સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ફાર્બસવિરહ

From Ekatra Foundation
Revision as of 06:28, 22 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ફાર્બસવિરહ

તે મુજ મિત્ર ગયો તદનંતર અંતર દુઃખ નિરંતર આવે,
જાતું રહ્યું સુખ તો શત જોજન, ભોજનભાવ ભલે નવ ભાવે;
તેની છબી જ તરે નજરે, કદી એક કલાક ન છેક છુપાવે,
કષ્ટ-કથા, દલપત્ત કહે, કહું કોણ કને? દુખ કોણ કપાવે?
પૂછો જઈ ચકોરને, પૂછો જળચર કાય, ૫
કાં તો પૂછો કમળનેઃ સ્નેહી ગયે શું થાય?
કોણ હવે કરશે પ્રતિપાલન, સંકટના પડતાં શિર શાકા?
કોણ દિવાળીદિને દિલ પ્યારથી મોકલશે ફૂલખંડી ફટાકા?
મિષ્ટ મીઠાઈ નવાઈની ચીજ અને વળી ઉત્તમ અંચળતાકા?
મિત્ર, હવે મુજ બાળકડાં કહેશે જઈ કોણને ‘સાહેબકાકા’?
ગુણગ્રાહક વિક્રમ ભોજ ગયા, કવિતા તણી કિંમત જે કરતા,
પ્રથિરાજ અને ઇન્દ્રજિત ગયો, રખીદાસ ગયો રસનો ધરતા;
સરદાર ગયા શુભ ફાર્બસ સાહેબ જે સઘળા ગુણ સંઘરતા;
શુભનામી જવા થકી ખામી પડી, કરવી શું નકામી કવીશ્વરતા.
સુણ સતી સાભ્રમતી, ધીમી કેમ ધારી ગતિ, ૧૫
વિરતિની મતિ કેમ રાખી મારી વીરી તેં?
કેમ થયું કૃશ અંગ, ક્યાં ગયા તારા તરંગ,
સંગ હતા દાદુર તે દૂર કર્યા શી રીતે?
બંને બાજુ ઓઢેલાં લીલાં રુચિર ચીર હતાં,
ચિત્તમાં શી ચિંતા ચઢી, ચીર નાખ્યાં ચીરી તેં? ૨૦
ઉદાસી દીસે છે આમ, દાખે દલપતરામ,
ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં?
મિત્ર તણો પત્ર જ્યારે તત્ર થકી અત્ર આવી
પ્રાપ્ત થતો મને પ્રેમપૂરણ ઘણાકનો;
વાંચી વાંચી વાળું વળી વાંચવાની વૃત્તિ થાય, ૨૫
અતિશય એવી અર્થરચના અથાકનો;
દોસ્તી ચિત્ર દેખરેખ, તેમાં નહિ મીનમેખ,
લાયક છે લેખ જાણું પ્રેમના વિપાકનો;
લઈ સંકેલાય નહિ, તથા તજ્યો જાય નહિ,
અક્ષિકાની આગળથી કાગળ કિન્લાકનો. ૩૦
પામીશ પત્રો, પીંપળા, નહિ તું થઈશ નિરાશ!
મિત્ર જતાં મારે થયો પ્રૌઢ પાનખર માસ.
અરે કમળ, કરમાય કાં? મળશે કાલે મિત્ર!
મિત્રમળણ આશા મટી, દુખ મુજ દેખી વિચિત્ર.
છેટું પડ્યાથી છ માસ જતા, છૂટતું સુખ, શોકથી છાતી છવાતી,
પત્ર મળે નહિ તો, દલપત્ત, અધીરણીથી નહિ ધીર ધરાતી,
ઊઠતી આંચ અચાનકમાં, નિજ થાનકમાં પણ થીર ન થાતી,
ફાર્બસ મિત્ર જતાં નથી ફાટતી, છેક કઠોર ઠરી મુજ છાતી.
દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું,
નિશ્ચય થઈ નિરાશ, કઠોર બનિયું કાળજું. ૪૦
કંઈક કહે, મહારાજ મૂઆં મનુષ્ય જગાડશે,
એ દિન ક્યાંથી આજ, મળિયે ફાર્બસ મિત્રને.

સ્વાધ્યાય

૧. આમાંથી તમને કઈ કડી-કડીઓ ગમે છે? શા માટે ગમે છે?
૨. સાબરમતી શા માટે ઉદાસ છે?
૩. કવિ કાગળ મળ્યાની વાત કરે છે એ દૃશ્ય ભજવવા પ્રયત્ન કરો.
૪. કોઈ પણ વીસ લીટી મોઢે કરો.
૫. ‘ઝમક’ અને ‘વર્ણસગાઈ’નાં આ અને બીજાં કાવ્યમાંથી પાંચ પાંચ દૃષ્ટાંત આપો.