ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/જગદ્‌ગુરુ શ્રી શંકરાચાર્ય અને બ્રહ્મસૂત્ર

Revision as of 14:35, 5 January 2026 by Meghdhanu (talk | contribs)
જગદગુરુ શ્રીશંકરાચાર્ય અને બ્રહ્મસૂત્ર[1]

(લેખક : રા. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઇ, બી. એ.)

(જીવનકાળમર્યાદા. ઈ. સ. ૭૮૮–૮૨૦ ૩૨ વર્ષ)

જન્મ : વૈશાખ સુદ પાંચમ

મુખ્ય સિદ્ધાંત : श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः ।
परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ १ ॥
देहभावे तु दासोऽहं जीवभावे त्वदंशकः ।
आत्मभावे त्वमेवाह इति मे निश्चला मतिः॥ २ ॥
सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम ।
सामुद्रो हि तरंग क्वचन समुद्रो न तारंगः ॥ ३ ॥

ભાવાર્થ :— જે કરોડો ગ્રંથમાં કહેવાયલું છે તે, હું અર્ધા શ્લોકમાં તને કહું છું. બ્રહ્મ જ કેવળ પરમાર્થ સત્ય છે, જગત મિથ્યા છે, છવ તત્વતઃ બ્રહ્મ જ છે, બીજું કાંઈ નહિ. (૨) દેહભાવમાં હું તારો દાસ છું, જીવભાવમાં તારો અંશ છું, આત્મભાવમાં તું તે હું જ છું, (અને હું તે તું જ છો). એવી મારી નિશ્ચલ મતિ છે. (૩) હે પ્રભો! તારી અને મારી વચ્ચે ૫રમાર્થતઃ કશોયે ભેદ નથી, છતાં હું તારો જ કહેવાઉં, ન તું મારો. સમુદ્રના તરંગો કહેવાય છે, કદિ પણ તરંગોનો સમુદ્ર કહેવાતો નથી. (શાંકર સુભાષિત) આ પ્રમાણે ભગવાન ભાષ્યકાર જગદ્‌ગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજનો વેદાન્ત સિદ્ધાન્ત ટુંકમાં છે, એમ કહી શકાય. ઉપલાં વચનોમાં પહેલો શ્લોક તે લોકપ્રચલિત છે. એ તેમના કયા ગ્રંથમાં છે તે જણાયું નથી, બીજો શ્લોક કોઈ પ્રાર્થનાનો શ્લોક જણાય છે અને ૩ જો તો તેમના પટ્‌પદી સ્તોત્રનો શ્લોક છે. એમાં આર્ય તત્ત્વજ્ઞાનના સર્વ વિચારો સમાઈ જાય છે. પર-બ્રહ્મ, ઈશ્વર, જીવ, જગત, તેમના પરસ્પર સંબંધો, સાધન અને મોક્ષ, એ સર્વ વસ્તુઓ એમાં આવી જાય છે. તેના સાધનમાં વૈરાગ્ય અને જ્ઞાન મુખ્ય છે. મોક્ષમાં સચ્ચિદાનંદ સ્વરૂપ થવું એ જ છે.

(૧) જીવનચરિત્ર

શ્રી શંકરાચાર્યનું શુદ્ધ ઐતિહાસિક જીવનચરિત્ર હજી કોઈને મળ્યું નથી. હાલમાં ખંભાતને દિવાનસાહેબ દિ. બા. શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતાએ શ્રીગોવિંદનાથ નામના એક યતિનું સંસ્કૃતમાં રચેલું ‘શ્રીશંકરાચાર્યચરિત્ર’ બહાર પાડ્યું છે. એ પુસ્તક પ્રાચીન છે અને એમાં ઘણી નવી વાતો સરાહગત વિનાની આલેખાયેલી છે, પણ કેટલીક મહત્ત્વની વાત રહી ગએલી જણાય છે, માટે તે જાણવા જેવી છે. એટલા માટે એમના એક લેખ ઉપરથી તારણરૂપે નીચેનો ભાગ પ્રકટ કર્યો છે. “બ્રહ્મસૂત્રને અનુસરતા સ્વતંત્ર કેવલાદ્વૈત મતના પ્રવર્તક શ્રીશંકારાચાર્ય ધર્મોપદેશક અને તે સાથે તત્ત્વનિષ્ઠ મહાપુરૂષ હતા. પ્રાચીન શૈલીમાં કહીએ તો તેઓ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ-એ બે યોગ્યતાવાળા હતા. તેમના જીવન સમય સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે. પરંતુ આંતર અને બાહ્ય પ્રમાણોથી ઈ. સ. ૭૮૮–૮૨૦ નો સમય તેમના જીવનનો હાલ સ્વીકારવામાં વાંધો નથી. તેમના જીવનવૃત્ત સંબંધમાં તેમના અનુયાયીઓએ ઘણા ગ્રંથો લખ્યા છે. તેમાં ભક્તિના આવેશને લીધે ઘણી અતિશયોકિત અને ચમત્કારોનાં વર્ણન છે. આનંદગિરિનો દિગ્વિજય ઘણાં ઐતિહાસિક સત્યોને બાજુ ઉપર મૂકે છે. શ્રીમાધવાચાર્યનો દિગ્વિજય ઉત્તમ કાવ્યગ્રંથ છે. પરંતુ “શંકરાચાર્યચરિત” એ નામનો નવ અધ્યાયનો ગોવિંદનાથ નામના યતિનો એકે અપ્રસિદ્ધ[2] ગ્રંથ છે, તેમાં તેમનું જીવનવૃત્ત સરલ અને અત્યુકિત વિનાનું આપેલું છે. ગ્રંથકાર અંતમાં લખે છે કે :–

