પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની

From Ekatra Wiki
Revision as of 12:43, 21 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
ચાર કવિઓ – થોડીક રેખાઓ

રમણ સોની

મુખ્યત્વે વિવેચક-અધ્યાપક. ‘ગુજરાતી સાહિત્યકોશ’(૧ થી ૩)ની રચનામાં સંશોધક-લેખક-સંપાદક તરીકે મહત્ત્વનું યોગદાન. સમ્પ્રતિ ‘પ્રત્યક્ષ’ તથા ઈ-સામયિક ‘સંચયન’ના સમ્પાદક તરીકે પ્રવૃત્ત. વડોદરા નિવાસી. આશરે એક દાયકો ઈડર કૉલેજમાં અધ્યાપન, પછી (૧૯૮૦ થી ૮૬) ગુજરાતી સાહિત્ય પરિષદના કોશકાર્ય સાથે સંલગ્ન. ૧૯૮૮થી મ.સ.યુનિ. વડોદરામાં ગુજરાતી પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. કર્મઠ અને મૂલ્યનિષ્ઠ અધ્યાપક. સાહિત્ય-કલા-પદાર્થને માર્મિક દૃષ્ટિથી જોનારા-પરખનારા અભ્યાસી વિદ્વાન. ચિમનલાલ ત્રિવેદી પાસે એમણે ‘ઉશનસ્ઃ સર્જક અને વિવેચન’ વિષય પર સંશોધન કાર્ય કર્યું. શોધગ્રંથ પ્રકાશિત કર્યો. ‘વિવેચન સન્દર્ભ’ પણ એમના ધ્યાનપાત્ર અભ્યાસલેખોનો સંચય છે. હમણાં હમણાંથી પ્રવાસનિબંધ, ચરિત્રનિબંધ અને હાસ્યનિબંધ લખે છે. અમેરિકા પ્રવાસ કરવા ઉપરાંત અકાદમી દ્વારા મોકલાયેલ ભારતીય લેખક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઝેકોસ્લૉવેકિયા(પ્રાગ)નો પ્રવાસ કર્યો છે.

(દલપત પઢિયાર, કાનજી પટેલ, કમલ વોરા તથા જયદેવ શુક્લની કવિતા વિશે)

યોજક અને સંયોજક મિત્રો, કવિમિત્રો તથા મારા જેવા સૌ વાચકમિત્રો-શ્રોતામિત્રો

આ કાર્યક્રમનો મોરચો સરસ છે – આ નથી કેવળ કાવ્યપઠનનો કાર્યક્રમ, કે નથી માત્ર કવિતા વિશેનાં પ્રવચનોનો કે કોઈ પરિસંવાદનો ઉપક્રમ. અહીં સત્તર અનુઆધુનિક કવિઓની સાથે જ ચાર અનુઆધુનિક અ-કવિઓ છે એટલે કે કવિતાના વાચકો છે. એ વાચકો છે એથી જ, એ ચાર હોવા છતાં એમની આ સભામાં, બહુમતી છે. આપણે ઇચ્છીએ કે કોઈપણ સાહિત્યસમાજમાં કવિઓ કરતાં વાચકોની સંખ્યા વધારે હોય – કેમ કે વાચકસ્તત્ર દુર્લભઃ

