પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાર કવિઓ – થોડીક રેખાઓ

રમણ સોની


મુખ્યત્વે વિવેચક-અધ્યાપક. ‘ગુજરાતી સાહિત્યકોશ’(૧ થી ૩)ની રચનામાં સંશોધક-લેખક-સંપાદક તરીકે મહત્ત્વનું યોગદાન. સમ્પ્રતિ ‘પ્રત્યક્ષ’ તથા ઈ-સામયિક ‘સંચયન’ના સમ્પાદક તરીકે પ્રવૃત્ત. વડોદરા નિવાસી. આશરે એક દાયકો ઈડર કૉલેજમાં અધ્યાપન, પછી (૧૯૮૦ થી ૮૬) ગુજરાતી સાહિત્ય પરિષદના કોશકાર્ય સાથે સંલગ્ન. ૧૯૮૮થી મ.સ.યુનિ. વડોદરામાં ગુજરાતી પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. કર્મઠ અને મૂલ્યનિષ્ઠ અધ્યાપક. સાહિત્ય-કલા-પદાર્થને માર્મિક દૃષ્ટિથી જોનારા-પરખનારા અભ્યાસી વિદ્વાન. ચિમનલાલ ત્રિવેદી પાસે એમણે ‘ઉશનસ્ઃ સર્જક અને વિવેચન’ વિષય પર સંશોધન કાર્ય કર્યું. શોધગ્રંથ પ્રકાશિત કર્યો. ‘વિવેચન સન્દર્ભ’ પણ એમના ધ્યાનપાત્ર અભ્યાસલેખોનો સંચય છે. હમણાં હમણાંથી પ્રવાસનિબંધ, ચરિત્રનિબંધ અને હાસ્યનિબંધ લખે છે. અમેરિકા પ્રવાસ કરવા ઉપરાંત અકાદમી દ્વારા મોકલાયેલ ભારતીય લેખક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઝેકોસ્લૉવેકિયા(પ્રાગ)નો પ્રવાસ કર્યો છે.

(દલપત પઢિયાર, કાનજી પટેલ, કમલ વોરા તથા જયદેવ શુક્લની કવિતા વિશે)

યોજક અને સંયોજક મિત્રો, કવિમિત્રો તથા મારા જેવા સૌ વાચકમિત્રો-શ્રોતામિત્રો,

આ કાર્યક્રમનો મોરચો સરસ છે – આ નથી કેવળ કાવ્યપઠનનો કાર્યક્રમ, કે નથી માત્ર કવિતા વિશેનાં પ્રવચનોનો કે કોઈ પરિસંવાદનો ઉપક્રમ. અહીં સત્તર અનુઆધુનિક કવિઓની સાથે જ ચાર અનુઆધુનિક અ-કવિઓ છે એટલે કે કવિતાના વાચકો છે. એ વાચકો છે એથી જ, એ ચાર હોવા છતાં એમની આ સભામાં, બહુમતી છે. આપણે ઇચ્છીએ કે કોઈપણ સાહિત્યસમાજમાં કવિઓ કરતાં વાચકોની સંખ્યા વધારે હોય – કેમ કે વાચકસ્તત્ર દુર્લભઃ

શરૂઆતમાં જ, એક બીજો આનંદ મારે વ્યક્ત કરવો છે એ આ કાર્યક્રમના ‘પ્રતિપદા’ એવા નામ માટે. આપણા ઉત્સવનો આ પડાવ સરસ છે – પ્રતિપદા. અને પ્રતિપદાથી પૂર્ણ ચંદ્ર તરફની યાત્રા – એવું સમજવું કાંઈ જરૂરી નથી. આપણને તો રાજેન્દ્ર શાહ કાનમાં કહી ગયા છે – કવિ હોય તે કાનમાં જ કહે, મોં સામે સંભળાવી જાય નહીં. રાજેન્દ્રભાઈએ કહ્યું જ છે કે ‘જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી.’ પ્રતિપદા અને બીજના એ લયવળાંકો અને એમનું સ્પૃહા જગાડનારું ગોપન – એ પૂર્ણ ચંદ્ર કરતાં પણ વધુ આસ્વાદ્ય બની શકે. અલબત્ત, આપણને તો પૂર્ણ ચંદ્ર સામે પણ કોઈ તકરાર નથી. અનુઆધુનિક કવિતાને તો (ચંદ્ર-કળાના ને સાહિત્ય-કળાના) બધા જ વળાંકો, ને બધા જ પ્રવાહો સ્વીકાર્ય છે. હા, એક શરતે – કવિતાના ને કલાના સૌંદર્યલાભની શરતે, એવો આનંદલાભ ન થતો હોય તો હું વાચક તરીકે પણ કોઈ સોદો ન કરું! આ આનંદ-ઑચ્છવનો પ્રસંગ છે એટલે આપણે આ કવિમિત્રોની જે કવિતા હમણાં સાંભળી, એનાથી બંધાયેલા લયને ખલેલ પહોંચાડ્યા વિના જ મારી ભાવક-કથા રજૂ કરીશ. પણ હું માનું છું કે રાજીપો પણ પારદર્શક જ હોવો જોઈએ – પેટછૂટી વાત થવી જોઈએ. પ્રશંસા પણ ઘણીવાર અપારદર્શક, ધુમાડા જેવી હોય છે અને ધુમાડાથી તો ગૂંગળામણ જ થવાની – આપણને તેમજ કવિમત્રોને પણ. વળી અસલી ચાહકો તો સમજે છે કે પ્રેમમાં પણ થોડુંક આક્રમણ તો રહેવાનું જ – એનો નિર્દોષમાં નિર્દોષ દાખલો લઈએ તો ટેરવાંથી પીઠ પસવારતાં-પસવારતાં ક્યારેક ધબ્બો તો ક્યારેક એક ચૂંટી...

બસ. ભૂમિકા બહુ થઈ. હવે પ્રવેશ કરું.

અહીં ચાર કવિઓની કવિતા આપણે એકસાથે સાંભળી છે. દરેકની મુદ્રા અલબત્ત અલગ છે. પણ ક્યાંક આછીપાતળી સ્થૂળસૂક્ષ્મ સરખામણીને અવકાશ છે. કમલ વોરા અને જયદેવ શુક્લની મુખ્ય પીઠિકા નગરનિવાસની છે. પતંગિયું ને પુષ્પ, એનાં રંગ અને ગંધ, વૃક્ષો-પર્વતો-નદી-સમુદ્ર, અજવાસ અને અંધકાર, ને એનાં આદિમ ઊંડાણ – એ બધું એમની કવિચેતનામાં છે જ પણ એને નિતાન્ત વનસંદર્ભ નથી, એનો સંવેદનસ્પર્શ ને એનાં શબ્દરૂપો જુદાં છે. જ્યારે દલપત પઢિયાર અને કાનજી પટેલમાં જનપદ અને તળપદ છે. છેક તળિયે રહી ગયેલા આનંદની સાથે જ એમાં વિચ્છેદની વેદના છે, કાનજીમાં તો ચીસની સાથે એક આક્રોશ પણ છે. એટલે એ બંનેની કવિતાનો સંવેદનસ્પર્શ અને એનાં શબ્દરૂપો નોખાં છે. આ કારણે, આપણને તો એક મોટા ફલક પરના કવિતા-આલેખો મળે છે. આ ચારેમાં, કવિતા તરફ લઈ જતી ગતિમાં જે સરખું તત્ત્વ છે તે છે કલ્પનોનું, કલ્પનના વિવિધ રૂપોની હાજરીનું – અને ચારેમાં ગઝલની ગેરહાજરીનું.

