ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/પ્રસ્તાવના

Revision as of 10:00, 1 February 2026 by Shnehrashmi (talk | contribs)
પ્રસ્તાવના

“સુરેન્દ્ર પંડયા" એ ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૭માની સમાલોચના કરતાં તેમાં સાહિત્યના ભિન્નભિન્ન પ્રકારો, જેવા કે કાવ્ય, નાટક, નવલકથા, ચરિત્ર, નિબંધ, ટુંકી વાર્તા વગેરે વિષયો પર જૂદા જૂદા જાણીતા અભ્યાસીઓ પાસે નિબંધ લખાવી, તે દાખલ કરવાનું સૂચવ્યું હતું, અને તેમની એ સૂચના મને વ્યવહારુ તેમ વાજબી જણાઈ હતી.

એ રીતે જ આવાં પ્રકાશનની ઉપયોગિતા વધી શકે.

મારે એમની સાથેનો અંગત સંબંધ હોઈને મેં એમને પ્રિય એવા એકાદ વિષય પર લેખ લખી મોકલવા વિનંતિ કરી હતી; તે "સુરેન્દ્ર પંડ્યા” ઊર્ફે પ્રો. હસમુખલાલ મણિલાલ કાજીએ સ્વીકારી, “ નવલના મૂળગત સિદ્ધાંતો” એ વિષે એક વિચારપૂર્ણ નિબંધ લખી મોકલ્યો, તે સાહિત્ય રસિકોને રસપ્રદ તેમ ઉપયોગી માલુમ પડશે.

“સન ૧૯૩૬ની કવિતા”ની પસંદગી પણ તેમણે જ કરી છે. અહિં કહી દઉં કે તેઓ એક સારા કવિ છે, કેટલીક સુંદર કવિતા પોતે રચેલી છે.

એ સર્વ સહાયતા બદલ તેમનો હું ખાસ ઋણી છું.

એ પ્રમાણે અન્ય સાહિત્યકારો તરફથી વખતોવખત નવી નવી સૂચનાઓ મળતી રહે તો સંપાદકનું કાર્ય સરળ થઈ પડે અને ‘ગ્રંથ અને ગ્રંથકાર’ની ઉપયોગિતા એક રેફરન્સ પુસ્તક તરીકે ઘણી વધે.

લેડી વિદ્યાબ્હેન આ કાર્ય પ્રતિ જે મમતા દાખવે છે, તે મને બહુ પ્રોત્સાહક થઈ પડે છે. આ વર્ષે નાદુરસ્ત તબીઅતને લઈને તેઓ ‘ગ્રંથ પરિચય’ હમેશ મુજબ લખી શકે એવી સ્થિતિમાં નથી; તે ઉણુપ, મારી પેઠે, અન્ય વાચકને પણ જણાશે.

હીરાલાલ ત્રિ. પારેખ.