ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/મનુભાઇ લલ્લુભાઇ જોધાણી

From Ekatra Foundation
Revision as of 02:41, 12 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મનુભાઈ લલ્લુભાઈ જોધાણી

એઓ જાતના જન ભાવસાર અને વતની બરવાળા (ઘેલાશાહ) ના છે. જન્મ પણ ત્યાંજ તા. ૨૮મી ઑક્ટોબર ૧૯૦૨ના રોજ થયો હતો. એમના પિતાનું નામ લલ્લુભાઇ નથુભાઈ જોધાણી અને માતાનું નામ જડાવબા જેસીંગભાઈ બેલાણી છે. એમનું લગ્ન સન ૧૯૧૮માં વાગડ (તાલુકે ધંધુકા)ના શારદાગૌરી ગટોરભાઇ રાણપુરા સાથે થયું છે. પ્રાથમિક શિક્ષણ બરવાળામાં અને માધ્યમિક લીંબડી જસવંતસિંહજી હાઇસ્કુલમાં લીધેલું. વળી શાળામાં પહેલો બીજો નંબર રાખતા તેથી દરેક પરીક્ષામાં ઇનામ મળેલાં. સન ૧૯૨૦થી તેઓએ બરવાળા ઇંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે કામ કરેલું; પણ સન ૧૯૩૦ માં સત્યાગ્રહની લડતમાં સરદારી લઇ જેલમાં ગયેલા તે વખતે તેમાંથી રાજીનામું આપ્યું હતું. હાલમાં તેઓ જીવણલાલ અમરશી સાથે અમદાવાદની ફર્મમાં (“સ્ત્રીબોધ” માસિકના મદદનીશ મંત્રી તરીકે) જોડાયા છે. રણજીતરામ તરફથી પ્રાચીન શોધખોળ કરવાની તેમજ લોકસાહિત્ય એકઠું કરવાની એમને પ્રેરણા મળેલી અને એ ક્ષેત્રમાં કેટલાક સમયથી તેઓ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે, જેનાં ફળો નીચે જણાવેલાં પુસ્તકોરૂપે પરિણમ્યાં છે; અને સંગ્રહિત જુનું સાહિત્ય હજુ એમની પાસે પુષ્કળ પડેલું છે. બુદ્ધિપ્રકાશમાં પ્રસિદ્ધ થયેલી એમની “સૌરાષ્ટ્રના ઓલીઆઓ” એ લેખમાળાએ ઘણાંનું ધ્યાન ખેંચેલું. હમણાં તેઓ ગુજરાતના પ્રાચીન શહેરો–વલ્લભી, મોડાસા, રાણપુરા, ધંધુકા વગેરે ગામનો ઇતિહાસ લખવામાં રોકાયલા છે. પ્રાચીન લોકસાહિત્ય અને વાર્તા; અને ઐતિહાસિક સંશેાધન કાર્યમાં જે થોડી ઘણી વ્યક્તિઓ ગુજરાતમાં કામ કરી રહેલી છે, તેમાં એમનો સમાવેશ થઇ જાય છે. તેઓ વળી એમના જ્ઞાતિપત્ર “ભાવસાર અભ્યુદય” ના તંત્રી પણ છે.

: : એમની કૃતિઓ : :

૧. સુન્દરીઓનો શણગાર, ભા–૧ સન ૧૯૨૮
ર. ભા-ર  ”  ૧૯૨૯
૩. સોરઠી જવાહીર  ”  ૧૯૩૦
૪. ખાટી મીઠી બાળવાતો  ”  ૧૯૩૨
૫. સોરઠી વિભૂતિઓ ભા-૧  ”   ૧૯૩૨
૬. સોરઠી શૂરવીરો  ”  ૧૯૩૨
૭. આકાશી ચાંચીઓ  ”  ૧૯૩૨