દરેક વિશે અલગ વાત કરીએ.


દલપત પઢિયાર

ચારેમાં ગીત કવિતા દલપત પઢિયારમાં છે. દલપતભાઈ અચ્છા લોકગાયક છે ને ગાંધીયુગીન ગદ્યના સારા અભ્યાસી પણ છે. જાણીતા લોકગીતમાં પ્રવેશીને પોતીકી કવિતા સાથે બહાર આવવું એ ન્હાનાલાલીય લક્ષણ પણ એમનામાં જોવા મળશે. લોકગીતની લયલીલા તો એમનાં ગીતોમાં છે જ – ‘ઝીલણ ઝીલવાને’, ‘રાજગરો’ એવાં ગીતોમાં એ લયહિલ્લોળ છે. જૂની રંગભૂમિની યાદ કરાવતું ‘એંશી વરહનો ટેંટોડો’ કે લગ્નગીતનાં ફટાણાંને યાદ કરાવતું ‘હોંચી રે હોંચી’ લયહિલ્લોળની સાથે સાથે જ વિડંબનના તત્ત્વને ઊંચકે છે ને આજના કવિ તરીકે એમને પ્રસ્તુત રાખે છે. જુઓ ‘એંશી વરહનો ટેંટોડો’માં આ અભિવ્યક્તિ-તરાહો : ‘એનો રેશમિયો રુમાલ, ચડતો વેંછૂડો’ કે પછી ‘કાળે ઉનાળે કરા પડ્યા’લી, ટેંટોડો’ અને ‘હોંચી રે હોંચી’માં ફટાણાની મજાક તેમજ શેખીની વિડંબના તો આવે જ, પણ અહીં એક પંક્તિ પરંપરામાં રહીને પણ પરંપરાથી બહાર ઉંચકાઈ આવે છે : ‘મારે લીધે આખી અરવલ્લી ઊંચી, હોંચી રે હોંચી’ એકદમ રમેશ પારેખ યાદ આવી જાય, જરાક જુદી રીતેઃ ‘અમરેલી ગામ જેવું અમરેલી ગામ, મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા.’

આ ગીતોમાં, ઊંડે ઉતારતો એક અધ્યાત્મસંદર્ભ પણ પડેલો છે. લગ્નગીતના લયમાં આવેલું ‘પુણ્યસ્મરણ’ (‘અમને કોની રે સગાયું...’) ગીત ‘ઊંડે તળિયાં તૂટેે ને સમદર ઊમટે.’ એવી વેધક અભિવ્યક્તિ સાથેે આવે છે ત્યારે એક જુદો સ્પંદ જગાડે છે. આત્મવિડંબન પણ દલપતભાઈનાં ગીતોની – ને એમનાં થોડાંક બીજાં કાવ્યોની પણ – એક ખાસિયત છે. ‘મેલો દલપત, ડા’પણ મેલો’ એવા માત્રામેળી ગીતમાં ‘જાતર ક્યાં અઘરી છે જીવણ, થકવી નાખે થેલો’ – એવી સૂચનક્ષમ અભિવ્યક્તિ પણ છે. પરંતુ, દલપતભાઈનાં ગીતો ક્યારેક વહેણના ધસારામાં ઊછળીને મુખર પણ બની જાય છે, એમાં વધી જતા અંતરા અંતરાયરૂપ બની જાય છે. ત્યારે એમના કાનમાં આપણાથી કહેવાઈ જાય છે : ‘છોગાળા, હવે તો છોડો!’

પાત્રલક્ષી વિડંબનાનાં કાવ્યોની પરંપરામાં દલપતભાઈએ પણ બેચાર કાવ્યો આપ્યાં છે. એમાં કેટલુંક માર્મિક બન્યું છે. ગુજરાતી કવિતામાં મગન, લઘરો, ચંદુડિયો, હુંશીલાલ, અમથાલાલ, બાપુ આલા ખાચર, ધ્રિબાંગસુંદર એવાં સુંદરસુંદર પાત્ર-વિડંબન કાવ્યો છે એની સાથે જ દલપત પઢિયારનું ‘શ્રી છકેલાજી’ પણ ઘડીક બેસે એવુું છે. બેત્રણ પંક્તિઓ જોઈએ :

છકેલાજી અમથા અમથા ય છકે
છોેડ ઊગ્યોય ના હોય ને છકે
છાંટો પડ્યો ય ના હોય ને છકે
છીંક ખાય છોડીઓ ને છકે છકેલાજી

અને એથી વધારે સારું આ :

ફેંકે એટલે કેવું?
બંદા હાથ ઊંચો કરે ને વાદળમાંથી પડતી વીજળી
કંદોરો થઈ જાય. (ભોંયબદલો, પૃ. ૬૦)

‘બાપુ બહારવટે’માંની બે’ક પંક્તિઓમાંની વિડંબના જોઈને આગળ ચાલીએ

આંખ એંસી વર્ષની, પણ અમળાટનો પાર નહીં!
કાનનું પણ એટલું જ કહ્યાગરું
ગમે તેટલા ઘોંઘાટમાંથી લગનની લીટીઓ ભેગી કરી લે. (પૃ.૬૪)

પરંતુ દલપત પઢિયારની મહત્ત્વની કવિતા જનપદની, એના વિચ્છેદની વેદનાની તેમજ નગરનિવાસના એટલે કે ભોંયબદલાના અપરાધભાવની છે. એમનો કવિતાપ્રવેશ હૉટેલપોએટ્સ અને ઓમિસિયમ મંડળી દ્વારા થયેલો પણ એમની મુખ્ય સંવેદના ગ્રામચેતનાની – વન અને કૃષિચેતનાની. એ કારણે, પહેલા સંગ્રહ ‘ભોંયબદલો’ની મોટાભાગની કૃતિઓ અછાંદસ રૂપની અને આધુનિક રીતિની છે, પરંતુ એની શબ્દાવલી તળપદમાંથી આવેલી છે. એમાં કલ્પનો જ નહીં, એનાં સાદૃશ્યો, અને સાદૃશ્યો જ નહીં, એમાંનાં દૃશ્યો ને વર્ણનો પણ પોતાના મૂળ સમયનાં છે – ને એ પૂરી પારદર્શકતાથી ને અસરકારક રીતે ઊતર્યાં છે. પહેલું જ કાવ્ય જોઈએ :

હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.

એ આધુનિક રીતિની પીઠિકામાં સાદૃશ્ય કેવું છે તે જુઓ. કાવ્ય આમ શરૂ થાય છે –

ધણથી છૂટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.

