ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/હસમુખલાલ મણિલાલ કાજી
એઓ જ્ઞાતે દશાલાડ વણિક; સુરતના વતની અને જન્મ પણ સુરતમાં તા. ૧૨ મી એપ્રીલ ૧૯૦૫ ના રોજ થયો હતો. એમના પિતા રાવબહાદુર મણિલાલ કાશીદાસ કાજી રાજકોટ એસીસ્ટંટ સેક્રેટરી ટુ ધ એજન્ટ ટુ ધ ગવર્નર જનરલના હોદ્દા પર વેસ્ટન ઇન્ડિયા સ્ટેટસ એજન્સીમાં છે, અને એમના માતુશ્રીનું નામ સૌ. નંદગૌરી છે. એમનું લગ્ન સન ૧૯૩૨ માં સુરતમાં સૌ. રમાગૌરી સાથે થયું હતું. પ્રાથમિક અભ્યાસ એમણે સોનગઢ (કાઠિયાવાડમાં) જ્યાં એમના પિતાશ્રી ડેપ્યુટી પોલીટીકલ એજંટ હતા, ત્યાં કર્યો હતો; અને માધ્યમિક અને કૉલેજ અભ્યાસ અમદાવાદમાં કર્યો હતો. સન ૧૯૨૨ માં તેમણે રણછોડલાલ છોટાલાલ હાઇસ્કૂલમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરી હતી; અને સને ૧૯૨૬ માં બી. એ. ની પરીક્ષામાં ઇંગ્લીશ ઑનર્સ કોર્સ ગુજરાતી સાથે લઈ સેકન્ડ ક્લાસમાં આવ્યા હતા. સન ૧૯૩૦ માં તેઓ સર લલ્લુભાઈ શાહ લૉ કૉલેજમાંથી એલએલ. બી. થયા હતા; અને હમણાં રાજકોટમાં વકીલાત કરે છે. ન્હાનપણથી કવિતા લખવાનો શોખ લાગેલો અને કૉલેજમાં આવ્યા ત્યારથી તો તેઓ બુદ્ધિપ્રકાશ, શારદા, ગુણસુંદરી, દશાલાડ પત્રિકા, વગેરે પત્રમાં એમના લેખ, કાવ્યો, વાર્તા વગેરે પ્રસિદ્ધ થવાને મોકલતા. ગુજરાતી સામયિક પત્રોમાં “સુરેન્દ્ર પંડ્યા” બી. એ. ઉપનામથી તેઓ લખે છે અને એમના એ લેખો જેમ વિચારાત્મક અને માહિતીપૂર્ણ તેમ ગંભીર અને તટસ્થ વૃત્તિથી લખાયલા હોય છે, તે કારણે તે વિશેષ ધ્યાન ખેંચનારા નિવડ્યા છે. ચાલુ વર્ષથી જ્ઞાતિપત્ર દશાલાડ પત્રિકાનું તંત્રીપદ શ્રીયુત કાન્તિલાલ રાંદેરીઆ સાથે એમણે સ્વીકાર્યું છે; તે પહેલાંથી જ્ઞાતિ પત્રિકામાં આવતા એમના લેખોથી ઘણા જ્ઞાતિજનોનું એમના પ્રતિ ધ્યાન ખેંચાયું હતું. હવે તેનું સુકાન એમના હસ્તક આવ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે એમ આશા પડે છે કે જ્ઞાતિનું હિત વધારવામાં, જ્ઞાતિ ઉન્નતિમાં એમની કલમ અસરકારક અને સફળ નીવડશે. બાળકો માટે રચેલું “સંવાદ કુસુમો” નામનું એમનું પુસ્તક આ વર્ષે પ્રકટ થનાર છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | સંવાદ કુસુમો | સન ૧૯૩૨ |