શરૂઆતમાં જ, એક બીજો આનંદ મારે વ્યક્ત કરવો છે એ આ કાર્યક્રમના ‘પ્રતિપદા’ એવા નામ માટે. આપણા ઉત્સવનો આ પડાવ સરસ છે – પ્રતિપદા. અને પ્રતિપદાથી પૂર્ણ ચંદ્ર તરફની યાત્રા – એવું સમજવું કાંઈ જરૂરી નથી. આપણને તો રાજેન્દ્ર શાહ કાનમાં કહી ગયા છે – કવિ હોય તે કાનમાં જ કહે, મોં સામે સંભળાવી જાય નહીં. રાજેન્દ્રભાઈએ કહ્યું જ છે કે ‘જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી.’ પ્રતિપદા અને બીજના એ લયવળાંકો અને એમનું સ્પૃહા જગાડનારું ગોપન – એ પૂર્ણ ચંદ્ર કરતાં પણ વધુ આસ્વાદ્ય બની શકે. અલબત્ત, આપણને તો પૂર્ણ ચંદ્ર સામે પણ કોઈ તકરાર નથી. અનુઆધુનિક કવિતાને તો (ચંદ્ર-કળાના ને સાહિત્ય-કળાના) બધા જ વળાંકો, ને બધા જ પ્રવાહો સ્વીકાર્ય છે. હા, એક શરતે – કવિતાના ને કલાના સૌંદર્યલાભની શરતે, એવો આનંદલાભ ન થતો હોય તો હું વાચક તરીકે પણ કોઈ સોદો ન કરું! આ આનંદ-ઑચ્છવનો પ્રસંગ છે એટલે આપણે આ કવિમિત્રોની જે કવિતા હમણાં સાંભળી, એનાથી બંધાયેલા લયને ખલેલ પહોંચાડ્યા વિના જ મારી ભાવક-કથા રજૂ કરીશ. પણ હું માનું છું કે રાજીપો પણ પારદર્શક જ હોવો જોઈએ – પેટછૂટી વાત થવી જોઈએ. પ્રશંસા પણ ઘણીવાર અપારદર્શક, ધુમાડા જેવી હોય છે અને ધુમાડાથી તો ગૂંગળામણ જ થવાની – આપણને તેમજ કવિમત્રોને પણ. વળી અસલી ચાહકો તો સમજે છે કે પ્રેમમાં પણ થોડુંક આક્રમણ તો રહેવાનું જ – એનો નિર્દોષમાં નિર્દોષ દાખલો લઈએ તો ટેરવાંથી પીઠ પસવારતાં-પસવારતાં ક્યારેક ધબ્બો તો ક્યારેક એક ચૂંટી... બસ. ભૂમિકા બહુ થઈ. હવે પ્રવેશ કરું. અહીં ચાર કવિઓની કવિતા આપણે એકસાથે સાંભળી છે. દરેકની મુદ્રા અલબત્ત અલગ છે. પણ ક્યાંક આછીપાતળી સ્થૂળસૂક્ષ્મ સરખામણીને અવકાશ છે. કમલ વોરા અને જયદેવ શુક્લની મુખ્ય પીઠિકા નગરનિવાસની છે. પતંગિયું ને પુષ્પ, એનાં રંગ અને ગંધ, વૃક્ષો-પર્વતો-નદી-સમુદ્ર, અજવાસ અને અંધકાર, ને એનાં આદિમ ઊંડાણ – એ બધું એમની કવિચેતનામાં છે જ પણ એને નિતાન્ત વનસંદર્ભ નથી, એનો સંવેદનસ્પર્શ ને એનાં શબ્દરૂપો જુદાં છે. જ્યારે દલપત પઢિયાર અને કાનજી પટેલમાં જનપદ અને તળપદ છે. છેક તળિયે રહી ગયેલા આનંદની સાથે જ એમાં વિચ્છેદની વેદના છે, કાનજીમાં તો ચીસની સાથે એક આક્રોશ પણ છે. એટલે એ બંનેની કવિતાનો સંવેદનસ્પર્શ અને એનાં શબ્દરૂપો નોખાં છે. આ કારણે, આપણને તો એક મોટા ફલક પરના કવિતા-આલેખો મળે છે. આ ચારેમાં, કવિતા તરફ લઈ જતી ગતિમાં જે સરખું તત્ત્વ છે તે છે કલ્પનોનું, કલ્પનના વિવિધ રૂપોની હાજરીનું – અને ચારેમાં ગઝલની ગેરહાજરીનું.

દરેક વિશે અલગ વાત કરીએ.

