરિનર’ જેવું સાહિત્યિક કથાગીત મળે છે.
Ballet નૃત્યનાટિકા
- ઇટલીમાંથી ફ્રાન્સ જઈ વિકસેલું આ દૃશ્ય-શ્રાવ્ય કલાસ્વરૂપ સત્તરમી સદીના યુરોપમાં માત્ર મનોરંજનનું માધ્યમ હતું, તથા મુખ્યત્વે રાજ-દરબારોમાં તેની રજૂઆત થતી.
- ૧૯૩૦ની આસપાસ અંગ્રેજ શાસન દરમિયાન તે ભારતમાં પ્રવેશ્યું. ભારતનાં શાસ્ત્રીય નૃત્યો સાથેના સમાગમથી ‘નૃત્યનાટિકા’ તરીકે નવા પરિવેશમાં તે અસ્તિત્વમાં આવ્યું. ભારતનાં શાસ્ત્રીય નૃત્યો અને પશ્ચિમી પદ્ધતિનું કેટલુંક અનુકરણ, એ બન્ને તત્ત્વો તેમાં ભળ્યાં, અને નૃત્ય તથા નાટકના સમન્વય દ્વારા પદ્ય નાટ્યકૃતિઓ આ સ્વરૂપે ભજવાવા લાગી. આપણાં લોકનાટ્યો અને લોકનૃત્યોના પણ કેટલાક અંશો તેમાં ભળ્યા : ‘ભવાઈના લગભગ બધા જ વેશો નૃત્યનાટિકાઓ હતી...’ (રા.વિ. પાઠક, આકલન, પૃ. ૧૦૬)
- જેમકે, રસિકલાલ પરીખકૃત ‘મેના ગુજરી’.
Bardolatry ભાટવૃત્તિ
- સફળ કવિનું જરૂરતથી વધુ સન્માન કરવાની વિવેચકોની વૃત્તિનું સૂચન કરતી આ સંજ્ઞા બર્નાર્ડ શોએ શેક્સ્પિયરના અનુસંધાનમાં ૧૯૦૧માં પ્રયોજી.
Bards ભાટ, ચારણ
- આ સંજ્ઞા તેના વિશાળ અર્થમાં રાજવીકુટુંબની પ્રશંસા કરતી ગેય રચનાઓના કવિ-ગાયક માટે વપરાય છે. આ કવિઓ રાજવીકુટુંબની વિશેષ ઘટનાઓને આધારે ગેય રચનાઓ કરતા અને રાજ્યમાં તેના ગાન દ્વારા પ્રજા સુધી તે વિગતો પહોંચાડતા,
- ૧૦મી સદીના સેલ્ટિક સમાજમાં આ પ્રકારના કવિનું મહત્ત્વનું સ્થાન હતું. આયર્લૅન્ડ તથા વેલ્સમાં પણ આ પ્રથા ૧૭મી સદી સુધી પ્રચારમાં હતી.
- પ્રશસ્તિ કાવ્યો ઉપરાંત વીર તથા કરુણ રસનાં ગીતો પણ આ કવિઓ રચતા. વિશાળ ભાવકવર્ગ ધરાવતા શેક્સપિયર, મિલ્ટન જેવા વિશ્વવિખ્યાત કવિઓને પણ આ સંજ્ઞા અંજલિ સ્વરૂપે લાગુ પાડવાનું વલણ છે.
Bathos ભાવાવપાત
- કૃતિમાં ઉદાત્ત રસના પ્રત્યાયનની ક્ષણે જ અતિશયતા કે કૃત્રિમતાને લીધે ભાવક દ્વારા અનુભવાતી તીવ્ર રસક્ષતિ. પ્રતિકાષ્ઠા(Anti-climax)ની સરખામણીમાં તે વધુ ઝડપી હોય છે.
- મૂળે ‘ઊંડાણ’ના અર્થમાં પ્રયોજાતી આ સંજ્ઞા તેના હાલના અર્થમાં અંગ્રેજ કવિ પોપે પ્રયોજી.
- (જુઓ : Anti-climax)
Beat તાલ, આઘાત
- કાવ્યપંક્તિઓમાં નિયમિતપણે આવર્તન પામતો છાંદસભાર તે તાલ.