એટલે, એક જુદું જ પરિમાણ આકાર લે છે. અને એ આવું અસરકારક છે :

આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
એક જ કમાડમાં આટલા બધા શબ્દો વસાઈ જશે એની
ખબર નહીં’ (પૃ. ૧, ૨)

પણ આ વિદાય પામેલા લોક, જાણે કે પેલા વસાઈ ગયેલા કમાડની તિરાડમાંથી બહાર ધસી આવે છે અને એ, વેદના પૂર્વે, થોડોક રોમાંચ પણ જગવે છે :

અંદરથી કશુંક એવું પજવ્યા કરે છે કે
મહુડાના ફૂલની જેમ એ થોકબંધ ફૂટ્યા જ કરે છે!
ભૂલેચૂકે પણ
જો સડક ઉપર ગાડું ખખડે
તો મારાથી ઊંચુંનીચું થઈ જવાય છે. (૫૪)

એટલે કે ઊંચુંનીચું થઈ જવાયાનો આ આનંદ એ અંદરનો લય છે ને એ પેલા મૂળથી, મૂળ સમયથી નિયંત્રિત થયેલો છે. અપરાધબોધનાં ત્રણચાર કાવ્યોમાં સંવેદનની તીવ્રતા અને હતાશાથી દુઃસ્વપ્ન સુધી પ્રસરતો કંપ – વર્ણન-કથનમાં પણ ઘૂંટાઈને આવ્યાં છે. સોસાયટીમાં લીમડા કપાય છે એની વેદના નિરૂપતા કાવ્ય (તો કહેજો..)માં; એક નવો ઓરડો બાંધવા આંગણામાંનો સરગવો ‘સગે હાથે’ કાપ્યો છે એ અપરાધબોધના કાવ્ય(સરગવો)માં; તેમ જ, જ્યાં તુવેર વાવેલી હતી ત્યાં હવે ગાલીચા-ટાઈલ્સ પથરાઈ ગઈ છે એ વિડંબના આલેખતા કાવ્ય(પડતર)માં – ખેતર અને નગરને વિરોધાવતાં ઘટકો એક મૂગી ચીસ રૂપે અંકિત થયાં છે. રાજેન્દ્ર શાહના ‘વનખંડન’ કાવ્યગુચ્છમાં કપાઈને-ચિરાઈને ઢળી પડતાં વૃક્ષોનો વિદારક અવાજ ‘સંભળાય’ છે; અહીં તો –

ભરેલી હાથણી ફસડાઈ પડે એમ,
આખું ઝાડ ભોંય ઉપર ઢગલો..’ (સરગવો)

– એવું મૂગું મૃત્યુ વધુ વિદારક અનુભવ કરાવે છે. મનમાં પડતા સતત ટચકા ‘એક અપરાધ કુહાડી થઈ ગયો છે’ એવા રૂપે મૂર્ત થઈ ઊઠે છે.

‘પડતર’ કાવ્યના અંતમાં મને નરી હતાશા સાથેનો એક આક્રોશ પણ સંભળાય છે. જેમાં કશું જ વાવી શકાતુુંં નથી એવા પડતર જેવા, આ ગાલીચા-ટાઈલ્સવાળા ઓરડા માટે કવિ કહે છે – ‘આ પડતરમાં હવે તીડ પણ પડે એમ નથી!’ – એમાં જાણે કે એક ગર્ભિત શાપવાણી છે. દલપત પઢિયારનું આ અનુભવવિશ્વ એમની કવિતામાં બહુ જ પારદર્શક રીતે, માર્મિકતાથી છતાં ખાસ્સી મુખરતાથી આલેખાયું છે જ્યારે કાનજી પટેલમાં એ સંગોપનથી, ક્યારેક અતિસંગોપનથી આલેખાયું છે.

કાનજી પટેલ

કાનજી પટેલ અંગ્રેજીના પ્રોફેસર છે, કૉલેજમાં રક્ષક આચાર્ય છે, તેજગઢમાં આદિવાસી અકાદમીના નિયામક છે.

પ્રોફેસર પરદેશ પણ જઈ આવેલા છે – પણ ટાઈને ભાગ્યે જ એકાદવાર અડ્યા હશે. એમ ખુલ્લા ગળાવાળા છે પણ એમની કવિતા બહુ જ ટાઈટ છે. આ કવિ કર્મશીલ છે એટલા જ ચુસ્ત કવિકર્મશીલ છે. આધુનિકતાનો ઈડિયમ અને આદિવાસી લોકભાષા અને લોકસંવેદનનો ઈડિયમ એ બંનેનું સંયોજન છે એમની કવિતા. અને એ પીણું એકદમ નીટ છે – ઉત્તેજિત કરે એ પહેલાં ગળું બાળી નાખે એવું. તો, કાનજીની કવિતા.

કાનજીની કવિતા નિતાન્ત જનપદની છે. પહેલા સંગ્રહનું નામ જ ‘જનપદ’(૧૯૯૧). પણ એમાંય તરત પછીની ક્ષણે એમનું સંવેદન વનપદમાં વળી જાય છે. પછીનો સંગ્રહ ‘ડુંગરદેવ’(૨૦૦૬) – ડુંગર એ જ દેવ. અને પછી વન સાથે પૂરેપૂરું, અસલી કમીટમૅન્ટ, વચનબદ્ધતા છે – એ ત્રીજા કાવ્યપુસ્તકનું નામ છે ‘ધરતીનાં વચન’(૨૦૧૨). અમે શિક્ષકો એટલે અહીં બે મધ્યમપદો મૂકીએ, અને કદાય બંને સાચાં પડે – એક, ‘ધરતીનાં વચન’ એટલે ધરતીનાં પોતાનાં વચન, ઉદ્ગારો; અને બીજું, ધરતીને કવિએ આપેલાં વચન – વચનબદ્ધતા. કાનજીનો ટૅમ્પરામૅન્ટ – કવિમિજાજ બિલકુલ વનવાસીનો. પણ અહીં વનવાસીનાં ગીતોમાં કે કાવ્યોમાં હોય એવી રંગદર્શિતા નથી. રંગો છે ખરા – પણ ગુલાબીગુલાબી કે જાંબલીજાંબલી કે લાલપીળા નથી; પણ રાતાપીળા, ઘેરા રાતા, ‘કાળાનીલપીલ લબકતા’ રંગો છે. એમની કવિતામાં, અલબત્ત મહદંશે, સળગાવી મૂકનારી વેદના છે ને વિદ્રોહીનો હોય એવો આક્રોશ છે. પણ એ પહેલાં, ક્યાંક ક્યાંક પશ્ચાદ્ભૂમિકારૂપે વનના-પર્વતના-પંખીના-નદીના હોવાનો અંદર ઘુંટાતો હર્ષ પણ છે – એ જોઈ લઈએઃ

‘ચોમાસે મોળે વાદળ ફર્યાં
પૂરણ પાણી પાણી પીધાં
ને પ્હાણા ય બોલવા લાગ્યા
ઝાડ ઊડવા લાગ્યાં
ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને
પંખી અલકમલક ઊડ્યાં
[...]
ખીણોમાં ગીત મંડાયાં
ટોચ રણકી ઊઠી
મલક ખલ્લાટા કરે.(ધરતીનાં વચન, ૨૨)

કલ્પનોની ગૂંજ પણ અહીં તો આપણો કાન પકડી શકે નરવી એવી છે. પરંતુ આપણું વધુ ધ્યાન ખેંચે છે આ પંક્તિ :
ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને

અલબત્ત, બાલમુકુંદના ‘પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!’ કરતાં આ જુદું છે, અરે, ઉશનસ્ની ‘બની અળસિયું ચપટી માટી સરે..’ એવા રૂપાન્તરણ જાદુથી પણ આ જુદું છે – પરંતુ આ સંવાદી ગતિમાં આલોકિત થાય છે તો એ જ સૌંદર્યરેખા.