દલપત પઢિયાર

ચારેમાં ગીત કવિતા દલપત પઢિયારમાં છે. દલપતભાઈ અચ્છા લોકગાયક છે ને ગાંધીયુગીન ગદ્યના સારા અભ્યાસી પણ છે. જાણીતા લોકગીતમાં પ્રવેશીને પોતીકી કવિતા સાથે બહાર આવવું એ ન્હાનાલાલીય લક્ષણ પણ એમનામાં જોવા મળશે. લોકગીતની લયલીલા તો એમનાં ગીતોમાં છે જ – ‘ઝીલણ ઝીલવાને’, ‘રાજગરો’ એવાં ગીતોમાં એ લયહિલ્લોળ છે. જૂની રંગભૂમિની યાદ કરાવતું ‘એંશી વરહનો ટેંટોડો’ કે લગ્નગીતનાં ફટાણાંને યાદ કરાવતું ‘હોંચી રે હોંચી’ લયહિલ્લોળની સાથે સાથે જ વિડંબનના તત્ત્વને ઊંચકે છે ને આજના કવિ તરીકે એમને પ્રસ્તુત રાખે છે. જુઓ ‘એંશી વરહનો ટેંટોડો’માં આ અભિવ્યક્તિ-તરાહો : ‘એનો રેશમિયો રુમાલ, ચડતો વેંછૂડો’ કે પછી ‘કાળે ઉનાળે કરા પડ્યા’લી, ટેંટોડો’ અને ‘હોંચી રે હોંચી’માં ફટાણાની મજાક તેમજ શેખીની વિડંબના તો આવે જ, પણ અહીં એક પંક્તિ પરંપરામાં રહીને પણ પરંપરાથી બહાર ઉંચકાઈ આવે છે : ‘મારે લીધે આખી અરવલ્લી ઊંચી, હોંચી રે હોંચી’ એકદમ રમેશ પારેખ યાદ આવી જાય, જરાક જુદી રીતેઃ ‘અમરેલી ગામ જેવું અમરેલી ગામ, મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા.’

આ ગીતોમાં, ઊંડે ઉતારતો એક અધ્યાત્મસંદર્ભ પણ પડેલો છે. લગ્નગીતના લયમાં આવેલું ‘પુણ્યસ્મરણ’ (‘અમને કોની રે સગાયું...’) ગીત ‘ઊંડે તળિયાં તૂટેે ને સમદર ઊમટે.’ એવી વેધક અભિવ્યક્તિ સાથેે આવે છે ત્યારે એક જુદો સ્પંદ જગાડે છે. આત્મવિડંબન પણ દલપતભાઈનાં ગીતોની – ને એમનાં થોડાંક બીજાં કાવ્યોની પણ – એક ખાસિયત છે. ‘મેલો દલપત, ડા’પણ મેલો’ એવા માત્રામેળી ગીતમાં ‘જાતર ક્યાં અઘરી છે જીવણ, થકવી નાખે થેલો’ – એવી સૂચનક્ષમ અભિવ્યક્તિ પણ છે. પરંતુ, દલપતભાઈનાં ગીતો ક્યારેક વહેણના ધસારામાં ઊછળીને મુખર પણ બની જાય છે, એમાં વધી જતા અંતરા અંતરાયરૂપ બની જાય છે. ત્યારે એમના કાનમાં આપણાથી કહેવાઈ જાય છે : ‘છોગાળા, હવે તો છોડો!’ પાત્રલક્ષી વિડંબનાનાં કાવ્યોની પરંપરામાં દલપતભાઈએ પણ બેચાર કાવ્યો આપ્યાં છે. એમાં કેટલુંક માર્મિક બન્યું છે. ગુજરાતી કવિતામાં મગન, લઘરો, ચંદુડિયો, હુંશીલાલ, અમથાલાલ, બાપુ આલા ખાચર, ધ્રિબાંગસુંદર એવાં સુંદરસુંદર પાત્ર-વિડંબન કાવ્યો છે એની સાથે જ દલપત પઢિયારનું ‘શ્રી છકેલાજી’ પણ ઘડીક બેસે એવુું છે. બેત્રણ પંક્તિઓ જોઈએ :

છકેલાજી અમથા અમથા ય છકે
છોેડ ઊગ્યોય ના હોય ને છકે
છાંટો પડ્યો ય ના હોય ને છકે
છીંક ખાય છોડીઓ ને છકે છકેલાજી.