- જેમકે, આદિલ મન્સૂરીની પંક્તિઓ
- હા કબૂલ્યું / ગુપ્તચર હું /
- નામ બદલી /
- મૌનના કા /ળાં રહસ્યો / પામવા ભટ / કું અહીં હું / છદ્મ વેશે /
Beat-writers બિટલેખકો
- ૧૯૫૫ થી ૧૯૬૦ના અરસામાં યુરોપમાં કાર્યરત રહેલો ઉગ્રવાદી લેખકોનો એક સમૂહ, સ્થાપિત મૂલ્યો, રાજકારણ, બુદ્ધિવાદ તથા સાંસ્કૃતિક-નૈતિક મૂલ્યોના વિરોધમાં અસ્તિત્વમાં આવેલા આ કવિઓ, નવલકથાકારોના સમૂહે વૈયક્તિક અનુભૂતિ અને વૈયક્તિક અભિવ્યક્તિ ઉપર વિશેષ ભાર મૂક્યો. બુદ્ધની વિચારધારા તથા ગૂઢવાદની અસર પણ આ લેખકોમાં પ્રવર્તતી હતી. ઉપરાંત કેફી પદાર્થોના સેવન બાદ થતા અનુભવોને આધારે સાહિત્યસર્જન કરવાના પ્રયોગો પણ આ લેખકેએ કર્યા. એલન ગિન્સબર્ગ, ગ્રેગરી કોર્સો જૅક કેરૂ ઍક વગેરે આ સમૂહના લેખકો છે.
Belief, problem of શ્રદ્ધા ત્યાં માન્યતા અંગેની સમસ્યા
- શ્રદ્ધા અંગેનો કલ્પ લાગુ ન પડે એવું સાહિત્યસ્વરૂપ કલ્પવું મુશ્કેલ છે. લેખન યા વાચન સભાન કે અભાનપણે પોતાની માન્યતાઓ, શ્રદ્ધાઓ, ધારણાઓ પ્રગટ કર્યા વગર રહી શકે નહિ. આથી સાહિત્યમાં સમસ્યા જન્મે છે. કારણ સાહિત્ય-કૃતિની શ્રદ્ધા કે માન્યતાને ભાવક સ્વીકારે કે ન યે સ્વીકારે. એટલે કે આ સમસ્યા સાહિત્યમાં સત્ય અંગેની સમસ્યાનું માનસિક સ્વરૂપ છે. ખાસ કરીને ધર્મવિષયક કે તત્ત્વવિચારવિષયક કવિતાના વિવેચનાત્મક મૂલ્યાંકનમાં આ સમસ્યા ગંભીરપણે ઊભી થાય છે. પરંતુ વીસમી સદીના વિવેચને સ્પષ્ટ કર્યું છે કે સૌન્દર્યનિષ્ઠ મૂલ્ય અને મતગ્રાહ્યતા કે શ્રદ્ધાસ્વીકાર એ એકબીજાથી સાવ સ્વતંત્ર છે. વાચકને મતગ્રાહ્ય ન હોય અને છતાં કવિતા અંગે એણે ઊંચું મૂલ્ય આંક્યું હોય, એવા ઘણા કિસ્સાઓ મળી આવે.
Bestseller બહુવિક્રી
- બહોળા પ્રમાણમાં વંચાતું પુસ્તક કે બહેાળા પ્રમાણમાં વંચાતા લેખક. સામાન્ય રીતે વીસ હજારથી દસ લાખ જેટલી પ્રતોનું વેચાણ ધરાવતા પુસ્તક કે તેના લેખકનો ઉલ્લેખ આ સંજ્ઞાથી થાય છે.
- બાઈબલ ઉપરાંત હોમર, દાન્તે, શેક્સપિયર આદિનાં પુસ્તકોનો આ અર્થમાં ઉલ્લેખ કરી શકાય.
Biblioclast ગ્રંથભંજક
- સાહિત્ય, કલા વગેરેનો વિરોધ કરનાર તથા તેને નાશ કરનાર વ્યક્તિ.
Bibliognost ગ્રંથજ્ઞ
- પુસ્તક-પ્રકાશન અંગેનાં બધાં જ પાસાંઓ અંગે જાણકાર વ્યક્તિ. મુખપૃષ્ઠ, મુદ્રણ, બાઈન્ડિંગ વગેર ગ્રંથનિર્માણમાં આવતી બધી જ વિધિઓ વિશે એની પાસે અધિકૃત જાણકારી હોય છે.