વારુ. પડકારના ઉદ્ઘોષમાં પણ, એક બીજો હર્ષોલ્લાસ અહીં સાંભળવા જેવો છે. વન અને ડુંગરા અહીં થર્ડ પર્સન રહેતા નથી, ફર્સ્ટ પર્સન થઈ જાય ને એ પણ ‘અમે કવિઓ, અર્ધ આરણ્યકો–’(ઉશનસ્) એવા અર્ધ-વિનીત મિજાજમાં નહીં, પૂર્ણ આરણ્યક મિજાજમાં :

અમે હજુ છીએ
અહીં જમીન પર છીએ
ધરતીના ગોળાથી અડધી ઉંમરમાં
અમે લીલા છાંયાનાં ઉછેરનારાં
પહેલ પરથમનાં
નામ પાડનારાં
[...]
અમે હજી છીએ.
[...]
પાણી મરશે
ત્યારે મરીશું.’ (ધરતીનાં વચન, પૃ. ૬)

‘છીએ’ પરનો ઉદ્ગાર-ભાર અને ‘ત્યારે’માં વરતાતો દૃઢ વિશ્વાસ વન વતીથી કરેલા પડકાર-હર્ષને સાક્ષાત્ કરે છે.

હવે વેદનાનું સંવેદન. ઝાડ કપાયાની, દલપતભાઈની કવિતામાં છે એવી અપરાધ-વેદનાનું અહીં એક બીજું રૂપ આલેખાયું છે : ‘ડચૂરો’ કાવ્યમાં સાંજની પલટાતી સ્થિતિ સૂચવતાં બે કલ્પનો જુઓ :

‘ઊડતી ધૂળ કિરણોમાં સોનું’ પણ પછી તરત, ‘સૂરજ કાળા ઘડામાં પુરાય.’

આ વિભિષિકા પછી –

લબકારા લે કુહાડો જંગલ પર
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.

ડચૂરાને કવિ વધુ મૂર્તિમંત કરે છે – બળતરા રૂપે.

નસોનું તાપણું તતડે.
આમ કલ્પનો મૂકીને કવિ બાજુએ ખસી જાય છે તો ક્યારેક ધ્વન્યાર્થને સૂચવવા-પૂરતી થોડીક ખુલ્લાશમાં પણ લઈ જાય છે. વન પર જનનું, ખરેખર તો નગરનું આક્રમણ કેવું બિહામણું છે એ ઠાવકી કથનરીતિએ સૂચવતું એક ટૂંકું કાવ્ય જુઓ :

મગરા પર
ડગરા ફરતે જનજનાવર ટોળે વળ્યાં
દુનિયા પૂછે,
તારો બાહ અહીં રહેતો હતો એનો પુરાવો આપ.
ઝાડપાન પર નામ તો હશે ને તારા બાહનું?
પણ ઝાડપાન તો ગયાં
હવે પથરે ચોંટી રહેવું હોય તો રહે
થોડી વેળા પછી એય જશે!

[બાહ=બાપ] (ધરતીનાં વચન, પૃ. ૮૦)
પણ મને કાનજીની જે સૌથી વધુ પ્રભાવક રચના લાગી છે એ છે : ‘દવ’ (જનપદ, પૃ. ૫) દાહકતાનો આવો કાવ્યાનુભવ બહુ વિરલ છે – કવિ એક વ્યક્તિલેખે પણ વનનો અભિન્ન અંશ ન હોય તો આવું કાવ્ય મળે નહીં. વનના દવમાં એક એક વૃક્ષ-વેલાં-જંતુ સાથે કવિ પણ જાણે દાઝતા જાય છે – અને દાઝવાનો અનુભવ આપણને સંપડાવતા જાય છે. જુઓ : બળતા ‘ખાખરાનો રસ છાલ પર આવે ચરુંણ ચરુંણ’ આ ‘ચરુંણ ચરુંણ’માં જાણે જીવતી ચામડી બળ્યાનો અવાજ સાક્ષાત્ થાય છે ને દૃશ્યનો નહીં પણ સ્પર્શનો દારુણ અનુભવ સંક્રાન્ત કરે છે. લીલાછમ વેલા પર પરપોટા થઈને ‘ફોલ્લા ફાટે’ છે ને તપી ગયેલા ‘પ્હાણ પર કીડી ધાણી’ની જેમ ફૂટે છે. (આ પંક્તિ વાંચતાં મને વાચક તરીકે કમકમાં આવી જાય છે.) કેવી કમનસીબ વિડંબના છે કે અહીં સાથે હોવું તેમાં વેદનાનો પણ ગુણાકાર થતો જાય છે!–
ઝાડવાં..., ભેગાં થઈને ઝાઝું બળતાં.
દવ ઊંડે સુધી વ્યાપેલો દેખાડતું એક ઉત્પ્રેક્ષા જેવું કલ્પન આ છે : ‘ઠેરઠેર મૂળિયાંમાં ભઠ્ઠા.’ પણ પેલો, અગાઉના કાવ્યમાં હતો એ વિશ્વાસ તો છે જ – ‘પાણી મરશે ત્યારે મરશું.’ (–એ પહેલાં નહીં જ!) એટલે વિનાશ છતાં અહીં સર્વ-નાશની હતાશા નથી – છેલ્લી પંક્તિ આપણને આશ્વસ્ત કરે છે :
‘વચમાં થથરે તળાવડી / ને તળિયે ફરકે ફણગો.’

હા, જંગલ ફરી ઊગવાનાં. પણ કાનજીનાં આટલાં કાવ્યો – ને બીજાં પણ થોડાંક – આપણને હેમખેમ સાદ્યંત પસાર થવા દે છે. બાકી તો, કાનજીની કલ્પનચુસ્ત, સંકેતચુસ્ત, તળભાષાચુસ્ત કવિતા વાચકને એનું પૂરેપૂરું આકલન કરતાં રોકે છે, અટકાવે છે. વનના પ્રતિનિધિ લેખે જેને કશો વ્યામોહ નથી એને આધુનિકતાનો વ્યામોહ?! ક્યાંક ક્યાંક, તળપદ શબ્દો અને સંદર્ભોમાં ઝબકી ઊઠતાં કલ્પનોમાંથી, ક્યાંક તીવ્ર થઈ ઊઠતી અભિવ્યક્તિમાંથી, વળી ક્યાંક ફૂટનોટના વીજઝબકારમાં દૃશ્યમાન થતી અર્થ-કેડીમાંથી — એમ આપણે થોડાક કાચા હીરા વીણી લઈ શકીએ છીએ. પણ સાદ્યંત આનંદ સુધી પહોંચાતું નથી. કવિ જ્યારે આવી અંગત-તમ કલ્પન-રચના તરફ વળેલા રહે છે ત્યારે એવું લાગે છે કે આપણી અને એ કલ્પનોની વચ્ચે પારદર્શક કાચ નથી પણ કવિએ જાણે પોતા તરફી અરીસો ધરી રાખ્યો છે!

કાનજીની કવિતાને પૂરા પ્રેમથી ને ક્ષમતાથી જોનાર અવલોકનકારોને પણ કાવ્યપ્રવેશના અઘરાપણાની મૂંઝવણ થઈ છે. કાનજી આમ ઘણે ઠેકાણે આવા અરીસાધારક બન્યા છે એને બદલે થોડાક સન્મુખરાય પણ બન્યા હોત ...

કમલ વોરા

કલ્પનની આવી થોડીક અ-સુગમ ગલીઓ કમલ વોરાની કવિતામાં પણ દેખાય છે પરંતુ એમનામાં જે ગમ્ય અને રમણીય છે ત્યાંથી શરૂ કરીએ. કમલભાઈ પૂરા સૌમ્ય ને નમ્ર, એમની કવિતા જેવા જ મિતભાષી. (પણ એમની કલ્પનાવલી જેવા દુર્ગમ નહીં, સહજ અને સુગમ છે). વિદ્યાજગતમાંથી નહીં પણ વ્યવસાયજગતમાંથી આવે છે, છતાં – કદાચ એથી જ? – એ પારદર્શક વ્યક્તિત્વવાળા છે.