‘इदं श्री शंकराचार्यचरितं लोकपावनम् ।
कृतं गोविंदनाथेन यतिभक्तिसहायतः ॥

આ લોકપાવન શંકરાચાર્યચરિત યતિભક્તિની સહાયથી ગોવિંદનાથે કર્યું છે. પ્રોફેસર વિન્ટરનિત્સ આ લેખક શંકરાચાર્યનો સમકાલીન મિત્ર છે, એવી કલ્પના કરે છે. પ્રથમાધ્યાયમાં કથાસંક્ષેપ છે. બીજા અધ્યાયમાં ઉપમન્યુનું આખ્યાન અને શંકરના જન્મનું વર્ણન છે. દ્વૈતવાદીઓના હાથમાંથી પુસ્તકો આ અદ્વૈતવાદીના જન્મ પછી પડવા લાગ્યાં, વિગેરે તેમના જન્મસમયનો મહિમા ગાયો છે. તેમનો જન્મ કેરલ દેશમાં જ્યાં દક્ષિણકૈલાસ છે ત્યાં નીલા અને અને પૂર્ણા નામની નદીના સંગમસ્થાન પાસે પૂર્ણાના ઉત્તર કાંઠે આવેલા કાલટી ગામમાં થયો હતો, શંકરના માતાપિતાનાં નામ આપ્યાં નથી, પરંતુ અન્ય ગ્રંથોથી જણાય છે કે પિતાનું નામ શિવગુરૂ અને માતાનું નામ આર્યોબા હતું. તેમનો વૈશાખ સુદ પાંચમે જન્મ થયો હતો. ત્રીજા અધ્યાયમાં શંકરની બાલ્યાવસ્થાનું વર્ણન છે. તેઓ અસાધારણ બુદ્ધિવાળા બાલક હતા. પાંચમા વર્ષમાં પિતા ગુજરી ગયા હતા. માતાએ તેમને ઉછેર્યા. તે માતાના સુખને અર્થે સોળમે વર્ષે નદી ઘર નજીક આણી અને તેનું નામ તેમણે અંબાપગા પાડ્યું. એક સમયે સ્નાન કરવાના પ્રસંગમાં તેમનો પગ મગરે ઝાલ્યો, તેમાંથી બચ્યા. માતાએ છોકરો જીવતો રહે તો સંન્યાસી થવાની રજા આપવા હા કહી, તેથી તેઓ જીવતા રહ્યા, કદાચ માતાએ બાધા લીધી હશે તે તેમણે પૂરી કરી હતી. તેઓએ ગૌડપાદના શિષ્ય ગોવિંદાચાર્ય પાસે સંન્યાસદીક્ષા લીધી. શ્રીગૌડપાદ પાસે તેઓ ઘણા વર્ષો રહ્યાં; અને પછી તીર્થપ્રયાણ કરવા નીકળ્યા. ગુરૂએ જે શિખામણ આપી છે તે રસિક વાણીમાં વર્ણવી છે. બદરિકાશ્રમમાં બ્રહ્મસૂત્રાદિને ભાષ્ય રચ્યાં. ચોથા અધ્યાયમાં માતાના મરણ પછી પુનઃ શંકર ભગવાન બદરિકાશ્રમમાં ગયા. ત્યાં કેરલ દેશના શ્રીકુંદગ્રામના સોમશર્માના દીકરા વિષ્ણુશર્મા તેમના પ્રથમ શિષ્ય થયા. પાંચમા અધ્યાયમાં પ્રયાગમાં કુમારિલ ભટ્ટનો તેમને મેળાપ થયાનું વર્ણન છે. કર્મકાંડના હિમાયતી કુમારિલે શાંકરમતનો સ્વીકાર કર્યો. કુમારિલ કહે કે જ્યારે વેદનો શ્વેત માર્ગ સુગતે એટલે બુદ્ધે બાધિત કર્યો હતો, ત્યારે તેમણે પોતે બૌદ્ધધર્મ ડોળનો સ્વીકાર કર્યો હતેા, અને તેથી તેઓ ગુરૂદ્રોહી હોવાથી શાંકરભાષ્યનાં વાર્તિક લખવા નાલાયક છે. તેઓ મગધ દેશના તેમના શિષ્ય વિશ્વરૂપને મળવાનું કહે છે. શંકર વિશ્વરૂપને કર્મકાંડમાંથી વેદાન્તના માર્ગમાં લાવે છે. વિશ્વરૂપની પત્ની વાણી, જે વિષ્ણુમિત્રની