અને એથી વધારે સારું આ :

ફેંકે એટલે કેવું?
બંદા હાથ ઊંચો કરે ને વાદળમાંથી પડતી વીજળી
કંદોરો થઈ જાય. (ભોંયબદલો, પૃ. ૬૦)

‘બાપુ બહારવટે’માંની બે’ક પંક્તિઓમાંની વિડંબના જોઈને આગળ ચાલીએ

આંખ એંસી વર્ષની, પણ અમળાટનો પાર નહીં!
કાનનું પણ એટલું જ કહ્યાગરું
ગમે તેટલા ઘોંઘાટમાંથી લગનની લીટીઓ ભેગી કરી લે. (પૃ.૬૪)

પરંતુ દલપત પઢિયારની મહત્ત્વની કવિતા જનપદની, એના વિચ્છેદની વેદનાની તેમજ નગરનિવાસના એટલે કે ભોંયબદલાના અપરાધભાવની છે. એમનો કવિતાપ્રવેશ હૉટેલપોએટ્સ અને ઓમિસિયમ મંડળી દ્વારા થયેલો પણ એમની મુખ્ય સંવેદના ગ્રામચેતનાની – વન અને કૃષિચેતનાની. એ કારણે, પહેલા સંગ્રહ ‘ભોંયબદલો’ની મોટાભાગની કૃતિઓ અછાંદસ રૂપની અને આધુનિક રીતિની છે, પરંતુ એની શબ્દાવલી તળપદમાંથી આવેલી છે. એમાં કલ્પનો જ નહીં, એનાં સાદૃશ્યો, અને સાદૃશ્યો જ નહીં, એમાંનાં દૃશ્યો ને વર્ણનો પણ પોતાના મૂળ સમયનાં છે – ને એ પૂરી પારદર્શકતાથી ને અસરકારક રીતે ઊતર્યાં છે. પહેલું જ કાવ્ય જોઈએ :

હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.

એ આધુનિક રીતિની પીઠિકામાં સાદૃશ્ય કેવું છે તે જુઓ. કાવ્ય આમ શરૂ થાય છે –

ધણથી છૂટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.

એટલે, એક જુદું જ પરિમાણ આકાર લે છે. અને એ આવું અસરકારક છે :

આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
એક જ કમાડમાં આટલા બધા શબ્દો વસાઈ જશે એની
ખબર નહીં’ (પૃ. ૧, ૨)

પણ આ વિદાય પામેલા લોક, જાણે કે પેલા વસાઈ ગયેલા કમાડની તિરાડમાંથી બહાર ધસી આવે છે અને એ, વેદના પૂર્વે, થોડોક રોમાંચ પણ જગવે છે : અંદરથી કશુંક એવું પજવ્યા કરે છે કે મહુડાના ફૂલની જેમ એ થોકબંધ ફૂટ્યા જ કરે છે! ભૂલેચૂકે પણ જો સડક ઉપર ગાડું ખખડે તો મારાથી ઊંચુંનીચું થઈ જવાય છે. (૫૪) એટલે કે ઊંચુંનીચું થઈ જવાયાનો આ આનંદ એ અંદરનો લય છે ને એ પેલા મૂળથી, મૂળ સમયથી નિયંત્રિત થયેલો છે. અપરાધબોધનાં ત્રણચાર કાવ્યોમાં સંવેદનની તીવ્રતા અને હતાશાથી દુઃસ્વપ્ન સુધી પ્રસરતો કંપ – વર્ણન-કથનમાં પણ ઘૂંટાઈને આવ્યાં છે. સોસાયટીમાં લીમડા કપાય છે એની વેદના નિરૂપતા કાવ્ય (તો કહેજો..)માં; એક નવો ઓરડો બાંધવા આંગણામાંનો સરગવો ‘સગે હાથે’ કાપ્યો છે એ અપરાધબોધના કાવ્ય(સરગવો)માં; તેમ જ, જ્યાં તુવેર વાવેલી હતી ત્યાં હવે ગાલીચા-ટાઈલ્સ પથરાઈ ગઈ છે એ વિડંબના આલેખતા કાવ્ય(પડતર)માં – ખેતર અને નગરને વિરોધાવતાં ઘટકો એક મૂગી ચીસ રૂપે અંકિત થયાં છે. રાજેન્દ્ર શાહના ‘વનખંડન’ કાવ્યગુચ્છમાં કપાઈને-ચિરાઈને ઢળી પડતાં વૃક્ષોનો વિદારક અવાજ ‘સંભળાય’ છે; અહીં તો – ભરેલી હાથણી ફસડાઈ પડે એમ, આખું ઝાડ ભોંય ઉપર ઢગલો..’ (સરગવો) – એવું મૂગું મૃત્યુ વધુ વિદારક અનુભવ કરાવે છે. મનમાં પડતા સતત ટચકા ‘એક અપરાધ કુહાડી થઈ ગયો છે’ એવા રૂપે મૂર્ત થઈ ઊઠે છે. ‘પડતર’ કાવ્યના અંતમાં મને નરી હતાશા સાથેનો એક આક્રોશ પણ સંભળાય છે. જેમાં કશું જ વાવી શકાતુુંં નથી એવા પડતર જેવા, આ ગાલીચા-ટાઈલ્સવાળા ઓરડા માટે કવિ કહે છે – ‘આ પડતરમાં હવે તીડ પણ પડે એમ નથી!’ – એમાં જાણે કે એક ગર્ભિત શાપવાણી છે.