કમલ મુખ્યત્વે કલ્પનોના, દૃશ્ય કલ્પનોના કવિ છે. ક્યારેક કોઈ ઍબસ્ટ્રેક્ટ ચિત્રકૃતિના કળાકાર જેવા. કોઈ એક વસ્તુવિષયને કે પદાર્થને કે ઘટકને કેન્દ્રમાં રાખતી ગુચ્છવાહી કવિતા એમનો વિશેષ છે. એમ પણ કહી શકાય કે કલ્પનોની શિલ્પશ્રેણીથી રચાતાં કાવ્યસ્થાપત્યો એમની કવિતાનો વિશેષ છે. એમના પહેલા કાવ્યસંગ્રહ ‘અરવ’(૧૯૯૧)માંની ‘પતંગિયું’ ગુચ્છ, ‘કાગડો’ ગુચ્છ જેવી રચનાઓથી એ ધ્યાનપાત્ર બનેલા.

એમની આખી કૃતિ આપણને પકડાય નહીં કે આપણી ઊંડણમાં આવે નહીં તો પણ એમાંનું તરલ મૂર્તિકરણ તો આસ્વાદ્ય રહે જ છે. ‘પતંગિયું’ ગુચ્છમાં અમૂર્તનું પણ મૂર્તિકરણ છે ને જે મૂર્ત છે એનું નવેસર મૂર્તિકરણ છે. જુઓ : ‘પતંગિયાની રંગબેરંગી ઊડાઊડ’ રંગબેરંગી પતંગિયું એમ નહીં, પણ એની ઊડવાની ક્રિયા રંગબેરંગી – અવકાશના કૅન્વાસ પર તરલ રંગપટ્ટા-સ્ટ્રોક્સ-આલેખાય છે ને એટલે જ પવન પણ અમૂર્ત રહી શકતો નથી – ‘પવનના એક પછી એક દરવાજા ઊઘડતા જાય છે’. કોઈ વિદ્યાર્થી પૂછી બેસે કે આ ‘રાતું પતંગિયું’ કાવ્ય એ ઊઘડતા પ્રભાતનો સંકેત કરે છે? તો જવાબ આપ્યા વગર આગળ વધવાની છૂટ છે. કેમકે આગળ, સ્પર્શનો અનુભવ પણ દૃશ્ય રૂપે જ સાક્ષાત્‌ થયેલો જોવા મળવાનો છેઃ

હું
પતંગિયું પકડું
ને
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ.(ગુલાબી પતંગિયું)

પણ આ આખા કાવ્યગુચ્છની ગતિ જુઓ : રંગો લુપ્ત થવા માંડે છે, ક્રમશઃ શ્વેત પતંગિયું અને રંગ વગરનું પતંગિયું. એટલું જ નહીં, ગુચ્છના છેલ્લા કાવ્યનું શીર્ષક છે : ‘આ પતંગિયું નથી’ ને એ પછી કોઈ પંક્તિ વિનાનો નર્યો અવકાશ છે. કવિ આપણને રંગદૃશ્યવૈવિધ્યમાંથી આવી રંગદૃશ્યવિલુપ્તિમાં લઈ જાય છે. કવિતા પાસેથી આથી વધારે આપણે શું માંગીએ? ‘કાગડો’ ગુચ્છમાં પહેલો કાગડો તો બિલકુલ શિલ્પાવસ્થામાં છે :

શ્વેત
હિમાચ્છાદિતશૈલમાળઉન્નત શિખરે
સ્થિર
નિષ્કંપ
એક
કાળો
કાગડો

– કેવું નક્કર નિષ્કંપ શિલ્પ. જે સકંપ છે તે તો આકાશ અને વાદળો છે, જે પેલા શ્વેત હિમશિખરને ‘શ્વેતનું ભૂરું થવું અને ભૂરાનું શ્વેત’ એવાં રૂપાંતરોમાં પલટે છે પણ કાગડો રંગ-નિર્લિપ્ત પણ છે – એટલે કાવ્યમાં એ પ્રભાવક કલ્પનરૂપે ઊપસે છે. પણ છેલ્લે જતાં એ પ્રવાહી બનીને ‘ઢોળાઈ રહ્યો છે.’ આ ક્રિયાપદ જ નહીં, રૂપાંતરની ગતિ પણ જુઓ : ‘કાગડો/ ઢોળાઈ ગયો છે કાગળમાં’ જાણે કે શાહીના ટીપા રૂપે, અક્ષર થઈને. પણ છેવટે તો ‘સફેદ ઉજાસે/ છેક છેલ્લું કાળું બુંદ/ ભૂંસી લીધું છે.’ નક્કર શિલ્પ જેવા દૃશ્યથી લઈને દૃશ્યવિલુપ્તિ સુધીની ગતિ – એ આ ગુચ્છની પણ ઓળખ બને છે, એ મારું વાચન છે. એક બીજી વાત. કમલની સર્વાધિક કવિતામાં સંવેદનનો ઉદ્‌ગાર નથી પણ સંવેદનનો દૃશ્યાવતાર છે. જેમકે ‘કોરા કાગળ’ ગુચ્છની રચનાઓ. અહીં સર્જનેચ્છા અને સર્જનક્રિયાની એક તાણભરી – ટૅન્શન આલેખતી – કવિસંવેદના છે, એમાં સર્જનની અનિવાર્યતાની સાથે જ એની વિતથતા પણ નિરૂપણ પામી છે. એક તરફ, કવિ આલેખે છે કે જો ‘કાળ/ લુપ્ત કરે છે જ્ઞાનને/ અજ્ઞાનને/.../ નામને /.../ વસાહતોને’ તો પછી ‘હું કાગળ કોરો રાખું છું’ તો બીજી બાજુ સર્જનની અનિવાર્યતા આ રીતે આલેખન પામી છેઃ

શ્વેત ઝંઝાવાતોને
સ્યાહીના ઉત્કંઠ ઉન્માદોને
અંગુલિનાં અવશ કંપનોને આંતરી
હાથમાં લીધેલા કાગળને એવો ને એવો
કોરો રાખવો
કપરું છે (કૃતિ ૮)

અહીં કવિ તરીકે કમલની શોધ ‘તસુ કોરી જગા’ની, એટલે કે અવકાશની, સ્પેસની છે. જુઓ :

શબ્દો ઘોંઘાટિયા અરાજક બેકાબૂ
ઊપસી આવ્યા છે કાગળમાં
હું
ખચ્ચ્‌ ખેચું છું
તસુ કોરી જગા મળી આવે.

પૂરાં વાક્યોનો તો શું, ક્યારેક તો વિશેષણો કે સંયોજકોનો પણ ઉપયોગ કર્યા વિના અર્ધવિલુપ્ત દૃશ્યરચના કે કલ્પનરચના જ આપણી સામે મૂકતા આ કવિ આપણને વાચક તરીકે ઘણીવાર મૂંઝવે છે – કાનજીથી જુદી રીતે પણ એટલી જ માત્રામાં પજવે છે. સંદિગ્ધ અને દુર્બોધનો આ વિકટ માર્ગ છે. ને એ રીતે કમલની કેટલીક કવિતા દુર્ગમ રહી જાય છે. પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ
બોરાં લઈ બેઠો છું બજારમાં

ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.

