સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/વિવેચક-પરિચય

From Ekatra Foundation
Revision as of 15:58, 12 April 2026 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિવેચક પરિચય
Pramodkumap Patel.jpg

આપણા એક સમર્થ વિવેચક અને સ્વાધ્યાયનિષ્ઠ અધ્યાપક પ્રમોદકુમાર પટેલ (જ. ૨૦.૯.૧૯૩૩ – અવ. ૨૪.૫.૧૯૯૬)એ તેજસ્વી વિદ્યાર્થીકારકિર્દી પછી મુંબઈમાં ને બારડોલીની કૉલેજોમાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યું ને ત્યાર બાદ, નિવૃત્તિ સુધી સ. પ. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપક અને અધ્યક્ષ રહ્યા. વિવેચનલેખનના આરંભથી જ ‘સાહિત્યવિવેચન અને કળામીમાંસાના મૂળભૂત પ્રશ્નોમાં’ એ ચિકિત્સકદૃષ્ટિથી ઊંડા ઊતરતા ગયા. આ મથામણભરી તપાસ એમની ચાર દાયકા ચાલેલી વિવેચનસાધનાના કેન્દ્રમાં રહેલી છે. એમના લગભગ દરેક પુસ્તકમાં તાત્ત્વિક ચર્ચાના ધ્યાનાર્હ લેખો મળવાના. અલબત્ત, આ તત્ત્વચર્ચાની સમાન્તરે જ ગુજરાતી સર્જન-વિવેચનના પ્રવાહોની તપાસ પણ એમણે કરી છે. મિથ, કલ્પન, પ્રતીક, થીમ જેવાં સંજ્ઞા-વિભાવોની ચર્ચામાં ગુજરાતી સાહિત્યની કૃતિઓનો ચર્ચા-દૃષ્ટાન્ત લેખે સતત વિનિયોગ તે કરતા રહેલા. આવી તપાસનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય એમનાં સળંગ અધ્યયનો – ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ નામનો એમનો શોધનિબંધ તેમજ ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ અને ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ – માં ખૂબ મહત્ત્વનો બની રહ્યો હતો સમકાલીન સર્જન અને વિવેચનને તથા સામ્પ્રત સાહિત્યના પ્રશ્નોને એમણે વિવેચકની જવાબદારી અને સજ્જતાથી હંમેશાં હાથ ધર્યા હતા. પ્રશ્નોને પૃથક્કરણથી સમજવાની અને સમજાવવાની એમની વિવેચનરીતિમાં એક તરફ પર્યેષકતા હતી અને, સાથે જ, બીજી બાજુ સ્વાધ્યાયનિષ્ઠ શિક્ષકવૃત્તિ હતી.

– રમણ સોની