દલપત પઢિયારનું આ અનુભવવિશ્વ એમની કવિતામાં બહુ જ પારદર્શક રીતે, માર્મિકતાથી છતાં ખાસ્સી મુખરતાથી આલેખાયું છે જ્યારે કાનજી પટેલમાં એ સંગોપનથી, ક્યારેક અતિસંગોપનથી આલેખાયું છે.

કાનજી પટેલ

કાનજી પટેલ અંગ્રેજીના પ્રોફેસર છે, કૉલેજમાં રક્ષક આચાર્ય છે, તેજગઢમાં આદિવાસી અકાદમીના નિયામક છે.

પ્રોફેસર પરદેશ પણ જઈ આવેલા છે – પણ ટાઈને ભાગ્યે જ એકાદવાર અડ્યા હશે. એમ ખુલ્લા ગળાવાળા છે પણ એમની કવિતા બહુ જ ટાઈટ છે. આ કવિ કર્મશીલ છે એટલા જ ચુસ્ત કવિકર્મશીલ છે. આધુનિકતાનો ઈડિયમ અને આદિવાસી લોકભાષા અને લોકસંવેદનનો ઈડિયમ એ બંનેનું સંયોજન છે એમની કવિતા. અને એ પીણું એકદમ નીટ છે – ઉત્તેજિત કરે એ પહેલાં ગળું બાળી નાખે એવું. તો, કાનજીની કવિતા. કાનજીની કવિતા નિતાન્ત જનપદની છે. પહેલા સંગ્રહનું નામ જ ‘જનપદ’(૧૯૯૧). પણ એમાંય તરત પછીની ક્ષણે એમનું સંવેદન વનપદમાં વળી જાય છે. પછીનો સંગ્રહ ‘ડુંગરદેવ’(૨૦૦૬) – ડુંગર એ જ દેવ. અને પછી વન સાથે પૂરેપૂરું, અસલી કમીટમૅન્ટ, વચનબદ્ધતા છે – એ ત્રીજા કાવ્યપુસ્તકનું નામ છે ‘ધરતીનાં વચન’(૨૦૧૨). અમે શિક્ષકો એટલે અહીં બે મધ્યમપદો મૂકીએ, અને કદાય બંને સાચાં પડે – એક, ‘ધરતીનાં વચન’ એટલે ધરતીનાં પોતાનાં વચન, ઉદ્ગારો; અને બીજું, ધરતીને કવિએ આપેલાં વચન – વચનબદ્ધતા. કાનજીનો ટૅમ્પરામૅન્ટ – કવિમિજાજ બિલકુલ વનવાસીનો. પણ અહીં વનવાસીનાં ગીતોમાં કે કાવ્યોમાં હોય એવી રંગદર્શિતા નથી. રંગો છે ખરા – પણ ગુલાબીગુલાબી કે જાંબલીજાંબલી કે લાલપીળા નથી; પણ રાતાપીળા, ઘેરા રાતા, ‘કાળાનીલપીલ લબકતા’ રંગો છે. એમની કવિતામાં, અલબત્ત મહદંશે, સળગાવી મૂકનારી વેદના છે ને વિદ્રોહીનો હોય એવો આક્રોશ છે. પણ એ પહેલાં, ક્યાંક ક્યાંક પશ્ચાદ્ભૂમિકારૂપે વનના-પર્વતના-પંખીના-નદીના હોવાનો અંદર ઘુંટાતો હર્ષ પણ છે – એ જોઈ લઈએઃ