પછી મરમાળી વાત પણ મુખર થઈને હારબંધ પંક્તિઓમાં આવી છે. એ બધી વાંચતો નથી – કેટલીક જ જોઈએ : ‘બૂમો પાડે તે વધુ બોર વેચે છે, / ગાઈવગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે / [...] / કોઈ જોડકણાંનો શોર મચાવે છે / કોઈ ટુચકાઓ વેરે છે.’ પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :

હુંય મારાં બોર લઈ આવ્યો છું
ને ચાખી ચાખી
એક એક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ.

આ વાંચતાં કોઈને શબરીકથા મનમાં ધસી આવે કે કોઈને ભવભૂતિ યાદ આવે ‘ઉત્પસ્યતેઽસ્તિ મમ કોઽપિ સમાનધર્મા...’ તો એ સ્વાભાવિક છે. પણ મને લાગે છે કે, આવો પ્રતીક્ષાનો સંદર્ભ બાદ કરી નાખીએ તો ચૂપચાપ બોરનો જ સ્વાદ લેતા – અંતર્મુખ ને મનમસ્તીવાળા કોઈ વ્યક્તિનું, કહો કે કોઈ કવિનું ચિત્ર ઊભું થાય છે. ને એ મને વધુ આસ્વાદ્ય લાગે છે. ‘વાર્ધક્યશતક’ નામે કવિનો આગામી સંગ્રહ આવે છે – એ વિષયનાં ઠીકઠીક કાવ્યો સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે પણ હજુ આ કાવ્યો વિશે કંઈ કહેવું એ વહેલું ગણાય. જો કે કમલની કવિતાનું આ કંઈક અલગ રૂપ છે – વૃદ્ધત્વ, એની મૂંઝવણો, વિતથતા, ભંગુરતા, મૃત્યુ એવાં એવાં સંવેદનોની કોઈ જટિલ કલ્પનરેખાઓને બદલે કવિએ અહીં હળવાશભરી કથાશૈલીનો ને કથનાત્મકતાનો આધાર લીધો છે. કવિ આલેખનની ચુસ્તીમાંથી કંઈક છૂટી રહ્યા છે કે શું? જુઓ :

ડોશી કહેતી
એ સમજણી થઈ ત્યારથી
કાળો સાડલો પહેરતી,
ઘોડિયાં લગ્ન લીધેલો વર,
મૂછનો દોરો ફૂટે તે અગાઉ
મરકીમાં ખપી ગયો હતો એ કારણે.
એને સાત રંગોનો સરવાળો
હંમેશાં કાળો

છેલ્લી બે પંક્તિઓ, ઉપરના નર્યા કથનને કવિતામાં પ્રવેશ કરાવે છે.

એક બીજી વાત. કમલની કવિતા વાંચતાં ક્યારેક ક્યારેક મને એમાં કોઈ રહસ્યમય વિશ્વનો અણસાર આવે છે – કોઈ આધિભૌતિક કે ધાર્મિક કે આધ્યાત્મિક વિશ્વ, એવા અર્થમાં નહીં પણ અસ્તિત્વના સંદર્ભોને પામવાની કવિની મથામણના અર્થમાં, મને એ રહસ્યગર્ભ લાગે છે. એમની કલ્પનગૂંથણી વાળી રચનાઓમાં પરસ્પરવિરોધી જે દ્વંદ્વો છે ને એમાંથી દ્વંદ્વવિલુપ્તિ તરફની કવિની જે ગતિ છે : શ્વેત શિખરો અને કાળો કાગડો; પારદર્શક, હળવો કોરો કાગળ અને ધસી આવતા કાળા અક્ષરો, સર્જનેચ્છા અને અનિચ્છા – એ દ્વંદ્વોમાંથી કોઈ ત્રીજી સ્થિતિમાં ઊંડે ઊતરતી એક ખોજ પણ છે. જેમ કે : ‘કોરા કાગળ’ ગુચ્છની એક કૃતિમાં આવે છે એમ ‘શું છે આ નિર્મમ, ઠંડીગાર સફેદી હેઠળ?’ (કૃતિ ૧૦)

અને મારું વધારે ધ્યાન ગયું છે ‘અનેક એક’ એ સંગ્રહ(૨૦૧૨)માંની ‘દ્વિધા’ કૃતિ તરફ (પૃ. ૩૪-૩૫). એનો આરંભ સૂચક છે : ‘અક્ષરો અને કાગળની વચોવચ છું/ એકાકી.’ પછી કહે છે, કાગળનું આ કોરાપણું ‘અગાધ ઊંડાણમાં તાણી જવા જાય એવી ક્ષણે અક્ષરોને ઝાલી ઊગરી જાઉં છું.’ પણ વળી આ ‘અજવાળાની આકર્ષક કોતરણીમાંથી વહી જતો હોઉં ત્યારે/ વાદળોની પછીતે/ આકાશની નિર્લિપ્ત નીરવતાની ઝાંખી થઈ જાય/ અને અક્ષર-કાગળ અળગા થઈ જાય.’ કાવ્યાન્તે એક પ્રશાન્તિની ક્ષણ છે :

અક્ષરો અને કાગળની વચ્ચેના આકાશમાં
નિઃશબ્દ રહી
બેઉ તરફના આવેગને ખાળું છું.

મને એકાએક ‘શ્રાવણી મધ્યાહ્ને’(રાજેન્દ્ર શાહ)નો અંત યાદ આવે છે. કમલમાં દૃશ્ય કલ્પનોનું આધિક્ય છે, ને આધિપત્ય પણ છે, પરંતુ કવિનું ચિત્ત છેવટે તો અદૃશ્યમાં – ‘આકાશની નિર્લિપ્ત નીરવતા’માં ઢળે છે. એમાંથી એમની કવિતાની દુર્બોધતા અંગે પણ એક સંકેત મળે છે. અલબત્ત, એનો કોઈ આખરી ઉકેલ તો નથી જ મળતો.

જયદેવ શુક્લ

કવિ તરીકે કમલ વોરા ઝીણવટવાળા ચિત્રકલાકાર લાગે તો જયદેવ શુક્લ બહુકલાકાર. કેટલાક કહે છે કે બધી કળાઓ પી-પીને જ એમને પિત્ત થયો છે. કળાના સંસ્કારો બાળપણથી ને શાળાજીવનથી જ મળ્યા, પ્રાચીન પરંપરાના યજુર્વેદિક કર્મકાંડી બ્રાહ્મણ-સંસ્કારો ઘરમાંથી મળ્યા ને ભોજનના સ્વાદ-સંસ્કારો સૂરતમાંથી. એમની સૌંદર્યદૃષ્ટિનો વ્યાપ કલાત્મક કંકોતરી ચીતરવાથી માંડીને પ્રકૃતિની કમનીયતા માણવા સુધીનો. હા, જયદેવ અભ્યાસશીલ અધ્યાપક પણ છે.

