સાહિત્ય પલ્લવ – ભાગ ૨/રામનારાયણ વિ. પાઠક
[मज्झिमनिकाय નામના એક પાલિ ગ્રંથના ૮૬મા સુત્તનું આ ભાષાન્તર છે. ભાષાન્તરકર્તાએ મૂળ ગ્રંથની શૈલીનો પરિચય થાય એટલા માટે ભાષાન્તર બને તેટલું શબ્દશ: કરેલું છે, અને મૂળમાં આવતા એક જ અર્થના પર્યાયો તથા ફરી ફરીને આવતાં વાક્યો અને વાક્યાંગો પણ બધાં રાખ્યાં છે. ફરીથી ને ફરીથી આવતાં એકનાં એક વાક્યો કથનને કેટલું અસરકારક બનાવે છે તે નોંધવા જેવું છે. વાર્તા કહેવાની આજની આપણી શૈલીઓ અને આ જૂની શૈલી એ બેની તુલના કરી અભ્યાસ કરવા જેવો છે. અનાથપિંડિક — બુદ્ધ ભગવાનનો એક શિષ્ય. શ્રાવસ્તિ – કોસલ દેશની રાજધાની. લુબ્ધ – લોભી. રક્તપાણિ – લોહીથી ખરડાયેલા હાથવાળો. પાત્રચીવર - ભિક્ષાપાત્ર અને શરીર ઉપર ધારણ કરવાનું વસ્ત્ર અથવા વલ્કલ. બૌદ્ધ ભિક્ષુકે ચીવર ધારણ કરતા, તે ઉપરથી તે ચીવરી તરીકે પણ ઓળખાતા. શયનાસન -સુવાની પથારી. ઋદ્ધિસંસ્કાર - એક પ્રકારની ચમત્કારિક સિદ્ધિ. શાક્યપુત્રીય શ્રમણ - શ્રમણ શબ્દ બૌદ્ધ તેમ જ જૈન બન્ને પંથના સાધુ માટે વપરાતો હતો, અને આ શ્રમણ શાક્યમુનિ બુદ્ધ ભગવાનના પંથનો હતો તેથી શાક્યપુત્રીય. ‘ઊભો છું હું, અંગુલિમાલ...’ શ્રમણના પગ તો ચાલી રહ્યા છે, છતાં એ કહે છે કે હું ઊભો છું! એનું રહસ્ય અંગુલિમાલને સમજાવતાં તે કહે છે, ‘હું તો દંડ છોડીને – દ્વેષ, વેર, ક્રોક્રોધ, ભય વગેરે બધું છોડીને ભૂતો - પ્રાણીઓ વચ્ચે પ્રસન્ન મનથી - સ્થિર ચિત્તથી ઊભો છું – મારો આત્મા નિર્મળ શાન્તિ માણે છે, એટલે હું ઊભો છું. જ્યારે તું તો અનેક વાસનાઓથી ઘેરાયેલો, અસંયમી, જીવસૃષ્ટિમાંનો ચંચળ જીવ છે, એથી તું ઊભેલો નથી, એટલે કે તારી ચિત્તવૃત્તિઓ સ્થિર નથી બની.’ ગાથા – શ્લોક. પ્રવજ્યા - સંસાર ત્યાગ કરવો તે. યાજના - યજ્ઞ. પ્રવ્રજ્યાની યાજના એટલે સંસાર ત્યાગ કરવાનો વિધિ. શાસ્તા - શાસન કરનાર. તેનો હુવો એ રીત ભિક્ષુભાવ : એ રીતે જ, એટલે શ્રમણે અંગુલિમાલને બુદ્ધ ભગવાનના ભિક્ષુ તરીકે સંબોધન કર્યું તેટલાથી જ અંગુલિમાલ ભિક્ષુભાવને પામ્યો એટલે કે ભિક્ષુ થયો. આ વાક્યમાં સાધુ પુરુષની વાણીની મહત્તા ગાઈ છે. તેમની વાણી સાર્થ હોય છે. શ્રેણીય - આજે આપણે જે અર્થમાં મહાજન શબ્દ વાપરીએ છીએ તે અર્થમાં શ્રેણી શબ્દ વપરાતો. તે ઉપરથી વિશેષણ શ્રેણીય. જે કાળની આ કથા છે તે કાળે ઉત્તરમાં અનેક ગણ રાજ્યો, એટલે કે પ્રજાસત્તાક રાજ્યો હતાં. આવાં રાજ્યોમાં ક્યાંક ક્યાંક રાજ્યનો વડો રાજા તરીકે પણ ઓળખાતો. એ ઉપરથી શ્રેણીય રાજા એટલે મહાજનોની જ્યાં આણ છે એવા રાજ્યનો રાજા એવો અહીં અર્થ કરવો. ભન્તે – પૂજ્યને સંબોધન કરવાનો શબ્દ, भद्रंतेમાંથી આવેલો મનાય છે. જનપદ - આખો દેશ, મુલક. અદત્તાદાન - અદત્ત (જે આપ્યું નથી તેનું) આદાન (લેવું તે) એટલે કે ચોરી. મૃષાવાદ - જૂઠાણું. ગુપ્તિ - રક્ષા. આરણ્યક - જંગલમાં રહેનાર, ગામમાં નહિ. પિંડપાતિક - ભિક્ષા ઉપર ગુજારો કરનાર. કોઈનું નિમંત્રણ સ્વીકારી કોઈને ત્યાં જમનાર નહિ. પાંસુકૂલિક - ગૃહસ્થ પાસેથી વસ્ત્ર લેતો નહિ, પણ ધૂળમાંથી ચીંથરાં લઈ તેનાં વસ્ત્ર કરતો. મૂઢગર્ભા — જેનો ગર્ભ મૂઢ થઈ ગયો છે. પ્રસવકાળનો સમય થવા છતાં બાળક જન્મતું નથી. અને એથી બાઈને અસહ્ય વેદના થાય તેનું આમાં સૂચન છે. સ્વસ્તિ -કલ્યાણ. ‘આર્યજાતિમાં જન્મ્યો ત્યારથી’ - ચોર મટી પરિવ્રાજક બન્યો ત્યારથી. આમાં માણસ જન્મને કારણે નહિ પણ કર્મને કારણે આર્ય બને છે, એ અર્થનું સૂચન છે. બૌદ્ધ ધર્મમાં ઊંચી કોટિએ ગયેલાને આર્ય કહે છે. આત્માને મોકલી દીધો છે એવો—અહીં આત્મા એટલે અહં -હુંપદ. જેણે હુંપદનો, મારાતારાના ભેદભાવનો ત્યાગ કર્યો છે એવો. મોક્ષમાં એકતાન પામેલો. એકલો – કામભોગથી અલગ થયેલો. અનુત્તર - ઉત્તમ, અનન્ય. બ્રહ્મચર્ય - પવિત્રતા, પર્યાવસાન - પૂરું થવાપણું - પૂર્ણતા એટલે કે ઉત્તમ પવિત્રતા પ્રાપ્ત કરીને. બ્રહ્મચર્યનો બીજો અર્થ બ્રહ્મ- સત્યને જાણવા માટેની પ્રવૃત્તિ કરવી એ પણ થઈ શકે. એ ઉપરથી બ્રહ્મચર્ય પૂરું થયું નો અર્થ સત્યને જાણવાની એની ચર્યા, પ્રવૃત્તિ પૂરી થઈ - એણે સત્યનો સાક્ષાત્કાર કર્યો. વિપાક - સ્વાદ. વિમુક્તિસુખ – મુક્તિનું સુખ, પરમ શાન્તિ. પ્રમાદ – ભૂલ. દેશના — બોધ, માર્ગદર્શન. ખંતિ – ક્ષમા. અવિરોધ - પ્રશંસી—અદ્વેષની પ્રશંસા કરનાર, દારુ-દેવદારુ લાકડું. રાડું– જેમાં તીરનું ફળ ખોસવાનું હોય તે રાડું. તે જરા પણ વાંકું હોય તો તેને વાળીને સીધું કરવું પડે. નામે – નમાવે, વાળે. ‘અહિંસક હતુ નામ...’ – મારું નામ જાણે હું અહિંસક છું એવો અર્થ સૂચવતું, જ્યારે હું હતો પૂરો હિંસક. અંગુલિમાલનો અર્થ આંગળીઓમાં જેને માળા છે એવો, કે જે આંગળીઓની માળા પહેરે છે એવો થાય. પહેલા અર્થમાં સાધુનું ચિત્ર ખડું થાય, બીજામાં કોઈ નરરાક્ષસનું. અહીં પહેલા અર્થનો ઉલ્લેખ છે. શરણાગમનેથી - આગમ-શાસ્ત્રને શરણે જવાથી. અનૃણિ - ઋણમુક્ત. દુર્મેધિ - ખરાબ બુદ્ધિ - મતિવાળા. અપ્રમાદ ધન શ્રેષ્ઠ - અપ્રમાદ (ભૂલો ન કરવી, પાપ ન કરવું તે) રૂપી ધન શ્રેષ્ઠ છે; તેનું મેધાવી-બુદ્ધિશાળી હંમેશાં રક્ષણ કરે છે. ‘છે સ્વાગત કશો’— બુદ્ધ ભગવાન પાસે આવ્યો એ સ્વાગત છે. એ આવવું તે સારું આવવું ગણાય, ખરાબ આવવું ન ગણાય, તેમ જ ભગવાનની પાસેથી મંત્ર લીધો તે પણ દુર્મંત્ર નથી, અર્થાત્ હું કૃતકૃત્ય થયો એવો અભિપ્રાય છે. ત્રણે વિદ્યા : પૂર્વજાતિ-સ્મરણ, દિવ્યચક્ષુ, અને આસવક્ષયજ્ઞાન એ ત્રણ વિદ્યાઓ.]