‘ચોમાસે મોળે વાદળ ફર્યાં
પૂરણ પાણી પાણી પીધાં
ને પ્હાણા ય બોલવા લાગ્યા
ઝાડ ઊડવા લાગ્યાં
ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને
પંખી અલકમલક ઊડ્યાં
[...]
ખીણોમાં ગીત મંડાયાં
ટોચ રણકી ઊઠી
મલક ખલ્લાટા કરે. (ધરતીનાં વચન, ૨૨)

કલ્પનોની ગૂંજ પણ અહીં તો આપણો કાન પકડી શકે નરવી એવી છે. પરંતુ આપણું વધુ ધ્યાન ખેંચે છે આ પંક્તિ :

ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને

અલબત્ત, બાલમુકુંદના ‘પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!’ કરતાં આ જુદું છે, અરે, ઉશનસ્ની ‘બની અળસિયું ચપટી માટી સરે..’ એવા રૂપાન્તરણ જાદુથી પણ આ જુદું છે – પરંતુ આ સંવાદી ગતિમાં આલોકિત થાય છે તો એ જ સૌંદર્યરેખા. વારુ. પડકારના ઉદ્ઘોષમાં પણ, એક બીજો હર્ષોલ્લાસ અહીં સાંભળવા જેવો છે. વન અને ડુંગરા અહીં થર્ડ પર્સન રહેતા નથી, ફર્સ્ટ પર્સન થઈ જાય ને એ પણ ‘અમે કવિઓ, અર્ધ આરણ્યકો–’(ઉશનસ્) એવા અર્ધ-વિનીત મિજાજમાં નહીં, પૂર્ણ આરણ્યક મિજાજમાં :

અમે હજુ છીએ
અહીં જમીન પર છીએ
ધરતીના ગોળાથી અડધી ઉંમરમાં
અમે લીલા છાંયાનાં ઉછેરનારાં
પહેલ પરથમનાં
નામ પાડનારાં
[...]
અમે હજી છીએ.
[...]
પાણી મરશે
ત્યારે મરીશું.’ (ધરતીનાં વચન, પૃ. ૬)

‘છીએ’ પરનો ઉદ્ગાર-ભાર અને ‘ત્યારે’માં વરતાતો દૃઢ વિશ્વાસ વન વતીથી કરેલા પડકાર-હર્ષને સાક્ષાત્ કરે છે. હવે વેદનાનું સંવેદન. ઝાડ કપાયાની, દલપતભાઈની કવિતામાં છે એવી અપરાધ-વેદનાનું અહીં એક બીજું રૂપ આલેખાયું છે : ‘ડચૂરો’ કાવ્યમાં સાંજની પલટાતી સ્થિતિ સૂચવતાં બે કલ્પનો જુઓ : ‘ઊડતી ધૂળ કિરણોમાં સોનું’ પણ પછી તરત, ‘સૂરજ કાળા ઘડામાં પુરાય.’ આ વિભિષિકા પછી –

લબકારા લે કુહાડો જંગલ પર
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.

ડચૂરાને કવિ વધુ મૂર્તિમંત કરે છે – બળતરા રૂપે.

નસોનું તાપણું તતડે.

આમ કલ્પનો મૂકીને કવિ બાજુએ ખસી જાય છે તો ક્યારેક ધ્વન્યાર્થને સૂચવવા-પૂરતી થોડીક ખુલ્લાશમાં પણ લઈ જાય છે. વન પર જનનું, ખરેખર તો નગરનું આક્રમણ કેવું બિહામણું છે એ ઠાવકી કથનરીતિએ સૂચવતું એક ટૂંકું કાવ્ય જુઓ :

મગરા પર
ડગરા ફરતે જનજનાવર ટોળે વળ્યાં
દુનિયા પૂછે,
તારો બાહ અહીં રહેતો હતો એનો પુરાવો આપ.
ઝાડપાન પર નામ તો હશે ને તારા બાહનું?
પણ ઝાડપાન તો ગયાં
હવે પથરે ચોંટી રહેવું હોય તો રહે
થોડી વેળા પછી એય જશે!
[બાહ=બાપ] (ધરતીનાં વચન, પૃ. ૮૦)