Bibliogony ગ્રંથનિર્માણ
- ગ્રંથનિર્માણ અને પ્રકાશનની કલા
Bibliography ગ્રંથસૂચિ
- આ સંજ્ઞા તેના મૂળ ગ્રીક અર્થમાં પુસ્તક-લેખન (book-writing)ના અર્થમાં સત્તરમી સદીના અંત સુધી પ્રયોજાતી હતી. અઢારમી સદીથી આ સંજ્ઞા તેના આધુનિક અર્થમાં નિશ્ચિત વિષય કે સમયગાળાનાં, ચોક્કસ લેખક કે કોઈ એક શાસ્ત્ર અંગેના ગ્રંથોની તેના રચનાકાળ, આવૃત્તિ, મુદ્રણ, પ્રકાશન, કર્તા સહિતની પદ્ધતિસરની માહિતીવાળી-સૂચિના અર્થમાં પ્રયોજવામાં આવે છે.
- ગ્રંથસૂચિ બે પ્રકારે તૈયાર થાય છે : ૧. માહિતીલક્ષી ગ્રંથસૂચિ ૨. મૂલ્યાંકનલક્ષી ગ્રંથસૂચિ. પ્રથમ પ્રકારની સૂચિમાં ગ્રંથ વિશેની ઉપલબ્ધ માહિતી પ્રાપ્ત થાય છે, બીજા પ્રકારની સૂચિ જે – તે પુસ્તકોની ગુણવત્તા નક્કી કરવામાં મદદરૂપ થાય છે.
Bildungsroman વિકાસનવલ
- નાયકના શૈશવકાળથી માંડી એની પુખ્તતા પર્યંતના ઉછેરવિકાસને નિરૂપતી નવલકથા માટેની જર્મન સંજ્ઞા.
Bio criticism જીવનકથાત્મક વિવેચન
- જુઓ : biographical criticism.
Biographical criticism જીવનકથાત્મક વિવેચન
- ઐતિહાસિક વિવેચનની એક શાખા જીવનકથાત્મક વિવેચનની છે. અને એમાં સર્જક વ્યક્તિ કેન્દ્રસ્થાને હોય છે. જીવનકથાત્મક વિવેચન, કૃતિને એના રચયિતાથી અલગ તારવીને એનું વિવેચન કરવું અઘરું છે એવું માને છે. આ વિવેચનનો મત એવો છે કે સર્જકનું જીવન અને એનું વ્યક્તિત્વ સર્જન અંગેની સમજ અને એના આસ્વાદમાં મહત્ત્વની ચાવી પૂરી પાડે છે.
Biography જીવનકથા
- જીવનકથા અને આત્મકથા વચ્ચેનો તફાવત એ છે કે આત્મકથામાં વ્યક્તિ પોતે જ પોતાના જીવનને નિરૂપે છે જ્યારે જીવનકથામાં અન્ય દ્વારા જીવન નિરૂપાયું હોય છે.
- ડ્રાય્ડને જીવનકથાની વ્યાખ્યા ‘ચોક્કસ વ્યક્તિઓના જીવનનો ઇતિહાસ’ એવી આપી છે. જીવનકથામાં કોઈ વ્યક્તિનું ચરિત્ર, એની પ્રકૃતિ, એનું આસપાસનું વાતાવરણ, એના અનુભવો, એની પ્રવૃત્તિઓ નિરૂપાયેલાં હોય છે.
Black Comedy ઘોરનાટ્ય
- તીવ્ર અશ્રદ્ધા અને નિર્ભ્રાંતતાની રજૂઆત કરતો નાટ્યપ્રકાર, નિર્ભ્રાંત, નિરાશાવાદી તથા નિષ્ઠાશૂન્ય પાત્રોનો, દુર્બોધ સત્તા, પ્રારબ્ધ કે દૈવ સાથેનો સંબંધ ઊભો કરી ઘેરી નિરાશાની અનુભૂતિની નિર્મમ હાસ્ય દ્વારા અભિવ્યક્તિ કરતી સાહિત્યકૃતિ.
