ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/મગનલાલ ગણપતિરામ શાસ્ત્રી

Revision as of 02:26, 12 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મગનલાલ ગણપતિરામ શાસ્ત્રી

એઓ જ્ઞાતિએ ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ ઋગ્વેદ આશ્વલાયન શાખા કાશ્યપ ગોત્રના છે. એમનું મૂળ વતન ખેડા અને પછીથી ઉમરેઠ; પણ ખેડા જીલ્લામાંથી એમના પૂર્વજો દોઢસો વર્ષ પૂર્વે ભરૂચ ખડાયતા વણિકો સાથે આવી રહ્યા હતા. એમના પિતાનું નામ વ્યાસ ગણપતિરામ કાલિદાસ શાસ્ત્રી; ભરૂચમાં પુરાણીની અટકથી પ્રસિદ્ધ હતા, અને એઓને ઋગ્વેદસંહિતા મુખે હતી તેમ સંસ્કૃત ભાષામાં સુવ્યુત્પન્ન હતા. એમની માતાનું મૂલ નામ પાર્વતી પણ સાસરે તેમને ઈચ્છા કહેતા. એમનો જન્મ તા. ૭ મી ડિસેમ્બર સન ૧૮૭૩ના રોજ ખેડા જીલ્લામાં માતર ગામે ‘ફળાદેશનું ફળ’ એ નામના પુસ્તકના કર્તા વ્યાસ ગિરિજાશંકર ભોળાનાથ એમની માતૃશ્રીના માસીના પુત્રને ત્યાં થયો હતો. એમનું પ્રથમ લગ્ન સં. ૧૯૪૨માં માતરમાં મણિશંકર રવિશંકર વ્યાસના પુત્રી બહેન ચંચળ સાથે થયું હતું; અને તેના મરણોત્તર સં. ૧૯૫૮માં અમદાવાદમાં મૂળશંકર પીતાંબર ભારદ્વાજ વ્યાસના પુત્રી શ્રીમતી કમળાબહેન સાથે દ્વિતીય લગ્ન થયું હતું; પણ તેઓ સન ૧૯૨૬માં મૃત્યુ પામ્યાં હતાં. ગુજરાતી તેમ ઇંગ્રેજીનો અભ્યાસ મેટ્રીક ક્લાસ સુધીનો એમણે ભરૂચમાં કર્યો હતેા. સન ૧૮૯૦માં તેઓ વડોદરા હાઇસ્કુલમાંથી મેટ્રિકમાં પાસ થયા. તે પછી વડોદરા કોલેજમાં દાખલ થયલા. ત્યાં બે ત્રણવાર નપાસ થવાથી સેંટ ઝેવિયર કોલેજમાં જોડાયેલા અને સન ૧૮૯૪માં પ્રિવિયસની પરીક્ષા ત્યાંથી પાસ કરી પાછા વડોદરા કોલેજમાં આવેલા અને ૧૮૯૭માં ઇંગ્રેજી અને સંસ્કૃત ઐચ્છિક વિષય લઇને બી. એ. થયા. સન ૧૮૯૮માં કૉલેજમાં ઈંગ્લિશમાં ફેલો નિમાયા અને સન ૧૯૦૨ માં કલકત્તા ગર્વમેન્ટ સંસ્કૃત કોલેજમાંથી એઓ એમ. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. રેવેન્યુ ખાતામાં અને મુંબાઈ એલ્ફિન્સ્ટન હાઇસ્કુલમાં કેટલોક સમય નોકરી કર્યા પછી સન ૧૯૧૫માં એમની નિમણુંક પુનાની ડેકકન કૉલેજમાં થઇ, જે જગો૫રથી સન ૧૯૩૧માં તેઓ માનસહિત નિવૃત્ત થયા હતા. વૈષ્ણવ સંપ્રદાયના તેઓ ચુસ્ત અનુયાયી છે અને એ સંપ્રદાયના સંસ્કૃત સાહિત્યનું સંશેાધન, અભ્યાસ અને પ્રકાશન કાર્યમાં એમણે પોતાનું લગભગ સઘળું આયુષ્ય અર્પ્યું છે, એમ કહી શકાય. એમનું જીવનચરિત્ર–વિસ્તૃત–‘હિતવર્ધક’ નામક માસિકના સં. ૧૯૮૮ ના દીપોત્સવી અંકમાં છપાયું છે, તેમાંથી એમના માતૃભાષાપ્રેમ વિષે નીચેનાં વાક્યો ઉતારીએ છીએઃ “શાસ્ત્રીજીનું જીવન અત્યંત સાદું અને પવિત્ર છે. તેની સાથે માતૃભાષાને માટે અનન્ય પ્રેમ છે. પોતે અંગ્રેજીમાં ગ્રંથોના સંશોધન કરી લખી શકત પરંતુ એક સિવાય એમણે બધાંએ પુસ્તકો ગુજરાતી અને સંસ્કૃત ભાષાનાં લખ્યાં. ડેકકન કૉલેજના માનપત્રમાં પ્રિન્સિપાલે ખેદ દર્શાવ્યો કે આ વિદ્વાને અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં હોત તો વધુ માણસો તેનો લાભ લઈ શકત. ત્યારે શાસ્ત્રીજીએ ઉત્તરમાં જણાવેલું કે ‘મારી માતૃભાષાને સમૃદ્ધ કરૂં તે મને વધારે ઉચિત લાગ્યું, જેને મારા ગ્રંથની જરૂર લાગશે તે જરૂર મારી ભાષા શીખવશેજ.

: : એમની કૃતિઓ : :

૧. સંસ્કૃત–ગુજરાતી.
૧. ગાયત્રીભાષ્ય સન ૧૯૦૩
૨. શ્રી દશમસ્કંધ પ્રથમોધ્યવયસુબોધિની ,, ૧૯૧૦
૩. શ્રી ગોપિકાગીતસુબોધની  ”  ૧૯૨૫
૪. વેદસ્તુતિ સૂક્ષ્મટીકા  ”  ૧૯૨૬
૫. વેણુગીતસુબોધિની  ”  ૧૯૨૭
૬. શ્રી યુગલગીતસુબેાધની[1]  ”  ૧૯૩૧
૨. ગુજરાતી.
૧. શુદ્ધાદ્વૈતસિદ્ધાંતપ્રદીપ.  ”  ૧૯૦૩
૨. હરિપ્રિયા.[2]  ”  ૧૯૧૭
૩. ઇંગ્રેજી.
An Examination of Samkara’s Refutatin
of the samkhya system
 ”  ૧૯૨૫

પાદટીપ :

  1. શ્રી વલ્લભાચાર્ય સંપ્રદાયના ભાષ્યાદિ ત્રીસેક સંસ્કૃત ગ્રંથોની શોધિત આવૃત્તિઓ આ ઉપરાંત પ્રસિદ્ધ કરી છે.
  2. પુષ્ટિભક્તિ સુધામાં અને પુષ્ટિસુધામાં પ્રસિદ્ધ લેખાદિ ઉપરાંત જયકૃષ્ણ ગ્રંથમાળામાં પણ છ પુસ્તકો બહાર પાડ્યાં છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.