પણ મને કાનજીની જે સૌથી વધુ પ્રભાવક રચના લાગી છે એ છે : ‘દવ’ (જનપદ, પૃ. ૫) દાહકતાનો આવો કાવ્યાનુભવ બહુ વિરલ છે – કવિ એક વ્યક્તિલેખે પણ વનનો અભિન્ન અંશ ન હોય તો આવું કાવ્ય મળે નહીં. વનના દવમાં એક એક વૃક્ષ-વેલાં-જંતુ સાથે કવિ પણ જાણે દાઝતા જાય છે – અને દાઝવાનો અનુભવ આપણને સંપડાવતા જાય છે. જુઓ : બળતા ‘ખાખરાનો રસ છાલ પર આવે ચરુંણ ચરુંણ’ આ ‘ચરુંણ ચરુંણ’માં જાણે જીવતી ચામડી બળ્યાનો અવાજ સાક્ષાત્ થાય છે ને દૃશ્યનો નહીં પણ સ્પર્શનો દારુણ અનુભવ સંક્રાન્ત કરે છે. લીલાછમ વેલા પર પરપોટા થઈને ‘ફોલ્લા ફાટે’ છે ને તપી ગયેલા ‘પ્હાણ પર કીડી ધાણી’ની જેમ ફૂટે છે. (આ પંક્તિ વાંચતાં મને વાચક તરીકે કમકમાં આવી જાય છે.) કેવી કમનસીબ વિડંબના છે કે અહીં સાથે હોવું તેમાં વેદનાનો પણ ગુણાકાર થતો જાય છે!–

ઝાડવાં..., ભેગાં થઈને ઝાઝું બળતાં.

દવ ઊંડે સુધી વ્યાપેલો દેખાડતું એક ઉત્પ્રેક્ષા જેવું કલ્પન આ છે : ‘ઠેરઠેર મૂળિયાંમાં ભઠ્ઠા.’ પણ પેલો, અગાઉના કાવ્યમાં હતો એ વિશ્વાસ તો છે જ – ‘પાણી મરશે ત્યારે મરશું.’ (–એ પહેલાં નહીં જ!) એટલે વિનાશ છતાં અહીં સર્વ-નાશની હતાશા નથી – છેલ્લી પંક્તિ આપણને આશ્વસ્ત કરે છે :

‘વચમાં થથરે તળાવડી / ને તળિયે ફરકે ફણગો.’

હા, જંગલ ફરી ઊગવાનાં. પણ કાનજીનાં આટલાં કાવ્યો – ને બીજાં પણ થોડાંક – આપણને હેમખેમ સાદ્યંત પસાર થવા દે છે. બાકી તો, કાનજીની કલ્પનચુસ્ત, સંકેતચુસ્ત, તળભાષાચુસ્ત કવિતા વાચકને એનું પૂરેપૂરું આકલન કરતાં રોકે છે, અટકાવે છે. વનના પ્રતિનિધિ લેખે જેને કશો વ્યામોહ નથી એને આધુનિકતાનો વ્યામોહ?! ક્યાંક ક્યાંક, તળપદ શબ્દો અને સંદર્ભોમાં ઝબકી ઊઠતાં કલ્પનોમાંથી, ક્યાંક તીવ્ર થઈ ઊઠતી અભિવ્યક્તિમાંથી, વળી ક્યાંક ફૂટનોટના વીજઝબકારમાં દૃશ્યમાન થતી અર્થ-કેડીમાંથી — એમ આપણે થોડાક કાચા હીરા વીણી લઈ શકીએ છીએ. પણ સાદ્યંત આનંદ સુધી પહોંચાતું નથી. કવિ જ્યારે આવી અંગત-તમ કલ્પન-રચના તરફ વળેલા રહે છે ત્યારે એવું લાગે છે કે આપણી અને એ કલ્પનોની વચ્ચે પારદર્શક કાચ નથી પણ કવિએ જાણે પોતા તરફી અરીસો ધરી રાખ્યો છે!

કાનજીની કવિતાને પૂરા પ્રેમથી ને ક્ષમતાથી જોનાર અવલોકનકારોને પણ કાવ્યપ્રવેશના અઘરાપણાની મૂંઝવણ થઈ છે. કાનજી આમ ઘણે ઠેકાણે આવા અરીસાધારક બન્યા છે એને બદલે થોડાક સન્મુખરાય પણ બન્યા હોત ...