જયદેવના કવિવ્યક્તિત્વની આ પીઠિકા છે. હવે કવિતા. જયદેવે તાલકાવ્યો લખ્યાં એ દિવસોમાં કવિમુખે થતા એના પઠનથી રોમાંચ થતો ખરો પણ પછી બધાંથી એ કાવ્ય-કૃતિઓ તરીકે પૂરાં પકડાતાં નહીં. સિતાંશુના ‘ટૅન્ક તળે’ કરતાં આ જુદું છે એવું લાગ્યા કરતું પણ પરિણામમાં ફેર ન પડતો. હવે તો એ કાવ્યો ખુલ્લાં થયાં છે. (તાલકાવ્યો સાથે એમનું ‘જલસો’ પણ વાંચવું જોઈએ.) પણ ત્યારેય એનો નાદવૈભવ તો ધ્યાનપાત્ર બનેલો જ. એ પછી તો બીજા વૈભવો પણ – દર્શનના સ્પર્શના સ્વાદના ગંધના સઘન ઇન્દ્રિયાનુરાગી વૈભવો પણ એમની કવિતામાં ખૂલતા ગયા. પ્રફુલ્લ કામાવેગોના અને રતિક્રીડાના ધ્વન્યાર્થો આપતાં કલ્પનો એમની કાવ્યરચનાઓમાં, ક્યાંક દુર્બોધ રહીને પણ એક જીવંત સ્પર્શ તો આપતાં રહ્યાં જ – એટલે કે અચળ કે ઠંડાં ન રહ્યાં. આજેય એમ કહેવાય કે, આરંભકાળે એમના પર હતી એ કલ્પનવાદની ભૂરકી પણ ખાસ્સી લેખે લાગી છે. જયદેવની કવિતામાં ચિત્રકળાની સાથે જ ચલત્‌ ચિત્રકળાના સંસ્કારો પણ ઝિલાયા છે. એટલે, ધ્વન્યાર્થ ઝિલાય એ પહેલાં પણ જેમકે, ‘બેઠેલો નંદી ઊછળે છે’ એવી અભિવ્યક્તિ રોમાંચક બને છે. ગોદારની ફિલ્મના પ્રભાવને આલેખતું કાવ્ય તો એક વિશિષ્ટ અનુભવના આલેખનરૂપ છે. પરંતુ સંગીત-ચિત્ર-ફિલ્માદિ કળાઓના જયદેવના આસ્વાદ-સંસ્કારો એમના ઇન્દ્રિયાનુભવો સાથે સંયોજિત થઈને જ, ક્યારેક તો કલવાઈને, કાવ્યરૂપે અવતર્યા છે અને એથી એક નોખો સંવેદના-વ્યાપ એમાં અનુભવાય છે. બીજું, જયદેવની ઇન્દ્રિયાનુરાગી કવિતામાં કેવળ ઇન્દ્રિયવ્યત્યયને બદલે – એટલે કે કોઈ વૈકલ્પિક ઇન્દ્રિયસંચારને બદલે, વધુ તો, એક સાથે એકાધિક ઇન્દ્રિય-સંવેદનનો યુગપત્‌ સંચાર છે, એની નોંધ લેવી જોઈએ. તરત દૃષ્ટાંત આપીએ તો ‘પરોઢ’ કાવ્યમાં ‘કેસરિયા સ્વર જેવો શ્રાવણ’ એમ સાંભળીએ છીએ ત્યારે રંગ અને નાદ અને સ્પર્શનો યુગપત્‌ અનુભવ મળે છે. ‘ભૈરવી-મઢ્યું પરોઢ / પાંખો ફફડાવતું ઊડ્યું!’ એમ સાંભળતાં જ નાદ અને દૃશ્યનો તુલ્યબળ આસ્વાદ મળે છે. ‘વૈશાખ’ કાવ્યમાં ‘આંબા પર ઢોળાયેલો વેરાયેલો ખાટો લીલો’ એમાં પણ એ જ સંયોજિત ઇન્દ્રિયરાગલીલા છે. ‘ઢોળાયેલો’ એવા ક્રિયાપદ પર આપણું ધ્યાન જાય તો ખટાશ અને લીલાશની એકરૂપતા વધુ પરખાય. બધા ઇન્દ્રિય-અનુભવો જયદેવવમાં સહ-ચર બની રહે છે. એ પૂરેપૂરું વિરલ નહીં તો પણ ખાસ્સું વિશિષ્ટ છે, ને એમના કવિકર્મનો સ્પૃહણીય અંશ છે. જયદેવની કવિતામાં, ખાસ કરીને પ્રથમ સંગ્રહ ‘પ્રાથમ્ય’-કાળની કવિતામાં એક ‘સડસડાટ’ પણ છે – એટલે કે વેગ છે, દ્રુતગતિ છે. તાલકાવ્યોમાં આ દ્રુતગતિ તરત પકડાય એવી મુખર છે, પણ અન્ય કાવ્યમાં પણ એ છે. ‘વ્રેહસૂત્ર’ જયદેવનું એકમાત્ર લાંબું કાવ્ય છે. (બીજું એક છે લાંબું : ‘હા ભઈ હા, બધે બધ પડે જ છે.’ (‘બીજરેખા૦’, પૃ.૧૪) પણ એ કાવ્ય થયા વિના જ લાંબું થઈ ગયેલું છે.) આ ‘વ્રેહસૂત્ર’ કાવ્યમાં નિરૂપણ પામેલા સમયના લાંબા અંતરાલને, વેગથી વટાવતી ગતિ છે એ કારણે લંબાણનો અનુભવ થતો નથી. વળી એમાં, ક્રિયારૂપો-કૃંદતોનો, અને પ્રશ્નોદ્‌ગારોનો ધસમતો આ-વેગ છે – કાવ્યારંભે જ એક લાંબું વાક્ય આવી કૃંદત-માળાથી, એકશ્વાસે ઉચ્ચારાય છે.

મૂળને સૂંઘતો સંવેદતો પ્રસરતો વરસતો તરસતો ટળવળતો ગાતો વાતો હસતો ભાગતો વાગતો ખાળતો ચાલી રહ્યો છું.

(પ્રાથમ્ય, ૮૧)

હવે એના તાજા કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ [ટૂંકાં ટૂકાં કાવ્યો લખનારે પુસ્તકનું નામ લાંબું લાંબું રાખ્યું છે ને કંઈ!] એમાંનાં ત્રણ ગુચ્છકાવ્યોની વાત કરું :

પહેલું લઈએ સ્તનસૂક્ત. જયદેવે આ સ્તનકાવ્યો લખ્યાં એ પહેલાં રતિક્રીડાનાં કાવ્યો લખેલાં છે – એમાં કોઈને કદાચ વિપર્યય લાગે! પણ, એમાં પ્રગલ્ભતાનો અવળો ક્રમ નથી. સ્તનકાવ્યો શિલ્પાકૃતિઓ જેવાં રહીને પણ રતિકાવ્યો કરતાં વધુ પ્રગલ્ભ, વધુ ઇરોટિક બન્યાં છે. જોકે, કવિના ટેરવાંની અંદર ભલે લોહી ધસમસતું હોય પણ ટેરવાંની બહાર તો ટાંકણા પર બરફ મૂકીને જ કવિએ કોતરકામ કર્યું લાગે છે. એને લીધે વાચકોને આ કાવ્યોમાં – એમાંની જ પંક્તિ લઈને કહીએ તો : ‘ઝૂમખાંની રસદાર કાળી દ્રાક્ષ’નો સઘન સ્વાદાનુભવ મળશે એની સમાન્તરે જ સંયત કળાકૃતિ પામ્યાનો અનુભવ પણ મળવાનો. આ ૧૨ કાવ્યોમાં એક આનુપૂર્વી, એક ક્રમ પણ વાંચી શકાય એમ છે – પહેલા કાવ્ય ‘હરિણનાં શિંગડાંની અણી જેવી / ઘાતક તામ્ર-શ્યામ ડીંટડીઓ / ખૂંપી ગઈ છાતીમાં / પ્હેલ્લી વાર!’-માં, પ્રથમ આલિંગનનો અનુભવ આલેખાયો છે, ત્યાંથી લઈને છેલ્લા કાવ્ય ‘રણઝણતી ટેકરીઓ પર, / સર્વત્ર / શરદપૂનમનો તોફાની ચાંદો આખ્ખેઆખ્ખો વરસ્યો.../ આકાશ / ભરપૂર ખાલીખાલી...’માંના પૂર્ણ સાયુજ્ય સુધીનાં ‘તસબસ’ અનુભવ-બિંદુઓ આ કાવ્ય-આકૃતિમાં ઝિલાયાં છે – એને કવિકર્મ ખાતે પણ જમા લેવાં જોઈએ.