દીકરી થાય તે શોણ નદીને કાંઠે રહેતી હતી. બાણના હર્ષચરિતની પ્રથમાધ્યાયની છાયા આ વાણીદેવીના વર્ણનમાં આવે છે. છઠ્ઠા અધ્યાયમાં વિશ્વરૂપને સુરેશ્વરે, એવું સંન્યાસ આશ્રમનું નામ આપવામાં આવે છે. બીજા ગ્રંથોમાં મંડનમિશ્ર કહેવાય છે, તે જ આ વિશ્વરૂ૫ હશે. મંડનમિશ્ર, વિશ્વરૂપ, દેવેશ્વર, સુરેશ્વર,–એ એક જ વ્યક્તિનાં નામ જણાય છે. શંકરાચાર્યે પંદર ભાષ્યો રચ્યાં એવું વર્ણન છે. વિષ્ણુશર્મા ઉરફે સનંદને ભાષ્ય ઉપર ટીકા લખી. બીજા ગ્રંથોથી જણાય છે કે આ ટીકા તે પંચપાદિકા. તેને ચતુઃસૂત્રી પર્યંતનો ભાગ વિદ્યમાન છે. તે ગ્રંથ બળી ગયેલો, અને તે શંકરાચાર્યે ચાર સૂત્ર સુધીનો જે સાંભળેલો, તે નવો ઉપસ્થિત કરી કહેલો, તે હાલ મળે છે. સુરેશ્વરે નૈષ્કર્મ્યસિદ્ધિ અને તૈત્તિરીય અને બૃહદારણ્યક ભાષ્ય ઉપર વાર્તિકો લખ્યાં. ત્યાર પછી ગોકર્ણ જતાં ત્રીજા શિષ્ય હસ્તામલક શિવવિહાર ગામમાં મળ્યા. ચોથા શિષ્ય પરમ ભકત તોટક હતા. સાતમા અને આઠમા અધ્યાયમાં હરિદ્વારમાં સનંદનને પદ્મપાદ નામ આપવામાં આવ્યું તેનું વર્ણન છે. ત્યાર પછી શંકરાચાર્ય રામેશ્વરની યાત્રાએ ગયા; ત્યાં કાલહસ્તિક્ષેત્ર આગળ સુવર્ણમુખરી નદીમાં સ્નાન કર્યું. ત્યાંથી દક્ષિણકૈલાસ ગયા. પછી કાંચી નગરીનું વર્ણન આવે છે. નવમા અધ્યાયમાં શંકરાચાર્ય ફરી કાંચી નગરીમાં ગયા. ત્યાં સર્વજ્ઞ પીઠ ઉપર પોતે જગદ્‌ગુરૂપદની પ્રાપ્તિ કરી. ત્યાંથી વૃષાચલ ગયા અને દક્ષિણકૈલાસમાં તેઓએ દેહ છોડ્યો. બત્રીસ વર્ષના લઘુ જીવનનો ઉપર પ્રમાણે ટુંકો સાર છે. તે સમયના પ્રસિદ્ધ વિદ્વાનો અને મુખ્યત્વે કરી વેદિવિરોધી વિચારકોનો તેમણે વાદવિવાદમાં પરાજય કરેલો. તે પ્રસંગો ઉપરથી પાછળથી દિગ્વિજયાદિ આલંકારિક ગ્રંથો થયા છે. ગેવિંદનાથ કહે છે કે આઠ વર્ષમાં શંકરે વેદાધ્યયન પૂરૂં કર્યું હતું, બારમા વર્ષ સુધીમાં સર્વ શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. સોળમે વર્ષે ભાષ્ય રચ્યું, અને બત્રીસમા વર્ષમાં કૈલાસવાસ કર્યો.” (ગોવિંદનાથના શંકરાચાર્યના ચરિત્રમાં બે ખામીઓ સ્પષ્ટ દેખાય છે. એક તો મૂળ આધ્ય શ્રી શંકરાચાર્યે આર્યાવર્તના ચારે ખૂણે એટલે ઉત્તરમાં બદરીકાશ્રમ પાસે જ્યોતિર્મઠ, પૂર્વમાં જગન્નાથજીમાં ગોવર્ધનમઠ, પશ્ચિમે દ્વારકામાં શારદામઠ અને દક્ષિણે રામેશ્વરક્ષેત્રમાં શૃંગેરીમઠ સ્થાપ્

  1. તા. ૮-૫-૩૨ ના “ગુજરાતી” પત્રમાંથી ઉધ્ધૃત
  2. આ ગ્રન્થ દિ. બા. નર્મદાશંકરે હાલમાં છપાવ્યો છે.