- વીસમી સદીમાં ‘થિયેટર ઑવ એબ્સર્ડ’માં આ પ્રકારની નાટ્યકૃતિઓ જોવા મળે છે. એડવર્ડ ઑલ્બી, હૅરલ્ડ પિન્ટર, જ્યાં આનુચિ વગેરે નાટ્યકારોએ આ પ્રકારનાં નાટકો આપ્યાં. આ પ્રકારના નાટકનાં બીજ શેક્સપિયરનાં કેટલાંક નાટકોમાં પડેલાં છે; જેમકે, મેઝર ફોર મેઝર, ઓલઝ વૅલ ધેટ એન્ડ્રૂઝ વૅલ, વિન્ટર્ઝ ટેલ વગેરે.
- જુઓ : Black Humour
Black Humour દુર્હાસ
- ક્રૂરતાની ભૂમિકાને આધારે નિષ્પન્ન કરાતો હાસ્યરસ, જેમાં નૈતિક મૂલ્યોની ઉપેક્ષા કરવામાં આવતી હોય.
- વીસમી સદીના મધ્યકાળથી આ પ્રવાહે યુરોપના સાહિત્યમાં પ્રવેશ કર્યો. અહીં નિષ્પન્ન થતા હાસ્યના મૂળમાં જીવનની નિરર્થકતા, અશ્રદ્ધાવાદ, સ્થાપિત મૂલ્યોનો વિરોધ કે તેમના તરફ ઉપેક્ષા વગેરે ભાવો પડેલા હોય છે.
- જુઓ : Black comedy
Blank verse પ્રાસમુક્ત ગદ્ય, પ્રવાહી પદ્ય, મુક્ત પદ્ય
- પ્રાસહીન પદ્ય મોટે ભાગે અંગ્રેજી સાહિત્યમાં આયેમ્બિક પેન્ટામિટરમાં હોય છે અને અંગ્રેજી ભાષાના રોજિંદા લયની ખૂબ નજીકનો એનો લય હોવાથી ચિંતનાત્મક અને વર્ણનાત્મક પદ્યના માધ્યમ તરીકે એનો સૌથી વધુ ઉપયોગ થયો છે. ૧૬મી સદીના કવિ સરી (Surrey) એ ‘એનિડ’ના ભાષાન્તર દ્વારા આનો પહેલીવાર અંગ્રેજી ભાષામાં પ્રવેશ કરાવ્યો. શેક્સપિયરનાં નાટકો અને મિલ્ટનના ‘પેરેડાઈઝ લોસ્ટ’થી માંડી છેક ઍલિયટના ‘વેસ્ટ લૅન્ડ’ સુધી આનો વિપુલ ઉપયોગ જોઈ શકાય છે.
Blurb વેષ્ટનલેખન
- પુસ્તકના વેષ્ટન પર પુસ્તકની સામગ્રી અંગેનું છપાતું સંક્ષેપ લેખન. આ લેખન, જાહેરાતના પ્રકારનું મોટેભાગે ઉત્સાહી અને અતિશયતાભર્યું હેાય છે. કોઈ સમતોલ અવલોકનની એના પર મદાર બાંધી શકાય નહિ, અપેક્ષિત ખરીદનારને એમાંથી પુસ્તક અંગેની માહિતી મળી રહે છે.
- આ સંજ્ઞાની શોધ અમેરિકન લેખક ગેલેટ બર્જિસે (Gelett Burgess) કરી છે.
Book-Magazine ગ્રન્થસામયિક
- કોઈ એક લેખકનું આખુંય પુસ્તક હપતાવાર પ્રગટ કરતું સામયિક.
- દા.ત. બાલાશંકર કંથારિયા સંપાદિત ‘ભારતીભૂષણ’.