આ કાવ્યોને હું સૌંદર્યમંડિત શિલ્પાવલી કહીશ કેમકે અહીં દૃશ્યો તો છે જ પણ એ ચિત્રકૃતિઓનાં નહીં, તરલ રહેતી શિલ્પકૃતિઓનાં છે. એક દૃષ્ટાંત લઈએ :

કાવ્યનાં
તંગ જળમાં
ડોલે છે
એ તો ફાટફાટ થતાં
કમળો જ!

અગાઉ કહ્યું તે, ‘એકાધિક ઇન્દ્રિય-સંવેદનના યુગપત્‌ સંચાર’ના દૃષ્ટાંતરૂપ એક કૃતિ સાથે ‘સ્તનસૂક્ત’ની વાત પૂરી કરું;

ચૈત્રી ચાંદની
અગાશીમાં
બંધ આંખે
સ્પર્શ્યા હતા હોઠ
તે તો ઝુમખાની
રસદાર
કાળી દ્રાક્ષ! (બીજરેખા૦’, પૃ.૬૨)

હવે નાયિકાગુચ્છ. આપણા પ્રાચીન-મધ્યકાલીન સમયથી આજસુધીના કવિઓએ વિપ્રલંભની કવિતા કરી છે, એમાં ઉત્તમ કવિતા પણ છે. પરંતુ જયદેવના આ વિપ્રલંભના સંવેદનમાં કાવ્યો વિયોગ કે મિલન-સ્મરણનું કોઈ પૂર્ણરંગી ચિત્ર આલેખવાને બદલે વિવિધ સાહચર્યોનાં કેવળ રેખાંકનોથી કામનાનાં સંવેદન રેખાંકિત કરી આપે છે.

વિયોગ-સમયનાં ઘણાં લાક્ષણિક રૂપો આ દસ-બાર કૃતિઓમાં આલેખાયાં છે. અનુપસ્થિત નાયિકાની સતત યાદ આપ્યા કરે એવાં સાહચર્યોનો, ઘરમાંનો શૃંગાર-ઠાઠ પણ કેવો છે! – કોલ્ડ કૉફી, મોગરા-જૂઈનું સુગંધિત સ્નાનજળ, પુષ્પોની ભાતવાળી રેશમી, હા રેશમી ચાદર... રુચિર, અને ઉત્તેજક! સાવ સાદી લાગતી સામગ્રી પણ ક્યાંક તો કેવી ઉદ્દીપક બની જાય છે : નાયક દાઢી કરવા જાય છે ને સ્મરણમાં ઝબકે છે નાયિકાનો આલિંગન-ઇચ્છાને સંકેતતો ઉદ્‌ગાર : ‘આ આફ્ટર-શેવની સુગંધ / મને બઉ એટલે બઉ જ ગમે.’ નાયકની વ્યાકુળતાને કવિએ સતત મિલન-ઉત્કટતાથી ભરેલી રાખી છે.

નાયિકાના ઉદ્‌ગારવાળું ‘આગમન’ કાવ્ય ફિલ્મની ટૅકનીકને યોજે છે. એમાંના સંયોજિત તથા દૃશ્ય-અંશો, ઘરે પહોંચવાની નાયિકાની અધીરતાને અને પોતાની ગેરહાજરીમાં ઘરની કેવી તો દશા હશે એની ધારણાને ગતિ આપે છે :

ટેબલ-પલંગ પર ઊંધાં-ચત્તાં પુસ્તકોના ઢગલા...
ને સિગરેટની રાખથી
ઊભરાતું હશે ઘર

ઘરે પહોંચ્યા પછી નાયિકાનો અપેક્ષાભંગ કેવો પ્રહર્ષક બને છે :

તાળું ખોલું છું.
પગથિયાં ચડતાં જ
‘સ્વાગતમ્‌’નું ચિતરામણ.
ધૂપસળીની સુવાસ
ને ચાંદી જેવું ચોખ્ખું
ઘર...
‘લુ...ચ્ચો...’ (બીજરેખા૦, ૪૬)

એ અંત નાટ્યાત્મક છે એટલો જ વ્હાલ-ઉત્તેજક પણ છે.

પાત્રોદ્‌ગારો, સંવાદો અને કથનમાં હળવી ગતિએ વહેતાં આ કાવ્યો, કલ્પનોના કંઈક ચુસ્ત દોર પર ચાલતી જયદેવની પૂર્વકવિતામાં એક નવું પરિમાણ ઉમેરે છે. એવી જ કથન-સંવાદની રીતિ જનાન્તિક ગુચ્છનાં કાવ્યોની પણ છે. આ કાવ્યોમાં પિતાનો ખાલીપો અને ઝુરાપો વર્તમાન-ભૂતકાળની સહોપસ્થિતિઓ થકી આલેખન પામ્યો છે – એમાં સરળ કાવ્યપ્રયુક્તિઓ પણ અસરકારક બની રહી છે. જો કે લાગણીનો કંપ અહીં ક્યારેક કવિ-સંવેદનને હલાવીને કૃતિની બહાર પણ નીકળી ગયો છે. જો કે લગભગ દરેક કાવ્યને અંતે ભાવાર્દ્રતાની નાજુક ક્ષણ આવી જતી હોવા છતાં એ વેદનાનું કાવ્યરૂપ તો બરાબર કંડારી શકાયું છે. ‘બૂટ પરથી ધૂળ રેલાય’ એ કાવ્ય તો ધ્વન્યાર્થની ચુસ્તીવાળું પણ બન્યું છે. આ કાવ્યો વિશે અલગ વિગતે લખવું જોઈએ.

કેટલાક બિનંગત સંદર્ભો-વિષયોનાં કાવ્યોમાં પણ અંગત સંવેદનનો સંચાર લાક્ષણિક બન્યો છે. ‘ગબડાવી દે, ફંગોળી દે...’ કાવ્યમાં, રૂઢ સંસ્કાર તળે દબાયેલી સંવેદના એકાએક જ બહાર ઊછળી આવે છે. પહેલાં એક સમજ પ્રગટે છે : ‘ગાય માટે કાઢેલું / ભૂંડને ખાતાં જોઈ / ઉગામેલો હાથ / અચાનક / હવામાં સ્થિર.’ પણ પછી કવિ-સંવેદના જ, ભૂંડ માટે પ્રગટતા વહાલ રૂપે સર્વોપરિ બનતી જાય છે –

ચૂંચી આંખે
લાંબા નાકે
ઊકરડા ચૂંથતા ભૂંડને
ઊંચકી લેવા
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?

અંતનો આક્રોશ પણ આ સંવેદનની જ તીવ્રતાને ધ્વનિત કરે છે. જયદેવની કવિતામાં સંવેદનનાં રૂપો-પરિમાણો સ્પૃહણીય બને છે.

અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.

૦૦૦

પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની પ્રથમ બેઠક : નરસિંહ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.