Book-review પુસ્તકાવલોકન, પુસ્તક પરિચય
- પુસ્તકને તોળીજોખી મૂલ્યાંકન કરી એને વિશે અભિપ્રાય આપતો વિવેચનનો એક પ્રકાર. પુસ્તકાવલોકનનો મુખ્ય હેતુ પુસ્તકના ગુણદોષ ચર્ચીને કાળજીપૂર્વક એને વિશે વિવેક કરવાનો છે. પુસ્તકાવલોકન કેટલીક વાર અહેવાલ પદ્ધતિએ જાહેરાત રૂપે લખાયેલું હોય છે, કેટલીકવાર પુસ્તકનાં હેતુ, શૈલી અને વિષયને અનુલક્ષીને વિવેચનાત્મક રીતે લખાયેલું હોય છે; કેટલીકવાર પુસ્તકનું ‘સ્પ્રિંગબોર્ડ અવલોકન’ થતું હેાય છે, જેમાં અવલોકનકાર પુસ્તકને આરંભબિંદુ તરીકે સ્વીકારી પોતાને અનુકૂળ હોય એમ એ નિમિત્તે ઊહાપોહ કરતો હેાય છે.
Bounded Text મનોકૃતિ
- જેને કાગળ ઉપર લખવાને આરંભ કરવા અગાઉ જ સર્જકે આદિથી અંત સુધી, તેના પૂર્ણ સ્વરૂપે, ચિત્તમાં ધારી હોય એવી સાહિત્યકૃતિ. આ રીતે લેખકના મનમાં તૈયાર થયા બાદ લખાયેલી વાર્તા, નવલકથા કે નાટકને મનોકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જુલ્યિ ક્રિસ્તેવાએ પ્રચલિત કરેલી સંજ્ઞા.
Bourgeois Drama બુર્ઝવા નાટક
- મધ્યમવર્ગીય સમાજજીવન અને તેના પ્રશ્નોની રજૂઆત કરતાં વાસ્તવલક્ષી નાટક માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
- ફ્રેન્ચ ક્રાંતિથી અમીર અને ગરીબ એ બે વચ્ચેનો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો, તે મધ્યમ વર્ગ (Bourgeois, Fr. middle class) તરીકે ઓળખાયો. મૂડીવાદી વ્યવસ્થામાં કાર્લ માકર્સ આ વર્ગનો શાસક વર્ગ તરીકે ઉલ્લેખ કરે છે. આ વર્ગનાં બળ અને તેની આકાંક્ષાઓ અનુસાર જ કોઈ પણ દેશની સરકાર કે તેની કલાનું વલણ નિશ્ચિત થાય છે એવી માન્યતા છે.
Brochure પુસ્તિકા, ચોપાનિયું
- આ સંજ્ઞા તેના મૂળ અર્થમાં સિલાઈ કરેલા પૃષ્ઠોવાળી નાની પુસ્તિકાનું સૂચન કરે છે. અત્યારે આ સંજ્ઞા સામાન્ય રીતે માહિતીપ્રદ, નાના કદની પુસ્તિકા માટે પ્રયોજવામાં આવે છે. મહદ્અંશે આ પ્રકારની પુસ્તિકામાં વસ્તુ કે વિષય અંગેની સામગ્રી આપવામાં આવે છે.
Burlesque ભાંડભવાઈ
- કોઈ એક સાહિત્યકૃતિનું યા રૂઢિ, વ્યક્તિ કે સંસ્થાનું સહેતુક અને વિસંગતિપૂર્ણ અનુકરણ કરતું નાટક, નવલકથા કે કવિતાનું સ્વરૂપ. વસ્તુની રજૂઆતની શૈલી અને વસ્તુના ભાવવિશ્વ વચ્ચેની દેખીતી વિસંગતિ સિદ્ધ કરીને આ પ્રકારની કૃતિઓમાં હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે.
- કોઈ ઉદાત્ત વિષય-વસ્તુની હાસ્યાસ્પદ રજૂઆત દ્વારા અથવા કોઈ હાસ્યાસ્પદ વિષય વસ્તુની ઉપરછલ્લી રીતે ભવ્ય રજૂઆત કરીને આ પ્રકારની કૃતિઓ વિસંગતિઓનું આલેખન કરે છે.
- શ્રી રમણભાઈ નીલકંઠની નવલકથા ‘ભદ્રંભદ્ર’નું આ સંજ્ઞાના સંદર્ભમાં મૂલ્યાંકન થઈ શકે.
By-play ઉપનાટક
- મુખ્ય નાટકના કથા-વસ્તુના અનુસંગે અન્ય નાટકનો ભાગ કે નાનુ, સ્વતંત્ર નાટક મુખ્ય નાટકમાં મૂકવામાં આવે તે.